ઇઝરાયલે કાયદા તોડીને અમેરિકાનાં હથિયારોનો ઉપયોગ કર્યો, રિપોર્ટમાં શું છે

    • લેેખક, ટૉમ બૅટમૅન
    • પદ, બીબીસી ન્યૂઝ

અમેરિકાએ શંકા જાહેર કરી છે કે ઇઝરાયલે ગાઝાના યુદ્ધ દરમિયાન કેટલીક વખત આંતરરાષ્ટ્રીય માનવીય કાયદાઓનું ઉલ્લંઘન કરીને અમેરિકાનાં હથિયારોનો ઉપયોગ કર્યો હશે.

અમેરિકાના વિદેશ મંત્રાલયે કહ્યું કે બની શકે કે ઇઝરાયલ જે ફરજો સાથે બંધાયેલું છે તેનો ઉલ્લંઘન કર્યો હશે. જોકે, આ વાતનું આકલન કરવું શક્ય છે કે અમેરિકા તરફથી સપ્લાઈ કરવામાં આવેલાં હથિયારોનો ઉપયોગ ક્યાં અને કેવી પરિસ્થિતિમાં કરવામાં આવ્યો છે.

જોકે, અમેરિકાએ કહ્યું છે કે અમે કરેલું આકલન અપૂરતી માહિતી પર આધારિત છે.

ઇઝરાયલ તરફથી અમેરિકાનાં હથિયારનો ઉપયોગ વિશે શુક્રવારે એક રિપોર્ટ અમેરિકાની સંસદમાં રજૂ કરવામાં આવી હતી. રિપોર્ટ રજૂ કરવામાં થોડો વધારે સમય લાગ્યો છે.

અમેરિકાની સંસદે પોતાના આદેશમાં ઇઝરાયલ અને ગાઝા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં ઇઝરાયલ સાથે જોડાયેલા અન્ય છ દેશો તરફથી અમેરિકન હથિયારોના ઉપયોગની સમીક્ષા કરવા માટે કહ્યું હતું.

આ રિપોર્ટમાં સ્પષ્ટપણે ઇઝરાયલના કેટલાંક ઑપરેશનની ખૂબ જ ટીકા કરવામાં આવી હતી. જોકે, રિપોર્ટમાં કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો કે ઇઝરાયલની સેનાએ આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન કર્યું છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઇઝરાયલને ગાઝામાં હમાસની વિરુદ્ધ અસાધારણ સૈન્ય પડકારોનો સામનો કરવો પડે છે.

આ ઉપરાંત આ રિપોર્ટ જણાવે છે કે ઇઝરાયલે અમેરિકાનાં હથિયારોના કાયદાકીય ઉપયોગ વિશે જે ગૅરન્ટી આપી હતી તેનું પાલન કર્યું છે.

આ વિશે ઇઝરાયલે આપેલી ગૅરન્ટીઓ ભરોસા લાયક છે, આ કારણે ઇઝરાયલને હથિયારની સપ્લાઈ ચાલુ રાખવી જોઈએ.

અમેરિકાએ કહ્યું કે ઇઝરાયલના નિર્ણય પર નજર રહેશે

અમેરિકાની સંસદમાં રજૂ કરવામાં આવેલા આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હમાસ લડાઈના ઉદ્દેશ્ય માટે સરકારી ઇન્ફ્રાસ્ટ્રકચર અને માનવીય ઢાલનો ઉપયોગ કરે છે. આ જ કારણે વૉર ઝોનમાં જમીની તથ્યો વિશે જાણકારી મેળવવી મુશ્કેલ છે. આ ઉપરાંત વૉર ઝોનમાં કોણ એવા ટાર્ગેટ છે જેના પર સટીક હુમલો કરી શકાય તે કહેવું પણ મુશ્કેલ છે.

જોકે, રિપોર્ટમાં એ વાતનો જરૂર ઉલ્લેખ છે કે ઇઝરાયલ અમેરિકામાં બનેલાં હથિયારો પર નિર્ભર છે. આ વાતને ધ્યાનમાં રાખી તો આંતરરાષ્ટ્રીય માનવીય કાયદાઓનું ઉલ્લંઘન કરતી વખતે અમેરિકાનાં હથિયારોનો ઉપયોગ થયો હોય તેવું બની શકે. આ હથિયારોનો ઉપયોગ લોકોને ઓછામાં ઓછું નુકસાન પહોંચે તે વાતનું ધ્યાન રાખીને કરવામાં આવ્યો હશે.

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઇઝરાયલની સેના પાસે સૈન્ય અભિયાન દરમિયાન નાગરીકોને ઓછાંમાં ઓછું નુકસાન પહોંચે તેનો અનુભવ, પ્લાન અને ઉપકરણ છે. જોકે, મોટી સંખ્યામાં થયેલી નાગરિકોને હત્યાને કારણે સવાલ ઊઠે છે કે ઇઝરાયલની સેનાએ આ હથિયારોનો અસરકારક રીતે ઉપયોગ કર્યો છે કે નહીં.

રિપોર્ટમાં જણાવેલી માહિતી અનુસાર સંયુક્ત રાષ્ટ્ર અને માનવીય સંગઠનોએ કહ્યું છે કે ઇઝરાયલે નાગરિકોને ઓછામાં ઓછું નુકસાન પહોંચે તે માટે લીધેલાં પગલાં અસંગત, બિનઅસરકારક અને અપૂરતાં હતાં.

અમેરિકાના વિદેશ મંત્રાલયને જાણકારી મળી કે સંઘર્ષના શરૂઆતના દિવસોમાં ઇઝરાયલની સરકારે ગાઝામાં અમેરિકા દ્વારા કરવામાં આવેલી માનવીય સહાયતા પહોંચાડવા માટે મદદ કરી ન હતી. જોકે, તે પરિસ્થિતિમાં હવે ફેરફાર થયો છે.

રિપોર્ટમાં આપેલી માહિતી પ્રમાણે, "અમે હાલમાં આ વાતનું આકલન કરી નથી શક્યા કે ઇઝરાયલની સરકાર ગાઝામાં અમેરિકા દ્વારા પહોંચાડવામાં આવેલી માનવીય મદદની ડિલેવરી કે ટ્રાન્સપોર્ટેશન પર રોક લગાવે છે."

તુર્કીમાં અમેરિકા પૂર્વ રાજદ્વારી ડેવિડ સેટરફિલ્ડ આ રિપોર્ટના લેખકોમાં સામેલ છે. તેમણે બીબીસીને જણાવ્યું કે આ પ્રકારનો આ પહેલો રિપોર્ટ છે. અમેરિકા ઇઝરાયલના નિર્ણયોની સમીક્ષા ભવિષ્યમાં પણ કરશે.

તેમણે કહ્યું કે આ પ્રકારનો સંઘર્ષ દુનિયાએ આજ સુધી જોયો નથી. અમે એક સ્પષ્ટ અને ભરોસાપાત્ર નિર્ણય આપવા માટે બધી જ વાતો પર ધ્યાન આપ્યું છે.

બાઇડનની ચેતવણીની ઇઝરાયલ પર કેટલી અસર થઈ છે?

આ રિપોર્ટ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને આપેલી સાર્વજનિક ચેતવણી પછી જાહેર કરવામાં આવ્યો છે. બાઇડને ઇઝરાયલને ચેતવણી આપી હતી કે જો તે રફાહ પર હુમલાઓ કરશે તો અમેરિકા તોપ અને તોપગોળાની સપ્લાઈ પર રોક લગાડશે. લાખો વિસ્થાપિત પેલેસ્ટિનિયન રફાહમાં શરણ લઈને રહે છે.

આ રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો તે પછી ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામીન નેતન્યાહૂએ ચેતવણી આપી હતી કે રફાહમાં ઑપરેશન "રેડ લાઇન"ને પાર કરશે. તેમણે કહ્યું કે જરૂર પડશે તો ઇઝરાયલ પોતાના દમ પર એકલો લડશે.

સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે સોમવારથી અત્યાર સુધી રફાહથી લગભગ 80 હજાર લોકો ભાગી ગયા છે.

ઇઝરાયલની ટૅન્કો સતત ચાલી રહેલા બૉમ્બમારા વચ્ચે એવા સ્થળ પર એકઠા થઈ રરહી છે, જ્યાંથી આગળની કાર્યવાહી કરી શકાય.

ઇઝરાયલની સેનાએ જમીન પર કબજો સ્થાપિત કરીને ઇજિપ્તની સરહદે આવેલી રફાહ ક્રૉસિંગને બંધ કરી દીધી છે. જોકે, સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે તેમની ગાડીઓ અને કર્મચારીઓને ઇઝરાયલ પાર જવા માટે કેરેમ શલોમ પહોંચવાનો રસ્તો એકદમ જોખમી બની ગયો છે.

હમાસે ગયા વર્ષે સાત ઑક્ટોબરે દક્ષિણ ઇઝરાયલમાં હુમલો કર્યો હતો. આ હુમલામાં 1,200 લોકો માર્યા ગયા અને 252 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા.

ત્યારબાદ ઇઝરાયલે ગાઝા પર વળતો હુમલો શરૂ કરી દીધો હતો. હમાસ તરફથી ચાલતા સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે આ હુમલાઓમાં અત્યાર સુધી 34,900 લોકોનાં મોત થયાં છે.