અફઘાનિસ્તાન: જેમ-જેમ તાલિબાન આગેકૂચ કરી રહ્યું છે, ભય અને ગભરાટમાં હજારો લોકો ઘર છોડવા મજબૂર બન્યા

ઇમેજ સ્રોત, EPA
સંયુક્ત રાષ્ટ્રે અફઘાનિસ્તાનના પાડોશી દેશોને તેમની સરહદ ખોલી નાખવાની વિનંતી કરી છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન અને સૈન્ય વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે લાખો લોકો ઘર છોડવા મજબૂર બન્યા છે.
હિંસાને કારણે પોતાનું ઘર છોડીને લોકો રાજધાની કાબુલ તરફ આવી રહ્યા છે, કારણ કે રાજધાની હજી અન્ય વિસ્તારો કરતાં સુરક્ષિત છે.
વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ મુજબ ભોજનની ભયંકર કમી છે અને અફઘાનિસ્તાનમાં માનવીય સંકટ ઊભું થવાની ચેતવણી ઉચ્ચારી છે.
શુક્રવારે, તાલિબાને દેશના બીજા સૌથી મોટા શહેર કંદહાર પર કબજો કરી લીધો છે.
કંદહાર એક જમાનામાં તાલિબાનનું ગઢ હતું અને રણનીતિક દૃષ્ટિએ તે અગત્યનું છે કારણ કે અહીં એક આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ છે, કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદનની દૃષ્ટિએ પણ કંદહાર મહત્ત્વપૂર્ણ છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાનની આગેકૂચ જારી છે. અફઘાન સરકારે તાલિબાનને સરકારમાં ભાગીદારીની ઑફર કરી હોવા છતાં તાલિબાન શહેરો કબજે કરી રહ્યું છે.
સમાચાર સંસ્થા એએફપી અનુસાર છેલ્લા 24 કલાકમાં તાલિબાને કંદહાર અને હેરાત પછી હવે લશ્કરગાહ શહેર પણ કબજે કરી લીધું છે.
હેલમંદ શહેરનું પાટગનર લશ્કરગાહ છે. કંદહાર અને હેરાત પણ અફઘાનિસ્તાનના વધુ વસ્તી ધરાવતા મોટાં શહેરો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
તાલિબાને અફઘાનની કૂલ 34 પ્રાંતિય રાજધાનીઓમાંથી 12 પર કબજો લઈ લીધો છે. જેમાં હેલમંદ વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
તાલિબાને ગતરોજ ગઝની કબજે કર્યું હતું. તે કાબુલથી માત્ર 130 કિલોમિટર દૂર છે. આથી સંયુક્ત રાષ્ટ્રએ ચિંતા વ્યક્ત કરી છે કે જો તાલિબાન કાબુલ પર કબજો જમાવશે, તો તે મોટી સમસ્યા સર્જશે. કેમ કે કાબુલ મોટી વસતિ ધરાવે છે અને રાજધાની છે.
અમેરિકા અફઘાનના કાબુલમાંથી તેના ઍમ્બેસીના સ્ટાફને ઍરલિફ્ટ કરવા માટે દળ મોકલી રહ્યું હોવાના રિપોર્ટ પણ છે.

અત્રે નોધવું કે, અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી સૈન્ય પરત ખેંચી લીધા બાદ અફઘાનિસ્તાનમાં તાલિબાને ફરીથી માથું ઉંચક્યુ છે. તાલિબાને કુલ 12 પ્રાંતીય પાટનગરો કબજે કરી લીધા છે.
ગઝનીમાં રાજ્યપાલ કચેરી, પોલીસનું વડુમથક, જેલ સહિતની મહત્ત્વની સરકારી કચેરીઓ પર હવે તાલિબાને કબજો જમાવી લીધો છે.
ગઝનીથી આવી રહેલી તસવીરોમાં શહેરમાં ઇમારતોમાં ચરમપંથીઓ જોવા મળી રહ્યા છે. તેઓ બે કાફલાને રોકી રહ્યાં હોવાનું નજરે પડે છે.
આ બે કાફલા રાજ્યપાલ અને પોલીસ વડાના હોવાનું કહેવામાં આવી રહ્યું હતું.

ઇમેજ સ્રોત, Getty Images
આ વિશે અફઘાનિસ્તાને કોઈ ટિપ્પણી નથી કરી. જોકે નોંધવું કે ગઝનીથી કાબુલ માત્ર 130 કિલોમિટર છે.
તાલિબાન આ પહેલા કુંદુઝ, ફરાહ, નિમરોઝ સહિતની પ્રાંતીય રાજધાની કબજે કરી ચૂક્યું છે.
વળી અમેરિકી ખૂફિયા રિપોર્ટ અનુસાર તાલિબાન 90 દિવસ એટલે કે ત્રણ મહિનામાં કાબુલ કબજે કરી લે એવી શક્યતા છે.
આથી સવાલ એ સર્જાયે છે કે શું તાલિબાન આવી જ રીતે આગળ વધતું રહેશે? અને અફઘાન સરકાર તમાશો જોતી રહેશે? શું અશરફ ગની સરકાર પડી જશે?

હવે શું છે યોજના?

ઇમેજ સ્રોત, Getty Images
દરમિયાન અફઘાનના ગૃહમંત્રી જનરલ અબ્દુલ સત્તાર મિર્ઝાક્વલે અલ-જઝીરા ચૅનલને ગુરુવારે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અફઘાન સરકાર પાસે તાલિબાનનો સામનો કરવા માટે એક 'પ્લાન બી' છે. તે ત્રણ સ્તરીય યોજના છે જેમાં સ્થાનિક સમૂહોને હથિયારોથી સજજ્ કરવામાં આવશે.
તેમણે કહ્યું કે અફઘાન દળ મુખ્ય ધોરીમાર્ગો અને સુરક્ષાચોકીઓ તથા સરહદી ચોકીઓ સુરક્ષિત કરવા પર ધ્યાન આપી રહ્યું છે. જ્યારે બીજી તરફ 1 લાખ 30 હજાર જેટલા પોલીસકર્મીઓ પણ છે. તેમને પાંચ દિવસ પહેલા જ ગૃહમંત્રાલયની કમાન આપવામાં આવી છે. મિર્ઝાક્વલને કહ્યું કે સરકાર સ્થાનિક લોકોને પણ તૈયાર કરી રહી છે.
તેમણે અલ-જઝીરાને કહ્યું, "અમે ત્રણ સ્તરીય યોજના પર કામ કરીએ છીએ. પ્રથમ અમારા સૈનિકોએ પાછું ન હઠવું પડે. બીજું કે પોતાના સુરક્ષાદળોને ફરીથી તૈયાર કરવા અને શહેરોની સુરક્ષા કરવી. જેમણે પણ સેનાની નોકરી છોડી છે, તેમને અમે ફરીથી લાવવાની કોશિશ કરી રહ્યા છે. ત્રીજી યોજના છે કે હુમલો કરવામાં આવે. હાલ અમે બીજા તબક્કાની યોજના પર છીએ."
મિર્ઝાક્વાલે કહ્યું, "સરકારી દળોની હાર એટલા માટે થઈ રહી છે કેમ કે માર્ગ અને હાઈવે પર તાલિબાનનું નિયંત્રણ થઈ ગયું છે. દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે અમેરિકાની સેનાની વાપસી પછી દેશના 400 ભાગમાં જંગ છેડાઈ છે. અમારી પાસે વાયુસેનાનો મર્યાદિત સપૉર્ટ છે. હેલિકૉપ્ટર સામગ્રી પહોંચાડવાની સાથે સાથે મૃતકો અને ઘાયલોને કાઢવામાં વ્યસ્ત છે. અમારી સરકાર સ્થાનિક નેતાઓને નવી ભરતી તથા લોકોને હથિયારોથી સજ્જ કરવાનો અધિકાર પણ આપી રહી છે. તેમણે અમને સંપૂર્ણ સમર્થનનો વાયદો કર્યો છે. આંતરરાષ્ટ્રીય સમુદાયોને આ મામલે ચિંતા છે. પણ આખરે અમે તેમને અફઘાન સેનામાં સામેલ કરી લઈશું."
બીજી તરફ લડત આપ્યા વિના તાલિબાનને શરણે થઈ જવા બદલ અફઘાન સરકાર ગર્વનરોથી પણ નારાજ છે અને ગઝનીના ગર્વનરની ધરપકડ કરી લેવામાં આવી છે એમ ટોલો ન્યૂઝ કહે છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.













