You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
LIC : બીજી કંપનીઓને ખરીદનાર LICને વેચવા કેમ કાઢ્યું?
- લેેખક, ટીમ બીબીસી હિન્દી
- પદ, નવી દિલ્હી
60 વર્ષ જૂની આ સરકારી વીમા કંપનીની સફર શાનદાર રહી છે. ભારતીય વીમાબજારમાં LICનો હિસ્સો 70 ટકાથી વધારે છે.
સરકાર જ્યારે પણ મુશ્કેલીમાં આવે ત્યારે LIC આધારભૂત સાથી બનીને ઊભી રહી છે. સરકારને મદદ કરવા જતાં LICને પોતાને નુકસાન પણ થતું રહ્યું છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે સરકારી એકમોનું ખાનગીકરણ કરીને 2.1 લાખ કરોડ રૂપિયા ઊભા કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આજ સુધીનો વિનિવેશનો આ સૌથી મોટો લક્ષ્યાંક છે.
તેમાંથી 90 હજાર કરોડ રૂપિયા LIC અને IDBI બૅન્કના શૅર વેચીને સરકાર હાંસલ કરવા માગે છે. મોદી સરકાર દ્વારા ભારત પેટ્રોલિયમ અને ઍર ઇન્ડિયાને વેચવાની પણ જાહેરાત કરી દેવામાં આવી છે.
1956માં ભારતમાં જીવન વીમાના કામકાજનું રાષ્ટ્રીયકરણ કરીને LIC ઍક્ટ લાવવામાં આવ્યો હતો. તે વખતે ભાગ્યે જ કોઈને કલ્પના હશે કે એક દિવસ સંસદમાં તેને જ વેચી દેવાની વાત આવશે.
બહુ જૂની વાત નથી. 2015માં જ ઑઇલ ઍન્ડ નેચરલ ગૅસ કૉર્પોરેશન (ONGC) લિમિટેડનો IPO (પ્રારંભિક શૅરભરણું) આવ્યો ત્યારે LIC એટલે કે ભારતીય જીવન વીમા નિગમે તેમાં 1.4 અબજ ડૉલરનું રોકાણ કર્યું હતું.
ચાર વર્ષ પછી દેવાના ડુંગર તળે દબાઈ ગયેલી IDBI બૅન્કને બચાવવાની વાત આવી ત્યારે પણ LICએ જ પોતાનું ખિસ્સું ખાલી કરવાની વાત આવી.
જોકે હવે સ્થિતિ બદલાઈ ગઈ છે અને સરકાર LICમાં રહેલો પોતાનો શૅરહિસ્સો વેચવા માગે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અત્યાર સુધી સરકાર બીજા નિગમોના શૅર LICને વેચતી હતી પણ હવે LICનો જ હિસ્સો વેચવા માટે આઈપીઓ કરવાનો વારો આવ્યો છે.
જોકે આઈપીઓ દ્વારા સરકાર LICના કેટલા ટકા શૅર બજારમાં વેચવા કાઢશે તેની કોઈ સ્પષ્ટતા હજી થઈ નથી.
સરકાર જો LICના 50 ટકાથી ઓછા શૅર ઑફર કરશે તો તેનો અર્થ એ થશે કે LIC પર સરકારનું જ નિયંત્રણ રહેશે અને સરકારનો જ વહીવટ રહેશે.
LICનું બજારમાં મૂલ્ય
નાણામંત્રી નિર્મલા સીતારમણે LICના શૅર વેચવાની વાત કરતી વખતે જણાવ્યું હતું કે, "સ્ટૉકમાર્કેટમાં કંપનીને લિસ્ટ કરવામાં આવે તેનાથી કંપનીમાં શિસ્ત આવે છે. નાણાબજારમાં તેની પહોંચ વધે છે."
"સાથે જ કંપની માટે શક્યતાઓ ખૂલી જાય છે. છુટક રોકાણ કરનારા શૅરધારકોને પણ કમાણીમાં હિસ્સેદાર બનવાની તક મળશે."
ભારતના વીમાબજારમાં 30 નવેમ્બર, 2019ના રોજ LICનો હિસ્સો 76.28 ટકા છે.
2019ના નાણાકીય વર્ષમાં LICને ગ્રાહકો તરફથી પ્રીમિયમની રકમ તરીકે 3.37 લાખ કરોડ રૂપિયા મળ્યા હતા. એટલું જ નહીં LIC દ્વારા થયેલા રોકાણમાંથી 2.2 લાખ કરોડ રૂપિયાની કમાણી થઈ હતી.
મોટી ખાનગી કંપનીની સ્પર્ધા છતાં આટલી મજબૂત નાણાકીય સ્થિતિ LICની છે.
2019માં LIC દ્વારા થયેલું શૅરબજારનું કુલ રોકાણ 28.32 લાખ કરોડ રૂપિયા છે, જ્યારે 1.17 લાખ કરોડ રૂપિયાનું રોકાણ જામીનગીરીમાં અને 34,849 કરોડ રૂપિયાનું રોકાણ નાણાબજારમાં કરેલું છે.
એવું માનવામાં આવે છે કે 2020-21માં વિનિવેશનું લક્ષ્યાંક LICનો આઈપીઓ કરીને સરકાર પાર પાડી શકે તેમ છે.
હાલના નાણાકીય વર્ષમાં વિનિવેશનું લક્ષ્યાંક 1.05 લાખ કરોડ રૂપિયા હતું, જે 2020-21ના વર્ષમાં વધારીને 2.1 લાખ કરોડ રૂપિયાનું કરવામાં આવ્યું છે.
શનિવારે નાણાસચિવ રાજીવ કુમારે કહ્યું હતું કે LICના શૅરોના વેચાણમાંથી સરકારને 70,000 કરોડ રૂપિયા મળવાની આશા છે.
વેપારી જગતમાં આવકાર
LICના શૅર વેચવાની વાતને વેપારી જગતમાં આવકાર મળ્યો છે.
ઍસોસિયેશન ઑફ નેશનલ ઍક્સ્ચેન્જ મેમ્બર્સ ઑફ ઇન્ડિયા (ANEMI)ના પ્રમુખ વિજય ભૂષણ કહે છે, "LICનું ખાનગીકરણ કરવાની દરખાસ્ત આ બજેટનું સૌથી મોટું આકર્ષણ છે."
"આ સાઉદી અરેબિયાની સરકારી ઑઇલ કંપની અરામાકો સ્ટૉકમાર્કેટમાં લિસ્ટ થાય તેના જેવી મોટી ઘટના છે. LICમાં વિનિવેશ 'આઈપીઓ ઑફ ધી ડીકેટ' છે."
એમકે ગ્લોબલ ફાઇનાન્સિયલ સર્વિસીઝના એમડી કૃષ્ણકુમાર કારવા કહે છે, "LICનો આઈપીઓ બહુ મોટું હકારાત્મક પગલું છે. તેના કારણે આગામી સમયમાં સરકારને ભંડોળ એકઠું કરવામાં વધારે તક રહેશે."
મેટ્રોપૉલિટન સ્ટૉકઍક્સ્ચેન્જના સીઈઓ બાલુ નાયરના જણાવ્યા અનુસાર, "LICના આઈપીઓની રોકાણકારો ઉત્સાહથી રાહ જોઈ રહ્યા છે. તેના કારણે પ્રાઇમરી માર્કેટમાંથી નાણાં એકઠાં કરવાની વાતને પ્રોત્સાહન મળશે."
LICમાં આંતરિક રીતે સ્થિતિ ઠીકઠાક છે?
'વિશ્વાસનું પ્રતીક' ગણાતી સરકારી વીમા કંપની LICના નાણાકીય આંકડા જોકે છેલ્લા પાંચ વર્ષમાં બહુ પ્રોત્સાહક રહ્યા નથી. છેલ્લાં પાંચ વર્ષમાં LICની એનપીએ વધીને બમણી થઈ ગઈ છે.
કંપનીના વાર્ષિક અહેવાલ અનુસાર માર્ચ 2019 સુધીમાં કુલ રોકાણમાંથી 6.15 ટકા રોકાણ એનપીએ થઈ ગયું છે.
2014-15માં એનપીએનું પ્રમાણ 3.30 ટકા જ હતું. તેનો અર્થ એ કે LICની એનપીએમાં પાંચ વર્ષમાં 100 ટકાનો વધારો થઈ ગયો છે.
2018-19ના વાર્ષિક અહેવાલ અનુસાર 31 માર્ચ, 2019ના રોજ LICની એનપીએ 24, 777 કરોડ રૂપિયા હતી.
કંપનીનું કુલ દેવું ચાર લાખ કરોડ રૂપિયાથી વધારે છે. LICની કુલ સંપત્તિનું મૂલ્ય 36 લાખ કરોડ રૂપિયાથી વધુનું છે.
LICનું રોકાણ એનપીએ થયું તેનું કારણ એ છે કે જે કંપનીઓમાં તેણે રોકાણ કર્યું હતું તે કંપનીઓ ખાડે ગઈ છે.
કેટલીક કંપનીઓ દેવાળું કાઢવાની તૈયારીમાં છે. તેમાં દીવાન હાઉસિંગ, રિલાયન્સ કૅપિટલ, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ, પીરામલ કૅપિટલ અને યસ બૅન્કનો સમાવેશ થાય છે.
કર્મચારી યુનિયનનો વિરોધ
ભારતીય જીવન વીમા નિગમના કર્મચારી સંઘે આઈપીઓ લાવવાની કેન્દ્ર સરકારની યોજનાનો વિરોધ કર્યો છે.
ઑલ ઇન્ડિયા લાઇફ ઇન્સ્યૉરન્સ ઍમ્પ્લૉય્ઝ ફેડરેશનના મહામંત્રી રાજેશ નિમ્બાલકર કહે છે, "જાહેર ક્ષેત્રની બીજી કંપનીઓમાં જ્યારે પણ નાણાંની જરૂર પડે ત્યારે LIC હંમેશાં આખરી આશરો બની રહે છે. અમે LICમાંથી શૅરનો હિસ્સો વેચવાના સરકારના નિર્ણયનો જોરદાર વિરોધ કરી રહ્યા છીએ."
"સરકારનું આ પગલું જનહિતની વિરુદ્ધ છે, કેમ કે LICનો વિકાસ વીમાધારકો અને એજન્ટોના ભરોસે અને તેમના સમર્પણને કારણે થયો છે."
નિમ્બાલકર કહે છે, "LICમાં સરકારી હિસ્સામાં કોઈ પણ પ્રકારના ફેરફારને કારણે વીમાધારકોનો વિશ્વાસ આ સંસ્થા પરથી ઊઠી જશે."
"સરકારે એ નથી જણાવ્યું કે કેટલા શૅરનો હિસ્સો વેચવામાં આવશે. ભૂતકાળના અનુભવો જોતાં લાગે છે કે ભારતીય જીવન વીમા નિગમમાંથી પોતાનો મોટો હિસ્સો સરકાર વેચી નાખશે. તેના કારણે LIC જાહેર ક્ષેત્રની સંસ્થા તરીકેનો પોતાનો દરજ્જો ગુમાવી દેશે."
સરકારી માટે દુધાળી ગાય
રાજેશ નિમ્બાલકર કહે છે તે પ્રમાણે સરકાર માટે અત્યાર સુધીમાં જ્યારે પણ ભંડોળની જરૂર પડી, LICનો આશરો લેવામાં આવ્યો છે. ભૂતકાળના ઉદાહરણો તેની સાક્ષી પૂરે છે.
ડામાડોળ સ્થિતિમાં મુકાઈ ગયેલી IDBI બૅન્કને બચાવવા માટે LICનાં નાણાંનો જ ઉપયોગ કરાયો હતો.
IDBI બૅન્કમાં શરૂથી જ LICનો હિસ્સો સાતથી સાડા સાત ટકાનો હતો. તે હિસ્સો વધારીને 51 ટકા કરવામાં આવ્યો અને તે માટે LICએ 10,000થી 13,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હોવાનું મનાય છે.
માત્ર IDBI બૅન્ક જ નહીં, જાહેર ક્ષેત્રની કોઈ પણ કંપનીનું શૅરભરણું કરાયું ત્યારે તેમાં મોટી રકમનું રોકાણ LIC પાસે કરાવવામાં આવ્યું છે.
તેમાં ONGC જેવી મહારત્ન કંપનીઓનો પણ સમાવેશ થાય છે. LIC વર્ષ દરમિયાન સરકારી જામીનગીરી તથા શૅરબજારમાં 55થી 65 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરે છે.
2009માં મહેસૂલી ખાધ ઓછી કરવા માટે સરકારી કંપનીઓ વેચવાનું સરકારે શરૂ કર્યું હતું. તેની ખરીદી કરવાનું કામ LIC પર નાખી દેવામાં આવ્યું હતું.
2009થી 2012 સુધીમાં સરકારે 9 લાખ કરોડ રૂપિયા હાંસલ કર્યા, તેમાં માત્ર LICનો હિસ્સો ત્રીજા ભાગનો હતો. ONGCનું ભરણું નિષ્ફળ જવાની તૈયારીમાં હતું ત્યારે LIC પાસે તેના શૅરો ખરીદાવીને તેને બચાવી લેવાયું હતું.
LIC ઍક્ટમાં સુધારો
LICમાં શૅરહિસ્સો વેચવા કાઢતાં પહેલાં સરકારે LIC ઍક્ટમાં સુધારો કરવો પડશે.
ભારતમાં વીમાનાં કામકાજનાં નિયંત્રણ માટે ઇન્સ્યૉરન્સ રેગ્યુલેટરી ડેવલપમૅન્ટ ઑથોરિટી (ઇરડા) છે, પરંતુ LICના કામકાજ માટે સંસદમાં અલગથી કાયદો બનેલો છે.
LIC ઍક્ટની કલમ 37 પ્રમાણે LICની વીમાની રકમ તથા તેના બોનસ માટે વીમાધારકોને જે વચન આપવામાં આવ્યું હોય છે, તેની ગૅરંટી કેન્દ્ર સરકારની હોય છે.
ખાનગી વીમા કંપનીઓને આવી કોઈ સરકારી ગૅરંટી મળતી નથી.
તેના કારણે જ દેશના વીમાધારકો વીમો લેવા માટે LIC પર જ વધારે ભરોસો કરતા હોય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો