You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
E-Cigarettes પર પ્રતિબંધ મુકાયો એના પર લોકોએ આપી આવી પ્રતિક્રિયા
કેન્દ્ર સરકારે ઈ-સિગારેટ પર પૂર્ણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે.
બુધવારે કૅબિનેટ બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયની જાણકારી આપતાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ઈ-સિગારેટ પર પૂર્ણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
તેમણે કહ્યું, હવે ઈ-સિગારેટનાં ઉત્પાદન, વિક્રય, પરિવહન, આયાત, નિકાસ, સંગ્રહ કે વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવે છે."
આ અંગે એક વટહુકમ લાવવામાં આવ્યો છે. આ વટહુકમના ઉલ્લંઘન બદલ વધુમાં વધુ એક વર્ષની સજા અને એક લાખ રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે યુવાનોના સ્વાસ્થ્ય પર ઈ-સિગારેટની અસરને ધ્યાનમાં લઈને પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
તેમણે અમેરિકામાં કરવામાં આવેલા એક અભ્યાસને ટાંક્યો અને કહ્યું કે આંકડા પ્રમાણે ધોરણ 10 અને 12માં અભ્યાસ કરતાં બાળકોમાં ઈ-સિગારેટનું ચલણ 77.8 ટકા વધ્યું છે. જ્યારે માધ્યમિક સ્કૂલના વિદ્યાર્થીઓમાં ઈ-સિગારેટનું ચલણ 48.5 ટકા વધ્યું છે.
અમેરિકામાં થયેલાં મૃત્યુ
નિર્મલા સીતારમણે કહ્યું, અમેરિકામાં વેપિંગ( ઈ-સિગારેટના સેવનને વેપિંગ કહેવાય છે)થી 7 લોકોનાં મૃત્યુ થયાં છે. જો કે વૈજ્ઞાનિક અધ્યયનમાં આ સાબિત થવાનું બાકી છે કે લાંબા સમય સુધી ઈ-સિગારેટ વાપરવાથી શું નુકસાન છે.
નિર્મલા સીતારમણે કહ્યું કે દેશમાં ઈ-સિગારેટની ઘણી બ્રાન્ડ છે પણ તેનું નિર્માણ વિદેશમાં કરવામાં આવે છે અને ભારતમાં આયાત કરવામાં આવે છે. ઈ-સિગારેટથી નીકળતા ધુમાડામાં બહુ વધારે નિકોટિન હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગત ફેબ્રુઆરીમાં સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટૅન્ડર્ડ્સ કંટ્રોલ ઑર્ગેનાઇઝેશને બધાં રાજ્યોમાં ઈએનડીએસ (ઇલેક્ટ્રોનિક નિકોટિન ડિલિવરી સિસ્ટમ) પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
જોકે એ પછી ડાયરેક્ટોરેટ જનરલ ઑફ હેલ્થ સર્વિસિઝના આદેશને દિલ્લી હાઈકોર્ટે સ્થગિત કર્યો હતો.
ધૂમ્રપાન ન કરનાર લોકોમાં નિકોટિનની લત વધવાને ધ્યાનમાં લઈને ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે ઈ-સિગરેટ પર પૂર્ણ પ્રતિબંધની સલાહ આપી હતી.
સોશિયલ મીડિયા પર ચર્ચા
નિર્મલા સીતારમણની જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર આ વિશે લોકોએ પોતાના અલગ-અલગ મત આપ્યા.
અમુક લોકોએ કેન્દ્ર સરકારનો નિર્ણયને આવકાર્યો હતો તો કેટલાકે સવાલ કર્યો કે સામાન્ય સિગારેટ તંબાકુની જગ્યાએ ઈ-સિગારેટ પર પ્રતિબંધ કેમ મૂકવામાં આવ્યો છે.
સંગીત નામનાં ટ્વિટર યૂઝરે લખ્યું, "ઈ-સિગારેટ બૅન. લાગે છે કે આ પગલું આપણા સ્વાસ્થ્યને બચાવવા કરતાં તંબાકુ કંપનીઓને બચાવવા માટે લેવામાં આવ્યું છે. જો સાચે જ તમને ચિંતા હોય તો સિગારેટને પૂર્ણ રીતે પ્રતિબંધિત કરવામાં આવે."
વિપુલ મિશ્રા નામના એક ટ્વિટર યૂઝરે લખ્યું છે, "કેન્દ્ર સરકારે બહુ સારું કામ કર્યું છે, તંબાકુના પ્રૉડક્ટ્સની અવગણના કરીને ઈ-સિગરેટ પર પ્રતિબંધ મૂક્યો. તમારી પાસેથી આથી વધારે આશા હતી."
અવિનવ નામના ટ્વિટર યૂઝરે ટીખળ કરતાં લખ્યું, "તંબાકુવાળી સિગારેટ સ્વાસ્થ્ય માટે સારી છે, તેના પર પ્રતિબંધ ન મૂકવો જોઈએ. ઈ સિગારેટ સ્વાસ્થ્ય માટે સારી નથી, તેના પર બૅન મૂકવો જોઈએ."
સ્લીપી આઉલ નામના ટ્વિટર હૅન્ડલ પર લખવામાં આવ્યું હતું, "ઈ-સિગારેટ ભારતમાં પ્રતિબંધિત છે. હવે સામાન્ય સિગારેટનું વેચાણ વધશે અને તેનાથી કર વસૂલીમાં વધારો થશે."
તો કેટલાક લોકોએ કેન્દ્ર સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો.
ગૌરવ મિશ્રા નામના એક ટ્વિટર યૂઝરે લખ્યું, "સરકારે ઈ સિગારેટના વેચાણ, સ્ટોરેજ અને વપરાશ પર પ્રતિબંધ મૂક્યો, સારો નિર્ણય!"
પુલકિત નામના ટ્વિટર યૂઝરે એક તસવીર પોસ્ટ કરી અને લખ્યું, "સિગારેટ અને તંબાકુના પ્રૉડક્ટ પર પ્રતિબંધ નહીં મૂકવા પર ઈ સિગારેટ ઉત્પાદકોએ કહ્યું 'શું આ છે તમારી ઇક્વાલિટી'?"
રાશી કક્કડ નામનાં ટ્વિટર યૂઝરે લખ્યું, ધૂમ્રપાનના બધા જ પ્રકારને બંધ કરવા જોઈએ. સત્ય એ છે કે ઈ સિગારેટે એક નવો જ વર્ગ આકર્ષિત થયો છે જેમાં કિશોરો અને તેનાથી પણ નાના બાળકો સામેલ છે.
ડ્રિમર નામના ટ્વિટર યૂઝરે લખ્યું, તંબાકુવાળી સિગારેટ ટૅક્સ અપાવે છે, ઈ સિગારેટ અમેરિકામાં ટૅક્સ આપે છે, એટલે આપણે ઈ-સિગારેટ પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો