You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'અફઘાનિસ્તાનથી આતંકવાદ કાશ્મીર સુધી ફેલાઈ શકે છે'
અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ ભારતમાં રશિયાના રાજદૂત નિકોલાય કુદાશેવે કહ્યું છે કે રશિયા અને ભારતની એક 'સંયુક્ત ચિંતા' છે કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ આતંકવાદ ફેલાવવા માટે ન થવો જોઈએ.
તેમણે કહ્યું કે રશિયન વિસ્તારની સાથોસાથ કાશ્મીરમાં પણ 'જોખમ'ની આશંકા છે.
સમાચાર સંસ્થા પીટીઆઈ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનની સ્થિતિને લઈને રશિયા અને ભારતની સ્થિતિમાં ખાસ ફેર નથી.
જોકે, તેમણે એ સ્પષ્ટ પણ કર્યું કે અફઘાનિસ્તાનમાં રચાઈ રહેલી તાલિબાનની સરકારને માન્યતા આપવી ભારે ઉતાવળ લેખાશે.
તેમણે એવું પણ કહ્યું કે તાલિબાનને માન્યતા તેના દ્વારા કરાયેલાં કામોના પાયા પર મળશે.
રાજદૂતે એવું ઉમેર્યું કે રશિયા અફઘાનિસ્તાનમાં એક 'સમાવેશી સરકાર' જોવા માગે છે, જે સુરક્ષા, સ્થિરતા અને પૂર્વાનુમાનને સુનિશ્ચિત કરી શકે.
તાલિબાનનો પંજશીર પર કબજાનો દાવો
તાલિબાને દાવો કર્યો છે કે તેમણે પંજશીર પર સંપૂર્ણ કબજો કરી લીધો છે. જોકે, વિરોધી નેશનલ રેઝિસ્ટન્સ ફ્રન્ટે આ દાવ ફગાવી દીધો છે.
તાલિબાનના પ્રવક્તાએ કહ્યું કે, "આ વિજય સાથે દેશ હવે યુદ્ધમાંથી સંપૂર્ણ બહાર આવી ગયો છે. જોકે, નેશનલ રેઝિસ્ટન્સ ફ્રન્ટે કહ્યું કે, તાલિબાને પંજશીર કબજે નથી કર્યું, એમનો દાવો ખોટો છે. અગાઉ અફઘાનિસ્તાનના પંજશીરમાં જારી સંઘર્ષ વચ્ચે વિરોધી સમૂહે કહ્યું હતું કે તાલિબાન સાથે શાંતિમંત્રણા માટે તેમના દરવાજા ખુલ્લા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પંજશીરમાં વિજયના દાવા સાથે તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે પત્રકારો સાથે વાતચીત કરી.
જબીહુલ્લાહ મુજાહિદે કહ્યું "પંજશીર ખીણને સંપૂર્ણ સાફ કરી દેવામાં આવી છે અને પંજશીરની લડાઈમાં કોઈ પણ સામાન્ય નાગરિકનું મૃત્યુ નથી થયું."
એમણે કહ્યું, "તાલિબાને જ્યારે પણ સંવાદની કોશિશ કરી તો વિરોધી જૂથોએ નકારાત્મક જવાબ આપ્યો અને અંતિમ ખૂણામાંથી આંતકવાદને સમાપ્ત કરવા તાલિબાને સૈન્ય દળ મોકલ્યું."
એમણે કહ્યું કે, "પંજશીરમાં આજે જ વીજળી અને ઇન્ટરનેટ સેવા શરૂ કરી દેવામાં આવશે." ઉલ્લેખનીય છે કે તાલિબાને પંજશીરની વીજળી, ફોન અને ઇન્ટરનેટ સેવા ખોરવી નાખી હતી.
એમણે દાવો કર્યો છે કે "પૂર્વ રાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહ દેશ છોડીને ભાગી ગયા છે."
જબીહુલ્લાહે કહ્યું, "પંજશીર જે લોકોનાં નિયંત્રણમાં હતું તે લોકો ગાયબ છે. અફઘાનિસ્તાન એમનું ઘર છે અને તેઓ જ્યારે ઇચ્છે પરત ફરી શકે છે."
એમણે એમ પણ કહ્યું કે "પંજશીરમાંથી જે હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે અફઘાનિસ્તાનના હથિયાર ભંડોળમાં જમા કરવામાં આવશે."
ગત અઠવાડિયે અગાઉ તાલિબાને ત્રણ દિવસમાં નવી સરકારની રચનાની વાત કરી હતી જોકે આજની પત્રકારો સાથેની વાતચીતમાં નવી સરકારની રચના અંગે કોઈ વાત કરવામાં નથી આવી.
પત્રકારોએ જબીહુલ્લાહને નવી સરકાર અંગે કરેલા સવાલમાં એટલું જ કહેવામાં આવ્યું કે તે "સર્વસમાવેશી" હશે પણ કોઈ વિગતો નથી આપવામાં આવી.
આ દરમિયાન નેશનલ રેઝિસ્ટન્સ ફ્રન્ટના નેતા અહમદ મસૂદે એક ટ્વિટ કરીને કહ્યું છે કે તેઓ સુરક્ષિત છે. અત્યાર સુધી નેશનલ રેઝિસ્ટન્સ ફ્રન્ટ તાલિબાનની જીતનો ઇનકાર કરી રહ્યું હતું.
ત્રણ સપ્ટેમ્બરે મસૂદે ટ્વિટ કરીને કહ્યું હતું કે તાલિબાને પંજશીર કબજે કરી લીધું એવી વાત પાકિસ્તાની મીડિયા કરે છે પણ એ ખોટી છે. પંજશીર કબજે થશે એ મારો અંતિમ દિવસ હશે.
અહમદ મસૂદે કહ્યું છે કે તેમણે એક યોજનાનું સમર્થન કર્યું છે, જે એક સમજૂતી માટે છે. સાથે જ તેમણે તાલિબાન વિરુદ્ધ ચાલી રહેલો સંઘર્ષ ખતમ કરવા અંગે પણ કહ્યું છે.
સમાચાર સંસ્થા એએફપીએ જણાવ્યું છે કે તાલિબાનવિરોધી નેશનલ રેઝિસ્ટન્ટ ફ્રન્ટે ભાર નુકસાનના અહેવાલો બાદ પંજશીરમાં યુદ્ધવિરામનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. નેશનલ રેઝિસ્ટન્ટ ફ્રન્ટનું કહેવું છે કે તાલિબાન પંજશીરમાંથી નીકળી જાય અને તેના બદલામાં તે લશ્કરી કાર્યવાહી નહીં કરે.
આ પહેલાં એક અહેવાલમાં જણાવ્યું હતું કે તાલિબાને પંજશીરમાં ઝડપથી પોતાની પકડ જમાવી લીધી છે.
રાજધાની કાબુલની ઉત્તરે આવેલા આ પ્રાંતે તાલિબાનના શાસન સામે વિદ્રોહ કર્યો છે.
ત્રણ અઠવાડિયાં પહેલાં 15 ઑગસ્ટે તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો હતો.
બે દિવસ અગાઉ પણ તાલિબાને આવો દાવો કર્યો હતો જેને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહે ફગાવી દીધો હતો. ત્યારે સાલેહે બેઉ પક્ષોને નુકસાન થયું હોવાનું કહ્યું હતું.
ઉલ્લેખનીય છે તાલિબાને કાબુલ કબજે કર્યું એ પછી રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડી દીધો હતો અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહે પોતાને કાર્યકારી રાષ્ટ્રપતિ જાહેર કર્યાં હતા.
રાજધાની કાબુલની ઉત્તરે આવેલી પંજશીર ખાઈ એ અફઘાનિસ્તાનનો એ નાનો અને એકમાત્ર પ્રાંત છે, જેને તાલિબાન કબજે કરી શક્યું નથી.
પહાડોની પાછળ લપાયેલા આ પ્રાંતમાં અંદાજે દોઢથી બે લાખ લોકો વસે છે.
અફઘાનિસ્તાનમાં ગૃહયુદ્ધની અમેરિકાની સેનાના જનરલની ચેતવણી
તાલિબાને પંજશીર કબજે કરી લીધું હોવાનો દાવો કર્યો હતો પરંતુ તેને પોતાને કાર્યકારી રાષ્ટ્રપતિ ઘોષિત કરનાર અમરુલ્લાહ સાલેહે તે ફગાવી દીધો છે.
અમેરિકન સેનાની વાપસી અને અફઘાનિસ્તાન કબજે કર્યા પછી પણ પંજશીરની ખીણ હજી એક કોયડો બનેલી છે અને ત્યાં તાલિબાન અને વિરોધીઓ વચ્ચે યુદ્ધની સ્થિતિ છે.
પંજશીર અફઘાનિસ્તાનનો એ વિસ્તાર છે જે હજી તાલિબાનના નિયંત્રણમાં નથી અને તે વર્ષોથી તાલિબાનવિરોધી શક્તિઓનો ગઢ રહ્યો છે.
પંજશીર અફઘાનિસ્તાનની રાજધાની કાબુલથી 150 દૂર ઈશાન દિશામાં પહાડો વચ્ચે ઘેરાયેલો ખીણ વિસ્તાર છે, જે આજેય તાલિબાન સામે પડકાર બનીને ઊભી છે અને આ ખીણના પ્રદેશમાં છેલ્લાં 40 વર્ષોથી કોઈ પણ વિદેશી દળો પ્રવેશી શક્યાં નથી.
હાલ તેનું નિયંત્રણ પૂર્વ મુજાહિદ્દીન કમાન્ડર અહમદ શાહ મસૂદના પુત્ર અહમદ મસૂદના હાથમાં છે.
ગૃહયુદ્ધની શક્યતા - અમેરિકન જનરલ
જૉઇન્ટ ચીફ્સ ઑફ સ્ટાફના અધ્યક્ષ એવા અમેરિકન જનરલ માર્સ મિલેએ અફઘાનિસ્તાનમાં ગંભીર પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
માર્ક મિલિએ કહ્યું, "મને લાગે છે કે અફઘાનિસ્તાનની સ્થિતિ ગૃહયુદ્ધમાં ફેરવાય, એવી પ્રબળ શક્યતા છે."
"મને ખ્યાલ નથી કે તાલિબાન સત્તા મજબૂત કરવા માટે અને શાસન સ્થાપવા માટે સક્ષમ છે કે નહીં."
ફૉક્સ ન્યૂઝ સાથે વાત કરતાં મિલિએ કહ્યું કે "તાલિબાન એક મજબૂત અને સ્થિર શાસન સ્થાપવામાં અસફળ રહે તો આગામી ત્રણ વર્ષમાં અલ-કાયદાનું પુનર્ગઠન થઈ શકે અથવા આઈએસઆઈએસ કે અન્ય ઉગ્રવાદી સંગઠનો વિકસિત થાય, એવું પણ બની શકે."
પંજશીરમાં હાલની સ્થિતિ અને તેનું આકલન
તાલિબાને પંજશીર કબજે કરી લીધું હોવાનો દાવો કર્યો હતો જેને અમરુલ્લાહ સાલેહે ફગાવી દીધો છે. હાલ બેઉ પક્ષો પંજશીરમાં સામસામે મોટું નુકસાન કર્યું હોવાનો દાવો કરે છે.
પંજશીરમાં અફઘાન સુરક્ષા દળના જવાનો, સ્થાનિક નેતા અહમદ મસૂદના વડપણ હેઠળના મુજાહિદ્દીનો તાલિબાનનો સામનો કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે તાલિબાને અફઘાનિસ્તાન કબજે કર્યું એ પછી પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહે પોતાને કાર્યકારી રાષ્ટ્રપતિ ઘોષિત કર્યાં છે અને તાલિબાનનો મુકાબલો કરવાની વાત કરી છે તો અહમદ શાહ મસૂહના પુત્ર અહમદ મસૂદે પણ તે પિતાને પગલે ચાલી તાલિબાનને લડત આપશે એમ કહેલું છે.
હાલની સ્થિતિ મુશ્કેલ છે એવો એકરાર અમરુલ્લાહ સાલેહે કર્યો છે. તાલિબાને પંજશીર પ્રાંતની ફોન લાઇન, ઇન્ટરનેટ સેવા અને વીજળી લાઇન ખોરવી નાખી છે.
અમરુલ્લાહ સાલેહે બીબીસીને કહ્યું કે હાલની લડાઈમાં બેઉ પક્ષોને નુકસાન થયું છે.
એમણે કહ્યું કે, અમે કપરી સ્થિતિમાં છીએ એ બાબતે શંકા નથી, અમારી પર તાલિબાને આક્રમણ કર્યું છે પણ અમે શરણે નહીં થઈએ.
બીબીસી સંવાદદાતા યલદા હકીમનું આકલન છે કે તાલિબાન અને વિરોધી દળો વચ્ચે આવનાર અઠવાડિયાઓ નિર્ણાયક બની શકે છે. તાલિબાન નવી સરકારની રચના અગાઉ સાલેહ અને તેમના સહયોગી દળોને કચડી નાખવા માગે છે પરંતુ જો ઑક્ટોબરના અંત સુધીમાં આ હિંસક સ્થિતિ અંજામ સુધી નહીં પહોંચે તો પછી કાતિલ શિયાળો સમીકરણો ફેરવશે.
સાલેહનું નેશનલ રેઝિસ્ટન્ટસ ફ્ર્ન્ટ સમય પસાર કરી રહ્યું છે. જો તાલિબાનવિરોધી દળો અમુક અઠવાડિયા સુધી ટકી રહેશે તો એમને આગામી તૈયારી માટે અને વિશ્વના દેશોની મદદ માટે પાંચ મહિનાનો સમય મળી જશે.
હાલ તાલિબાન નવી સરકારની જાહેરાત કરે એવી આશા સેવાઈ રહી છે ત્યારે વિશ્વના દેશો અફઘાનિસ્તાનની નવી વાસ્તવિકતા તાલિબાન સાથે પનારો પાડવાની તૈયારીમાં છે. પાકિસ્તાનની ખૂફિયા સંસ્થા આઈએસઆઈના વડા ફૈઝ હમીદ કાબુલમાં મંત્રણા માટે છે અને તેઓ તાલિબાન અફઘાનની સેનાને ફરી ગઠિત કરી લે એમાં મદદરૂપ બની શકે છે.
આ રવિવારે અમેરિકાના સ્ટેટ વિદેશ સચિવ એન્ટની બ્લિંકન કતારનો પ્રવાસ કરવાના છે. કતારની મધ્યસ્થીમાં મહત્ત્વની ભૂમિકા છે અને તાલિબાનની રાજકીય ઑફિસ દોહામા છે. જોકે, બ્લિંકન તાલિબાનના ટોચના નેતાઓઓને મળશે એવી હાલ કોઈ વાત નથી.
બીજી તરફ યુરોપિયન યુનિયન અને યુકેએ કહ્યું છે કે તેઓ ઇસ્લામિસ્ટ ગ્રૂપ સાથે ડીલ કરશે પણ તેમને અફઘાનિસ્તાનના શાસક તરીકે નહીં સ્વીકારે.
હાલ કાબુલમાં હાજર બીબીસીના ચીફ ઇન્ટરનેશનલ સંવાદદાતા લિસ ડુસેંટે કહ્યું છે કે તાલિબાનને આંતરરાષ્ટ્રીય માન્યતા જોઈએ છે અને તે પણ પોતાની શરતો પર જોઈએ છે. જો પશ્ચિમના દેશો એની સાથે ડીલ નહીં કરે તો રશિયા, ચીન અને પાકિસ્તાન કરશે.
અફઘાન મહિલાઓનું સમાન અધિકારો માટે તાલિબાન સામે વિરોધપ્રદર્શન
તાલિબાને અફઘાનિસ્તાન કબજે કર્યાં બાદ એક તરફ પંજશીરની ખીણમાં લડત ચાલી રહી છે, તો બીજી તરફ કાબુલમાં મહિલા કર્મશીલોએ મહિલાઓની સમાન ભાગીદારી માટે તાલિબાન સામે વિરોધપ્રદર્શન યોજ્યું છે.
આ વિરોધપ્રદર્શન હિંસક બન્યું હોવાનું અને તેને વિખેરવા માટે તાલિબાન દ્વારા ટિયરગૅસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું સમાચાર સંસ્થા લખે છે.
અલગ-અલગ બેનરો અને ગુલદસ્તા સાથે મહિલાઓએ નવી સરકારમાં સમાન તક અને નિર્ણયાત્મક પદો પર મહિલાઓની ભાગીદારીની માગ કરી છે.
ઉલ્લેખનીય છે કે બીબીસીની પશ્તો સેવા સાથેની મુલાકાતમાં તાલિબાને મહિલાઓને નવી સરકારમાં સ્થાન મળશે, એમ તો કહ્યું હતું. જોકે તેમને કયા હોદ્દાઓ આપવામાં આવશે, એ અંગે કંઈ પણ કહેવા ઇનકાર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનના સહસ્થાપક મુલ્લા બરાદરના વડપણની નવી સરકાર રચાશે એમ જણાવવામાં આવી રહ્યું છે.
'અભેદ્ય કિલ્લો' મનાતા પંજશીર પર કબજાનો તાલિબાનનો દાવો
પંજશીર કે જે અફઘાનિસ્તાનનો અભેદ્ય કિલ્લો મનાય છે, તેની પર કબજો કરવા માટે તાલિબાન મથી રહ્યું છે અને પરિણામે ત્યાં થઈ રહેલી લડાઈએ મોટું સ્વરૂપ ધારણ કર્યું છે.
તાલિબાનનાં સૂત્રોએ સમાચાર એજન્સી રૉયટર્સને કહ્યું છે કે તેમણે પંજશીર ખીણના વિસ્તારને કબજે કરી લીધો છે, પણ તેમની સામે લડી રહેલા રેઝિસ્ટન્સ લડાકુઓ આ વાતથી ઇનકાર કરે છે.
રેઝિસ્ટન્સના નેતા અમરુલ્લા સાલેહ નાસી છૂટ્યાના દાવા કરાતા હતા, જોકે તેમણે આ દાવો ખોટો હોવાનું જણાવ્યું છે. સાથે જ તેમણે કહ્યું છે કે સ્થિતિ 'કપરી' છે.
પંજશીરની લડાઈમાં સેંકડો લોકોનાં મૃત્યુ થયાંના અહેવાલો પણ આવી રહ્યા છે.
રાજધાની કાબુલની ઉત્તરે આવેલી પંજશીર ખાઈ એ અફઘાનિસ્તાનનો એ નાનો અને એકમાત્ર પ્રાંત છે, જેને તાલિબાન કબજે કરી શક્યું નથી.
પહાડોની પાછળ લપાયેલા આ પ્રાંતમાં અંદાજે દોઢથી બે લાખ લોકો વસે છે.
બીબીસીને મોકલેલા વીડિયો સંદેશમાં અફઘાનિસ્તાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ સાલેહ જણાવે છે કે બંને તરફ અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.
તેમણે કહ્યું, "એમાં કોઈ શંકા નથી કે અમે મુશ્કેલ સ્થિતિમાં છીએ, અમે તાલિબાનના આક્રમણનો સામનો કરી રહ્યા છીએ."
"અમે સરન્ડર નહીં જ કરીએ, અમે અફઘાનિસ્તાન માટે ઊભા છીએ."
તેમણે કહ્યું કે તેમના નાસૂ છૂટવા અંગેના અહેવાલો ખોટા છે અને તે સાબિત કરવા માટે જ તેઓ આ વીડિયો મોકલી રહ્યા છે.
જોકે બીબીસી આ વીડિયોને સ્વતંત્રપણે ચકાસી શક્યું નથી.
અફઘાનિસ્તાનમાં પાઠ ભણ્યા બાદ પણ નથી સુધરી રહ્યાં પશ્ચિમનાં રાષ્ટ્રો : પુતિન
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે કહ્યું કે અફઘાનિસ્તાનમાં પાઠ ભણ્યા બાદ પણ પશ્ચિમનાં રાષ્ટ્રો બીજા દેશો પર પોતાની નીતી લાગુ કરવાના પ્રયાસો કરી રહ્યાં છે.
રશિયન સમાચાર સંસ્થા 'તાશ' અનુસાર પુતિને પશ્ચિમના દેશો પર પોતાનાં મૂલ્યો લાગુ કરાવવાનો આરોપ લગાવ્યો.
તેમણે કહ્યું, "શું આ પશ્ચિમના પ્રભુત્વનો અંત છે? આખરે મામલો શો છે? મામલો એ છે કે પાઠ હાજર છે અને તેને યોગ્ય રીતે સમજીને નીતિમાં ફેરફાર લાવવો જોઈએ."
રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે આ માત્ર એ દેશોની ચિંતા નથી, પણ એશિયા-પ્રશાંતનાં રાષ્ટ્રો પણ આ મામલે ચિંતિત છે.
તેમણે કહ્યું, "એ વાત લૅટિન અમેરિકા સમેત વિશ્વનાં બીજાં સ્થાનો પર પણ લાગુ પડે છે. જો કોઈ વ્યાપક નિષ્કર્ષ કાઢવામાં આવો તો આપણે વિશ્વના રાજકારણમાં કોઈ વૈશ્વિક પરિવર્તન જોઈ રહ્યા છીએ. આ પ્રભુત્વનો અંત છે કે કેમ એ વાત આતંરરાષ્ટ્રીય સ્તરે હાજર દેશોની આર્થિક ક્ષમતા પર આધાર રાખે છે."
તાલિબાન પર અમારો પ્રભાવ પણ કંટ્રોલ નહી : પાકિસ્તાન
પાકિસ્તાનના ઇન્ફર્મેશન મિનિસ્ટર ફવાદ ચૌધરીએ શુક્રવારે કહ્યું છે કે અફઘાન તાલિબાન પર પાકિસ્તાનનો પ્રભાવ છે પણ કંટ્રોલ નથી. તેમણે એવું પણ કહ્યું કે અફઘાનિસ્તામાં સ્થિતિ એટલી ખરાબ નથી કે લોકોએ દેશ છોડીને જવું પડે.
તેમણે કહ્યું છે કે અફઘાન શરણાર્થીઓ હજુ પણ પાકિસ્તાનમાં નથી આવ્યા. પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં સ્થિરતા ઇચ્છે છે એવું પણ તેમણે કહ્યું.
ચૌધરીના જણાવ્યા અનુસાર પાકિસ્તાન કાબુલ ઍરપૉર્ટ ફરીથી શરૂ કરવાનો પ્રયાસ પણ કરી રહ્યું છે.
પંજશીરની લડાઈ ક્યાં પહોંચી? નેશનલ રેઝિસ્ટન્સ ફ્રંટે કેટલા તાલિબાની ઠાર કર્યા?
અફઘાનિસ્તાનની પંજશીર ખીણમાં તાલિબાન અને વિદ્રોહી લડવૈયાઓ વચ્ચે ભારે સંઘર્ષના સમાચાર મળી રહ્યા છે.
તાલિબાને કહ્યું છે કે તેણે કેટલાક વિસ્તારો પર કબજો કરી લીધો છો અને 'નેશનલ રેઝિસ્ટન્સ ફ્રંટ'ને ભારે નુકસાન પહોંચાડ્યું છે.
જોકે, ફ્રંટનું કહેવું છે કે તેણે ખીણમાં પ્રવેશનારા તમામ રસ્તાઓ પર નિયંત્રણ રાખ્યું છે અને તાલિબાનના લગભગ 100 લડવૈયાઓને ઠાર કર્યા છે.
પંજશીર એકમાત્ર પ્રાંત છે કે જેના પર હજુ સુધી ઇસ્લામિક સંગઠન કબજો નથી કરી શક્યું. એવું માનવામાં આવી રહ્યું છે કે હજારો વિદ્રોહી લડવૈયાઓ ત્યાં એકઠા થયા છે.
આ વિરોધીદળમાં પૂર્વ રાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહ, અફઘાન સુરક્ષાદળના પૂર્વ સભ્યો અને સ્થાનિક મિલિશિયા સામેલ છે.
આ તમામનું નેતૃત્વ ત્યાંના કબિલાઈ નેતા અહમદ મસૂદ કરી રહ્યા છે.
મસૂદના પિતા અહમદશાહ મસૂદે 1980માં રશિયાથી અને 1990માં તાલિબાનથી પંજશીર બચાવી રાખ્યું હતું.
આ દરમિયાન અમેરિકાનાં રાજનેતા નિક્કી હેલીએ અફઘાનિસ્તાન પર ચેતવણી આપતાં કહ્યું છે કે ચીન બગરામ ઍરબેઝ પર કબજો કરવાનો પ્રયાસ કરી શકે છે.
સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત રહેલાં નિક્કી હેલીએ કહ્યું કે અફઘાનિસ્તાનમાં સૈન્ય ટુકડીઓને ઉતાવળે પરત બોલાવીને અમેરિકાના રાષ્ટ્રિપતિ જો બાઇડને અમેરિકાના સહયોગીઓનો વિશ્વાસ ગુમાવી દીધો છે.
તેમણે ચીન, પાકિસ્તાન અને ભારતના મુદ્દે પર ચેતવણી ઉચ્ચારતાં કહ્યું કે અમેરિકાની સરકારે ચીન પર નજર રાખવી જોઈએ.
તેમણે કહ્યું "આપણે ચીન પર નજર રાખવાની જરૂર છે, કેમ કે મને લાગે છે કે ચીન બગરામ ઍરફૉર્સ બેઝની તરફ આગળ વધતું જણાય છે. મને લાગે છે કે અફઘાનિસ્તાનમાં એ ડગ ભરી રહ્યું છે અને ભારત વિરુદ્ધ પાકિસ્તાનનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે."
અમેરિકા આઉટ, ચીન ઈન?
અમેરિકાનાં રાજનેતા નિક્કી હેલીએ અફઘાનિસ્તાન પર ચેતવણી આપતાં કહ્યું છે કે ચીન બગરામ ઍરબેઝ પર કબજો કરવાનો પ્રયાસ કરી શકે છે.
સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત રહેલાં નિક્કી હેલીએ કહ્યું કે અફઘાનિસ્તાનમાં સૈન્ય ટુકડીઓને ઉતાવળે પરત બોલાવીને અમેરિકાના રાષ્ટ્રિપતિ જો બાઇડને અમેરિકાના સહયોગીઓનો વિશ્વાસ ગુમાવી દીધો છે.
તેમણે ચીન, પાકિસ્તાન અને ભારતના મુદ્દે પર ચેતવણી ઉચ્ચારતાં કહ્યું કે અમેરિકાની સરકારે ચીન પર નજર રાખવી જોઈએ.
તેમણે કહ્યું "આપણે ચીન પર નજર રાખવાની જરૂર છે, કેમ કે મને લાગે છે કે ચીન બગરામ ઍરફૉર્સ બેઝની તરફ આગળ વધતું જણાય છે. મને લાગે છે કે અફઘાનિસ્તાનમાં એ ડગ ભરી રહ્યું છે અને ભારત વિરુદ્ધ પાકિસ્તાનનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે."
તો આ બધા વચ્ચે અફઘાનિસ્તાનમાં તાલિબાન ગુરુવારે પોતાની નવી સરકારની જાહેરાત કરી શકે છે.
તાલિબાનના વરિષ્ઠ નેતા અહમદુલ્લાહ મુત્તકીએ સોશિયલ મીડિયા પર જાણકારી આપી છે કે કાબુલમાં રાષ્ટ્રપતિભવન ખાતે એક સમારોહની તૈયારી કરાઈ રહી છે.
તાલિબાનના વરિષ્ઠ અધિકારીએ તાજેતરમાં જ સમાચાર સંસ્થા રૉયટર્સને કહ્યું હતું કે તાલિબાનના સર્વોચ્ચ નેતા મુલ્લા હિબ્તુલ્લાહ અખુંદઝાદાના નેતૃત્વમાં એક એવી શાસકીય પરિષદની રચના કરવામાં આવી શકે છે, જેના વડા રાષ્ટ્રપતિ હશે.
મુલ્લા હિબ્તુલ્લાહના ત્રણ ઉપ-પ્રમુખ છે. તેમાં તાલિબાનના સંસ્થાપક મુલ્લા ઉમરના પુત્ર મોલવી યાકૂબ, હક્કાની નેટવર્કના પ્રમુખ સિરાજુદ્દીન હક્કાની અને તાલિબાનના સંસ્થાપક સભ્યોમાંથી એક અબ્દુલ ઘની બરાદરનો સમાવેશ થાય છે.
તાલિબાને આ પહેલાં 1996થી 2001માં પોતાના શાસનકાળમાં આવી જ એક પરિષદના સહારે શાસન કર્યું હતું, જેમાં કોઈ ચૂંટણી યોજાઈ નહોતી.
એ વખતે તાલિબાન સરકારે બર્બરતાપૂર્વક અફઘાનિસ્તાનમાં શરિયતનો કાયદો લાગુ કર્યો હતો.
આ દરમિયાન અમેરિકાના ટોચના જનરલે તાલિબાનને 'ક્રૂર જૂથ' ગણાવ્યું છે અને કહ્યું છે કે તેઓ બદલાશે કે કેમ એ સ્પષ્ટ નથી.
જનરલ માર્ક મિલેએ કહ્યું છે કે, એવી સંભાવનાને નકારી ન શકીએ કે અમેરિકા ભવિષ્યમાં ઉગ્રવાદવિરોધી અભિયાન માટે ઇસ્લામી ઉગ્રવાદીઓ સાથે કો-ઑર્ડિનેટ કરે.
અમેરિકાની સેના પરત આવી એ પછી પહેલી વખત જાહેરમાં સેનાના ટોચના અધિકારીએ નિવેદન આપ્યું છે.
બુધવારે પત્રકારપરિષદમાં જનરલ મિલેએ આ નિવેદન આપ્યું એ વખતે તેમની સાથે અમેરિકાના સંરક્ષણ મામલાના સચિવ લૉયડ ઑસ્ટિન પણ હાજર હતા.
અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર અંગે ચીનનું વલણ કેવું રહેશે?
ચીનના વિદેશમંત્રાલયે ફરી એક વાર તાલિબાનને અફઘાનિસ્તાનમાં એક સંયુક્ત મોરચાવાળી સરકાર બનાવવા વિનંતી કરી છે. આ સિવાય તેમણે આતંકવાદી જૂથ સાથેના સંબંધો કાપી નાખવા પણ જણાવ્યું છે.
ચીનના વિદેશમંત્રાલયના પ્રવક્તા વૅન્ગ વેનબિને અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપિત કરવા અને તેને ફરી બેઠું કરવા માટે તાલિબાનની મદદ કરવાની ઑફર પણ કરી છે.
ચીનની સરકારી ન્યૂઝ એજન્સી 'ચાઇના ન્યૂઝ સર્વિસ' પ્રમાણે ચીનના વિદેશમંત્રાલયના પ્રવક્તાને પૂછવામાં આવ્યું હતું કે ચીન અફઘાનિસ્તાનમાં થોડા દિવસોમાં રચાવા જઈ રહેલી તાલિબાનના નેતૃત્વવાળી સરકારને માન્યતા આપશે કે કેમ?
પહેલાં પ્રવક્તાએ કહ્યું હતું કે ચીન કાબુલમાં સરકારની રચના થાય ત્યાં સુધી રાહ જોશે અને એ બાદ જ માન્યતાના પ્રશ્નને હાથ પર લેશે.
જોકે, બુધવારે વૅન્ગ વેનબિને કહ્યું હતું : "ચીનને આશા છે કે અફઘાનિસ્તાનના તમામ પક્ષો અફઘાનિસ્તાનની જનતાની ઇચ્છાઓ અને આંતરરાષ્ટ્રીય સમુદાયની અપેક્ષાઓનું સન્માન કરશે. ખુલ્લી અને સહભાગીદારીવાળી રાજકીય પ્રણાલી તેમજ નરમ વલણવાળી નીતિઓ વિકસિત કરો. ઉગ્રવાદી સંગઠન સાથેના સબંધો કાપી નાખો."
તાલિબાને કહ્યું, "અફઘાનિસ્તાનમાં ત્રણ દિવસમાં નવી સરકાર, મહિલાઓ પણ હશે"
અમેરિકાએ બે દાયકા બાદ મિશન અફઘાનિસ્તાન સંકેલી લીધા પછી દેશની રાજકીય સ્થિતિ ડામાડોળ છે ત્યારે તાલિબાને ત્રણ દિવસમાં નવી સરકારની રચના થશે એમ કહ્યું છે.
બીબીસીની પશ્તો રેડિયો સેવાને આપેલી ખાસ મુલાકાતમાં શેર મહોમ્મદ અબ્બાસ સ્તનિકઝાઈએ આ માહિતી આપી છે.
શેર મહોમ્મદ અબ્બાસ સ્તનિકઝાઈ કતારમાં આવેલી તાલિબાનની રાજકીય ઑફિસના ડેપ્યુટી હેડ છે અને હાલની મંત્રણાની ટીમમાં પણ સામેલ છે.
એમણે કહ્યું કે "નવી સરકારમાં જે લોકો બે દાયકાથી સરકારમાં છે એમનો સમાવેશ નહીં કરવામાં આવે."
એમણે કહ્યું, "એમાં કોઈ શંકા નથી કે ઇસ્લામિક અમીરાત ઑફ અફઘાનિસ્તાન નવી સરકાર બનાવશે અને તેને આંતરિક અને બાહ્ય ટેકો હશે."
એમણે દાવો કર્યો છે કે "નવી સરકાર સર્વસમાવેશી નીતિ અપનાવશે અને તમામનું પ્રતિનિધિત્વ હશે." એમણે એમ પણ કહ્યું કે નવી સરકારમાં શિક્ષિત લોકો હશે.
અગાઉ તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે કહ્યું હતું કે ટોચના નેતા મુલ્લા હબીબુલ્લાહ અખુંદઝાદાની આગેવાનીમાં નવી સરકારની રચના અંગેની ત્રણ દિવસીય બેઠક કંદહારમાં પૂર્ણ થઈ છે.
અમુક સૂત્રોએ બીબીસીને કહ્યું કે, મુલ્લા હબીબુલ્લાહ અખુંદઝાદા ત્રણ દિવસની બેઠકમાં હાજર હતા.
શેર મહોમ્મદ અબ્બાસ સ્તનિકઝાઈએ કહ્યું કે, "સરકારમાં મહિલાઓની પણ ભાગીદારી હશે. જોકે, મહિલાઓને મહત્ત્વનો હોદ્દો આપવામાં આવશે કે નહીં તે બાબતે કોઈ ચોખવટ ન કરી."
એમણે કહ્યું "મોટી સંખ્યામાં મહિલાઓ સરકારમાં હશે એ બાબતે કોઈ શંકા નથી પણ તેઓ મહત્ત્વનો હોદ્દે હશે એ હું ન કહી શકું."
એમણે કહ્યું, "નવી સરકારમાં મહિલાઓને કામ કરવામાં કોઈ તકલીફ નહીં પડે."
તો શું દુનિયા અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકારને માન્યતા આપશે આ સવાલના જવાબમાં તેમણે કહ્યું, "અમને ખાતરી છે કે દરેક માન્યતા આપશે કારણ કે બે દાયકા બાદ શાંતિ સ્થાપિત થવા જઈ રહી છે અને સમગ્ર અફઘાનિસ્તાનમાં યુદ્ધ ન થાય એ માટે જ સરકાર રચવામાં આવી રહી છે."
એમણે દાવો કર્યો કે "40 વર્ષ પછી છેલ્લા 15 દિવસ એવા છે જે અફઘાનિસ્તાનમાં યુદ્ધ નથી."
એમણે એમ પણ કહ્યું કે "શાંતિ ફક્ત અફઘાનિસ્તાનને જ નહીં દુનિયા માટે પણ લાભકારી હશે."
વર્તમાન સ્થિતિમાં અમેરિકા અને અન્ય સહયોગી દેશોની સેનાને મદદ કરનારા અફઘાન લોકો પર જોખમ છે ત્યારે શું દેશ છોડવા માગનાર અફઘાન નાગરિકને જવા દેવામાં આવશે એ સવાલના જવાબમાં એમણે કહ્યું કે "જેમની પાસે કાયદાકીય દસ્તાવેજ હશે એમને જવા દેવામાં આવશે."
શેર મહોમ્મદ અબ્બાસ સ્તનિકઝાઈએ કહ્યું કે, કાબુલનું ઍરપૉર્ટ બે દિવસમાં ઍક્ટિવ થઈ જશે. ઍરપૉર્ટના સમારકામનો ખર્ચ કતાર અને તુર્કી આપશે.
બ્રિટન સેનાની મદદ કરનાર અફઘાન લોકોને કાયમી નાગરિકત્વ આપશે
અમેરિકાએ અફઘાનિસ્તાન મિશન પૂર્ણ થવાની જાહેરાત ભલે કરી પણ હજી અનેક વિદેશી નાગરિકો અફઘાનિસ્તાનમાં છે. આમાં અનેક બ્રિટિશ નાગરિકો છે અને સહયોગી દેશોની સેનાને મદદ કરનાર અફગાન લોકો ઉપર પણ હજી ખતરો ગણાવાઈ રહ્યો છે.
બ્રિટન પોતાના નાગરિકો અને મદદ કરનાર અફઘાન લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે તાલિબાન સાથે વાતચીત કરી રહ્યું છે. આ વાતચીત દોહામાં થઈ રહી છે.
એવું માનવામાં આવે છે આશરે દોઢસોથી બસો લોકોને હજી કાઢવાના બાકી છે અને તેમની સાથે પરિવાર પણ છે.
બ્રિટન 13 ઑગસ્ટથી અફઘાન પુનર્વસન અને સહાયતા નીતિ અનુસાર 8 હજાર લોકોને ઍરલિફ્ટ કરી ચૂક્યું છે.
અમેરિકાની જેમ બ્રિટિશ સૈનિકોએ પણ અઠવાડિયા અગાઉ અફઘાનિસ્તાન છોડી દીધું હતું.
આ દરમિયાન બ્રિટને જાહેરાત કરી છે કે અફઘાનિસ્તાનમાં જે પણ લોકોએ સેનાની મદદ કરી છે તેઓ કાયમી ધોરણે બ્રિટનમાં રહી શકે છે. અગાઉ મદદ કરનાર લોકોને પાંચ વર્ષ માટે નાગરિકતા આપવાની નીતિ હતી.
વિદેશ સચિવ ડૉમિનિક રાબે એમ પણ કહ્યું કે, અફઘાનિસ્તાનમાં હાજર કેટલા લોકો બ્રિટન આવવાની યોગ્યતા ધરાવે છે તેનો કઈ સટીક આંકડો હાલ તે આપી શકે એમ નથી.
બ્રિટને અફઘાનિસ્તાનમાંથી આવનાર લોકો માટે ઑપરેશન વૅલકમ શરૂ કર્યું છે અને તેની માહિતી આપતા વિદેશ સચિવે કહ્યું કે, તેઓ એ સુનિશ્ચિત કરવા માગે છે કે બ્રિટનમાં આવનાર અફઘાન લોકો નવેસરથી જીવન શરૂ કરી શકે.
અગાઉ વડા પ્રધાન બોરિસ જોન્સને કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં સેના સાથે કામ કરનારા લોકોનું ઋણ મોટું છે.
આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને અફઘાનિસ્તાન મિશન પૂર્ણ કરવાનો બચાવ કર્યો છે અને કહ્યું છે કે અફઘાનિસ્તાનમાં લાંબો સમય રહેવું એ કોઈ વિકલ્પ ન હતો.
જો બાઇડને રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું, મેં અમેરિકન જનતાને વચન આપ્યું હતું કે યુદ્ધનો અંત આણીશું અને એનું જ સન્માન કર્યું છે.
તાલિબાન લડાકુઓને નેતાઓની સલાહ 'આપણે એમના સેવક, અફઘાન લોકો સાથે સારી રીતે વર્તો'
અમેરિકન સેનાની વિદાય બાદ કાબુલ ઍરપૉર્ટ પર સૈનિકોના વેશમાં તાલિબાન લડાકુઓને તાલિબાની નેતાઓએ સંબોધન કર્યું છે એમાં તેમાં લડાકુઓને "લોકસેવક" ગણવામાં આવ્યા છે.
તાલિબાન પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે સૈન્ય ગણવેશમાં હાજર લડાકુઓને "આઝાદી" માટે વધામણી આપી.
એમણે કહ્યું, "અમને તમારી કુરબાનીઓ પર ગર્વ છે. આ તમે અને તમારા નેતાઓએ જે તકલીફો વેઠી છે એને કારણે શક્ય બન્યું છે. આ આપણા નેતાઓની ઇમાનદારી અને ધૈર્યનું ફળ છે કે આજે આપણે આઝાદ છીએ."
એમણે કહ્યું, "હું તમને અને અફઘાનિસ્તાનને અભિનંદન આપું છું. આપણે ઇચ્છીએ છીએ કે દેશ પર ફરી કોઈ હુમલો ન કરે. આપણે સુખી, સમૃદ્ધ અને સાચી ઇસ્લામી વ્યવસ્થા ઇચ્છીએ છીએ."
એ સાથે જે એમણે તાલિબાન લડાકુઓને અફઘાનિસ્તાનના લોકો સાથે "સભ્યતાથી વર્તવાની" સલાહ આપી.
જબીહુલ્લાહે કહ્યું, "હું આપને કહેવા ઇચ્છું છું કે તમે લોકો સાથેના વહેવારમાં સાવધાની રાખો. આ મલકે ઘણું સહન કર્યું છે. અફઘાન લોકો પ્રેમ અને સહાનુભૂતિના હકદાર છે એટલે એમની સામે શરાફતથી પેશ આવવું જોઈએ. આપણે એમનાં સેવક છીએ, આપણે પોતાને એમની ઉપર થોપી નથી દીધાં."
ઍરપૉર્ટ પર અન્ય એક મોટા તાલિબાની નેતા હનસ હક્કાનીએ કહ્યું, "અફઘાનિસ્તાનના લોકો ખુશ છે જોકે અનેક તત્ત્વો શાંતિ નથી ઇચ્છતા, તેઓ ઇચ્છે છે કે અમેરિકાનો કબજો કાયમ રહે."
તાલિબાનના સાથી હક્કાની નેટવર્કના નેતાને ત્યાં એક વીડિયો રિપોર્ટર સાથે વાત કરી જેની ક્લિપ તાલિબાનના એક મીડિયા પ્રભારી તારિક ગઝનીવાલાએ ટ્વિટ કર્યો છે.
હક્કાનીએ કહ્યું, "હું એક ડૉક્ટર સાથે વાત કરી રહ્યો હતો. એમણે કહ્યું, પહેલાં હૉસ્પિટલો ઘાયલો અને મૃતકોથી ભરાયેલી રહેતી, હવે એવું નથી."
એમણે કહ્યું, "જ્યારે કોઈ સત્તા પલટાય છે ત્યારે સ્વાભાવિક છે કે શરૂઆતમાં પડકારો પણ આવે...તમે ઘર બદલો છો તો થોડું નુકસાન પણ થાય છે. આ સત્તાનું પરિવર્તન હતું."
અમેરિકાએ તાલિબાનને આપી એ ભેટ જે એને કોઈ કામ નહીં લાગે
અફઘાનિસ્તાન છોડી દેનાર અમેરિકાએ કાબુલ ઍરપૉર્ટ પર અનેક સૈન્ય સરંજામ છોડી દીધો છે પણ એ તાલિબાનને કામ નહીં લાગે એવો અમેરિકાનો દાવો છે.
અમેરિકન સેનાનું કહેવું છે કે અફઘાનિસ્તાન છોડતી વખતે એમણે કાબુલ ઍરપૉર્ટ પર છોડી દેવાયેલાં સૈન્ય વિમાનો અને ગાડીઓને બેકાર કરી દીધી છે જેથી તાલિબાન તેનો ઉપયોગ ન કરી શકે.
અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડના પ્રમુખ જનરલ કેનેથ મૈકેંજીએ કહ્યું કે, સૈનિકોએ 73 ઍરક્રાફ્ટ, 70 બખ્તરબંધ ગાડીઓ અને 27 હમ્વી સેના વાહનોને નિષ્ક્રિય કરી દીધા છે.
એમણે કહ્યું, એ ઍરક્રાફ્ટ ફરી કદી નહીં ઊડી શકે, એનો ઉપયોગ કોઈ નહીં કરી શકે.
અમેરિકન સૈનિકોએ કાબુલ છોડ્યું એ પછી અમેરિકન અખબાર લૉસ એન્જિલસ ટાઇમ્સના પત્રકારે વીડિયો જાહેર કર્યો જેમાં તાલિબાન લડાકુઓ કાબુલ ઍરપૉર્ટમાં અમેરિકન વિમાનોનું નિરીક્ષણ કરતાં જોવા મળ્યા.
અમેરિકાની આધુનિક રૉકેટ ડિફેન્સ સિસ્ટિમ કાબુલ ઍરપૉર્ટ પર જ છે પણ તેને નિષ્ક્રિય કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ સી-રૈમ સિસ્ટિમથી જ અમેરિકાએ સોમવારે ઇસ્લામિક સ્ટેટનો એક રૉકેટ હુમલો ખાળ્યો હતો.
આ અગાઉ તાજેતરમાં તાલિબાન લડાકુઓ મોટી સંખ્યામાં અમેરિકન બનાવટના સૈન્ય વાહનો અને હથિયારો સાથે જોવા મળ્યા હોય એવી તસવીરો સામે આવી હતી. જોકે, આ સૈન્ય સરંજામ અમેરિકાએ અફઘાન સેનાને આપ્યો હતો. તાલિબાને અફઘાનિસ્તાન કબજે કર્યું એ પછી આ હથિયારો અને વાહનો સરળતાથી તાલિબાન પાસે આવી ગયા.
તાલિબાને કહ્યું, અફઘાનિસ્તાનમાં અમેરિકાનો પરાજય હુમલાખોર દેશો માટે બોધપાઠ
અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી સેના સંકેલી લીધે છે ત્યારે આને ઐતિહાસિક પળ ગણાવનાર તાલિબાને કહ્યું કે અમેરિકાનો પરાજય અન્ય હુમલાખોર દેશો માટે બોધપાઠ છે.
અમેરિકાની વિદાય બાદ તાલિબાને કાબુલ ઍરપૉર્ટ કબજે કર્યું એ પછી રન-વે પરથી તાલિબાન પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે કહ્યું કે, "આ દુનિયા માટે એક બોધપાઠ છે."
આ પ્રસંગે તાલિબાન લડાકુઓએ હવામાં ગોળીબાર કર્યો અને સમાધાનનો સંકેત આપ્યો.
યુદ્ધથી પાયમાલ અફઘાનિસ્તાનમાં તાલિબાન બે દાયદા બાદ ફરીથી સત્તામાં આવ્યું છે.
તાલિબાનના પ્રવક્તાએ અફઘાનિસ્તાનના લોકોને અભિનંદન આપ્યા અને કહ્યું કે "અફઘાનિસ્તાન મુબારક હો...આ ફતેહ આપણી સહિયારી છે."
અફઘાનિસ્તાન પર ફરીથી કબજો કર્યા બાદ તાલિબાને વારંવાર પોતાને અગાઉની તુલનામાં વધારે સહિષ્ણુ અને મુક્ત શાસક તરીકે રજૂ કરવાની કોશિશ કરી રહ્યું છે.
પ્રવક્તાએ કહ્યું, "અમે અમેરિકા અને બાકી દુનિયા સાથે સારા સંબંધો ઇચ્છીએ છીએ અને તમામ સાથે સારા કૂટનૈતિક સંબંધો રાખીશું."
UNSCમાં અફઘાનિસ્તાન મામલે ચીન-રશિયાએ ન કર્યું મતદાન
ભારતના અધ્યક્ષપદે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદે અફઘાનિસ્તાન મામલે એક આકરો પ્રસ્તાવ પસાર કર્યો છે જેમાં ચીન અને રશિયાએ મતદાનથી દૂર રહેવાનું પસંદ કર્યું છે.
આ પ્રસ્તાવમાં માગ કરવામાં આવી છે કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કોઈ દેશને ધમકાવવા માટે કે ચરમપંથીઓને આશરો આપવા માટે નહીં કરવામાં આવે.
પ્રસ્તાવમાં તાલિબાન પાસે આશા રાખવામાં આવી છે કે દેશ છોડવા ઇચ્છુક અફઘાન અને અન્ય વિદેશી નાગરિકોને પરત મોકલવા મામલે તેણે જે પ્રતિબદ્ધતા દાખવી છે તેનું તે પાલન કરશે.
સુરક્ષા પરિષદે આ પ્રસ્તાવ સોમવારે પસાર કર્યો. ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકા સહિત 13 સભ્ય દેશોએ આના પક્ષમાં મત આપ્યો અને કોઈ પણ દેશે પ્રસ્તાવનો વિરોધ નથી કર્યો. જોકે, વીટો અધિકાર ધરાવનાર કાયમી સભ્યો રશિયા અને ચીને મતદાનમાં ભાગ ન લીધો.
15 ઑગસ્ટે કાબુલ પર તાલિબાને કબજો કર્યો એ પછી આ પ્રથમ પ્રસ્તાવ છે. પ્રસ્તાવમાં કાબુલ ઍરપૉર્ટ પર તાજેતરમાં થયેલા હુમલાની પણ આકરી નિંદા કરવામાં આવી.
મધરાતે આખરી અમેરિકન સૈનિકની વિદાય
આખરે જાહેરાત મુજબ જ અફઘાનિસ્તાનમાં અમેરિકાની બે દાયકાની હાજરી વિદાય સુધી પહોંચી ગઈ છે. ઉપરની તસવીર અમેરિકાના રક્ષા વિભાગે જાહેર કરી છે જે અફઘાનિસ્તાન છોડનાર અંતિમ અમેરિકન સૈનિકની છે.
આ સૈનિકનું નામ મેજર જનરલ ક્રિસ ડોનાહૂ છે જેમણે આખરી સી-17 વિમાનમાં બેસીને અફઘાનિસ્તાનના કાબુલથી અમેરિકાની યાત્રા શરૂ કરી.
અફઘાનિસ્તાનમાં વીસ વર્ષ સુધી ચાલેલા યુદ્ધના અંત સાથે હવે દેશ તાલિબાનના નિયંત્રણમાં આવી ગયો છે અને કાબુલ ઍરપૉર્ટ પર તાલિબાનનો કબજો થઈ ગયો છે.
તાલિબાનના શાસનને લઈને હાલ અનિશ્ચિત માહોલ છે. એક તરફ તાલિબાનનો દાવો છે કે બીજો કાર્યકાળ પ્રથમ કાર્યકાળથી અલગ રહેશે જ્યારે બીજી તરફ મોટી સંખ્યામાં લોકોએ અફઘાનિસ્તાન છોડીને જઈ રહ્યાં છે.
આખરી કલાકોમાં શું થયું?
અમેરિકાએ અફઘાનિસ્તાનમાં નિયત તારીખ, 31 ઑગસ્ટે મિશન પૂર્ણ થયાની સત્તાવાર જાહેરાત કરી.
અમેરિકાના અફઘાનિસ્તાન મિશનની લોકોને બહાર કાઢવાની અંતિમ ફ્લાઇટે સ્થાનિક સમય અનુસાર મધરાતે બાર વાગે અફઘાનિસ્તાન છોડી દીધું છે એમ સેન્ટ્રલ કમાન્ડર કેનેથ મૈકેંજીએ કહ્યું છે. તાલિબાન સાથેની સંધિ અનુસાર 31 ઑગસ્ટ સુધી અમેરિકાએ સેના પાછી ખેંચી લેવાની હતી.
અમેરિકાએ કહ્યું કે, બે દાયકામાં 2461 અમેરિકન સૈનિકો અને નાગરિકો મૃત્યુ પામ્યાં અને વીસ હજાર લોકો ઘાયલ થયાં.
14 ઑગસ્ટથી અત્યાર સુધી અમેરિકાએ 6,000 અમેરિકન સૈનિકો સહિત 1,23,000 લોકોને અફઘાનિસ્તાનમાંથી કાઢ્યા છે.
અમેરિકાના સહયોગી દેશોએ પણ હજારોની સંખ્યામાં લોકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢ્યા છે. જોકે, આ દેશો માટે કામ કરનાર અનેક લોકો અફઘાનિસ્તાનમાં ફસાયેલા છે અને તેઓ તાલિબાનને નિશાને આવી શકે છે.
જેવું અમેરિકાનું છેલ્લું વિમાન લોકોને લઈને રવાના થયું કાબુલ હવાઈમથકે જશ્ન તરીકે ગોળીબાર કરવામાં આવ્યો, કાબુલની સડકો પર તાલિબાનની ઉજવણીના સમાચાર પણ છે.
અમેરિકન સૈનિકોએ અફઘાનિસ્તાન છોડ્યું એ પછી તરત જ તાલિબાન લડાકુઓ કાબુલ ઍરપૉર્ટમાં પ્રવેશ કર્યો. લૉસ એન્જિલસ ટાઇમ્સના પત્રકાર નબીહ બુલોસે તાલિબાને હવાઈમથકમાં પ્રવેશ કયો એમની પાછળ હતા અને તેમણે તેનો વીડિયો પોસ્ટ કર્યો છે.
તાલિબાને અમેરિકાએ અફઘાનિસ્તાન છોડ્યું એને ઐતિહાસિક ઘટના ગણાવી છે. તાલિબાનના પ્રવક્તા જબીબુલ્લાહ મુજાહિદે આને સંપૂર્ણ આઝાદી ગણાવી તો અન્ય તાલિબાન નેતા અનસ હક્કાનીએ સમાચાર સંસ્થા એએફપીને કહ્યું તે આ ઐતિહાસિક પળ છે. તાલિબાને એએફપીને એમ પણ કહ્યું કે તેઓ અમેરિકા સાથે સારા રાજદ્રારી સંબંધોની આશા રાખે છે.
અમેરિકાના અફઘાનિસ્તાન છોડ્યું એ અંતિમ દિવસોમાં પણ હિંસા થઈ અને કાબુલ હવાઈમથકે થયેલા હુમલામાં 13 અમેરિકન સૈનિકો સહિત 170થી લોકો માર્યા ગયા. આ હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટના ખુરાસાન સમૂહે લીધી. એ પછી અમેરિકાએ ડ્રોન ઍટેક કરી એવો જ અન્ય હુમલો ખાળવામાં આવ્યો હોવાનો દાવો કર્યો.
અમેરિકાના વિદેશમંત્રીએ એન્ટની બ્લિંકને કહ્યું છે કે, તમામ અમેરિકન પ્રતિનિધિઓ કાબુલ છોડી ચૂક્યા છે. અમેરિકાએ અફઘાનિસ્તાનમાં એક નવું કૂટનૈતિક મિશન શરૂ કર્યું છે. અમેરિકાએ કાબુલસ્થિત અમેરિકન દૂતાવાસ બંધ કરી દીધું છે અને હવે તેને કતરની રાજધાની દોહા લઈ જવામાં આવ્યું છે.
મિશન કેવું રહ્યું?
બાર્બરા પ્લેટ યુશર, બીબીસી ન્યૂઝ, વૉશિંગ્ટન
અહીં સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં રાજદ્વારી અધિકારીઓએ મિશન હેઠળ ઘણા કામ કર્યાં છે. તેમણે છેલ્લા બે સપ્તાહમાં કાબુલમાંથી શક્ય તેટલા લોકોને બહાર કાઢવા માટે ખૂબ જ જહેમત ઉઠાવી હતી. હજુ પણ આ મિશન ચાલુ જ રહેશે. એનો અર્થ એટલો જ ભલે સેના નથી રહી પણ હથિયારો અને સ્કિલ્સ ધરાવતા નિષ્ઠાવાન લોકોથી મિશન ચાલુ રહેશે. આમ તે રાજદ્વારી સ્વરૂપે ચાલશે.
જોકે બાઇડને તો પહેલાં જ કહ્યું હતું કે ઓસામા બિન લાદેનનો અંત આણવામાં આવ્યો અને અલ-કાયદાનું પડ તોડી પાડવામાં આવ્યું તે મિશનની મોટી સિદ્ધિ છે. તે છતાં અમેરિકી સૈનિકોને અફઘાનિસ્તાનમાં ન રાખવાનો નિર્ણય પણ અમેરિકાએ કર્યો.
જોકે આવી ભાષા 2001માં હુમલો થયો ત્યાર પછી નહોતી સાંભળવા મળી. હું ત્યારે એ જ પ્રાંતમાં હતી. ત્યાંના પત્રકારો અને વિશ્લેષકો કહેતા કે અમેરિકાએ તાલિબાન સામે એકતરફી યુદ્ધ છેડી દીધું છે. મને કહેવાયું હતું કે અમેરિકાએ તાલિબાન સાથે અલ-કાયદાની જેમ વ્યવહાર નહોતો કરવા જેવો. તેઓ ઇસ્લામિક ફાઇટર્સ છે, આંતરરાષ્ટ્રીય આતંકવાદી નથી.
હું હવે આ વાત યાદ કરી રહી છું. એ વાત સાચી કે અમેરિકાએ તાલિબાન દ્વારા જેનું દમન થયું તેમને સશક્ત કર્યાં પરંતુ આજે 20 વર્ષો અમેરિકાની વિદાયની ઊજવણી તો તાલિબાન કરી રહ્યાં છે.
લાખો અફઘાન લોકોનું ભાવિ અનિશ્ચિત
લીસ ડ્યૂસેટ, મુખ્ય આંતરરાષ્ટ્રીય સંવાદદાતા
અફઘાન લોકોની જિંદગીમાં આવો અનિશ્ચિતકાળ ચાર દાયકાના યુદ્ધમાં નથી આવ્યો. તેઓ ખૂબ જ અંધકારામાં છે અને ડર છવાયેલો છે.
તાજેતરના કેટલાક દિવસોમાં જે અફઘાન લોકોએ દેશ છોડ્યો તેમનું ભાવિ અનિશ્ચિત છે અને તેઓમાં ડર પણ છે અને હવે તેઓ ક્યારે પોતાની માતૃભૂમિને પરત જોઈ શકશે કે નહી.
વળી 3.8 કરોડમાંથી જે બાકી રહેલા અફઘાન લોકો છે તેમના પર તાલિબાન કેવું શાસન ચલાવશે તે પણ એક સવાલ છે. શું તેઓ તેમના અગાઉના શાસનની જેમ આ વખતે પણ ક્રૂર હશે?
ગ્રામીણ વિસ્તારોના રહેવાસી અફઘાન લોકોને બીક છે કે તાલિબાન નથી બદલાયું અને હવે તે વધારે ક્રૂર થયું છે.
આ એકદમ પારંપરિક સમાજ રહ્યો છે. પરંતુ પશ્ચિમી દેશોના દળોના સંકલનને પગલે અહીં મહિલાઓ અને છોકરીઓના શિક્ષણને પ્રોત્સાહન મળ્યું હતું. સૌથી મોટું નુકસાન એ યુવતીઓનું થયું છે જેમને એ વાયદો કરાયો હતો કે હવે તેઓ જેવું જીવન જીવવું હોય તેવું જીવી શકશે.
હવે આવતીકાલે આ લાંબા યુદ્ધના નવા પ્રકરણનો પહેલો દિવસ હશે. અમેરિકાનું સૌથી લાંબુ યુદ્ધ સમાપ્ત થયું છે, પરંતુ લડાઈ નહીં.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો