કોરોના લૉકડાઉન: ભારતીય મુસ્લિમોએ જાહેર કરી રમઝાનની ગાઇડલાઇન

    • લેેખક, ઝુબૈર અહમદ
    • પદ, બીબીસી સંવાદદાતા

સાઉદી અરબની સૌથી મોટી ધાર્મિક પરિષદે દુનિયામાં મુસ્લિમોને રમઝાનના પવિત્ર મહિના દરમિયાન મસ્જિદોમાં ન જઈને નમાજ અદા કરવાની અપીલ કરી છે, જેથી કોરોના વાઇરસ પર અંકુશ લગાવી શકાય.

વરિષ્ઠ વિદ્વાનોની પરિષદે કહ્યું કે મુસ્લિમોએ સભાઓથી બચવું જોઈએ.

રમઝાન ભારતમાં 25મી એપ્રિલથી શરૂ થયો અને ચાંદ તા. 24મી એપ્રિલે દેખાયો હતો, જે એક મહિના સુધી ચાલશે. આ પછી ઇદનો તહેવાર ઊજવવામાં આવે છે, જેમાં સામાન્ય રીતે લોકો એકબીજાના ઘરે જાય છે અને ગળે મળે છે.

કોરોનાના કારણે ભારતમાં લૉકડાઉન છે અને આખા દેશમાં મસ્જિદો સહિત ધાર્મિક સ્થળો બંધ છે.

સાઉદી અરબે પોતાની મસ્જિદો બંધ કરી દીધી, જેમાં દુનિયાની સૌથી પવિત્ર કહેવામાં આવતી મક્કા મસ્જિદ પણ સામેલ છે.

ઇરાનની ઇસ્લામી સરકારે કહ્યું કે જો મુસ્લિમ લૉકડાઉનના કારણે રમઝાનમાં રોઝા ન રાખવા ઇચ્છે તો તેમને કોઈ તકલીફ નથી.

આ તરફ ભારતના જવાબદાર મુસ્લિમોએ પણ રમઝાન મહિનામાં લોકોને મસ્જિદમાં જઈને નમાજ ન પઢવાની સલાહ આપી છે.

પરંતુ પડોશી દેશ પાકિસ્તાનના ઇમામો અને મૌલવીઓએ પોતાની સરકારની સામે બગાવત કરી દીધી છે.

પાકિસ્તાનમાં મૌલવીઓની એક કાઉન્સિલે જાહેરાત કરી છે કે મુસ્લિમો રમઝાન મહિનામાં મસ્જિદોમાં જઈને નમાજ અદા કરશે.

રમઝાન માટે ગાઇડલાઇન

ભારતના બુદ્ધિજીવીઓએ મૌલવીઓ સાથે ચર્ચા કરીને ભારતના મુસ્લિમો માટે કેટલીક ગાઇડલાઇન્સ જાહેર કરી છે, જેમાંથી આ ખાસ છે.

• મસ્જિદોના સ્થાને મુસ્લિમ પોતાના ઘરોમાં નમાજ પઢે અને લૉકડાઉનમાં મસ્જિદોમાંથી લાઉડ સ્પીકરમાંથી અઝાન પણ બંધ કરી દે.

• રોઝા ખોલ્યા પછી રાત્રે પઢવામાં આવતી નમાજ અને તરાવીહને (રોઝા ખલ્યા પછી એક મહત્ત્વની નમાજ) પણ ઘરોમાં પઢો.

• મસ્જિદોમાં ઇફતાર પાર્ટીનું આયોજન ન કરો.

• રમઝાનની ખરીદી માટે ઘરોની બહાર ન નીકળો.

આગળ કેવા છે પ્રશ્નો?

આ સિવાય દેશમાં અનેક મસ્જિદોમાંથી પણ રમઝાનના મહિના દરમિયાન લૉકડાઉનનું પાલન કરવાની ઘોષણા કરવામાં આવી રહી છે.

દિલ્હીના મહારાણીબાગ વિસ્તારમાં એક જૂની મસ્જિદ છે, જેના ગેટ પર તાળું લગાડવામાં આવ્યું હતું.

તેની દેખરેખ કરી રહેલા મુઇનુલ હકે કહ્યું કે મસ્જિદ બંધ જરૂર છે, પરંતુ પાંચ વખત લાઉડ સ્પીકરથી અઝાન થાય છે, જેમાં રમઝાનમાં નમાજ ઘરેથી પઢવાની અપીલ કરવામાં આવી રહી છે.

મુસ્લિમોએ રમઝાનની તૈયારીઓ શરૂ કરી દીધી છે, પરંતુ લોકો સાથે વાત કરીને લાગે છે કે લૉકડાઉનમાં તે ખાન-પાનની જગ્યાએ રૂહાનીની તૈયારીમાં જોતરાયા છે.

હૈદરાબાદના એક વેપારી ફરીદ ઇકબાલના કહેવા અનુસાર આ સમય મસ્જિદોમાં ભીડ લગાવવાનો નથી. આ લૉકડાઉને આપણને ઘરમાં સંપૂર્ણ ધ્યાનની સાથે ઇબાદત કરવાની તક આપી છે.

રમઝાનનો મહિનો ભારતીય મુસ્લિમો માટે એક મોટો પડકાર હશે. આ મુસ્લિમોનો સૌથી મોટો પવિત્ર મહિનો છે જે દરમિયાન 30 દિવસ સુધી મુસ્લિમ મસ્જિદોમાં નમાજ અને કુરાન સાથે પઢે છે.

પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસ. વાય. કુરૈશી કહે છે, 'જે લોકો સામાન્ય દિવસોમાં મસ્જિદોમાં નથી જતા, તે રમઝાનમાં આવું કરે છે.'

'તેમને લાગે છે કે આ વખતે મુબારક મહિનામાં મસ્જિદમાં નહીં જઈએ તો ગુનો ગણાશે.'

'આ ગાઇડલાઇન્સ દ્વારા તેમણે સમજાવવા પ્રયત્ન કર્યો કે જો મક્કા (સાઉદી અરબ)માં તાળું લાગી શકતું હોય, તો બીજે પણ લાગી જ શકે.'

લૉકડાઉન હતું તો ગાઇડલાઇન કેમ?

મેરઠની એક મસ્જિદના એક ઇમામ નજીબ આલમના કહેવા અનુસાર રમઝાન ઇબાદતનો મહિનો છે. ઇબાદત ઘરમાં પણ કરી શકાય છે, પરંતુ આ મહિનામાં મસ્જિદમાં વધારે આબાદ રહે છે.

આમ તો પડકાર દુનિયાના તમામ એ મુસ્લિમ સમુદાયની સામે છે જ્યાં લૉકડાઉન લાગુ છે.

પરંતુ ભારતના મુસ્લિમો અને ધર્મગુરુઓએ આ ગાઇડલાઇન્સ જાહેર કરીને ઇચ્છા વ્યક્ત કરી છે કે મુસ્લિમ લોકો લૉકડાઉનનું પાલન કરે.

ભારતીય લઘુમતી આર્થિક વિકાસ એજન્સીના અધ્યક્ષ એમ.જે. ખાને કહ્યું, "આ એક સરાહનીય પગલું છે અને એ દર્શાવે છે કે કોરોના વાઇરસને ફેલાવાથી અટકાવવા માટે સમુદાયના નેતા સાર્થક પગલાં ઉઠાવી રહ્યાં છે."

હાલમાં જ દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં તબલીગી જમાતની ધાર્મિક સભા દરમિયાન હજારો લોક એકઠા થયા હતા અને આમાં અનેક લોકોમાં કોરોનાના કેસ જોવા મળ્યા હતા.

આ પછી મીડિયા અને સોશિયલ મીડિયામાં ભારતમાં ફેલાઈ રહેલા કોરોના વાઇરસ માટે મુસ્લિમોને જવાબદાર માનવામાં આવ્યા. અનેક જગ્યાએથી મુસ્લિમોના ભેદભાવના સમાચાર આવ્યા હતા.

દિલ્હીમાં મુસ્લિમોની સંસ્થા ઇન્ડિયન મુસ્લિમ્સ ફૉર ઇન્ડિયા ફર્સ્ટે મૌલવીઓ અને ઇમામોની દેખરેખ હેઠળ આ ગાઇડલાઇન જાહેર કરી છે.

આ મુસ્લિમ સંસ્થાના એક જાણીતા સભ્ય અને ઇન્કમટૅક્સ વિભાગના પૂર્વ કમિશનર સૈયદ ઝફર મહમૂદ કહે છે:

"ભેદભાવ કરવો મનુષ્યની ફિતરતમાં હોય છે. હાં, મુસ્લિમોની સાથે (કોરોના વાઇરસના ફેલાવાને લઈને) ભેદભાવ થયો છે. આપણે સૌએ આની પર કાબૂ મેળવવાની જરૂરિયાત છે અને મને લાગે છે આ એક સમય પૂરતી મર્યાદિત છે."

બહુ સમય પછી આવ્યું સરકારનું નિવેદન

મુસ્લિમ સમાજ ઘણો સતર્ક છે. સમુદાયની અંદર સામાન્ય મત એવો છે કે તબલીગી જમાતે ઇજ્તેમા (ધર્મ સંમેલન)નું આયોજન કરીને એક મોટી ભૂલ કરી, પરંતુ આને બહાનું બનાવીને આખા સમાજને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી. તે આ વાતથી પરેશાન છે કે સરકાર દ્વારા આની નિંદા કરવામાં આવી નથી.

શરૂઆતમાં આની પર કોઈ સરકારી નિવેદન આવ્યું નહોતું, પરંતુ આ પછી ભારત સરકારે એક નિવેદનમાં કહ્યું કે મુસ્લિમોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે.

આ સિવાય કર્ણાટકના મુખ્ય મંત્રી યેદિયુરપ્પાએ કોરોનાને લઈને મુસ્લિમોને બદનામ કરનારા સામે કાર્યવાહી કરવાની જાહેરાત પણ કરી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યું કે "કોવિડ-19 ધર્મ, રંગ, જાતિ, પંથ, ભાષા અથવા સરહદો નથી જોતો. માટે આપણી પ્રતિક્રિયા અને આચરણમાં એકતા અને ભાઈચારાને પ્રાધાન્ય આપવું જોઈએ. આ સ્થિતિમાં આપણે સૌ લોકો એક સાથે છીએ"

હવે જવાબદારીના અહેસાસનો સમય

લખનઉમાં એક મસ્જિદના ઇમામ જાહિદ ઘનીના કહેવા અનુસાર, આ વખતે રમઝાન અને ઇદ ફીકી રહેશે, પરંતુ જો મુસ્લિમોએ લૉકડાઉનનું પાલન ન કર્યું તો ઘણી બદનામી થશે.

કેટલાક મુસ્લિમો તો એવું કહે છે કે લૉકડાઉનનો સમય રમઝાનના અંત સમય સુધી વધારવો જોઈએ.

મૌલાના આઝાદ નેશનલ ઉર્દૂ યુનિવર્સિટીના ચાન્સેલર ફિરોઝ બખ્ત અહમદે વડા પ્રધાનને એક પત્ર લખીને અપીલ કરી છે કે લૉકડાઉનના સમયને વધારીને 24 મે સુધી કરી દેવામાં આવે, જેથી આખો રમઝાન મહિનો લૉકડાઉનમાં પસાર થાય.

તો એસ.વાય. કુરૈશી કહે છે કે મુસ્લિમ એ ન વિચારે કે મસ્જિદોમાં જવાની મનાઈ કરવામાં આવે છે. સરકાર લૉકડાઉન દરમિયાન મંદિરો, ગુરુદ્વારા અને ચર્ચમાં પણ જવા પર પ્રતિબંધ મૂકે છે.

"રમઝાનમાં તરાવીહ (રોઝા ખોલ્યા પછીની એક મહત્ત્વની નમાઝ)માં રોઝા રાખતી એક મોટી સંખ્યા મસ્જિદમાં જાય છે. ગાઇડલાઇન્સ અનુસાર મુસ્લિમ લૉકડાઉનનું પાલન કરે અને મસ્જિદમાં ન જાય."

શું ભારતના મુસ્લિમો આપવામાં આવેલી ગાઇડલાઇન્સનું પાલન કરશે?

ઝફર મહમૂદ કહે છે, "આના પાલનમાં પરેશાની નહીં થાય. લૉકડાઉન ત્રણ અઠવાડિયાં સુધી લાગુ છે. લોકો આના આદી થઈ ગયા છે અને આ લોકો અને દેશના ફાયદા માટે છે. હા, જો રમઝાનની સાથે લૉકડાઉન પણ શરૂ થયું હોત, તો પરેશાની થાત."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો