You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શ્રીલંકામાં ઇમરજન્સી : વડા પ્રધાનના કાર્યાલયમાં ઘૂસ્યા પ્રદર્શનકારીઓ, શ્રીલંકા છોડીને ભાગી ગયેલા રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેનું શું થશે?
- શ્રીલંકામાં ઇમરજન્સી લાદવામાં આવી છે.
- ગોટાબાયા રાજપક્ષે એક સૈન્યવિમાનમાં દેશ છોડીને ભાગી ગયા છે.
- બીબીસીનું માનવું છે કે ગોટાબાયા રાજપક્ષે માલદીવની રાજધાની માલેમાં છે.
- બીબીસીને સૂત્રોએ જણાવ્યું કે તેમના ભાઈ અને પૂર્વ નાણામંત્રી બાસિલ રાજપક્ષે અમેરિકા જતા રહ્યા છે.
- પ્રદર્શનકારીઓ હવે વડા પ્રધાન રનિલ વિક્રમસિંઘેના રાજીનામાની માગ કરી રહ્યા છે
શ્રીલંકામાં આર્થિક સંકટના વિરોધમાં મોટા પાયે પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે દેશ છોડીને ભાગી ગયા છે.
બીબીસીને જે માહિતી મળી છે તે મુજબ તેઓ માલદીવ જતા રહ્યા છે. સમાચાર સંસ્થા એએફપી અનુસાર રાજપક્ષે તેમનાં પતિ અને બે બૉડીગાર્ડ્સ સેનાનું વિમાન લઈને દેશ છોડી ગયાં છે.
માનવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિ રહેતા તેમને કોઈ પણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી સામે રક્ષણ મળેલું છે પરંતુ એવી અટકળો છે કે સિંગાપુર અથવા દુબઈ જઈ શકે છે.
તેમની ગેરહાજરીમાં વડા પ્રધાન રનિલ વિક્રમસિંધેને કાર્યવાહક રાષ્ટ્રપતિ બનાવાયા છે.
રાજપક્ષેએ આજ રાજીનામું આપવાનું આશ્વાસન આપ્યું હતું પરંતુ હજી સુધી આવું થયું નથી. જોકે સંસદના સ્પીકર મહિંદા યાપા અબેવર્દનાએ કહ્યું કે રાજપક્ષે બુધવારના રાજીનામું આપશે.
જો તેઓ રાજીનામું આપી દેશે તો રાજપક્ષે પરિવારના શાસનનો અંત આવશે. છેલ્લા બે દાયકાઓથી શ્રીલંકાના રાજકારણમાં રાજપક્ષે પરિવારનો દબદબો હતો.
તેમના ભાઈ બાસિલ રાજપક્ષે પહેલાં જ શ્રીલંકા છોડી ગયા છે, માનવામાં આવી રહ્યું છે કે તેઓ અમેરિકા જશે.
વડા પ્રધાન રનિલ વિક્રમસિંઘેએ કહ્યું 'દેશની સ્થિતિ સંભાળે સેના'
શ્રીલંકામાં દિવસે દિવસે સ્થિતિ વણસી રહી છે અને હવે વડા પ્રધાનના કાર્યાલયમાં પ્રદર્શનકારીઓ ઘૂસી ગયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રદર્શનકારીઓ નારા પોકારી રહ્યા છે, સેલ્ફી લઈ રહ્યા છે અને વડા પ્રધાન રનિલ વિક્રમસિંઘે અને રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે વિરુદ્ધ નારેબાજી કરી રહ્યા છે.
પ્રદર્શનકારીઓનો સમૂહ બૂમો પાડતો અને ઢોલ વગાડતો વડા પ્રધાનના કાર્યાલયમાં દાખલ થઈ ગયો છે.
શ્રીલંકામાં રાષ્ટ્રપતિએ દેશ છોડ્યા બાદ હજારો લોકો કોલંબોના રસ્તા પર ઊતરી આવ્યા છે અને ઉજવણી કરી રહ્યા છે. આ વચ્ચે વડા પ્રધાને ઇમરજન્સી લાદવાનો નિર્ણય કર્યો છે.
દેશમાં રાજનૈતિક અસ્થિરતા અને અવ્યવસ્થા વચ્ચે વડા પ્રધાન કાર્યાલયના પ્રવક્તાએ જણાવ્યું કે દેશમાં ઇમરજન્સી લાદવામાં આવી છે અને પશ્ચિમી પ્રાંતમાં કર્ફ્યૂ પણ લાદવામાં આવ્યો છે.
આ દરમિયાન બુધવારે સમગ્ર દેશમાં શાંતિપૂર્ણ રીતે વિરોધપ્રદર્શન ચાલી રહ્યાં હતાં એવામાં કોલંબોમાં વડા પ્રધાન કાર્યાલય પાસે પ્રદર્શનકારીઓને કાબૂમાં લેવા માટે પોલીસે ટિયરગૅસનો ઉપયોગ કર્યો હતો.
શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ દેશ છોડ્યા બાદ પણ પરિસ્થિતિ તણાવપૂર્ણ છે અને વિરોધ હવે વડા પ્રધાનના રાજીનામા તરફ વળ્યો છે.
હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ હવે કોલંબોમાં ફ્લાવર રોડસ્થિત વડા પ્રધાન કાર્યાલય તરફ વધી રહ્યા છે. આ વિસ્તાર મુખ્ય પ્રદર્શનકેન્દ્ર ગૉલ ફેઝ ગ્રીનથી લગભગ 20 મિનિટ દૂર છે.
વિક્રમસિંઘે કાર્યવાહક રાષ્ટ્રપતિ બન્યા
વડા પ્રધાન રનિલ વિક્રમસિંઘે પણ સર્વદળીય સરકાર બને તેવી માગ સાથે રાજીનામું આપવા તૈયાર થયા હતા તેમ છતાં લોકો તેમના રાજીનામાની માગ સાથે વિરોધ કરી રહ્યા છે.
આ પાછળનું કારણ એ છે કે રાજપક્ષેએ દેશ છોડ્યા બાદ રનિલ વિક્રમસિંઘે સંવિધાન મુજબ આપોઆપ 30 દિવસ માટે કાર્યવાહક રાષ્ટ્રપતિ બની જશે.
પ્રદર્શનકારીઓનું કહેવું છે કે વિક્રમસિંઘેને પણ રાજીનામું આપવું પડશે.
શ્રીલંકાની સંસદના સ્પીકરના મતે વડા પ્રધાન રનિલ વિક્રમસિંઘેને કાર્યવાહક રાષ્ટ્રપતિ નિયુક્ત કરવામાં આવ્યા છે.
સ્પીકરના મતે રાષ્ટ્રપતિ ગોયાબાયા રાજપક્ષેએ તેમને જણાવ્યું છે કે શ્રીલંકાના બંધારણના અનુચ્છેદ 37.1 અતંર્ગત રનિલ વિક્રમસિંઘને કાર્યવાહક રાષ્ટ્રપતિ નિયુક્ત કરવામાં આવ્યા છે.
હાલના દિવસોમાં તમામ જાહેરાતો સંસદના સ્પીકર અને વડા પ્રધાનના કાર્યાલયમાંથી જ થઈ રહી છે.
પીએમ કાર્યાલયની બહાર હાજર બીબીસી સંવાદદાતા ટેસા વૉન્ગેના જણાવ્યા અનુસાર અફરાતફરીનો માહોલ છે. પ્રદર્શનકારીઓની માગ છે કે પીએમ રનિલ વિક્રમસિંઘે પણ પોતાના પદેથી રાજીનામું આપી દે.
કેટલાય પ્રદર્શનકારીએ ઓવું પણ કહી રહ્યું છે ગોટાબાયા અને વિક્રમસિંઘેએ રાજીનામાં ના આપ્યાં તો તેઓ સંસદ સમેતની સરકારી ઇમારતો પર કબજો કરી લેશે.
રાષ્ટ્રપતિ નાસી ગયા
આ પહેલાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે એક સૈન્યવિમાનમાં દેશ છોડીને ભાગી ગયા હતા. બીબીસીનું માનવું છે કે 73 વર્ષીય ગોટાબાયા રાજપક્ષે માલદીવની રાજધાની માલેમાં છે.
રાજપક્ષેના ભાગ્યા બાદ શ્રીલંકામાં દશકોથી ચાલતા આવેલા એક પરિવારના શાસનનો અંત આવ્યો છે.
બીબીસીને સૂત્રોએ જણાવ્યું કે તેમના ભાઈ અને પૂર્વ નાણામંત્રી બાસિલ રાજપક્ષે પણ દેશ છોડવામાં સફળ રહ્યા છે. તેઓ અમેરિકા ગયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગોટાબાયા રાજપક્ષેએ 13 જુલાઈના રોજ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.
શ્રીલંકા: મહત્ત્વપૂર્ણ બાબતો
- એક દ્વીપ દેશ: 1948માં શ્રીલંકા બ્રિટિશ શાસનમાંથી આઝાદ થયું હતું. 2.2 કરોડ વસતી ધરાવતા શ્રીલંકામાં સિંહલા, તામિલ અને મુસ્લિમોની વસતી છે.
- વર્ષોથી એક જ પરિવારની સત્તા: તામિલ અલગતાવાદી વિદ્રોહીઓ અને સરકાર વચ્ચે વર્ષો સુધી ચાલેલા ગૃહયુદ્ધનો અંત 2009માં આવ્યો હતો. મહિંદા રાજપક્ષે ત્યારે બહુસંખ્યક સિંહલા લોકો માટે હીરો બની ગયા હતા. આ દરમિયાન મહિંદા રાજપક્ષેના ભાઈ ગોટાબાયા રાજપક્ષે શ્રીલંકાના સંરક્ષણમંત્રી હતા.
- રાષ્ટ્રપતિની સત્તા: શ્રીલંકામાં રાષ્ટ્રપતિ દેશ, સરકાર અને સેનાના વડા હોય છે પરંતુ ઘણી સત્તા વડા પ્રધાન પાસે જ હોય છે. વડા પ્રધાન સંસદમાં સત્તાધારી પાર્ટીના પ્રમુખ હોય છે.
- લોકોનો વિરોધ: જીવનજરૂરિયાતની વસ્તુઓની અછતના કારણે સર્જાયેલો ભાવવધારો આસમાને પહોંચતાં સામાન્ય લોકો ગુસ્સામાં સરકારનો વિરોધ કરવા માટે રસ્તા પર ઊતર્યા છે. શ્રીલંકામાં લોકો આર્થિક સંકટ માટે રાજપક્ષે પરિવારને જવાબદાર માને છે.
રાષ્ટ્રપતિએ દેશ છોડી દીધો હોવાની માહિતી મળતાં શ્રીલંકાના ગાલે ફેઝ ગ્રીનમાં લોકોએ ઉજવણી કરી હતી.
ગાલે શ્રીલંકાની રાજધાની કોલંબોમાં વિરોધપ્રદર્શનનું મુખ્ય સ્થળ છે. મંગળવારે સાંજે હજારો લોકો ગાલે પાર્કમાં જમા થયા હતા અને રાષ્ટ્રપતિના રાજીનામાની માગ કરી હતી.
શ્રીલંકાના લોકો રાજપક્ષે શાસનને દેશમાં આર્થિક સંકટ માટે જવાબદાર માને છે. શ્રીલંકા દશકો બાદ સૌથી ભયાવહ આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યું છે.
કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે રાજીનામું આપતા પહેલાં દેશ છોડવા માગતા હતા કારણ કે નવી સરકાર તેમની ધરપકડ ન કરી શકે. રાષ્ટ્રપતિપદ હોય ત્યાં સુધી તેમની ધરપકડ કરી શકાય તેમ નહોતી.
રાષ્ટ્રપતિના ભાગી જવાથી શ્રીલંકા શાસક વિનાનું બની ગયું હોવાનો પણ ખતરો છે. શ્રીલંકામાં એક એવી સરકારની જરૂર છે જે આર્થિક સંકટનું સમાધાન શોધે.
અન્ય પાર્ટીઓના નેતાઓ સાથે મળીને સરકાર બનાવવાનું કહી રહ્યા છે પરંતુ અત્યાર સુધી સમજૂતી થઈ શકી નથી. અત્યાર સુધી એ પણ સ્પષ્ટ નથી થયું કે નવી સરકારને જનતા સ્વીકારશે કે કેમ?
શ્રીલંકામાં બંધારણના વિશેષજ્ઞોનું કહેવું છે કે સંસદના અધ્યક્ષ આગામી કાર્યવાહક રાષ્ટ્રપતિ હોઈ શકે છે. જોકે, મિંદા યાદા અબેયવાર્દેના રાજપક્ષેના સહયોગી છે. અત્યાર સુધી એ બાબત સ્પષ્ટ નથી કે જનતા તેમને સ્વીકારશે.
કોઈ પણ કાર્યવાહક રાષ્ટ્રપતિ બને તો 30 દિવસમાં નવા રાષ્ટ્રપતિની ચૂંટણી કરવી પડે છે. તેમાં જે ચૂંટાશે તે રાજપક્ષેનો 2024નો કાર્યકાળ પૂરો થાય ત્યાં સુધી રાષ્ટ્રપતિ રહેશે.
જોકે, શ્રીલંકામાં વિક્રમસિંઘે પણ ઘણા અલોકપ્રિય છે. શનિવારે પ્રદર્શનકારીઓએ તેમના ખાનગી આવાસને આગ લગાવી દીધી હતી.
સોમવારે મુખ્ય વિપક્ષ નેતા સાજિથ પ્રેમદાસાએ બીબીસીને કહ્યું હતું કે તેઓ રાષ્ટ્રપતિપદ માટે મેદાને આવી શકે છે પરંતુ તેમને પણ જનતાનું સમર્થન મળશે કે કેમ, તે વાત પર શંકા છે.
શ્રીલંકામાં નેતાઓને લઈને સામાન્ય લોકોમાં વિશ્વાસની ભારે અછત છે. સામાન્ય લોકોના આંદોલને શ્રીલંકાને પરિવર્તનની આરે લાવી દીધું છે, પરંતુ દેશમાં નેતૃત્વ માટે કોઈ સ્પષ્ટ દાવેદાર નથી.
ભારતીય ઉચ્ચાયોગે આપ્યું નિવેદન
શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ દેશ છોડ્યા બાદ શ્રીલંકામાં ભારતીય હાઈ કમિશને ટ્વિટર પર નિવેદન જાહેર કર્યું છે.
નિવેદનમાં ભારતીય હાઇ કમિશને રાષ્ટ્રપતિ અને પૂર્વ નાણામંત્રીને દેશ છોડવામાં ભારતે મદદ કરી હોવાના અહેવાલોને રદિયો આપ્યો છે અને શ્રીલંકાના લોકોને સમર્થન આપવાના મુદ્દાનું પુનરાવર્તન કર્યું છે.
આ પહેલાં 10 જુલાઈએ હાઇ કમિશને નિવેદન જાહેર કરીને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળો પર વિરામ મૂક્યો હતો કે ભારત પોતાની સેના શ્રીલંકામાં મોકલી રહ્યું છે.
ભારે વિરોધ વચ્ચે ગોટાબાયા રાજપક્ષે 12 જુલાઈની રાત્રે દેશ છોડીને ભાગી ગયા હતા.
શ્રીલંકાથી સૈન્યના જહાજમાં તેઓ માલદીવ પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે.
તેઓ 13 જુલાઈએ રાજીનામું આપવાના હતા અને ત્યાર બાદ નવી સરકાર દ્વારા તેમની ધરપકડ ન કરવામાં આવે તે માટે આ પગલું ભર્યું હોવાનું કહેવાઈ રહ્યું છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો