આઈટી રિટર્ન ભરતી વખતે એવી પાંચ ભૂલો કઈ છે જે તમારે ન કરવી જોઈએ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સિરાજ
- પદ, બીબીસી સંવાદદાતા
લોકો સામાન્ય રીતે જુલાઈ મહિનામાં આવકવેરાનું રિટર્ન ભરવા માટે દોડધામ કરતા હોય છે, કારણ કે રિટર્ન ભરવા માટે 31 જુલાઈની મુદ્દત હોય છે.
આવકવેરા વિભાગે મે મહિનામાં નૉટિફિકેશન બહાર પાડીને નાણાંકીય વર્ષ 2024- '25નું રિટર્ન ભરવાની મુદ્દત 15મી સપ્ટેમ્બર સુધી લંબાવી હતી.
આઈટી રિર્ટનના ફૉર્મમાં થયેલા ફેરફાર તથા તેને અપલોડ કરવા માટે લાગતા સમયને કારણે આ છૂટ આપવામાં આવી હતી.
ચેન્નાઈસ્થિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રેણુકા મુરલીએ બીબીસી સાથેની વાતચીત દરમિયાન આવકવેરાનું રિટર્ન ભરતી વખતે થતી સામાન્ય ભૂલો અને કઈ-કઈ બાબતો ધ્યાને લેવી જોઈએ, તેના વિશે વાત કરી હતી.
આ બાબતોને દરેક કરદાતાએ ધ્યાને લેવી જોઈએ, જેથી કરીને બિનજરૂરી હાલાકી અને ગૂંચવણોથી બચી શકાય.

રેણુકા મુરલી કહે છે, "નાણાંકીય વર્ષ દરમિયાન વ્યક્તિ કે કંપની જે કોઈ આવક રળે છે, તેની ઉપર કેન્દ્ર સરકાર દ્વારા આવકવેરો લાદવામાં આવે છે, જે સીધો કર છે. કેવા પ્રકારની આવકો ઉપર કર લાગે, તેના વિશે ઇન્ડિયન ઇન્કમટૅક્સ ઍક્ટ, 1961માં માર્ગદર્શિકા આપવામાં આવી છે."
- પગારની આવક: નોકરીના ભાગરૂપે મળતો પગાર, ભથ્થાં તથા અન્ય લાભો
- ભાડાની આવક : મકાન કે પોતાની અન્ય કોઈ સંપત્તિમાંથી થતી ભાડાંની આવક
- ચોખ્ખો નફો કે આવક: કોઈપણ વેપારી, વ્યવસાયિક કે સ્વરોજગાર મેળવનારી વ્યક્તિને થતો ચોખ્ખો નફો
- ચલ કે અચલ સંપત્તિનાં વેચાણમાંથી થતો કૅપિટલ ગેઇન્સ, જેને ટૂંકાગાળાના લાભ કે લાંબાગાળાના લાભમાં વિભાજીત કરવામાં આવે છે.
- વ્યાજ, ડિવિડન્ડ કે ઉપરોક્ત શ્રેણીમાં ન આવતી હોય તેવી અન્ય આવકો
કેન્દ્ર સરકાર દ્વારા નાણાકીયવર્ષ દરમિયાન ટૅક્સના સ્લેબ જાહેર કરવામાં આવે છે, જેના આધારે કરદાતાઓએ ટૅક્સ ભરવાનો હોય છે. કરોના દર સહિતની વિસ્તૃત માહિતી આવકવેરા વિભાગની વેબસાઇટ ઉપર આપેલી હોય છે.
આવકવેરો ભરવા માટે સાત પ્રકારનાં ફૉર્મ છે, જે આઈટી વિભાગની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે. એમાંથી તમને લાગુ પડતું ફૉર્મ ડાઉનલોડ કરી, તેને ભરીને ફરીથી અપલોડ કરવાનું હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રેણુકા મુરલી કહે છે, "ઇન્કમટૅક્સ ભરવો ખૂબ જ જરૂરી છે. તે દેશના વિકાસ ઉપરાંત વ્યક્તિ માટે પણ મહત્ત્વપૂર્ણ છે. જેમ કે, વિદેશમાં વિઝા માટેની અરજી કરતી વેળાએ તમે આવકવેરો ભરો છો કે નહીં, તે બાબતને પણ ધ્યાને લેવામાં આવે છે."

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રેણુકા મુરલી કહે છે, "સામાન્ય લોકોથી અજાણતાં જ એક ભૂલ વારંવાર થઈ જાય છે, જેમ કે, ઘણા લોકોને લાગે છે કે મ્યુચ્યુઅલ ફંડના રોકાણ કરમુક્ત છે. જેમકે, રૂ. 10 હજારની મ્યુચ્યુઅલ ફંડની સ્કિમ વર્ષે 10 ટકાનો નફો રળી આપતી હોય, તો રૂ. એક હજારની આવક પણ કરમુક્ત છે."
તેઓ ઉમેરે છે, "જો તમે રોકડમાં વિડ્રો ન કરો તથા અન્ય કોઈ સ્કીમમાં ઇન્વેસ્ટ કરો, તો પણ ટૅક્સ લાગે. એવી જ રીતે બૅન્કની ડિપોઝિટો ઉપર ટીડીએસ કાપવામાં આવે છે, પરંતુ તેનો ઉલ્લેખ નહીં હોય. આ સંજોગોમાં આઈટી વિભાગની 'નોટિસ' આવવાની શક્યતા રહે, એટલે તમામ પ્રકારની આવકનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો રહે."
જો, તમારા આઈટી રિટર્નમાં કોઈપણ પ્રકારની ત્રુટિ જણાય તો આઈટી ઍક્ટની કલમ 139(9) હેઠળ આવકવેરા વિભાગ તમે આપેલાં ઈમેઇલ ઍડ્રેસ ઉપર નોટિસ મોકલશે.
તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે અન્ય કોઈ વ્યક્તિને તમારા વતી જવાબ આપવા માટે અધિકૃત કરી શકો છો. અન્યથા તમે પણ જવાબ આપી શકો છો. તમે ઑનલાઇન ફૉર્મમાં સુધાર કરીને 'નોટિસ'નો જવાબ આપી શકો છો. સામાન્ય રીતે 15 દિવસમાં જવાબ આપવાનો હોય છે, જોકે, વધુ સમય માટે વિનંતી કરી શકાય, જેને સામાન્યતઃ માન્ય રાખવામાં આવતી હોય છે.
આઈટી ઍક્ટ મુજબ, જો તમે નિર્ધારિત સમયમાં 'નોટિસ'નો જવાબ ન આપી શકો, તો તમારું આઈટી રિટર્ન ગેરમાન્ય ઠરી શકે છે અને દંડ સહિત અલગ-અલગ પ્રકારની કાર્યવાહી થઈ શકે છે.
રેણુકા કહે છે કે, "તમારો આધારનંબર તથા પાનકાર્ડની વિગતો આપનાં તમામ બૅન્ક એકાઉન્ટ્સ સાથે જોડાયેલી હોય છે. એટલે જ્યારે તમે રિટર્ન ફાઇલ કરો છો, ત્યારે તમારી અસ્ક્યમાતો અને વાર્ષિક આવક વૅરિફાય થાય છે. જો તેમાં કોઈપણ પ્રકારની વિસંગતતા હોય તો વિભાગ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી શકે છે, જેની શરૂઆત નોટિસથી થાય છે."


ઇમેજ સ્રોત, Getty Images
વ્યક્તિની કરપાત્ર આવકની ઉપર અનેક પ્રકારની છૂટછાટોની જોગવાઈ આઈટી ઍક્ટમાં કરવામાં આવી છે. આ છૂટ કે કરમુક્તિને કારણે વ્યક્તિનો ચૂકવવાપાત્ર ઇન્કમટૅક્સ ઘટી જતો હોય છે, પરંતુ તેની સાથે કેટલીક શરતો હોય છે.
શિક્ષણ, આરોગ્ય અને મકાનક્ષેત્રમાં ખર્ચ, બચત તથા રોકાણને પ્રોત્સાહન આપવા માટે કરવ્યવસ્થામાં આ પ્રકારની છૂટ આપવામાં આવે છે.
જેમ કે સૅક્શન 80C, 80D, 80E. જેમ કે, 80C હેઠળ ઇક્વિટી-લિંક્ડ સેવિંગ સ્કીમ (ઈએલએસએસ), પ્રોવિડન્ડ ફંડ તથા લાઇફ ઇન્શ્યૉરન્સના પ્રીમિયમ ઉપર રૂ. દોઢ લાખ સુધીના રોકાણની ઉપર છૂટ મળી શકે છે. આ સિવાય બાળકોની ટ્યૂશન ફી તથા હોમલોનમાં મુદ્દલની ચૂકવણી પણ બાદ મળે છે.
રેણુકા મુરલી કહે છે, " 80C હેઠળ મહત્તમ રૂ. દોઢ લાખની છૂટ મળે છે, ત્યારે સંપૂર્ણ રકમ ઉપર છૂટ મેળવી શકાય છે, એમ વિચારવું ખોટું છે. જેમ કે, જો તમે એલઆઈસીના પ્રિમિયમ પેટે રૂ. 50 હજારનું ચૂકવણું કર્યું છે તથા પ્રોવિડન્ડ ફંડ માટે રૂ. 30 હજાર કપાયા છે, તો તમે 80C હેઠળ માત્ર રૂ. 80 હજારની કરરાહત માગી શકો છો."
ચાલુ નાણાકીય વર્ષથી ઇન્કમટૅક્સ રિટર્નના ફૉર્મ-1 માં કેટલાક સુધારા કરવામાં આવ્યા છે.
રેણુકા કહે છે, "જો તમે 80C હેઠળ રૂ. દોઢ લાખની છૂટ મેળવવા માગતા હો, તો તમારે પૂરેપૂરી વિગતો આપવી પડશે. તમે જે કોઈ નેજા હેઠળ જેટલી રકમની છૂટ માગી હોય, તેના પુરાવા આપવા પડશે."
"જો પુરાવા અને માગેલી છૂટની રકમની વચ્ચે તફાવત હશે તો આવકવેરા વિભાગ તમને નોટિસ મોકલશે."

રેણુકા મુરલી કહે છે, "ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આઈટી રિટર્ન ભરે કે ઇન્કમટૅક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ ઉપરથી તમે જાતે ભરી રહ્યા હો, તમે જે ઈમેલ ઍડ્રેસ અને ફોન નંબર નિયમિત રીતે વાપરતા હો, તેનો જ ઉપયોગ કરવો અને તે બરાબર રીતે જણાવેલ છે, તેની ખાતરી કરો."
તેઓ કહે છે, "તમને જેટલું 'રિટર્ન' મળવાપાત્ર હશે કે તમારે વધારાનો ટૅક્સ ચૂકવવાનો હોય અને આઈટી વિભાગ કોઈ ત્રુટિ માટેની નોટિસ આઈટી વિભાગ ઈમેલ પર જ મોકલશે, જેથી અન્યત્ર ધ્યાન આપવાની જરૂર નહીં રહે."

ફૉર્મ 26ASના સ્ટેટમેન્ટમાં કરદાતાની આવકના અલગ-અલગ સ્રોતો પર કપાયેલા ટીડીએસ કે ટીસીએસની વિગતો હોય છે.
જેમાં તમારા પાનકાર્ડ સાથે જોડાયેલી મ્યુચ્યુઅલફંડ રોકાણ, વિદેશી ચલણના વ્યવહારો, ડિવિડન્ડ, રિફન્ડ તથા ટર્નઓવરના આધારે જીએસટી વગેરેની સંકલિત વિગતો હોય છે.
રેણુકા મુરલી કહે છે, "ઘણાં ઇન્કમટૅક્સ રિટર્ન ફાઇલ કરતી વેળાએ ઍન્યુઅલ ઇન્ફર્મેશન સ્ટેટમેન્ટ (એએસઆઈ) તથા ફૉર્મ 26AS ને ધ્યાને લેતા નથી. આ સ્ટેમેન્ટમાં તમારા અલગ-અલગ આર્થિકવ્યવહારો તથા કરચૂકવણી અંગે સંપૂર્ણ વિગતો આપેલી હોય છે. રિટર્ન ભરતી વખતે તેમને ધ્યાને લેવા જોઈએ."
વ્યક્તિએ પોતાની આવકના આધારે આઈટીઆર પસંદ કરવું જોઈએ, જો અયોગ્ય આઈટીઆર પસંદ કરવામાં આવે તો તે ગેરમાન્ય ઠરી શકે છે અને દંડ પણ થઈ શકે છે.
રેણુકા મુરલી કહે છે, "ઘણી વખત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની મદદથી આઈટી રિટર્ન ફાઇલ કરવું હિતાવહ બની રહેતું હોય છે. કરચોરી અને કરવ્યવસ્થાપનની વચ્ચે ભેદ છે. કરચોરીમાં સરકાર સમક્ષ સંપૂર્ણ આવકને છૂપાવવામાં આવે છે, જ્યારે કરમુક્તિનો યોગ્ય લાભ લેવોએ ટૅક્સ મૅનેજમેન્ટ છે. લોકોએ આ બંને બાબતોને ધ્યાને રાખીને રિટર્ન ફાઇલ કરવું જોઈએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












