ભાજપની સરકારે ખરેખર ગંગાને સ્વચ્છ કરી દીધી?

    • લેેખક, ફૅક્ટ ચેક ટીમ
    • પદ, બીબીસી ન્યૂઝ

દક્ષિણ ભારતના ઘણાં સોશિયલ મીડિયા ગ્રૂપ્સમાં બે તસવીરો એ દાવા સાથે શૅર કરવામાં આવી રહી છે કે ભારતીય જનતા પક્ષની સરકારે થોડાં જ વર્ષોમાં ગંગા નદીની સફાઈના નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે.

કેટલાંક સોશિયલ મીડિયા ગ્રૂપ્સમાં #5YearChallengeની સાથે તો કેટલાકમાં #10YearChallengeની સાથે આ તસવીરોને શૅર કરવામાં આવી રહી છે અને દાવો કરવામાં આવ્યો છે કે કૉંગ્રેસની સરકારમાં ગંગા નદીની સ્થિતિ ખૂબ ખરાબ હતી જેમાં ભાજપ સરકારે ઝડપથી સુધારો કર્યો છે.

તમિલનાડુના ઘણા ભાજપ એકમમાં મહાસચિવ વનથી શ્રીનિવાસને પણ આ તસવીરોને ટ્વીટ કરી છે.

તેમણે લખ્યું છે કે કૉંગ્રેસ સરકારના સમય (2014) અને ભાજપ સરકાર દરમિયાન (2019) ગંગાની સ્થિતિમાં ફેરફારને જુઓ.

તમે આ વાંચ્યું કે નહીં?

દક્ષિણ ભારતના કેટલાક અન્ય ભાજપ નેતાઓએ પણ આ તસવીરોને પોતાના ઔપચારિક સોશિયલ મીડિયા પેજ પર શૅર કરી છે.

'ધ ફ્રસ્ટ્રેટેડ ઇન્ડિયન' અને 'રાઇટ લૉગ ડૉટ ઇન' જેવા દક્ષિણપંથી વલણ ધરાવતા સોશિયલ મીડિયા ગ્રૂપ્સે પણ આ તસવીરોને શૅર કરી છે અને હજારો લોકો આ ગ્રૂપ્સથી આ તસવીરો શૅર કરી ચૂક્યા છે.

કન્નડ ભાષી ફેસબુક ગ્રુપ 'BJP For 2019- Modi Mattomme'એ પણ ગત અઠવાડિયે આ જ તસવીરોને પોસ્ટ કરી હતી અને લખ્યું હતું, "કેટલું અંતર આવી ગયું છે, તમે જાતે જ જોઈ લો. આ બદલાવ જ એ કહેવા માટે પૂરતો છે કે ફરી એક વખત મોદી સરકાર."

પરંતુ અમારી તપાસમાં અમે જાણ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકસભા બેઠક અને હિંદુઓ માટે ખૂબ મોટી ધાર્મિક માન્યતા ધરાવતા વારાણસી શહેરની જે તસવીરને 'ગંગાની સફાઈનો પુરાવો' બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે, તે ખોટી છે.

તપાસમાં ખબર પડી કે આ તસવીરો 2009 અને 2019ની નથી.

પહેલી તસવીર

રિવર્સ ઇમેજથી ખબર પડે છે કે જે વાઇરલ તસવીરને વર્ષ 2009ની બતાવવામાં આવી છે, તેને વર્ષ 2015થી 2018 વચ્ચે 'આઉટલુક મેગેઝીને' ફાઈલ તસવીર તરીકે ઘણી વખત ઉપયોગમાં લીધી છે.

પરંતુ આ તસવીર ક્યારે લેવામાં આવી હતી? એ જાણવા માટે અમે આઉટલુક મેગેઝીનના ફોટો એડિટર જિતેન્દ્ર ગુપ્તા સાથે વાત કરી.

તેમણે જણાવ્યું, "વર્ષ 2011ના મધ્યમાં તેઓ ગંગાની સ્થિતિ પર ફોટો સ્ટોરી કરવા માટે વારાણસી ગયા હતા. આ એ જ સિરીઝની તસવીર છે. તેનો ઉપયોગ ઘણી વખત ફાઈલ તસવીર તરીકે પણ ઉપયોગ થયો છે."

વર્ષ 2011માં કેન્દ્રમાં કૉંગ્રેસની અને ઉત્તર પ્રદેશમાં બસપાની સરકાર હતી.

હવે બીજી તસવીર

આ એ તસવીર છે જેના આધારે ભાજપના નેતાઓએ ગંગા નદીની કાયાપલટનો દાવો કર્યો છે અને તેને 2019ની ગણાવી છે.

રિવર્સ સર્ચમાં જાણવા મળ્યું કે આ તસવીર વિકીપીડિયા પરથી ઉઠાવવામાં આવી છે.

ઉત્તરી યૂરોપના એક વિકીપીડિયા પેજ પર આ તસવીર લાગેલી છે અને આ પેજ પર ઉત્તર પ્રદેશના વારાણસી શહેરનું વિવરણ આપવામાં આવ્યું છે.

વિકીપીડિયાના આ પેજ પર ફોટો વેબસાઇટ ફ્લિકર માટે અમેરિકી ફોટોગ્રાફર કેન વીલેન્ડ દ્વારા લેવામાં આવેલી તસવીરનો ઉપયોગ કર્યો છે.

ફોટોગ્રાફરના અનુસાર માલવા સામ્રાજ્યના રાણી અહિલ્યાબાઈ હોલકરના નામ પર બનેલી વારાણસી સ્થિત અહિલ્યા ઘાટની આ તસવીર માર્ચ 2009માં લેવામાં આવી હતી.

વર્ષ 2009માં પણ કેન્દ્રમાં કૉંગ્રેસની સરકાર હતી અને રાજ્યની કમાન બસપા નેતા માયાવતીના હાથમાં હતી.

એટલે કે જે તસવીરોના આધારે ભાજપ નેતા ગંગાની સફાઈનો દાવો કરી રહ્યા છે, તે બન્ને તસવીરો કૉંગ્રેસના કાર્યકાળમાં લેવામાં આવી હતી.

ગંગાની સ્થિતિ

મીડિયા રિપોર્ટ અનુસાર ગત વર્ષે ગંગાની સફાઈ માટે સરકારના પ્રયાસોનું મૂલ્યાંકન કરવા વાળી સંસદીય સમિતિએ પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે ગંગા સફાઈ માટે સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલાં પગલાં પર્યાપ્ત નથી.

આ તરફ નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે પણ ગંગાની સફાઈ મામલે સરકારને ફટકાર લગાવી છે.

ગત વર્ષે 112 દિવસ સુધી ઉપવાસ પર બેઠેલા પર્યાવરણવિદ પ્રોફેસર જી. ડી. અગ્રવાલ ઉર્ફે સ્વામી જ્ઞાન સ્વરુપે પોતાનું જીવન ગંગાની સફાઈને જ સમર્પિત કરી દીધું હતું.

ઉપવાસ દરમિયાન જી. ડી. અગ્રવાલે કહ્યું હતું, "અમે વડા પ્રધાન કાર્યાલય અને જળ સંસાધન મંત્રાલયને ઘણા બધા પત્રો લખ્યા, પરંતુ કોઈ જવાબ આપવાનો પ્રયાસ કર્યો નથી."

વર્ષ 2014માં વડા પ્રધાનના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીએ વારાણસીમાં ગંગાની સફાઈનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારે તેમણે સાંસદ ઉમેદવારના રૂપમાં ગંગાને નમન કરતા કહ્યું હતું- "ન હું અહીં જાતે આવ્યો છું, ન મને અહીં કોઈ લઈને આવ્યું છે. મને તો ગંગા માતાએ બોલાવ્યો છે."

પીએમ મોદીએ સત્તામાં આવ્યા બાદ શરુઆતી વર્ષમાં ગંગા સફાઈને લઈને ગંભીરતા દર્શાવી હતી અને તેના માટે ગંગા સંરક્ષણ મંત્રાલય પણ બનાવ્યું હતું.

એક અન્ય રિપોર્ટના અનુસાર કેન્દ્ર સરકારે રાજ્ય સભામાં જણાવ્યું હતું કે વર્ષ 2014થી જૂન 2018 સુધી ગંગા નદીની સફાઈ માટે 3,867 કરોડ રૂપિયા કરતાં વધારે રકમ વપરાઈ ગઈ છે.

જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ રાજ્ય મંત્રી ડૉ. સત્યપાલ સિંહે જુલાઈ 2018માં રાજ્યસભામાં આ જાણકારી આપી હતી.

પરંતુ વર્ષ 2018માં એક આરટીઆઈમાં ખુલાસો થયો કે મોદી સરકાર પાસે કોઈ એવા આંકડા નથી કે જેનાથી ખબર પડે કે અત્યાર સુધી ગંગાની કેટલી સફાઈ થઈ છે.

ખોટો દાવો પહેલી વખત નથી

નરેન્દ્ર મોદી સરકારે પોતાના અત્યાર સુધીના કાર્યકાળમાં કથિત રૂપે જેટલી ઝડપે રસ્તાનો વિકાસ કર્યો, તેને બતાવવા માટે ભારતીય જનતા પક્ષે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી.

આ તસવીરો પણ બીબીસીની તપાસમાં ખોટી સાબિત થઈ હતી.

ભાજપે આગ્રા- લખનૌ એક્સપ્રેસ વે અને દિલ્હી મેરઠ એક્સપ્રેસ વેની તસવીરોના આધારે વેસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વેનું કામ ઝડપથી પૂર્ણ કરવાનો ખોટો દાવો રજૂ કર્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો