You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જ્યારે પ્રણવ દાએ સંઘ સામે તપાસની માગ કરી'તી
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રણવ મુખર્જીની રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (આરએસએસ)ના કાર્યક્રમમાં હાજરી દેશમાં ચર્ચાનો મોટો વિષય બની છે.
આરએસએસના મુખ્યમથક નાગપુર ખાતે સંઘના કાર્યકર્તાઓને પ્રણવ દાનું સંબોધન સૌ માટે એક આશ્ચર્યજનક બાબત બની રહી.
કોંગ્રેસ અને આરએસએસ વચ્ચે વૈચારિક વિરોધ ચાલતો રહ્યો છે ત્યારે પાર્ટીના પૂર્વ વરિષ્ઠ નેતા આરએસએસના કાર્યક્રમમાં જાય તે મામલે વિવાદ થવો સ્વાભાવિક હતો.
પ્રણવ દા તેમના પુત્રીના વિરોધ છતાં કાર્યક્રમમાં ગયા અને ત્યાં ભારતમાં સહિષ્ણુતા તથા 'સાંસ્કૃતિક વિવિધતામાં એકતા' પર ભાષણ આપ્યું.
તેમણે કહ્યું, "આપણી શક્તિ આપણી સહિષ્ણુતામાં છે. નફરત અને અસહિષ્ણુતાથી દેશ નબળો પડશે.
"ભારતીયો 122થી વધુ ભાષા, 1600થી વધુ બોલીઓ બોલે છે. અહીં સાત મુખ્ય ધર્મના અનુયાયીઓ છે અને તમામ એક જ વ્યવસ્થા, રાષ્ટ્રધ્વજ અને એક ભારતીય તરીકેની ઓળખ સાથે રહે છે.
"દેશનો આત્મા સહિષ્ણુતામાં છે. 'એક ધર્મ કે એક ભાષા'એ દેશની ઓળખ નથી. તેનો પ્રયાસ કરીશું તો દેશ નબળો પડશે."
એક તરફ પ્રણવ દાએ કાર્યક્રમમાં હાજરી આપી, પણ એક સમયે તેમણે આરએસએસ અંગે વિરોધી વિચાર વ્યક્ત કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મીડિયા અહેવાલો અનુસાર, એક સમયે પ્રણવ મુખર્જીએ ખુદ આરએસએસ અને આતંકવાદીઓ વચ્ચે કથિત સંબંધો મામલે સંઘ સામે તપાસની માગણી કરી હતી.
ઇન્ડિયા ટુડેના એક અહેવાલ અનુસાર, વર્ષ 2010માં 19મી ડિસેમ્બરના રોજ રાજધાની દિલ્હીમાં બુરાઈ ખાતે કોંગ્રેસના 83માં પ્લેનરી સત્રમાં પ્રણવ મુખર્જી એક ઠરાવ લાવ્યા હતા.
ત્યારે તેઓ કોંગ્રેસની સરકારમાં કેન્દ્રીય નાણા મંત્રી હતા. તેમણે ઠરાવમાં આરએસએસ તેના સંલગ્ન સંગઠનો અને આતંકવાદીઓ વચ્ચેના કથિત સંબંધોની તપાસની માગણી કરી હતી.
અહેવાલ અનુસાર, 2006 માલેગાંવ બ્લાસ્ટ અને 2007માં મક્કા મસ્જિદ બ્લાસ્ટ જેવી આતંકી ઘટનાઓને પગલે પ્રણવ મુખર્જી રાજકીય ઠરાવ રજૂ કર્યો હતો.
કેમ કે, આ બનાવોમાં કથિતરૂપે આરએસએસ સાથે સંકળાયેલી વ્યક્તિની સંડોવણી હોવાની શંકા હતી.
ઠરાવમાં કહેવામાં આવ્યું હતું કે, "દેશની રાષ્ટ્રીય સુરક્ષાને પડકારતા કટ્ટર ધાર્મિક વિચારધારા ધરાવતા સંગઠનની ભૂમિકાને અવગણી શકાય નહીં."
કોણ છે પ્રણવ દા?
ઇન્દિરા ગાંધીના સમયથી પ્રણવ મુખર્જી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તેઓ ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની કેબિનેટમાં ઘણું મહત્ત્વનું સ્થાન ધરાવતા હતા.
જોકે, ઇન્દિરા ગાંધીની હત્યા બાદ તેમણે રાજીવ ગાંધીના નેતૃત્વ દરમિયાન કોંગ્રેસથી છેડો ફાડી લીધો હતો, પણ બાદમાં 1989માં મુખર્જીએ તેમનો પક્ષ કોંગ્રેસમાં ભેળવી દીધો.
વર્ષ 2004માં કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં જીત બાદ ડૉ. મનમોહનસિંઘને વડાપ્રધાન બનાવ્યા હતા.
મનમોહનસિંઘ સરકારમાં મુખર્જીએ કોમર્સ, વિદેશ, રક્ષા અને નાણા મંત્રાલય સહિતના પોર્ટફોલિયો સંભાળ્યા, તેઓ લોકસભા-રાજ્યસભાના લીડર પણ રહ્યા છે.
વર્ષ 2012માં કોંગ્રેસ તેમને કોંગ્રસના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યા હતા અને તેઓ ભારતના રાષ્ટ્રપતિ બન્યા.
ઇન્દિરા ગાંધીને તેઓ મેન્ટર ગણતા હતા. આમ કોંગ્રેસ માટે પ્રણવ મુખર્જી ઘણા વિશ્વાસુ નેતા રહ્યા છે.
વડાપ્રધાન નહીં બનવાનો અસંતોષ?
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની કોંગ્રેસના સૌથી પરિપક્વ અને યોગ્ય નેતાઓમાં ગણતરી થાય છે. તેમનું વડાપ્રધાન બનવાનું સપનું અધૂરું રહી ગયું, પરંતુ તેઓ રાષ્ટ્રપતિ બન્યા.
પ્રણવ મુખર્જીના જીવનમાં એવી બે તકો આવી જ્યારે તેઓ વડાપ્રધાન બની શકતા હતા, પરંતુ બંને વખતે બાજી તેમના હાથમાંથી નીકળી ગઈ અને તેઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચી ગયા.
આથી નાગપુરમાં હાજરી આપવાના નિર્ણય મામલે એવી પણ ચર્ચા થઈ રહી હતી કે તેઓનો આ અસંતોષે તેમને આ નિર્ણય લેવા માટે પ્રેરિત કર્યા છે.
કેમ કે, રાષ્ટ્રપતિ ભવન છોડ્યા બાદ તેઓ 'સિટીઝન મુખર્જી'ના નામે ટ્વિટરનો ઉપયોગ કરે છે. કદાચ તેઓ એવું જણાવવા માગતા હશે કે તેઓ દેશના નાગરિક છે, કોંગ્રેસના પૂર્વ નેતા નહીં.
કોંગ્રેસના નેતા તરીકે તેમણે ઘણું પ્રાપ્ત કર્યું, સિવાય કે વડાપ્રધાન પદ.
પ્રણવ મુખર્જી, ઇન્દિરા ગાંધી સરકારમાં નાણાંમંત્રી હતા. વર્ષ 1984માં જ્યારે ઇન્દિરા ગાંધીની હત્યા થઈ તો મુખર્જીને વડા પ્રધાન પદના સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવતા હતા.
એટલું જ નહીં તેઓ પણ વડા પ્રધાન બનાવી ઇચ્છા ધરાવતા હતા.
પરંતુ કોંગ્રેસના અમુક નેતાઓએ તેમને હાંસિયામાં ધકેલી રાજીવ ગાંધીને વડા પ્રધાન બનાવી દીધા.
જ્યાર સુધી રાજીવ ગાંધી સત્તામાં રહ્યાં, ત્યાર સુધી પ્રણવદાને રાજનૈતિક વનવાસ ભોગવવો પડ્યો. રાજીવની હત્યા બાદ પી.વી નરસિંહ રાવને વડાપ્રધાન બનાવવામાં આવ્યા.
2004માં સોનિયા ગાંધીએ વિદેશી મૂળની ચર્ચાઓને કારણે પ્રધાનમંત્રી ના બનવાની જાહેરાત કરી.
ત્યારબાદ સોનિયા ગાંધીએ મનમોહન સિંહને પીએમ પદ માટે પસંદ કર્યા અને ફરી એકવાર પ્રણવ મુખર્જીના હાથમાંથી વડા પ્રધાનપદ નીકળી ગયું.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પણ કબૂલ્યું હતું કે વડાપ્રધાન ના બનાવવા પર મુખર્જી પાસે નારાજ થવાનું વ્યાજબી કારણ હતું.
પ્રણવ દાના નિર્ણયનો વિરોધ-નારાજગી
પ્રણવ મુખર્જીએ આરએસએસના કાર્યક્રમમાં જવાનો નિર્ણય કરતા કોંગ્રેસના નેતા અહેમદ પટેલે નારાજગી વ્યક્ત કરી.
જ્યારે બીજી તરફ કોંગ્રેસના એક અન્ય વરિષ્ઠ નેતા પી. ચિંદમ્બરમે પ્રણવ દાના આ નિર્ણય અંગે ટિપ્પણી આપતા કહ્યું હતું કે તેમણે આરએસએસને તેની વિચારધારામાં શું ખોટું છે તે સમજાવવું જોઈએ.
વધુમાં રાહુલ ગાંધી ઘણી વખત આરએસએસની ટીકા કરતા રહ્યા છે.
ઇન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર, રાહુલ ગાંધીએ વર્ષ 2014માં મહારાષ્ટ્રમાં એક જાહેર રેલીમાં આરએસએસને મહાત્મા ગાંધીના હત્યારા ગણાવ્યા હતા.
આથી તેમની સામે આરએસએસના એક કાર્યકર્તાએ માનહાનીનો કેસ પણ કર્યો હતો.
આરએસએસની વિચારધારા
આરએસએસના સ્થાપક ડૉ. કેશવ બલીરામ હેડગેવારની વિચારધારા હિંદુત્વની છે.
સંઘના સરસંચાલક મોહન ભાગવતે દેશ ભરમાં ગૌ હત્યા રોકવાના કાનૂન લાગુ કરવાની અને આરક્ષણ પર પુનઃવિચારણા કરવાની વાત કરી ચૂક્યા છે.
હિંદુ સંસ્કૃતિને સમગ્ર ભારત માટે આદર્શ જીવન સંહિતા બનાવવાની ઘણા પ્રસંગે સંઘે હિમાયત કરી છે.
વળી કહેવામાં આવે છે કે આઝાદીની લડાઈમાં આરએસએસની કોઈ મોટી ભૂમિકા નહોતી.
પુત્રીએ વ્યક્ત કરી હતી નારાજગી
પ્રણવ મુખર્જીના દીકરીએ પુત્રી દીકરી શર્મિષ્ઠા મુખર્જીએ પણ નારાજગી વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં લખ્યું, "નાગપુર જઈને તમે ભાજપ-આરએસએસને ખોટી વાતો અને અફવાઓ ફેલવવવા માટેની તક આપી રહ્યા છે. આ ફક્ત શરૂઆત છે."
તેમણે ટ્વિટર પર લખ્યું કે "...તમારું ભાષણ ભુલાઈ જશે પણ તમે આરએસએસના કાર્યક્રમમાં હાજરી આપી તેના દૃશ્યો હંમેશાં માટે જીવંત રહેશે, અને તેને ખોટા સંદેશાઓ સાથે પછી સરક્યુલેટ કરવામાં આવશે."
જે વાતનો ડર હતો તે જ થયું- શર્મિષ્ઠા મુખર્જી
પ્રણવ મુખર્જીના કાર્યક્રમ સામેલ થયાંને થોડા સમય બાદ જ તેમન દીકરી શર્મિષ્ઠા મુખર્જીએ એક તસવીર ટ્વીટ કરી છે.
આ તસવીર સાથે છેડછાડ કરવામાં આવી છે. તસવીરમાં પ્રણવ દા સંઘના અન્ય સ્વયંસેવકની જેમ અભિવાદન કરતાં નજરે પડે છે.
તેમજ તેઓએ સંઘની ઓળખ સમાન કાળી ટોપી પણ ધારણ કરેલી છે. પરંતુ તેની સાથે એક અન્ય તસવીર પણ પોસ્ટ કરવામાં આવી છે. જે અસલી છે.
પ્રણવ મુખર્જીના પુત્રી તેમજ કોંગ્રેસના નેતા શર્મિષ્ઠા મુખર્જીએ કહ્યું કે જે વાતનો ડર હતો અને જે અંગે તેમણે પોતાના પિતાને સાવધાન રહેવાનું કહ્યું હતું એવું જ થયું.
શર્મિષ્ઠાએ આરોપ લગાવ્યો કે, "જે વાતનો ડર હતો તેવું જ થયું. ભાજપ-આસએસએસ દ્વારા ગદું કામ શરૂ થઈ ગયું."
અત્રે નોંધવું રહ્યું કે સોશિયલ મીડિયા પર છેડછાડ કરેલી તસ્વીરોમાં એવું નજર આવે છે કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સંઘ નેતાઓ અને કાર્યકર્તાઓની જેમ અભિવાદન કરી રહ્યાં છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો