અફઘાનિસ્તાનમાં એક લડાઈ ખતમ થાય તે પહેલાં બીજી શરૂ, તાલિબાન અને આઈએસ વચ્ચે નવું ઘર્ષણ
- લેેખક, સિકંદર કિરમાણી
- પદ, બીબીસી ન્યૂઝ, જલાલાબાદ
પૂર્વ અફઘાનિસ્તાનમાં અમુક-અમુક દિવસના અંતરે મૃતદેહો મળી આવે છે. તેમાંથી અમુકને ગોળી મારવામાં આવી હોય છે, કોઈને ફાંસી અપાયેલી હોય છે તો કેટલાકના સર કલમ કરી દેવામાં આવ્યા હોય છે.
કેટલાકના ખિસ્સામાંથી હાથેથી લખાયેલી ચિઠ્ઠીઓ મળી આવે છે, જેમાં આરોપ મૂકવામાં આવે છે કે તેઓ ઇસ્લામિક સ્ટેટની અફઘાન શાખાના સભ્ય હતા.

ઇમેજ સ્રોત, Marcus Yam
આ ગેરકાયદેસર હત્યાઓની કોઈ ઔપચારિક રીતે જવાબદારી નથી લઈ રહ્યું, પરંતુ એવું માનવામાં આવે છે કે તેની પાછળ તાલિબાનોનો હાથ છે.
ઑગસ્ટ મહિનામાં કાબુલ ઍરપૉર્ટની બહાર ભયાનક વિસ્ફોટ થયો હતો, જેમાં 150 લોકોનાં મૃત્યુ થયાં હતાં. તેની પાછળ તાલિબાનોના કટ્ટર હરીફ આઈએસનો હાથ હોવાનું માનવામાં આવે છે.

અફઘાન, આઈએસ અને ઇસ્લામિક અમિરાત
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
તાલિબાનનો બળવો સમાપ્ત થતાં અફઘાનિસ્તાનમાં અગાઉ કરતાં વધારે શાંતિ પ્રવર્તી રહી છે. જોકે, જલાલાબાદમાં તેના લડાવૈયાઓ ઉપર લગભગ દરરોજ હુમલા થઈ રહ્યા છે. જેની પાછળ આઈએસનો હાથ હોવાનું માનવામાં આવે છે, જેને સ્થાનિક લોકો 'દાએશ' તરીકે ઓળખે છે.
અગાઉની સરકાર સામે તાલિબાને પણ આવી જ વ્યૂહરચના અપનાવી હતી, હુમલો કરો અને નાસી છૂટો. જેમાં રોડની પાસે બૉમ્બ મૂકી તેના વિસ્ફોટ કરવા તથા ગુપ્ત રીતે હત્યાઓને અંજામ આપવાનો સમાવેશ થાય છે.
આઈએસ દ્વારા તાલિબાનો ઉપર 'પતીત' હોવાનો આરોપ મૂકવામાં આવે છે, જ્યારે તાલિબાનીઓ આઈએસના લડવૈયાઓને 'નાસ્તિક ઉદ્દામવાદીઓ' કહીને નકારી કાઢે છે.
નંગરાહાર પ્રાંતમાં તાલિબાનની ગુપ્તચર સેવાના વડા ડૉ. બશીર છે, આ પહેલાં જ્યારે પાડોશી રાજ્ય કુનાર પ્રાંતમાં જ્યારે આઈએસે પોતાની પેઠ જમાવી હતી, ત્યારે તેને ઉખાડી ફેંકવામાં ડૉ. બશીરે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૉ. બશીરનું કહેવું છે કે તાજેતરમાં રસ્તા ઉપર મળી આવેલા મૃતદેહો સાથે તેમનો કોઈ સંબંધ નથી, છતાં ગર્વભેર સ્વીકારે છે કે તેમના માણસોએ આઈએસના સેંકડો લોકોને ઝડપી લીધા છે. તાલિબાને જ્યારે સત્તા ઉપર કબજો મેળવવાનો પ્રયાસ કર્યો, ત્યારે ફેલાયેલી અંધાધૂંધીનો લાભ લઈને અગાઉની સરકાર દરમિયાન જેલમાં બંધ થયેલા આઈએસના અનેક લડવૈયાઓને નાસી છૂટવામાં સફળતા મળી હતી.

આઈએસથી આશંકિત તાલિબાન

જાહેરમાં ડૉ. બશીર તથા તાલિબાની નેતૃત્વ દ્વારા આઈએસ તરફથી કોઈપણ પ્રકારનું જોખમ હોવાની વાતને નકારી કાઢવામાં આવી છે. તાલિબાનનું કહેવું છે કે અફઘાનિસ્તાનમાં ગૃહયુદ્ધનો અંત આવ્યો છે તથા તેઓ દેશમાં શાંતિ અને સ્થિરતા લાવ્યા છે. જે કોઈ આ વાત સાથે સહમત ન હોય, તેમને નકારી કાઢવામાં આવે છે.
ડૉ. બશીરનો દાવો છે કે અફઘાનિસ્તાનમાં આઈએસનું ઔપચારિક અસ્તિત્વ સુદ્ધાં નથી, પરંતુ ધરાતલ પરની પરિસ્થિતિ અને વિગતો આનાથી વિરોધાભાસી ચિત્ર રજૂ કરે છે.
ડૉ. બશીરનું કહેવું છે, "નામ 'દાએશ'નો સંદર્ભ સીરિયા તથા ઇરાક સાથે છે." અને ઉમેરે છે, "અફઘાનિસ્તાનમાં 'દાએશ'ના નામનું કોઈ 'દુર્જન જૂથ' અસ્તિત્વ જ નથી ધરાવતું." તેઓ એમનો ઉલ્લેખ આતંકવાદીઓ તરીકે કરે છે. "ગદ્દારોનું જૂથ છે, જેણે ઇસ્લામિક સરકારની સામે બળવો કર્યો છે."
આઈએસ દ્વારા અફઘાનિસ્તાન માટે અલગ જૂથ કે સમૂહનું ગઠન કરવામાં આવ્યું છે, જેને 'આઈએસ-ખોરસાન' એવું નામ આપવામાં આવ્યું છે. જે મધ્ય-એશિયાનું પ્રાચીન નામ છે.
વર્ષ 2015માં આ જૂથે પ્રથમ વખત પોતાની હાજરી નોંધાવી હતી તથા અનેક ઘાતક હુમલાઓ કર્યા હતા. જ્યારથી તાલિબાને સત્તા સંભાળી છે, ત્યારથી આ જૂથે એવા-એવા વિસ્તારોમાં આત્મઘાતી હુમલાઓને અંજામ આપ્યો છે, જ્યાં અગાઉ ક્યારેય તેમની હાજરી જોવા નહોતી મળી.
ઑક્ટોબર મહિનાની શરૂઆતમાં આઈએસએ ઉત્તર અફઘાનિસ્તાનના કુંદૂઝ તથા તાલિબાનોના પ્રભુત્વવાળા કંધારમાં લઘુમતી શિયા સમુદાયની મસ્જિદો ઉપર હુમલા કર્યા હતા.

આઈએસ, અફઘાનિસ્તાન અને અશાંતિ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
ડૉ. બશીર ભારપૂર્વક દાવો કરે છે કે આ બધું ચિંતાજનક નથી.
તેઓ કહે છે, "અમે વિશ્વને કહેવા માગીએ છીએ કે ચિંતાનું કોઈ કારણ નથી. જો દેશદ્રોહીઓનું એક નાનકડું જૂથ આ પ્રકારના હુમલા કરે છે, તો ઇન્શાઅલ્લાહ જેવી રીતે યુદ્ધભૂમિમાં 52 દેશોના ગઠબંધનને પરાજય આપ્યો, એવી રીતે આમને પણ હરાવી દઈશું."
લગભગ બે દાયકા સુધી આંતરિક લડાઈને જોનારા ડૉ. બશીર ઉમેરે છે, "ગોરિલ્લા લડાઈને અટકાવવી અમારા માટે સહેલી છે."
અફઘાનિસ્તાનીઓ, તેના પાડોશી દેશો તથા પશ્ચિમ પણ લાંબી લડાઈથી થાકી ગયા છે અને એટલે જ આઈએસને કારણે આશંકિત છે. અમેરિકાના અધિકારીઓને આશંકા છે કે અફઘાનિસ્તાનમાં રહેલું આઈએસ આગામી છથી 12 મહિનાની અંદર વિદેશની ધરતી ઉપર હુમલા કરવાને માટે સક્ષમ થઈ જશે.
હાલમાં આઈએસના કબજામાં અફઘાનિસ્તાનનો કોઈ પ્રાંત કે વિસ્તાર નથી. અગાઉ આ જૂથ અફઘાનિસ્તાનના નંગરાહાર તથા કુનાર પ્રાંતમાં પોતાની પેઠ જમાવી શક્યું હતું. એ સમયે તાલિબાન, અફઘાનિસ્તાનની સેના તથા અમેરિકાએ હવાઈ હુમલા કરીને તેમની કમર તોડી નાખી હતી.
આઈએસના લડવૈયાઓની સંખ્યા અમુક હજાર હોવાનું અનુમાન મૂકવામાં આવે છે, જેની સામે તાલિબાનોની સંખ્યા 70 હજાર જેટલી છે અને હવે તેમની પાસે આધુનિક અમેરિકન હથિયારો પણ છે.

તાલિબાનથી મોહભંગની પરિસ્થિતિ

ઇમેજ સ્રોત, Marcus Yam
એવી આશંકા સેવાઈ રહી છે કે આઈએસ મધ્ય એશિયાના અન્ય દેશો તથા પાકિસ્તાનમાંથી નવા લડવૈયાઓની ભરતી કરી શકે છે અને તાલિબાનથી મોહભંગ થયેલા લડવૈયાઓને પણ પોતાની તરફ આકર્ષી શકે છે.
અમેરિકાને આશા છે કે અફઘાનિસ્તાનની બહાર રહીને પણ "ઑવર ધ હૉરાઇઝન" હુમલાઓ દ્વારા તેઓ આઈએસને ટાર્ગેટ કરી શકે છે. જ્યારે તાલિબાનને લાગે છે કે તેઓ એકલપંડે આઈએસને પહોંચી વળશે.
અમુક સભ્યો આઈએસથી અલગ થઈને તાલિબાન તથા તેનાથી જરાક અલગ એવા પાકિસ્તાની તાલિબાન સાથે ભળી ગયા છે. એક તાલિબાની નેતાએ મને કહ્યું હતું, "તેઓ અમને ઓળખે છે અને અમે તેમને ઓળખીએ છીએ."
નંગરાહારમાં તાજેતરના સમયમાં આઈએએસના અનેક સભ્યોએ ડૉ. બશીરની ટુકડી સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. એક પૂર્વ તાલિબાની લડવૈયાના કહેવા પ્રમાણે, આઈએસ સાથે જોડાયા બાદ તેનો મોહભંગ થઈ ગયો હતો.
તાલિબાન વારંવાર કહેતું રહ્યું છે કે તેનો હેતુ માત્ર અને માત્ર અફઘાનિસ્તાનમાં 'ઇસ્લામિક અમિરાત'ની સ્થાપના કરવાનો છે. બીજી બાજુ, આઈએસ આંતરરાષ્ટ્રીય મહત્ત્વકાંક્ષા ધરાવે છે. આ તાલિબાની નેતાએ મને કહ્યું :
"આઈએસ બધાને ધમકીઓ આપશે, સમગ્ર વિશ્વને ધમકાવશે. તેઓ સમગ્ર વિશ્વ ઉપર શાસન કરવા માગે છે, પરંતુ તેમની કથણી અને કરણીમાં અંતર છે, તેઓ અફઘાનિસ્તાનની ઉપર સત્તા સ્થાપવા જેટલા પણ શક્તિશાળી નથી."

નવો ખતરો
કેટલાક અફઘાનીઓને ચિંતા છે કે આઈએસના હુમલાઓથી દેશમાં "નવી રમત" શરૂ થઈ જશે. જલાલાબાદમાં માત્ર તાલિબાનો ઉપર જ નહીં, પરંતુ સામાન્ય નાગરિકો ઉપર પણ હુમલા થઈ રહ્યા છે.
ઑક્ટોબર મહિનાની શરૂઆતમાં અબ્દુલ રહેમાન માવેન એક લગ્નસમારંભમાં ભાગ લઈને પરત ફરી રહ્યા હતા, ત્યારે હથિયારધારીઓએ તેમના વાહન ઉપર ગોળીબાર શરૂ કરી દીધો હતો.
તેમના 10 તથા 12 વર્ષના બે દીકરા ઝૂકી જવાને કારણે બચી ગયા, પરંતુ તેમના પિતા ઠાર મરાયા હતા. આઈએસે નિવેદન બહાર પાડીને આ હુમલાની જવાબદારી લીધી હતી.
સાક્ષી એવા મૃતકના ભાઈ શાહ નૂરના કહેવા પ્રમાણે, "દિલથી કહું છું કે જ્યારે અફઘાનિસ્તાનની ઉપર તાલિબાનની સત્તા સ્થપાઈ ત્યારે અમે ખૂબ જ ખુશ હતા."
"અમને આશા હતી કે ભ્રષ્ટાચાર, હત્યાઓ અને વિસ્ફોટો અટકી જશે. પરંતુ હવે લાગે છે કે અમારી ઉપર નવો વિચાર થોપવામાં આવી રહ્યો છે, જેનું નામ દાએશ છે."



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















