ઇઝરાયલ : નેતન્યાહૂની વિદાય નક્કી, નેફ્ટાલી બેનેટ બનશે નવા વડા પ્રધાન

ઇઝરાયલના વડા પ્રધાન બિન્યામિન નેતન્યાહૂના વિરોધીઓની વચ્ચે ગઠબંધન સરકાર બનાવવા માટે સહમતી થઈ ગઈ છે જે પછી તેમની વિદાયનો રસ્તો સાફ થઈ ગયો છે.

નેતન્યાહૂ ઇઝરાયલમાં સૌથી લાંબા સમય સુધી વડા પ્રધાન રહેનારા નેતા છે અને ગત 12 વર્ષથી દેશની રાજનીતિ તેમની જ આસપાસ ઘૂમતી રહી છે.

માર્ચમાં થયેલી ચૂંટણીમાં નેતન્યાહૂની લિકુડ પાર્ટીને બહુમતી ન મળ્યા પછી બીજા નંબરની પાર્ટીને અન્ય સહયોગીઓની સાથે સરકાર બનાવવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું હતું.

તેમણે બુધવારે 2 જૂનની મધ્યરાત્રી સુધી બહુમત સાબિત કરવાનો હતો અને સમય પૂર્ણ થયા પછી કેટલાંક સમય પહેલાં વિપક્ષના નેતા યેર લેપિડે જાહેરાત કરી હતી કે આઠ પક્ષોની વચ્ચે ગઠબંધન થઈ ગયું છે અને હવે સરકાર બનાવશે.

આની સાથે જ ઇઝરાયલમાં રાજકીય અનિશ્ચિતતાઓની વચ્ચે ચાલી રહેલી અટકળો પર વિરામ લાગ્યો છે કારણ કે ગઠબંધન પર સહમતી થવાની વાતને અનેક લોકો અસંભવ માની રહ્યા હતા.

જો આ ગઠબંધન ન થાત તો સ્થિતિમાં ઇઝરાયલમાં બે વર્ષની વચ્ચે પાંચમી વખત ચૂંટણી યોજવાની સ્થિતિ સર્જાત.

ગઠબંધન માટે થયેલા કરાર હેઠળ વારાફરતી બે લોકો અલગ પક્ષોના વડા પ્રધાન બનશે. સૌથી પહેલાં દક્ષિણપંથી યામિના પાર્ટીના નેતા નેફ્ટાલી બેનેટ વડા પ્રધાન બનશે.

બેનેટ 2023 સુધી વડા પ્રધાન રહેશે. તેઓ 2023માં 27 ઑગસ્ટે વડા પ્રધાનપદ મધ્યમાર્ગી યેશ એડિટ પાર્ટીના નેતા યેર લેપિડને આપી દેશે.

આઠ પાર્ટીઓનું મહાગઠબંધન

લેપિડે ગઠબંધનનું એલાન કરતા કહ્યું, "આ સરકાર ઇઝરાયલના તમામ નાગરિકો માટે કામ કરશે જેમણે અમને વોટ આપ્યો છે અને એમના માટે પણ કામ કરશે જેમણે મત નથી આપ્યા. આ સરકાર ઇઝરાયલના સમાજને એકજૂથ રાખવા માટે દરેક પ્રકારના પ્રયત્ન કરશે."

ઇઝરાયલના મીડિયામાં એક તસવીર દેખાડવામાં આવી રહી છે જેમાં યેર લેપિડ, નેફ્ટાલી બેનેટ અને અરબ ઇસ્લામી રામ પાર્ટીના નેતા મંસૂર અબ્બાસ કરાર પર સહી કરતા જોવા મળી રહ્યા છે.

મંસૂર અબ્બાસે પત્રકારનો કહ્યું, "આ મુશ્કેલ નિર્ણય હતો, અમારી વચ્ચે અનેક મતભેદ હતા, પરંતુ સહમતી પર પહોંચવું મહત્વનું હતું."

તેમણે કહ્યું કે "કરારમાં અનેક એવી વસ્તુઓ આવી છે જેનાથી અરબ સમાજને ફાયદો થશે."

નવી સરકાર સંસદમાં વોટિંગ પછી જ શપથ લઈ શકે છે પંરતુ એ અગાઉ યેર લેપિડે એક નિવેદનમાં કહ્યું કે તેમણે રાષ્ટ્રપતિ રુવેન રિવલિનને ગઠબંધન પર સહમતી થઈ ગઈ હોવા અંગે જાણ કરી છે.

રાષ્ટ્રપતિ રિવલિને સંસદમાં કહ્યું કે, જલદી સત્ર બોલાવી વિશ્વાસમત લેવામાં આવે.

121 બેઠકોની ઇઝરાયલની સંસદ નીસેટમાં 61ની બહુમતી સિદ્ધ કરવા માટે તમામ આઠ પાર્ટીઓની જરૂરિયાત રહેશે. જો ગઠબંધન બહુમત સાબિત ન કરી શકે તો ફરી ચૂંટણી થઈ શકે છે.

ઇઝરાયલમાં નવા ગઠબંધનમાં દક્ષિણપંથી, જમણેરી અને મધ્યમમાર્ગી પાર્ટીઓ સામેલ છે. આ તમામ દળોમાં રાજકીય રીતે ઘણી ઓછી સમાનતા છે પરંતુ આ બધાનો ઉદ્દેશ નેતન્યાહૂના શાસનનો અંત કરવાનો છે.

બિન્યામિન નેતન્યાહૂએ ગઠબંધન સરકાર બનાવવાના પ્રયાસોને "સદીનું સૌથી મોટું છળ" ગણાવી ચેતવણી આપી હતી કે આનાથી ઇઝરાયલની સુરક્ષા અને ભવિષ્ય પર ભય ઉભો થશે.

તેમણે રાઇટિસ્ટ યામિના પાર્ટીના નેતા નેફ્ટાલી બેનેટ પર "લોકોને ગુમરાહ કરવાનો" આરોપ લગાવ્યો હતો. તે બેનેટના ગત નિવેદન તરફ ઇશારો કરી રહ્યા હતા જેમાં તેમણે લોકોને વાયદો કર્યો હતો કે તે લેપિડની સાથે જોડાયેલી શક્તિઓની સાથે નહીં જાય.

નેતન્યાહૂ પર આરોપ અને બે વર્ષમાં ચાર ચૂંટણી

71 વર્ષીય નેતન્યાહૂ ઇઝરાયલમાં સૌથી લાંબા સમય સુધી સત્તામાં રહેનારા નેતા છે અને ઇઝરાયલના રાજકારણમાં લાંબા સમયથી તેમનો દબદબો રહ્યો છે.

પરંતુ લાંચ લેવાના અને ગેરરીતિના આરોપોનો સામનો કરી રહેલી નેતન્યાહૂની લિપુડ પાર્ટી માર્ચમાં થયેલી સામાન્ય ચૂંટણીમાં બહુમત મેળવી શકી ન હતી અને ચૂંટણી પછી તે સહયોગીઓનું સમર્થન મેળવી શકી ન હતી.

ઇઝરાયલમાં ગત બે વર્ષોથી સતત રાજકીય અસ્થિરતા છે અને બે વર્ષમાં ચાર વાર ચૂંટણી થઈ શકે છે. આમ છત્તાં અહીં સ્થિર સરકાર ન બની શકી અને નેતન્યાહૂ બહુમત સાબિત ન કરી શક્યા.

નેતન્યાહૂએ બહુમત ન સાબિત કર્યા પછી યેર લેપિડ સરકાર બનાવવા માટે 28 દિવસનો સમય માગ્યો હતો પરંતુ ગાઝા સંઘર્ષના કારણે આની પર અસર પડી. તેમના એક સંભવિત સહયોગી અરબ ઇસ્લામિસ્ટ રામ પાર્ટીએ ગઠબંધન માટે ચાલી રહેલી વાતચીતમાંથી અગાઉ અલગ થઈ ગઈ હતી.

પેલેસ્ટાઇનના ઉગ્રવાદી જૂથ હમાસ અને ઇઝરાયલની વચ્ચે 11 દિવસ સુધી ચાલેલા સંઘર્ષ દરમિયાન ઇઝરાયલની અંદર યહૂદીઓ અને ત્યાં રહેલાં આરબોની વચ્ચે સંઘર્ષ થયો હતો.

'કિંગમેકર' નેફ્ટાલી બેનેટની ભૂમિકા

ઇઝરાયલમાં ટકાવારી પ્રમાણે પ્રતિનિધિત્વની ચૂંટણી પ્રક્રિયાના કારણે કોઈ એક પાર્ટી માટે ચૂંટણીમાં બહુમત મેળવવી મુશ્કેલ હોય છે.

એવામાં નાના નાના પક્ષોનું મહત્વ વધી જાય છે જેમના કારણે મોટી પાર્ટીઓ સરકાર બનાવવાના અંક પહોંચી શકે છે.

જેમ કે હાલ 120 સીટ વાળી ઇઝરાયલની સંસદમાં નેફ્ટાલી બેનેટની પાર્ટીના છ સંસદ છે, પરંતુ વિપક્ષને સ્પષ્ટ બહુમત આપવામાં તેમની ભૂમિકા મહત્વની બની ગઈ હતી.

બીબીસીના મધ્ય પૂર્વ બાબતોના સંપાદક બેરેમી બોવનનું કહેવું છે કે નેતન્યાહૂની હાર તેમના સામ્યવાદી વિરોધીઓના કારણ નહીં પરંતુ તેમની દક્ષિણપંથી સહયોગીઓના કારણે થઈ છે જેમને તેમણે આકરા વલણને કારણે દુશ્મન બનાવ્યા હતા.

બોવેન કહે છે કે નવા ગઠબંધનથી કોઈએ મોટા અથવા નવા નિર્ણયની આશા ન રાખવી જોઈએ. તે સાથે જ કહે છે કે ગઠબંધનના નેતાઓનું સંપૂર્ણ ધ્યાન નેતન્યાહૂને હરાવ્યા પછી પોતાની સરકારને બચાવવા પર રહેશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો