You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઑસ્ટ્રેલિયા સામે ભારતની હાર, 'ઘરની બહાર બૅટ કેમ ચાલતું નથી?'
- ભારત વિરુદ્ધ ઑસ્ટ્રેલિયા : વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ફાઇનલ
- ઑસ્ટ્રેલિયાએ ભારતને 209 રને હરાવ્યું, ટ્રૉફી જીતી
- ઑસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ – 469 રન, ટ્રેવિસ હેડ – 163, મોહમ્મદ સિરાજ – 4/108
- ભારતની પ્રથમ ઇનિંગ – 296, અજિંક્ય રહાણે – 89, પેટ કમિન્સ – 3/83
- ઑસ્ટ્રેલિયા બીજી ઇનિંગ – 270/9 (દાવ ડિક્લેર), એલેક્સ કૅરી – 66*, રવીન્દ્ર જાડેજા – 3/58
- ભારત બીજી ઇનિંગ – 234 વિરાટ કોહલી – 49, નાથન લૉયન - 4/41
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલના પાંચમા દિવસે ઑસ્ટ્રેલિયા અને જીત વચ્ચે વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેની જોડી અવરોધ બનીને ઊભી હતી.
કોહલી અને રાહણેએ ચોથા દિવસે ટૉપ ઑર્ડેરની ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ 71 રન બનાવ્યા હતા. ભારત સામે જીત માટે 444 રનનું લક્ષ્ય હતું પરંતુ અંતિમ દિવસે ટીમે 280 રન કરવાના હતા.
પ્રથમ ઇનિંગમાં ફૉલોઓન ટાળવા માટે રહાણે અને કોહલીએ ચોથા દિવસે જે અંદાજમાં બેટિંગ કરી હતી, ટીમ ઇન્ડિયાના ઘણા ઉત્સાહી સમર્થક મૅચ બચાવવા કરતાં પણ વધુ આશાસ્પદ ચર્ચા કરવા લાગ્યા હતા.
પરંતુ ઑસ્ટ્રેલિયા પાસે પાંચમા દિવસ માટે પરફેક્ટ પ્લાન હતો. કપ્તાન પેટ કમિન્સ અને સ્કૉટ બોલાન્ડે બૉલિંગની શરૂઆત કરી.
દરેક બૉલે તેઓ કોહલી અને રહાણેની પરીક્ષા લેવા માંડ્યા.
દિવસની સાતમી ઓવરે જ કોહલી બોલાંડના બૉલે સ્ટીવ સ્મિથના કૅચ આઉટ થઈ ગયા. તેઓ 49 રન બનાવીને આઉટ થયા.
ચોથા દિવસે વિરાટ કોહલીએ અણનમ 44 રન ફટકાર્યા હતા. પરંતુ પાંચમા દિવસે તેઓ માત્ર પાંચ રન જ બનાવી શક્યા.
એક બૉલ બાદ બોલાંડે રવીન્દ્ર જાડેજાને પણ આઉટ કરી દીધા. તેઓ ખાતું પણ ન ખોલાવી શક્યા અને આ સાથે જ ચમત્કારની પણ બધી આશાઓ પર પાણી ફરી વળ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતીય ટીમ પર સવાલો
ભારતના પૂર્વ કૅપ્ટન સુનીલ ગાવસ્કરે ટીમના બૅટ્સમૅનો પર સવાલ ઉઠાવતા કહ્યું, "(અંતિમ દિવસ) તમારા પાસે સાત વિકેટ હતી અને તમે એક સેશન પણ રમી ન શક્યા."
તો ભારતીય ટીમના પૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીએ ભારતના ટૉપ ઑર્ડરની નિષ્ફળતા પર સવાલ ઉઠાવ્યા.
તેમણે કહ્યું કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતીય ઉપમહાદ્વીપની બહાર ભારતના ટૉપ ઑર્ડરના ચાર બૅટ્સમૅનની સરેરાશ 30થી ઓછી છે.
તેના પર ટીમના કોચ રાહુલ દ્રવિડે કહ્યું, "તેઓ બધા અનુભવી ખેલાડી છે. તેમનું જે સ્ટાન્ડર્ડ છે, આ (સરેરાશ) પ્રમાણે નથી."
દ્રવિડે કહ્યું કે દરેક ટીમના બૅટ્સમૅનની સરેરાશ ઘરની બહાર ઓછી થઈ જાય છે.
ગાવસ્કરને કોચ દ્રવિડનું આ નિવેદન પસંદ ન પડ્યું. તેમણે કહ્યું, "તમે મુશ્કેલીઓને કાર્પેટ નીચે છુપાવી ન શકો."
ગાવસ્કરે કહ્યું, "આપણે (અન્ય ટીમની નહીં) ભારતીય ટીમની વાત કરી રહ્યા છીએ. બેટિંગ (ભારતીય ટીમની)માં મુશ્કેલી છે. આપણે તેને જોવાની જરૂર છે. (હારની) ઈમાનદારીથી આત્મસમીક્ષા થઈ જોઈએ. એક ટીમ હારે છે, એક જીતે છે. પણ તમે કેવી રીતે હાર્યા, એ મહત્ત્વનું છે."
તેમણે કહ્યું કે ઘણા સવાલ જોવા પડશે. તમે કેવી બેટિંગ કરી, કેવા કૅચ છોડ્યા, શું તમે યોગ્ય ટીમ પસંદ કરી?
234 રન ઇનિંગ સમેટાઈ
આ બાદ પણ જોકે રહાણેનો સંઘર્ષ ચાલુ રહ્યો. તેમણે કે. એસ. ભરત સાથે છઠ્ઠી વિકેટ માટે 33 રન બનાવ્યા. પરંતુ મૅચ બચાવવાનું કામ આ જોડી માટે સરળ નહોતું.
રહાણે 46 રન બનાવીને મિચેલ સ્ટાર્કના શિકાર બન્યા. શાર્દૂલ ઠાકુર ખાતું પણ ન ખોલાવી શક્યા.
તે બાદ ભરત પર ટકી ન શક્યા. તેઓ 23 રન બનાવીને નાથન લૉયનના બૉલે આઉટ થયા.
લૉયને મોહમ્મદ સિરાજની વિકેટ ખેરવીને ભારતની બીજી ઇનિંગ 234 રનના સ્કોરે સમેટી નાખી.
આ સાથે જ ભારતે સતત બીજી વખત ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં હારનો સામનો કર્યો છે. બે વર્ષ પહેલાં ન્યૂઝીલૅન્ડે ભારતને ફાઇનલમાં હરાવ્યું હતું.