You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતમાં કોરોના સંકટ : ડૉ. ફાઉચીએ કહ્યું કે તેઓ મોદી સરકારમાં હોત તો તેમણે શું કર્યું હોત?
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના વહીવટી તંત્રના સ્વાસ્થ્ય સલાહકાર અને દુનિયાના જાણીતા મહામારી નિષ્ણાત ડૉક્ટર ઍન્થની ફાઉચીએ ભારતમાં બેકાબૂ થયેલા કોરોનાને રોકવા માટે તરત અમુક અઠવાડિયાંના લૉકડાઉનને જરૂરી ગણાવ્યું છે.
તેમણે કહ્યું કે કોઈ દેશ પોતાને બંધ કરવા ઇચ્છતો નથી પરંતુ ભારતમાં તત્કાલ કેટલાંક અઠવાડિયાનું લૉકડાઉન સંક્રમણના ચક્રને તોડી શકે છે.
આનાથી ભારતને આ આકરી અને નિરાશાજનક સ્થિતિમાંથી બહાર નીકળવા માટે તાત્કાલિક, મધ્યમમાર્ગી અને લાંબાગાળાના મહત્વપૂર્ણ પગલાં લેવાનો સમય મળી જશે.
અંગ્રેજી અખબાર 'ઇન્ડિયન એક્સપ્રેસ'ને આપેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે ભારતમાં થયેલી સ્થિતિને લઈને વાત કરી છે. ડૉક્ટર ફાઉસીના ઇન્ટરવ્યુના કેટલાંક અંશ આ પ્રમાણે છે.
સરકારની સાથે હોત તો શું કરત?
સૌથી પહેલાં એ કે હું આ ટીકામાં સામેલ થવા નથી માગતો કે ભારતે કોરોના સંક્રમણની સ્થિતિને કેવી રીતે સંભાળી કારણ કે ત્યારે તે મુદ્દો રાજકીય બની જાય. હું આવું કરવા માગતો નથી કારણ કે હું આરોગ્ય સાથે જોડાયેલો છું અને કોઈ રાજનેતા નથી.
જોકે હાલ મને એવું લાગે છે કે ભારત ખૂબ મુશ્કેલ અને નિરાશાજનક સ્થિતિમાં છે. જ્યારે તમે આવી સ્થિતિનો સામનો કરી રહ્યા હોવ છો તો તમારે તરત જ સમગ્ર રીતે વિચાર કરવાનો થાય છે.
સૌથી પહેલાં એ જોવાનું છે કે તરત તમે શું પગલાં લઈ શકો છો અને આગામી બે અઠવાડિયાંમાં તમે શું કરી શકો છો?
વૅક્સિન એક ઉપાય હોઈ શકે છે, આ અત્યંત જરૂરી પણ છે પરંતુ હાલ લોકોની ઓક્સિજનની, હૉસ્પિટલમાં દાખલ થવાની અને સારવારની જરૂરિયાતની સમસ્યાને ઓછી નહીં થાય કારણ કે વૅક્સિનની અસર થવામાં સમય લાગે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એટલા માટે હાલના સમયમાં લોકોએ ધ્યાન રાખવું. મને લાગે છે કે આ પ્રકારનું એક પંચ અથવા ઇમરજન્સી સમૂહ બનાવવા જોઈએ જે ઓક્સિજન મેળવી, અન્ય આપૂર્તિઓ કરે, મેડિકલ ઉપકરણ અને દવાઓ પ્રાપ્ત કરવા માટે યોજના બનાવી શકે. આના માટે અન્ય દેશો અને વિશ્વ આરોગ્ય સંગઠનની મદદ મેળવી શકાય છે.
બીજા દેશોએ ભારતની મદદ માટે સામે આવવું જોઈએ, કારણ કે ગત સંકટકાળમાં ભારતે બીજા દેશોની મદદ કરવામાં ઘણી ઉદારતા દેખાડી છે.
આ પછી મધ્યવર્તી ઉપાય એ હોવો જોઈએ જે ચીને કર્યો હતો. જેમ કે તમને યાદ હશે કે ચીને કેટલાક દિવસોથી લઈને અઠવાડિયાની અંદર અસ્થાયી હૉસ્પિટલ તૈયાર કરી લીધી હતી જેને જોઈને દુનિયા સ્તબ્ધ હતી. ભારતમાં પણ લોકો હૉસ્પિટલ અને સારવાર શોધી રહ્યા છે.
બીજું કામ તમે એ કરી શકો છો કે સરકારના વિવિધ સમૂહોને સંચાલિત કરો. જેમ કે કેવી રીતે સૈન્ય આમાં મદદ કરી શકે છે? તમે અમેરિકાની જેમ આમાં તરત સૈન્યની મદદ લઈ શકો છો. અમેરિકાએ વૅક્સિનના વિતરણમાં નેશનલ ગાર્ડની મદદ લીધી હતી.
મને લાગે છે કે આના પર ગંભીરતાથી વિચાર થવો જોઈએ. તમે હૉસ્પિટલ બનાવવામાં તેની મદદ લઈ શકો છો, જેમ યુદ્ધ દરમિયાન ફિલ્ડ હૉસ્પિટલ બનાવાય છે. આ યુદ્ધ જેવી જ સ્થિતિ છે, જેમાં વાઇરસ તમારો દુશ્મન છે.
અંતે લાંબાગાળાના ઉપાય તરીકે હું લોકો વૅક્સિન લગાવે તે માટે જે બની શકે તે તમામ પ્રયત્ન કરત. ભારત જેવા દેશમાં હાલ સુધી બે ટકા લોકોનું પણ સંપૂર્ણ રીતે રસીકરણ થયું નથી, જે ખૂબ ગંભીર સ્થિતિ છે. તમારે અને લોકોએ વૅક્સિન લગાવવી પડશે.
તાત્કાલિક સમસ્યાના સમાધાન માટે તત્કાલ લાગુ થનારાં પગલાં લો અને તેના પછી લાંબા સમયમાં કામ આવનારા ઉપાય કરો.
શું દુનિયાભરમાં આની શરૂઆતના સંકેત હતા?
આની શરૂઆતના સંકેત હોવા જરૂરી નથી. આ એ સમયે અહેસાસ થવો જોઈએ કે આ વાઇરસ શું કરવાની ક્ષમતા રાખે છે.
આ વાઇરસે દેખાડ્યું છે કે જો આને એના હાલ પર છોડી દેવામાં આવે તો તે સમાજમાં વિસ્ફોટક સ્થિતિ લાવી શકે છે. આ અમારી સાથે અમેરીકામાં થઈ ચુક્યું છે. હું એક અમેરિકન તરીકે આ બોલી રહ્યો છું.
અમેરિકા કેટલાક સમય માટે કોરોનાથી દુનિયાનો સૌથી અસરગ્રસ્ત દેશ રહ્યો હતો અને અમેરિકા દુનિયાનો સૌથી અમીર દેશ પણ છે. અમારી આના માટે સૌથી સારી તૈયારી હોવી જોઈતી હતી પરંતુ અમે સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત બન્યા.
આનો અર્થ એ છે કે વાઇરસ એ નથી જોતો કે તમે કેટલા અમીર છો, વિક્સિત અને ઉન્નત છો. જો તમે આની ઓળખ કરવાની ક્ષમતાને નહીં મેળવો તો આ તમને મોટી મુશ્કેલીમાં નાખી શકે છે.
મને એવું લાગે છે કે સમય પહેલાં જ જીત જાહેર કરી દેવામાં આવી.
રસીકરણ કેવી રીતે વધારી શકીએ છીએ?
તમારે રસી વધારવી પડશે. તમારે અનેક કંપનીઓ સાથે જોડાણ કરવું પડશે. હાલમાં અનેક કંપનીઓ વૅક્સિન બનાવી રહી છે. તમારે તેમની સાથે વાત કરવી જોઈએ.
જેમ કે મેં સાંભળ્યું છે કે ભારતમાં હાલ પણ બે ટકા લોકોને જ સંપૂર્ણ રીતે વૅક્સિન આપવામાં આવી છે. તમારા માટે હાલ લાંબો રસ્તો કાપવાનો છે. ભારત દુનિયાનો સૌથી વધારે વૅક્સિન ઉત્પાદકદેશ છે. એવામાં તેણે પોતાની ક્ષમતાઓ પર કામ કરવું જોઈએ.
નાના સમયના લૉકડાઉનથી નુકસાન ઓછું
મને લાગે છે કે દેશમાં તરત અસ્થાયી લૉકડાઉન લગાવવું જોઈએ. આ સમયે ઓક્સિજન, મેડિકલ ઉપકરણ, પીપીઈ કિટ અને સારવારની ઉપલબ્ધતા સૌથી મહત્વની છે પરંતુ લૉકડાઉન આ સમયે તરત કરવું એ મહત્ત્વનો ઉપાય છે.
એક વર્ષ પહેલાં જ્યારે ચીનમાં આવી વિસ્ફોટક સ્થિતિ આવી હતી તો તેણે દેશમાં સંપૂર્ણ રીતે લૉકડાઉન કર્યું હતું.
જો તમે તરત એવું કરો તો તમારે છ મહિના માટે લૉકડાઉન નહીં કરવું પડે. આનાથી તમે સંક્રમણની સાંકળને તોડી શકશો.
કોઈ પણ પોતાના દેશને બંધ કરવાનું ના ઇચ્છે. જો તમે છ મહિના માટે આવું કરો છો તો આ સમસ્યા બની શકે છે. પરંતુ કેટલાંક અઠવાડિયાં માટે કરી શકો તો તમે મહામારીના ફેલાવાને રોકીને મહત્વપૂર્ણ પ્રભાવ પાડી શકો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો