IPL : ગુજરાત ટાઇટન્સની ટીમે આ વખતે કોઈ ગુજરાતી ખેલાડીની ખરીદી કેમ ન કરી?

    • લેેખક, તુષાર ત્રિવેદી
    • પદ, ખેલ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

ઇન્ડિયન પ્રીમિયર લીગ હવે વિશ્વની સૌથી ધનાઢ્ય ક્રિકેટ લીગ બની ગઈ છે. અગાઉથી જ તેની પાસે આ દરજ્જો હતો પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી માત્ર ક્રિકેટર્સની ખરીદી બાબતે જ નહીં પરંતુ તેની આવક અને ખાસ કરીને ટેલિવિઝન અને વિવિધ મીડિયા પ્લૅટફૉર્મના પ્રસારણ માટેના અધિકારોને કારણે પણ તેની આવક સાતમે આસમાને પહોંચી ગઈ છે.

તાજેતરમાં જ આઈપીએલની 2025ની ટી-20 ક્રિકેટ સિઝન માટેની હરાજી જેદ્દાહ ખાતે યોજાઈ હતી અને તેમાં ભારતના વિકેટકીપર તથા ગંભીર માર્ગ અક્સ્માતમાં ઘાયલ થયા બાદ ફરીથી મેદાન પર આવીને તરખાટ મચાવી રહેલા ઋષભ પંતની બોલબાલા રહી છે.

આઈપીએલના ઇતિહાસમાં પંત જેટલો મોંઘો ખેલાડી અગાઉ કોઈ ન હતો. તેમને 27 કરોડ રૂપિયાની જંગી કિંમતથી લખનૌ સુપર જાયન્ટ્સે ખરીદી લીધા હતા જ્યારે મુંબઈના શ્રેયસ ઐયરને પંજાબ કિંગ્સે 26.75 કરોડ રૂપિયા આપીને ખરીદ્યા હતા.

આ તમામ આંકડાઓ જોતાં એમ લાગતું હતું કે આ વખતે ગુજરાત ટાઇટન્સ પણ કોઈથી પાછળ રહેશે નહીં અને આવો જ કોઈ હોનહાર ખેલાડી ખરીદીને આકર્ષણ બની રહેશે. પરંતુ ગુજરાત ટાઇટન્સે કોઈ મોટા બદલાવમાં રસ દાખવ્યો નહીં.

એ સિવાય આઇપીએલની હરાજીમાં ગુજરાત ટાઇટન્સની ફ્રેન્ચાઇઝીની ગમે તે યોજના હોય પણ તેણે કોઈ ગુજરાતી ખેલાડીની ખરીદી નહીં કરીને આશ્ચર્ય સર્જ્યું છે

ગુજરાત ટાઇટન્સની ટીમનો રેકૉર્ડ

ગુજરાતની ટીમ 2022થી આઈપીએલમાં રમી રહી છે અને તેણે પહેલા જ વર્ષે હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ટાઇટલ જીતીને ચમત્કાર કરી દીધો હતો.

બીજા વર્ષે આ ટીમ 2023માં ફાઇનલમાં પ્રવેશી પરંતુ ચેન્નઈ સુપર કિંગ્સ સામે મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલમાં તે છેલ્લા બોલે હારી ગઈ હતી.

હાર્દિક પંડ્યાનો આ ટીમ પર કેટલો પ્રભાવ હતો તેનું ઉદાહરણ એ રહ્યું કે તેણે 2024ની સિઝનમાં ગુજરાતની ટીમ છોડીને મુંબઈ ઇન્ડિયન્સ માટે રમવાનું પસંદ કર્યું અને તેની ગેરહાજરીમાં શુભમન ગિલની કપ્તાનીમાં રમેલી ટાઇટન્સની ટીમ આઠમા ક્રમે રહી.

આમ છતાં ખેલાડી તરીકે ગુજરાત ટાઇટન્સની ટીમમાં ઘણા ખેલાડીઓએ શાનદાર દેખાવ કર્યો હતો જેમાં કૅપ્ટન ગિલ પણ જરાય પાછળ રહ્યા ન હતા.

આઇપીએલમાં ઘણીવાર એવું બનતું હોય છે કે ટીમ સારો દેખાવ ન કરી શકે, અથવા તો પ્લૅઑફમાં ન પ્રવેશી શકે, પરંતુ વ્યક્તિગત પ્રદર્શનમાં દરેક ટીમ પાસે એવા કોઇને કોઈ ખેલાડી રહ્યા છે જે છવાઈ જતા હોય છે.

એટલા માટે જ એકપણ વાર ચૅમ્પિયન નહીં બનેલી રૉયલ ચૅલૅન્જર્સ બેંગલોર હોય કે પંજાબ કિંગ્સ અને દિલ્હીની ટીમ હોય, તે હંમેશાં આકર્ષણનું કેન્દ્ર રહી છે.

આવું જ કંઈક ગઈ સિઝનમાં ગુજરાત ટાઇટન્સ સાથે બન્યું હતું. જોકે, ફ્રેન્ચાઇઝીના માલિકોને ટાઇટલ અથવા તો ટીમના પરફોર્મન્સ સાથે નિસબત હોય છે અને તેમાં ગુજરાતની ટીમે 2024માં નિરાશ કર્યા હતા.

ગુજરાતની ટીમમાં કોઈ ગુજરાતી નહીં

હવે 2025ની આઇપીએલ માટેની હરાજી થઈ ગઈ છે ત્યારે ટીમમાં રહેલા ખેલાડી પર એક નજર કરીએ તો ખાસ વાત એ રહી છે કે ગુજરાતનું નામ ધરાવતી તથા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું હૅડક્વાર્ટર ધરાવતી ગુજરાત ટાઇટન્સ પાસે આ વખતે એક પણ ગુજરાતી ખેલાડી નથી.

આઇપીએલમાં એવું જરૂરી નથી કે નામ ગુજરાતનું હોય એટલે ટીમમાં ગુજરાતી ખેલાડી હોવો જ જોઈએ. આવો કોઈ નિયમ પણ અસ્તિત્ત્વમાં નથી, પરંતુ લગભગ દરેક ટીમ છેલ્લે 25 ખેલાડીઓ પૂરા કરવા માટે કોઈને કોઈ સ્થાનિક ખેલાડીને સામેલ કરતી હોય છે.

મુંબઈ, પંજાબ કે કોલકાતા તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. પરંતુ હાર્દિકની વિદાય બાદ ટાઇટન્સને કોઈ સ્થાનિક ખેલાડી મળ્યો નથી.

હા, ગુજરાતના ભૂતપૂર્વ ક્રિકેટર પાર્થિવ પટેલ આ વખતે ટીમ સાથે જોડાયા છે. પાર્થિવ હવે ટાઇટન્સના આસિસ્ટન્ટ કૉચ અને બેટિંગ કૉચ પણ છે. તેની વિવિધ યોજનાઓ અને માનસિક સજ્જતા, તેની કુશળતા ટાઇટન્સને ચોક્કસપણે લાભ કરાવી શકે છે કારણ કે પાર્થિવ પટેલ છેલ્લા બે દાયકા કરતાં પણ વધારે સમયથી ભારતીય ક્રિકેટ સાથે સંકળાયેલા છે.

વળી, પાર્થિવ પટેલ અમદાવાદના છે અને તેમને મોટેરા સ્ટેડિયમની જેટલી સમજ છે તેટલી કદાચ આજે ભારતમાં અન્ય કોઈ વ્યક્તિ પાસે નહીં હોય જે સક્રિય રીતે ક્રિકેટ સાથે સંકળાયેલી હોય. આમ, પાર્થિવનો લાભ ગુજરાત ટાઇટન્સને ચોક્કસ મળશે.

આમ છતાં એક ખટકો તો રહી જશે કે ટાઇટન્સે શા માટે કોઈ સ્થાનિક ખેલાડીને પસંદ નહીં કર્યો હોય.

આ વખતે ગુજરાતની ટીમમાં કેવા ખેલાડી છે?

જોકે, આમ કહેવાનો અર્થ એ પણ નથી કે ગુજરાત ટાઇટન્સ પાસે પ્રતિભાની કમી છે. કારણ કે તેમની પાસે સૌથી મજબૂત અને હાલમાં ઑસ્ટ્રેલિયાનો પ્રવાસ કરી રહેલા શુભમન ગિલ છે જે ભારતના નિયમિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે.

આઇપીએલમાં તેઓ ગુજરાત માટે લગભગ તમામ મૅચમાં રમ્યા છે અને 1799 રન ફટકારી ચૂક્યા છે. બીજા ક્રમે આવતા સાઈ સુદર્શન પણ એક હજારથી વધારે રન માત્ર ટાઇટન્સ માટે નોંધાવી ચૂક્યા છે.

હરાજીમાં ગિલને 16.50 કરોડ અને સુદર્શનને 8.50 કરોડમાં જાળવી રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત ટીમ પાસે જૉસ બટલર જેવા આક્રમક અને શક્તિશાળી પ્લૅયર છે જે પહેલી વાર ટાઇટન્સ માટે રમશે.

આ વખતે તેમને 16.50 કરોડ રૂપિયાની કિંમતે ખરીદીને ગુજરાત ટાઇટન્સે પોતાની યોજનાના દર્શન કરાવી દીધા છે. ટુર્નામેન્ટ દરમિયાન ક્યારેક ગિલની ખોટ પડે તો ઇંગ્લૅન્ડના આ અનુભવી ખેલાડી ટીમનું સુકાન પણ સંભાળી શકે છે.

ગુજરાત ટાઇટન્સ પાસે ટીમના સૌથી મોંઘા ખેલાડી અને ટીમની રચના થઈ ત્યારથી એક ભાગ રહેલા અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાન તો છે જ.

રાશિદ હાલમાં 18 કરોડની કિંમત ધરાવે છે અને તેને પણ ટાઇટન્સે જાળવી રાખ્યા હતા. રાશિદ સ્પિન વિભાગ સંભાળશે અને તો હાલમાં જ પર્થ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયા સામે નોંધપાત્ર બૉલિંગ કરનારા અને છેલ્લા કેટલાક સમયથી મોહમ્મદ શમીની ગેરહાજરીમાં ભારતીય બૉલિંગ આક્રમણમાં જસપ્રીત બુમરાહના મહત્ત્વના સાથી બની ચૂકેલા મોહમ્મદ સિરાજ પણ આ વખતે ટાઇટન્સ માટે રમવાના છે.

સિરાજની સાથે દક્ષિણ આફ્રિકાના કગિસો રબાડા પણ છે જેઓ સતત ઇન્ટરનેશનલ ક્રિકેટ રમતા રહે છે અને હાલમાં તેમના દેશની ટીમના પ્રમુખ બૉલર છે.

આ ઉપરાંત પ્રસિદ્ધ ક્રૃષ્ણા, ગેરાલ્ડ કોએત્ઝે અને પીઢ બૉલર ઇશાંત શર્મા ટીમની બૉલિંગ તાકાતને આગળ ધપાવશે. આ તમામ ઉપરાંત છેલ્લા કેટલાક મહિનાથી આકર્ષણનું કેન્દ્ર બની ગયેલા વૉશિંગ્ટન સુંદર માત્ર તેમની ઑફ સ્પિન બૉલિંગથી જ નહીં પરંતુ ઑલરાઉન્ડરની ક્ષમતાને કારણે પણ ટીમ માટે ઉપયોગી બની રહેશે.

આ તમામ ખેલાડીઓમાં સૌથી વધુ આધાર શુભમન ગિલ, જોસ બટલર અને બૉલિંગમાં રાશિદ ખાન રહેશે. આ ત્રણેય એ પ્રકારના ખેલાડી છે જેમને ક્યારેય પિચ કે હવામાનની અસર થતી નથી તેઓ તેમની નૈસર્ગિક શક્તિને આધારે દુનિયાના કોઇપણ મેદાન પર પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરી શકે છે. આ ત્રણ એવા ખેલાડી છે જે એકલા હાથે પોતાની ઇન્ટરનેશનલ ટીમને સફળતા અપાવવા માટે સક્ષમ છે.

અન્ય ટીમોમાં કેટલા ગુજરાતી ખેલાડીઓ રમી રહ્યા છે?

રહી વાત આ સિઝનમાં સમગ્ર ટીમમાંથી મળીને રમનારા ગુજરાતીઓની તો તેમાં જસપ્રીત બુમરાહ શિરમોર છે. બુમરાહ વિનાની આઇપીએલ પણ જાણે કે શક્ય જણાતી નથી.

બુમરાહ આ વખતે મુંબઈ ઇન્ડિયન્સ માટે 18.00 કરોડ રૂપિયામાં રમશે તો હાર્દિક પંડ્યા (16.35 કરોડ) પણ તેની સાથે મુંબઈ ઇન્ડિયન્સનું પ્રતિનિધિત્વ કરશે. હાર્દિકના ભાઈ કૃણાલ આ વખતે છેલ્લે છેલ્લે બેંગલોર માટે વેચાયા પરંતુ તેમના જ બરોડાના સાથી સ્વપ્નિલસિંઘને પણ બેંગલોર માટે રમવાની તક મળશે.

ગુજરાતના હોનહાર ઑલરાઉન્ડર અક્ષર પટેલ અને અનુભવી ઑલરાઉન્ડર તથા ટી20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા રવીન્દ્ર જાડેજાને પોતાપોતાની ટીમે રિટેઇન કર્યા છે.

અક્ષર ગઈ વખતની માફક 2025માં પણ દિલ્હી કૅપિટલ્સ માટે અને જાડેજા તેની કાયમી ટીમ બની ગયેલી ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમશે.

આ ઉપરાંત આઇપીએલના નિયમિત ખેલાડી એવા હર્ષલ પટેલ આ વખતે બેંગલોર છોડીને હૈદરાબાદ માટે રમશે. હર્ષલ એટલા ઉપયોગી બની ચૂક્યા છે કે તેમને હવે કોઈ બૅનરની જરૂર નથી. તેઓ કોઈ પણ ટીમમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.