પીએમ મોદી અને સ્પેનના વડા પ્રધાને ગુજરાતમાં વિમાનની ફૅકટરીનું ઉદ્ઘાટન કર્યુ, જાણો શું છે C-295ની ખાસિયત?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેજ સાથે વડોદરાના રોડ શોમાં

ઇમેજ સ્રોત, Gujarat Information Department

ઇમેજ કૅપ્શન, વડોદરાના રોડ શોમાંવડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેજ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝ વડોદરામાં છે. અહીં તેમણે તાતા ઍરક્રાફટ કૉમ્પ્લેક્સનું ઉદ્ધાટન કરશે. તાતા-ઍરબસ પ્લાન્ટના ઉદ્ધાટન બાદ બંને નેતાઓ લક્ષ્મી વિલાસ પૅલેસમાં બેઠક કરશે.

બંને વડા પ્રધાનો ખુલ્લી જીપમાં ઍરપૉર્ટથી અંદાજિત ત્રણ કિલોમીટર દૂર તાતા ઍરક્રાફ્ટ કૉમ્પ્લેક્સ સુધી રોડ શો કર્યો.

વડોદરામાં જે પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું તે તાતા ઍડવાન્સ સિસ્ટમે યુરોપની ઍરોસ્પેસ અને ડિફેન્સ તથા કૉમર્શિયલ વિમાનો, હૅલિકૉપ્ટર વગેરેનું નિર્માણ કરતી ત્રણ દેશોએ ભાગીદારીમાં વિકસાવેલી કંપની ઍરબસ સાથેના સંયુક્ત સાહસના ભાગરૂપે તૈયાર કર્યો છે.

આ પ્લાન્ટમાં તાતા અને ઍરબસ ભારતીય વાયુદળ માટે C-295 MW કાર્ગો વિમાનનું ઉત્પાદન કરશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ પ્રોજેક્ટ 'મૅક ઇન ઇન્ડિયા, મૅક ફૉર વર્લ્ડ'ને ચરિતાર્થ કરશે. તો સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝે કહ્યું હતું કે આ પ્રોજેક્ટને કારણે ભારત અને સ્પેનના સંબંધમાં નવો ઇતિહાસ લખાશે. ભારતની સંરક્ષણ અને સ્પેસ ક્ષમતાઓમાં વૃદ્ધિ થશે.

આ એક ખાનગી ઍરક્રાફ્ટ મૅન્યુફેક્ચરિંગ કંપની દ્વારા ભારતીય વાયુસેના માટે ભારતમાં વિમાન મૅન્યુફેક્ચરિંગનો પ્રથમ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ પાછળ કુલ 21 હજાર 935 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

30 ઑક્ટોબરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના વડોદરામાં શિલાન્યાસ વખતે કહ્યું હતું કે, "મેક ઇન ઇન્ડિયા, મેક ફૉર ગ્લોબ સાથે ભારત પોતાની તાકાત વધારી રહ્યું છે."

બન્ને વડા પ્રધાન શું બોલ્યા?

પ્રાસંગિક ઉદ્ઘબોધન કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, YT/NarendraModi

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પ્રાસંગિક ઉદ્ધબોધનમાં કહ્યું, "થોડા સમય પહેલાં આપણે રતન તાતા ગુમાવી દીધા. જો તેઓ હયાત હોત, તો તેમને સૌથી વધુ ખુશી થઈ હોત. નવા ભારતના નવા વર્ક કલ્ચરને રજૂ કરે છે. બે વર્ષ પહેલાં ઑક્ટોબર મહિનામાં આ પ્રોજેક્ટનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું અને આજે તેનું ઉદ્ધાટન થઈ રહ્યું છે."

વડા પ્રધાન મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વડોદરા તથા તેની આજુબાજુનો વિસ્તાર ઍરોસ્પેસ ઇન્ડસ્ટ્રી માટે હબ બનશે. અહીં બનનારા વિમાન ભવિષ્યમાં વિદેશમાં પણ નિકાસ થશે. આ પ્રોજેક્ટ દ્વારા ભારત-સ્પેન વચ્ચેના સંબંધને નવી દિશા આપશે.

આ તકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિખ્યાત લેખક અને પદ્મશ્રી ફાધર વાલેસને યાદ કર્યા હતા.

સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝે કહ્યું, "આજે આપણે ન કેવળ અત્યાધુનિક ઔદ્યોગિક એકમનું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ, પરંતુ તે બે મોટી કંપનીઓ વચ્ચેના સહકારનો પ્રતીકરૂપ પ્રોજેક્ટ છે. તમે ભારતને ઔદ્યોગિક પાવરહાઉસ બનાવવા માગો છો અને વેપાર માટે રોકાણને આકર્ષવા માગો છો."

"તાતા અને ઍરબસની ભાગીદારી ભારતમાં ઍરોસ્પેસ ઇન્ડસ્ટ્રી માટે પ્રદાન આપશે. તે અનેક નવી યુરોપિયન કંપનીઓ માટે દરવાજા ખોલી આપશે. તેનાથી ભારતના ડિફેન્સ અને ઍરોસ્પેસ સૅક્ટરમાં નવો અધ્યાય શરૂ થશે."

"સ્પેન એ ઍરબસ કૉન્સોર્ટિયમનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. જે યુરોપનાં મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. આ મૂલ્યોમાં સહકાર, આધુનિકતા તથા વિકાસનો સમાવેશ થાય છે."

પેડ્રો સાંચેઝે કહ્યું હતું કે સ્પેન ભારતનું વિશ્વસનીય વ્યૂહાત્મક ભાગીદાર બની રહેવા માટે કટિબદ્ધ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ પ્રોજેક્ટને કારણે ખૂબ જ કૌશલ્યવાન એન્જિનિયરો અને ટેક્નિશિયનોની નવી પેઢી તૈયાર થશે.

વડોદરાની બેઠક પરથી લોકસભાના સંસદસભ્ય ડૉ. હેમાંગ જોશીએ કાર્યક્રમ શરૂ થયો એ પહેલાં ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં કહ્યું, "વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 10 વર્ષ પહેલાં 'મૅડ ઇન ઇન્ડિયા' અભિયાનની શરૂઆત કરી હતી. આજે તેઓ આ ઍસેમ્બ્લી લાઇનનું ઉદ્ઘાટન કરશે. આ ઐતિહાસિક ક્ષણ છે."

સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ડૉ. અજયકુમારે અગાઉ કહ્યું કે, "આ પ્રોજેક્ટ હેઠળ સંપૂર્ણ રીતે ભારતમાં નિર્માણ પામેલાં 16 વિમાનો વાયુદળને આપવામાં આવશે, જ્યારે 40 વિમાનોનું ભારતમાં તાતા દ્વારા ઉત્પાદન કરવામાં અને ઍસેમ્બ્લ કરવામાં આવશે."

C-295 MW વિમાનની શું છે વિશેષતા ?

C-295 MW એક કાર્ગો વિમાન છે

C-295 MW એક કાર્ગો વિમાન છે. તેની કાર્ગો લઈ જવાની ક્ષમતા 5થી 10 ટન છે.

સંરક્ષણ મંત્રાલય અનુસાર, C-295 MW વિમાન ભારતીય વાયુસેનાના જૂનાં AVRO વિમાનની જગ્યા લેશે. આ વિમાનની પાછળ એક દરવાજો છે. જેનો ઉપયોગ પૅરાટ્રૂપર્સ (સૈનિકો) અને સામાનને દરિયાઈ માર્ગે ઉતારવા માટે થઈ શકે છે.

સરકારનો દાવો છે કે, ભારતીય વાયુસેનામાં સામેલ થનારાં આ વિમાનોથી વાયુસેનાને ઘણો ફાયદો થશે.

સંરક્ષણ મંત્રાલય અનુસાર, આ તાતા-ઍરબસ પ્રોજેક્ટમાં ભારતમાં 13,400 ડિટેલ પાર્ટ્સ, 4600 સબ-ઍસેમ્બ્લી અને સાત પ્રમુખ ઍસેમ્બ્લીનું નિર્માણ કરવામાં આવશે.

કેન્દ્ર સરકારનો દાવો છે કે, આ પ્રોજેક્ટથી મોટી સંખ્યામાં નોકરીઓ મળશે.

સંરક્ષણ મંત્રાલય અનુસાર, તાતાએ પ્રોજેક્ટ માટે સાત રાજ્યોમાં 125 નાની કંપનીઓ સાથે ગોઠવણ કરી છે. જેની પાસે વિમાન માટે વિવિધ પ્રકારનાં સ્પેર પાર્ટ્સ લેવામાં આવશે.

આ પ્રોજેક્ટ 600 વિશેષજ્ઞો માટે પ્રત્યક્ષ રોજગારી ઊભી કરશે. તો પરોક્ષ રીતે 3000 નોકરીઓનું નિર્માણ થશે. તેના માટે 240 ઍન્જિનિયરોને સ્પેનની ઍરબસ ફૅકટરીમાં ટ્રેનિંગ આપવામાં આવશે.

C-295 MW એક કાર્ગો વિમાન છે
  • Armed/ Ground ISR- ઍરબસ ડૉટ કૉમની વેબસાઇટ અનુસાર, આ ઍરબસનો ઉપયોગ હવામાં ઉડતા રડાર તરીકે પણ થાય છે. જેનો ઉપયોગ ક્લોઝ-ઍર-સપોર્ટ ઑપરેશનમાં કરી શકાય છે.
  • તે જંગલની આગ સામે લડવા માટે પણ કુશળ સાધન છે, જે વૉટર બૉમ્બરનું કામ કરે છે.
  • આ વિમાન નેવીને પણ મદદરૂપ થાય છે, તે દરિયાઈ લડાઈ વચ્ચે લાંબા સમય માટે ઉપયોગી પૂરવાર થાય છે.
  • ઍરબૉર્ન અર્લી વૉર્નિંગ માટે પણ સી-295 ઉપયોગી છે, તે 360 ડિગ્રી હવાઈ વિસ્તારની આખી તસવીર આપે છે.
  • હવાથી હવામાં ઈંધણ ભરવા માટે તે રિમૂવેબલ રિફ્યૂલિંગ કિટ ધરાવે છે. જેનાથી 6000 કિલોગ્રામ જેટલું ઈંધણ બદલી શકાય છે.
  • વીઆઈપી પરિવહનમાં પણ તે ઉપયોગી છે, કેમકે તે પૅલેટાઇઝ્ડ વીઆઈપી-સીટ મોડ્યૂલ ધરાવે છે.
  • મેડિકલ ઇમર્જન્સીમાં પણ તે ઉપયોગી નીવડે છે. તેમાં 24 સ્ટ્રૅચર અને સાત મેડિકલ ઍટેન્ડન્ટ તેમાં આવી શકે છે.

અમરેલી જિલ્લામાં કરોડો રૂપિયાનાં પ્રોજેક્ટસ્ નું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

સોમવારે વડા પ્રધાન મોદી અમરેલી જિલ્લામાં 4 હજાર 800 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરશે.

તેઓ બપોરે ત્રણ વાગ્યે અમરેલીના દૂધાળા ગામ પહોંચશે જ્યાં ભારત માતા સરોવરનું ઉદ્ધાટન કરશે. આ ઉપરાંત વડા પ્રધાન અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ અને બોટાદ જિલ્લાના આશરે 1600 જેટલા વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

બીબીસી સહયોગી ફારૂક કાદરીએ જણાવ્યું કે, વડા પ્રધાન 705 કરોડ રૂપિયાના પાણી પુરવઠા વિભાગના અને નૅશનલ હાઈવે ઑથૉરિટી ઑફ ઇન્ડિયાના 2800 કરોડ રૂપિયાના પ્રોજેક્ટસનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ભારતીય રેલ્વેના એક હજાર કરોડ કરતાં વધુ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ભુજ-નલિયા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.