You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું થાય એટલે ઈરાન-વેનેઝુએલા પાસેથી ઑઇલ આયાત કરાશે?
- લેેખક, ઝુબૈર અહમદ
- પદ, બીબીસી સંવાદદાતા
પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ ઘટાડવાના ઉદ્દેશથી ભારત સરકાર એવી કોશિશમાં છે કે તેઓ ક્રૂડઑઇલની ઈરાન અને વેનેઝુએલા પાસેથી આયાત બહાલ કરે.
હાલ અમેરિકાના પ્રતિબંધને કારણે ભારત, ઈરાન અને વેનેઝુએલા પાસેથી ઑઇલ નથી ખરીદી રહ્યું.
સોમવારે વિપક્ષે સંસદમાં ઑઇલના વધતા જતા ભાવ અંગે સરકારની આકરી ટીકા કરી અને ભાવ ઘટાડવાની માગ કરી.
વર્ષ 2019ની શરૂઆતમાં ભારતે વેનેઝુએલા પાસેથી પ્રત્યક્ષપણે ઑઇલની આયાત અટકાવી દીધી હતી.
વેનેઝુએલાથી આયાત કરાતા ક્રૂડઑઇલનું સૌથી મોટું ખરીદદાર 'રિલાયન્સ' હતી. તે જ વર્ષે જૂનમાં અમેરિકાના પ્રતિબંધના કારણે ઈરાન પાસેથી ક્રૂડઑઇલની આયાત રોકવી પડી હતી.
તે સમયે ઈરાન ભારતને સાઉદી અરેબિયા અને ઇરાક બાદ સૌથી વધુ માત્રામાં ક્રૂડઑઇલ સપ્લાય કરનાર દેશ હતો.
એક સમયે ભારત વેનેઝુએલા પાસેથી પણ મબલખ પ્રમાણમાં ક્રૂડઑઇલની ખરીદી કરતું હતું.
ભાજપના ગોપાલ કૃષ્ણ અગ્રવાલ વધુ એક વિકલ્પની વાત કરે છે અને તે એ છે કે ભારત સરકાર ઈરાન અને વેનેઝુએલાથી ક્રૂડઑઇલ ખરીદવાની કોશિશ કરી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જો બાઇડન અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદથી ભારત સરકારને આશા છે કે ઈરાન પર લગાવેલા પ્રતિબંધો પર છૂટછાટ આપવામાં આવશે. આ માટે સરકાર પોતાની તરફથી પ્રયાસો કરી રહી છે.
અમુક સમય પહેલાં મીડિયા સાથેની વાતચીતમાં પેટ્રોલિયમ-મંત્રાલયના મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ કહ્યું હતું કે આ બંને દેશો પાસેથી ક્રૂડઑઇલનો પુરવઠો મેળવવાની પ્રક્રિયા બહાલ કરવાની કોશિશ થઈ રહી છે.
ભારતને શું લાભ થશે?
ઈરાન, ભારતને ઑઇલ ડૉલરના બદલે ભારતીય મુદ્રામાં આપે છે. તે નાણાંથી ઈરાન ભારતનો માલસામાન ખરીદે છે. આ સોદો બંને દેશો માટે ફાયદાકારક છે.
આ અઠવાડિયે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડઑઇલની કિંમત 71 ડૉલર પ્રતિ બૅરલ થઈ ગઈ છે, જેનાથી પેટ્રોલના ભાવ ભારતમાં હજુ પણ વધવાની આશંકા છે. નોંધનીય છે કે ઘણાં શહેરોમાં પહેલાંથી જ પેટ્રોલના ભાવ વધીને 100 રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી ગયા છે.
પેટ્રોલ, ડીઝલ અને LPG (રાંધણ ગૅસ)ના વધતા ભાવોને નિયંત્રણમાં લાવવા માટે ભારત સરકાર ઘણા પ્રકારનાં પગલાં ઉઠાવવાની કોશિશમાં લાગી છે પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થિતિ સરકારની આ કોશિશોમાં મોટો અવરોધ છે.
સાઉદી અરેબિયા અને ક્રૂડઑઇલ પેદા કરનારા દેશના સંગઠન 'ઑપેકે' ક્રૂડઑઇલનું ઉત્પાદન ઘટાડ્યું છે જેથી તેની માગ વધે અને ભાવ પણ. ભારતીય મીડિયાના સમાચારો પ્રમાણે ભારત ઑપેક દેશો વિરુદ્ધ ક્રૂડઑઇલનો વપરાશ કરતા દેશોને સંગઠિત કરવાનો કૂટનીતિક પ્રયાસ કરી શકે છે.
ભારત રશિયા, અમેરિકા, નાઇજીરિયા અને બ્રાઝીલ પાસેથી પણ ક્રૂડઑઇલ ખરીદે છે.
સામાન્ય માણસને રાહત મળશે?
ક્રૂડઑઇલની આયાત કરનાર ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ છે (અમેરિકા અને ચીન બાદ). ગયા વર્ષે ભારતે પોતાની જરૂરિયાત પૈકી 85 ટકા ક્રૂડઑઇલ આયાત કરવું પડ્યું, આ આયાત પાછળ મોદી સરકારે 120 અબજ ડૉલરનો ખર્ચ કર્યો હતો.
પરંતુ અહીં એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે શું ઈરાન અને વેનેઝુએલા પાસેથી ક્રૂડઑઇલની આયાતનો લાભ ભારતના સામાન્ય માણસને મળશે ખરો?
ગત વર્ષે લૉકડાઉન બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં જ્યારે ક્રૂડઑઇલના ભાવ ગગડીને 20 ડૉલર પ્રતિ લિટરે પહોંચી ગયા હતા ત્યારે પેટ્રોલના ભાવ વધ્યા હતા, ઓછા નહોતા થયા. સિંગાપુરમાં ક્રૂડઑઇલ વિશેષજ્ઞ વંદના હરિ કહે છે કે તેનું કારણ એ હતું કે મોદી સરકારે ક્રૂડઑઇલ પર ઍક્સાઇઝ ડ્યૂટી બે વખત વધારી હતી.
ખરેખર તો વર્ષ 2014થી 106 ડૉલર પ્રતિ બૅરલથી ક્રૂડઑઇલના ભાવ સતત ઓછા થઈ રહ્યા છે પરંતુ ભારત સરકારે હંમેશાં ઍક્સાઇઝ ડ્યૂટી વધારી છે જેના કારણે સામાન્ય પ્રજાને ક્રૂડઑઇલના ઘટી રહેલા ભાવનો ક્યારેય લાભ નથી મળી શક્યો.
ઑઇલ ઍન્ડ નૅચરલ ગૅસ કમિશનના ભૂતપૂર્વ અધ્યક્ષ આર. એસ. શર્મા જણાવે છે, "વર્ષ 2014માં આ સરકાર સત્તામાં આવી ત્યારે ક્રૂડઑઇલની કિંમત 106 ડૉલર પ્રતિ બૅરલ હતી. તે બાદથી કિંમતોમાં ઘટાડો થયો છે."
"આપણા વડા પ્રધાને પણ મજાકમાં કહ્યું હતું કે, જ્યારથી હું સત્તામાં આવ્યો છું ત્યારથી ક્રૂડઑઇલની કિંમતો સતત ઘટી રહી છે. તે સમયે પેટ્રોલનો ભાવ 72 રૂપિયા પ્રતિ લીટર હતો. સરકારે ભારતમાં કિંમત ઘટવા ન દીધી, તેના સ્થાને સરકારે ઉત્પાદન શુલ્કમાં વધારો કર્યો."
પેટ્રોલિયમ-મંત્રાલયના મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સોમવારે સંસદમાં એ વાતનો સ્વીકાર કર્યો કે ઘરવપરાશ માટે ઉપયોગમાં લેવાતા રસોઈ ગૅશની કિંમત પાછલાં સાત વર્ષોમાં બમણી થઈને 819 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે, જ્યારે પેટ્રોલ અને ડીઝલ પરના ટૅક્સમાં 459 ટકા વધારો થયો છે.
સબસિડીની આશા કેટલી?
કેન્દ્રીય સરકાર ઈરાન અને વેનેઝુએલા પાસેથી ક્રૂડઑઇલની આયાત બહાલ કરવાની કોશિશ સિવાય ક્રૂડઑઇલની ઍક્સાઇઝ ડ્યૂટીને ઘટાડવાનો પણ વિચાર કરી રહી છે, જેથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સરેરાશ પાંચ રૂપિયા પ્રતિ લીટર સુધીનો ઘટાડો થઈ શકે છે. જોકે, સબસિડીની આશા ઓછી જ રાખવી જોઈએ.
સત્તાધારી ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગોપાલકૃષ્ણ અગ્રવાલનો તર્ક છે કે, "સબસિડી સમાજને પાછો ધકેલવા તરફનું એક પગલું છે. વિચારો, જો પેટ્રોલની કિંમતો ઘટે છે, તો ધનવાનોને પણ લાભ થશે, નહીં કે માત્ર ગરીબોને. ગૅસમાં અમે આવું કરી શક્યા. વડા પ્રધાન કહે છે કે સારું અર્થતંત્ર, સારું રાજકારણ છે અને લોકો તે અનુભવી રહ્યા છે."
એવા સમાચાર છે કે 15 માર્ચ સુધી સરકાર કોઈ નક્કર નિર્ણય લઈ શકે છે. પરંતુ એક્સાઇઝ ડ્યૂટી રાજ્ય સરકારો પણ લગાવે છે. રાજ્ય સરકારોએ પણ આ પગલું ઉઠાવવું પડશે.
ક્રૂડઑઇલથી થનારી કમાણીમાં કેન્દ્રનો ભાગ સૌથી વધુ છે. દર 100 રૂપિયાના ક્રૂડઑઇલ પર કેન્દ્ર અને રાજ્ય સરકારોના ટૅક્સ અને એજન્ટ કમિશનને જોડવામાં આવે તો 65 રૂપિયા બને છે જે પૈકી 37 રૂપિયા કેન્દ્રના છે અને 23 રૂપિયા પર રાજ્ય સરકારોનો હક છે.
પાછલા અમુક સમયમાં ભારતમાં કેટલા વધ્યા પેટ્રોલ-ડિઝલના ભાવ?
પાછલા અમુક સમયની વાત કરીએ તો ભારતમાં લગભગ દરેક સ્થળે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે. ભારતનાં ઘણાં શહેરોમાં તો પેટ્રોલનો ભાવ 100 રૂપિયા પ્રતિ લિટરની સપાટી પણ વટાવી ગયો. જ્યારે અમુક શહેરોમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયા પ્રતિ લિટરની આસપાસ રહ્યા હતા.
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના એક અહેવાલ અનુસાર ફેબ્રુઆરી, 2021માં સતત સાત દિવસ સુધી પેટ્રોલના ભાવ વધ્યા હતા.
અહેવાલ અનુસાર ભારતના પાટનગર દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 88.99 રૂપિયા પ્રતિ લીટર હતો જ્યારે ડીઝલનો ભાવ 79.35 રૂપિયા પ્રતિ લિટર હતો.
અહેવાલ અનુસાર પાછલા સાત દિવસમાં પેટ્રોલનો ભાવ 2.06 રૂપિયા પ્રતિ લિટર અને ડિઝલનો ભાવ 2.56 રૂપિયા પ્રતિ લિટર વધ્યો હતો.
અહેવાલમાં દર્શાવાયેલ અન્ય વિગતો અનુસાર વર્ષ 2021માં જ 19 વખત પેટ્રોલ અને ડીઝલના ભાવ ભારતમાં વધ્યા છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો