અલ્હાબાદ હાઇકોર્ટમાં જસ્ટિસ યશવંત વર્માની વાપસી, જજ તરીકે લીધા શપથ - ન્યૂઝ અપડેટ

જસ્ટિસ યશવંત વર્માએ શનિવારના અલ્હાબાદ હાઇકોર્ટના જજ તરીકે શપથ લીધા હતા. જસ્ટિસ વર્માને દિલ્હી હાઇકોર્ટથી અલ્હાબાદ હાઇકોર્ટ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

જોકે, તેમને ત્યાં કોઈ ન્યાયિક કાર્ય નથી સોંપવામાં આવ્યું.

ઉલ્લેખનીય છે કે જસ્ટિસ વર્મા સામે તેમના આધિકારિક પરિસરમાંથી રોકડા રૂપિયા મળવાના આરોપમાં એક તપાસ ચાલી રહી છે. ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા તરફથી રચવામાં આવેલી ત્રણ જજોની એક કમિટી આ મામલાની તપાસ કરી રહી છે.

સુપ્રીમ કોર્ટે જસ્ટિસ યશવંત વર્માના ટ્રાન્સફરના મામલામાં 28 માર્ચના અલ્હાબાદ હાઇકોર્ટના ચીફ જસ્ટિસને એક નિર્દેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટ તરફથી અલ્હાબાદ હાઇકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું હતું કે જસ્ટિસ યશવંત વર્માના અલ્હાબાદ હાઇકોર્ટના જજ તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ તેમને કોઈ ન્યાયિક કાર્ય ન સોંપવામાં આવે.

કૅનેડામાં એક ભારતીયની ચાકુ મારીને હત્યા

કૅનેડાના રૉકલૅન્ડમાં ભારતીય સમુદાયના એક શખસના મૃત્યુ પર ઓટાવામાં આવેલા ભારતીય દૂતાવાસે દુ:ખ વ્યક્ત કર્યું છે.

દૂતાવાસે સોશિયલ મીડિયા ઍક્સ પર લખ્યું, "ઓટાવાની નજીક રૉકલૅન્ડમાં ચાકુ મારવાથી એક ભારતીયનું મોત થયું છે તેનાથી અમે દુ:ખી છીએ. પોલીસે જણાવ્યું છે કે આ મામલે એક સંદિગ્ધને પકડવામાં આવ્યો છે. અમે ભારતીયોના સમૂહ સાથે સંપર્કમાં છીએ જેથી પીડિત પરિવારને તમામ સંભવ મદદ પહોંચાડી શકાય."

હાલ, આ મામલે વધુ જાણકારી મેળવાઈ રહી છે કે જે શખસની હત્યા કરવામાં આવી તેની પાછળનું કારણ શું હતું?

ભારતીય નિશાનેબાજ સિફતકોર સમરાએ વર્લ્ડકપમાં જીત્યો ગોલ્ડ મેડલ

ભારતીય નિશાનેબાજ સિફતકોર સમરાએ આઈએસએસએફ વર્લ્ડકપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

ઇન્ટરનૅશનલ શૂટિંગ સ્પૉર્ટ્સ ફેડરેશનની આ સ્પર્ધા આર્જેન્ટિનામાં ચાલી રહી છે.

સિફતે વર્ષ 2023માં 50 મીટર થ્રી પોઝિશન રાઇફલ સ્પર્ધામાં બ્રિટનનાં સિયોનેડનો વિશ્વ રેકૉર્ડ તોડીને 469.6 અંગનો નવો રેકૉર્ડ બનાવ્યો હતો.

પંજાબના ફરીદકોટથી આવતાં સિફતકોરના પિતા એક ખેડૂત છે. તેઓ એમબીબીએસનો અભ્યાસ કરી રહ્યાં હતાં પરંતુ મીડિયામાં છપાયેલી ખબર અનુસાર પઢાઈ સાથે શૂટિંગનો અભ્યાસ કરવામાં તેમને તકલીફ પડતી હતી તેથી તેમણે મેડિકલનો અભ્યાસ વચ્ચેથી જ છોડવાનો નિર્ણય કર્યો.

ટિક-ટૉકને અમેરિકામાં મળી 75 દિવસની મુદત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીની સોશિયલ મીડિયા ઍપ ટિક-ટૉકને વેચવાની સમય અવધી ફરી વધારી દીધી છે. હવે આ વીડિયો શૅરિંગ ઍપને વેચાયા વગર અમેરિકામાં રહેવા માટે વધુ 75 દિવસની મુદત મળી છે.

અમેરિકામાં સેવા બનાવી રાખવા આ ઍપને વેચવી જરૂરી છે કે પછી તેને અમેરિકામાં પ્રતિબંધિત કરી દેવામાં આવશે.

ટ્રમ્પે કહ્યું કે તેઓ આ ઍપને બંધ નહોતા કરવા માગતા. તેઓએ આ પહેલાં કહ્યું હતું કે જો ટિક-ટૉકના વેચવા પર સમજૂતી થાય છે તો તેઓ ચીની આયાત પર લાગી રહેલા ટેરિફમાં કેટલીક છૂટ આપી શકે છે.

અમેરિકનોમાં આ ઍપના પર પ્રતિબંધ સામે વિરોધ છે. સમાચાર એજન્સી રૉયટર્સની ખબર પ્રમાણે ટ્રમ્પના ટેરિફના ઍલાન બાત ચીને સંકેત આપ્યો છે કે તે અમેરિકામાં ટિક-ટૉકને વેચવાની મંજૂરી નહીં આપે.

અમેરિકાની સેનેટમાં વિપક્ષી ડેમૉક્રેટિક પાર્ટીના નેતા ચુક સ્કમરે કહ્યું છે કે રાષ્ટ્રપતિ માત્ર ટેરિફના મુદ્દે ધ્યાન ભટકાવવાની કોશિશ કરે છે.

આલોચક ટિક-ટૉક પર ડેટા જમા કરવાનો આરોપ લગાવે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પહેલા કાર્યકાળમાં એક ઍક્ઝિક્યૂટિવ ઑર્ડરમાં આરોપ લગાવ્યો હતો, "સંભવત: ચીન સરકારી કર્મચારીઓ અને કૉન્ટ્રાક્ટરોના લૉકેશન ટ્રેક કરવા અને તેમની માહિતી મેળવવા આ ડેટા કલેક્શનનો ઉપયોગ કરી શકે છે."

પીએમ મોદી ત્રણ દિવસના શ્રીલંકાના પ્રવાસે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી થાઇલૅન્ડ બાદ શુક્રવારે સાંજે શ્રીલંકાની રાજધાની કોલંબો પહોંચી ગયા છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા ઍક્સ પર એક પોસ્ટમાં કોલંબો પહોંચ્યાની તસવીરો શૅર કરી છે.

કોલંબો પહોંચવા પર ત્યાં ભારતીય સમુદાયના લોકોએ તેમનું સ્વાગત કર્યું.

વડા પ્રધાન મોદી પોતાના ત્રણ દિવસના પ્રવાસમાં ભારત અને શ્રીલંકા વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે વાતચીત કરશે.

આ પ્રવાસમાં બંને દેશો વચ્ચે ઘણા મુદ્દે મહત્ત્વની સમજૂતીઓ થઈ શકે છે.

આ પહેલાં પીએમ મોદી થાઇલૅન્ડની બિમસ્ટેકની બેઠકમાં સામેલ થયા અને તેમની મુલાકાત બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનૂસ સાથે થઈ.

યુક્રેને કહ્યું- ઝેલેન્સ્કીના વતનમાં રશિયાના મિસાઇલ હુમલામાં બાળકો સહીત 18 લોકોનાં મૃત્યુ

યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું છે કે સેન્ટ્રલ યુક્રેનના શહેર ક્રીયવી રિહમાં થયેલા રશિયાની મિસાઇલના એક હુમલામાં ઓછામાં ઓછા 18 લોકોનાં મૃત્યુ થયાં છે.

જે શહેર પર આ હુમલો થયો છે તે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીનું શહેર છે.

ઝેલેન્સ્કીનું જણાવવું છે કે આ હુમલામાં માર્યા ગયેલા લોકોમાં બાળકો પણ સામેલ છે.

કેટલાક કલાકો પહેલા ઝેલેન્સ્કીએ ઍક્સ પર લખ્યું, "આ હુમલામાં 19 લોકોનાં મૃત્યુ થયાં જે પૈકી 6 બાળકો પણ હતાં."

જોકે, આ મૃતકાંક વધીને હવે 18 થયો છે.

રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો કે યુક્રેની સેનાના કમાન્ડરો અને પશ્ચિમી દેશોના ઇન્સ્ટ્રક્ટર્સ એક રેસ્ટોરાંમાં બેઠક કરી રહ્યા હતા તેમને નિશાન બનાવીને એક હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 85 લોકોનાં મૃત્યુ થયાં છે.

જોકે, રશિયાએ આ દાવાનું કોઈ પ્રમાણ આપ્યું નહોતું. ત્યાં યુક્રેનની સેનાનું કહેવું છે કે રશિયા તેના યુદ્ધ અપરાધ છુપાવવા માટે ખોટી ખબરો ફેલાવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.