મોંઘવારી ભથ્થું : સરકારી કર્મચારીઓ, પેન્શનરોનાં મોંઘવારી ભથ્થાં પર કોરોનાનો કેર

કોરોના મહામારી સામે ચાલી રહેલી લડાઈની વચ્ચે ભારત સરકારે હાલના દરે કર્મચારીઓ અને પેન્શનરોને મળવાના ડિયરનેસ અલાઉન્સ (ડીએ)નો વર્તમાન દર કેટલાક સમય માટે રોકવાની જાહેરાત કરી છે.

સરકારની આ જાહેરાત મુજબ દોઢ વર્ષ સુધી મોંઘવારી ભથ્થાંનો દર વધારવામાં નહીં આવે અને જૂનો દર જ ચાલુ રહેશે.

સરકાર દ્વારા જાહેર કરાયેલા એક પરિપત્ર અનુસાર કોવિડ-19ના કારણે પેદા થયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે નિર્ણય લીધો છે કે જુલાઈ 2021 સુધી કર્મચારીઓને મળનારું મોંઘવારી ભથ્થુ અને પેન્શનરોને મળવાપાત્ર મોંઘવારી ભથ્થું વર્તમાન દરો પ્રમાણે નહીં પરંતુ જૂનાં દરો મુજબ જ આપવામાં આવશે.

સરકારનું કહેવું છે કે 1 જુલાઈ, 2021થી મોંઘવારી ભથ્થાના આગામી હપ્તા જાહેર કરીને સરકાર જ્યારે નિર્ણય લેશે તે પછી 1 જાન્યુઆરી, 2020, 1 જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021થી અસર પામેલાં મોંઘવારી ભથ્થાના દરને ફરીથી નક્કી કરવામાં આવશે અને 1 જુલાઈ 2020 સુધી ફરીથી આપવામાં આવશે.

કેન્દ્ર સરકારના 48.34 લાખ કર્મચારીઓ અને 65.26 લાખ પેન્શનરો પર આની અસર થશે.

વધતી મોંઘવારીના કારણે દેશમાં વર્ષમાં બે વખત એટલે દર વર્ષે 1, જાન્યુઆરી અને 1 જુલાઈએ મોંઘવારીના દરને વધારવામાં આવે છે.

આ વર્ષે માર્ચમાં કેન્દ્ર સરકારે કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થાને વધારીને પગારના 17 ટકા કરવાની જાહેરાત કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો