નોટબંધીનાં બે વર્ષ થયાં, આખરે દેશને શું મળ્યું અને દેશે શું ગુમાવ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઝુબેર અહમદ
- પદ, બીબીસી સંવાદદાતા
વડા પ્રધાન મોદીએ બે વર્ષ પહેલાં આજના દિવસે નોટબંધી જાહેર કરી સૌને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.
વડા પ્રધાને રાત્રે આઠ વાગ્યે આપેલા ભાષણમાં કહ્યું હતું કે રાત્રે બાર વાગ્યાથી 500 અને 1000 રૂપિયાની નોટ દેશમાં કાયદેસર ગણાશે નહીં.
આ પગલાનો વિરોધ થયો ત્યારે વડા પ્રધાન મોદીએ કહેલું, "ભાઈઓ અને બહેનો, મેં દેશ પાસે માત્ર 50 દિવસ માગ્યા છે. 50 દિવસ. મને 30 ડિસેમ્બર સુધી તક આપો મારા ભાઈઓ બહેનો."
"જો 30 ડિસેમ્બર બાદ કોઈ સમસ્યા થાય, મારો બદઇરાદો નીકળે તો મને ચાર રસ્તે ઊભો રાખીને જે સજા આપશો તે ભોગવી લઈશ."
દેશને આંચકો આપનારા આ પગલાને વડા પ્રધાને કાળા ધન વિરુદ્ધની લડત ગણાવી હતી.
પીએમ મોદીએ આ પગલાને ઉગ્રવાદ અને આતંકવાદના ફન્ડિંગ વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઇક ગણાવી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

કૅશલૅસ અર્થવ્યવસ્થા અને ડિજિટલ સમાજની દિશામાં નોટબંધીને મોદીએ એક મોટું પગલું ગણાવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બે વર્ષ બાદ મોદી સરકારના દાવા મુજબ, નોટબંધી લાદવાના તેમના તમામ હેતુ પરિપૂર્ણ થયા છે.
નાણા મંત્રી જેટલીએ ગત વર્ષે કહ્યું હતું, "અર્થતંત્રમાંથી રૂપિયા 500/1000 ની નોટ રદ થવાથી ટૅક્સ નેટમાં વધારો થયો છે અને વિકાસ દરમાં પ્રગતિ થઈ છે.

નોટબંધી બાદ પણ કાળુંનાણું ન મળ્યું

ઇમેજ સ્રોત, Getty Images
ગત વર્ષે જ આરબીઆઈએ જાહેરાત કરી હતી કે 99.3 ટકા નોટ સિસ્ટમમાં પરત આવી ગઈ છે.
રિઝર્વ બૅન્ક મુજબ, નોટબંધી વખતે રૂપિયા 500 અને 1,000ની 15 લાખ 41 હજાર કરોડ રૂપિયાની નોટ દેશના ચલણમાં હતી.
આ નોટમાંથી 15 લાખ 31 હજાર કરોડનું ચલણ સિસ્ટમમાં પરત પહોંચ્યું છે. એટલે કે 10 હજાર કરોડ રૂપિયા જેટલી નોટ સિસ્ટમમાં પરત આવી શકી નથી.
હજુ તો ભુતાન અને નેપાળથી આવેલા ચલણની ગણતરી બાકી છે.
એનો અર્થ એવો થયો કે લોકો પાસે રોકડ સ્વરૂપે કાળુંનાણું નહિવત્ હતું.
આર્થિક બાબતોના નિષ્ણાત પ્રિય રંજન ડૅશે જણાવ્યું હતું કે લોકો કાળુંનાણું ઘરમાં રોકડ સ્વરૂપે રાખે છે આવું વિચારવું મૂર્ખામી ભર્યું છે.
ડૅશના મતે કાળાનાણાથી કમાયેલી રકમ જમીન મિલકતમાં રોકવામાં આવે છે. તેઓ ભારપૂર્વક કહે છે નોટબંધી નિષ્ફળ ગઈ.


ડૅશ કહે છે, "નોટબંધી સરકારનું કાળુંકારનામું હતું જેના પગલે દેશની અર્થવ્યવસ્થાને નુકસાન થયું છે."
"નોટબંધીના પગલે સ્થાનિક ઉત્પાદનમાં 2 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડો 3.5 લાખ કરોડ રૂપિયાનું નુકસાન છે."
ઇકૉનૉમિક્સ ટાઇમ્સના સંપાદક ટી. કે અરુણના મતે નોટબંધી આર્થિક અસફળતા અને રાજકીય સફળતા હતી.
તેમણે કહ્યું, "નોટબંધીનો ખરો ઉદ્દેશ પ્રજાને એવો સંદેશ આપવાનો હતો કે ભાજપ ખાલી વેપારીઓનો પક્ષ નથી."
"ભાજપ સામાન્ય પ્રજાનો પક્ષ છે અને સરકાર કાળાનાણાને સમાપ્ત કરવા માગે છે."
"પ્રજાએ આ સંદેશ સ્વીકાર્યો હતો એટલે જ લાંબી લાંબી લાઇનોમાં ઊભા રહીને લોકોએ સરકારને સહયોગ આપ્યો હતો."

રાજકીય માસ્ટર સ્ટ્રોક

ઇમેજ સ્રોત, Getty Images
ટી.કે.અરુણ માને છે કે અનેક નિષ્ણાતો નોટબંધીને મોદીની મૂર્ખામી ગણાવે છે પરંતુ તેમના મતે આ રાજકીય માસ્ટર સ્ટ્રોક હતો.
તેમણે કહ્યું, "મોદી નહીં સામાન્ય પ્રજા મૂર્ખ છે. સરકારે પ્રજાની મૂર્ખામીનો ફાયદો લીધો."
"સરકારને રાજકીય નફો થયો પરંતુ આર્થિક રીતે નુકસાની થઈ."
પ્રિયંરજન ડૅશે સહમતિ દર્શાવતા કહ્યું, "અર્થવ્યવસ્થા પરની સર્જિકલ સ્ટ્રાઇક ખૂબ જ મોટા રાજ્ય (ઉત્તર પ્રદેશ)ની ચૂંટણી પહેલાં થઈ હતી."


ઇમેજ સ્રોત, Getty Images
નોટબંધીનો આ મુખ્ય ઉદ્દેશ્ય હતો.
કૉંગ્રેસ પાર્ટીના જણાવ્યા મુજબ, નોટબંધી 'મોદી-નિર્મિત આફત' હતી.
કૉંગ્રેસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સરકારને કાળુંનાણું ન મળ્યું કારણ કે 99 ટકા નોટ રિઝર્વ બૅન્કમાં પરત પહોંચી ગઈ.
કૉંગ્રેસ પાર્ટીએ કહ્યું, "જે લોકો નોટ જમા કરાવવા માટે સક્ષમ નહોતા તેમની પાસેથી 4 લાખ કરોડનો લાભ મેળવવાની વડા પ્રધાનની અપેક્ષા હતી."
"પરંતુ નોટબંધીની નુકસાની એ થઈ કે નવી નોટ છાપવા માટે પ્રજાના ટૅક્સના પૈસામાંથી 21,000 કરોડ રૂપિયાનો વ્યય થયો."
પ્રિય રંજન ડૅશ કહે છે કે વિતેલા દિવસોમાં મોદી સરકારે આરબીઆઈ પાસે રૂપિયા 3.61 લાખ કરોડની માગણી કરી તે નોટબંધીની નિષ્ફળતાનું ઉદાહરણ છે.
તેમણે કહ્યુ, "નોટબંધી લાદીને સરાકર 3 અથવા 3.5 કરોડ રૂપિયાનું કાળું નાણું પકડવા માગતી હતી."
"આ આયોજન નિષ્ફળ રહેતા સરકાર બૅન્કોને મદદ કરવાના નામે આરબીઆઈ પાસે 3.5 લાખ કરોડની માગણી કરી રહી છે."

આરબીઆઈની સ્વાયત્તતા પર જોખમ

ઇમેજ સ્રોત, Getty Images
ટી.કે. અરુણ કહે છે નોટબંધીને આરબીઆઈની સ્વાયત્તતા સાથે કોઈ સંબંધ નથી.
તેમણે કહ્યું, "મુખ્ય આર્થિક સલાહકાર અરુણ સુબ્રમણ્યમે નોટબંધી પહેલાં જ પોતાના સંશોધનમાં લખ્યું હતું કે વિશ્વની અન્ય રિઝર્વ બૅન્કોની સરખામણીમાં આરબીઆઈ પાસે જરૂરિયાત કરતાં વધુ રકમ છે."
"આ રકમ સરકારને ટ્રાન્સફર થઈ શકે છે, જેના વડે સરકાર સારું કામ કરે."


આરબીઆઈએ સરકારને પૈસા આપવા જોઈએ કે નહીં તે અંગે જાણકારો સંપૂર્ણપણે સહમત નથી.
જોકે, જાણકારોના મતે આ યુદ્ધમાં વહેલીતકે આરબીઆઈ ઝૂકી જશે.
ડૅશના મતે અંતે આરબીઆઈએ નાણાં ધીરવા પડશે.
તેમના મતે આરબીઆઈ જેવી સંસ્થાની સ્વાયત્તતા જળવાવી જોઈએ.
જોકે, સરકારે નોટબંધી વખતે આરબીઆઈની સલાહ લીધી નહોતી જે સાબીત કરે છે કે સરકારે આરબીઆઈની સ્વાયત્તતાને ખોખલી કરી નાખી છે.
ટી.કે અરુણના મતે આરબીઆઈ નાણામંત્રાલયનું અંગ છે. તેમના મતે આરબીઆઈ પાસે સરકારને પૈસા આપવા સિવાય કોઈ વિકલ્પ નથી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
















