You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મમતા બેનરજી ઈજાગ્રસ્ત, હૉસ્પિટલમાં ખસેડાયા, કહ્યું, ‘મારા પર હુમલો થયો છે’ - BBC TOP NEWS
તાજા સમાચાર અનુસાર પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજી પર પશ્ચિમ બંગાળમાં કથિતરીતે હુમલો થયો હોવાના અહેવાલ છે. તેમને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર મમતા બેનરજીએ કહ્યું કે, "મારા પર જાણી જોઈને હુમલો થયો છે. 4-5 વ્યક્તિએ આવીને મને પગમાં ઈજા કરી છે. હું આ મામલે ફરિયાદ કરીશી."
મમતા બેનરજીએ ત્યાં હાજર પત્રકારોને કહ્યું, "મારા પર હુમલો જ થયો છે. મને છાતીમાં દુખાવો થઈ રહ્યો છે. ગભરામણ પણ થઈ રહી છે."
તૃણમૂલે મમતા બેનરજીની સુરક્ષા મામલે ચિંતા વ્યક્ત કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે તેમણે નંદીગ્રામથી નામાંકન ભર્યું છે. આ દરમિયાન તેમને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડાયા છે. તેમની સ્થિતિ સામાન્ય હોવાના પ્રાથમિક અહેવાલ છે.
જ્યારે બીજી તરફ પશ્ચિમ બંગાળ ભાજપના ઉપ-પ્રમુખ અર્જુન સિંઘે વળતા જવાબમાં એવી પ્રતિક્રિયા આપી છે કે, "મમતા બેનરજીની સુરક્ષામાં 4 આઈપીએસ અધિકારી હોય છે. તો પછી કોણ આટલા નજીક આવી શકે. ખરેખર તેઓ સાહનુભૂતિ માટે ડ્રામા કરી રહ્યા છે."
અત્રે નોંધવું કે મમતા બેનરજીએ આજે મંદિરમાં ચંદીપાઠ કર્યા હતા.
ગુજરાત બહાર જવાની કાયમી છુટ માગતી હાર્દિક પટેલની અરજી હાઈકોર્ટે ફગાવી
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ગુજરાત હાઇકોર્ટે બુધવારે હાર્દિક પટેલની જામીન અરજીમાં રહેલી શરત, જેમાં તેમને ગુજરાત બહાર જવા મામલે કેટલાક નિયંત્રણો છે તે શરતને હઠાવવાની માગને ફગાવી દીધી છે.
ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલને રાજ્યની બહાર જવા માટે પહેલાં કોર્ટની પરવાનગી લેવી પડે છે. આ વાત તેમની જામીન અરજીની શરતમાં લખી હતી તેને હઠાવવા માટે હાર્દિક પટેલે હાઇકોર્ટમાં અરજી કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી. જોકે, હાર્દિક પટેલ હાલ પૂરતી રાહત માટે સેશન્સ કોર્ટમાં જઈ શકે છે. જ્યારે જરૂરી હોય ત્યારે, અદાલત પોતાનો વિવેક વાપરીને આદેશનું પાલન કરી શકે છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દાખલ કરવામાં આવેલા એક કેસમાં ટ્રાયલ કોર્ટમાં હાજર થવામાં નિષ્ફળ હોવાના કારણે તેમની ભૂતકાળમાં ધરપકડ કરવામાં આવી હતી.
જાન્યુઆરી, 2020માં રાજ્ય છોડતા પહેલા કોર્ટની અગાઉની મંજૂરી લેવાની શરતે તેમને જામીન આપવામાં આવ્યા હતા.
અમદાવાદના મેયર તરીકે ભાજપના કિરીટ પરમારની વરણી
અમદાવાદના નવા મેયર તરીકે ભાજપના કિરીટ પરમારની વરણી કરવામાં આવી છે. તો અમદાવાદનાં ડેપ્યુટી મેયર તરીકે ગીતા પટેલના નામની જાહેરાત કરાઈ છે. કિરીટ પરમાર પૂર્વ મેયર બીજલ પટેલનું સ્થાન લેશે.
તો અરુણસિંહ રાજપૂત મનપાના દંડક તરીકે ચૂંટાયા છે અને ભાસ્કર ભટ્ટની મનપામાં ભાજપના નેતા તરીકે વરણી થઈ છે.
નવા મેયર તરીકે કિરીટ પરમારનું નામ ચર્ચામાં હતું અને તેમના પર જ પસંદગી ઉતારવામાં આવી છે. કિરીટ પરમાર અમદાવાદના ઠક્કરબાપાનગર વોર્ડના કૉર્પોરેટર છે.
ભાજપે મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ આજે અમદાવાદના મેયર સહિત અન્ય હોદ્દેદારોની પસંદગી કરી હતી. તો સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન તરીકે હિતેશ બારોટની વરણી કરવામાં આવી છે.
કિરીટ પરમારે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે "એક સામાન્ય પરિવારમાંથી, સામાન્ય ચાલીમાં રહેનાર, મ્યુનિસપલ કૉર્પોરશનની શાળામાં ભણનારા સામાન્ય માણસને આ પ્રતિષ્ઠિત પદ પર બેસાડનારા ભાજપનો આભારી છું."
તેઓએ કહ્યું કે "કેન્દ્રથી લઈને, કૉર્પોરેશન સુધી વિકાસનાં કામો જે ચાલી રહ્યાં તે સામાન્ય લોકો, ગરીબ લોકો સુધી પહોંચે એવો મારો પ્રયાસ રહેશે."
મીડિયા સાથેની વાતચીતમાં કિરીટ પરમારે સંઘનો સ્વયંસેવક હોવાનું ગૌરવ અનુભવ્યું હતું.
તો રાજ્યના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું, "સંસદીય બોર્ડ દ્વારા, સ્થાનિક હોદ્દેદારો સાથે નામ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી."
તેમના જણાવ્યા અનુસાર અમદાવાદ મહાનગરપાલિકાના હોદ્દેદારો જાહેરાત કરાઈ એ જ રીતે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના હોદ્દેદારોની વરણી અંગે નિર્ણય કરાશે.
ભારત પાકિસ્તાનને કોરોનાની રસી આપશે
અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર ભારત પાકિસ્તાનને કોરોના વાઇરસની રસી આપશે.
ભારત પાકિસ્તાનને 'કોવૅક્સ ફૅસિલિટી' હેઠળ કોવિડ-19ની રસી આપશે, જે દુનિયાભરમાં રસી પહોંચાડવાના હેતુથી બનાવેલું સંગઠન છે.
અખબારે આ જાણકારી સૂત્રોના હવાલાથી આપી છે.
સૂત્રો અનુસાર, પાકિસ્તાનમાં હાલમાં કોઈ અન્ય દેશમાંથી રસી પહોંચી નથી, પણ ભારત સીધી પાકિસ્તાન રસી મોકલશે. બાકી સ્થળોએ રસીને પાકિસ્તાન પહોંચવામાં હજુ કેટલોક સમય લાગી શકે છે.
પાકિસ્તાનની ડ્રગ નિયામક સંસ્થા ડ્રગ રેગ્યુલેટરી ઑથૉરિટી ઑફ પાકિસ્તાને આ વર્ષે જાન્યુઆરીમાં ઑક્સફોર્ડ અને એસ્ટ્રેજેનેકાની કોવિડ-19ની રસીને કટોકટીના ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે.
હરિયાણામાં ખટ્ટર સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ, આજે મતદાન
ભારતીય જનતા પાર્ટી અને જનનાયક જનતા પાર્ટીએ પોતાના ધારાસભ્યોને મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટર સરકાર સામે લાવેલા અવિશ્વાસ પ્રસ્તાવની વિરુદ્ધ સરકારના વલણનું સમર્થન કરવા માટે કહ્યું છે.
રાજ્ય વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ચીફ વ્હિપ કંવરપાલે પાર્ટીના ધારાસભ્યોને બુધવારે વિધાનસભાની કાર્યવાહી દરમિયાન ઉપસ્થિત રહેવાનો નિર્દેશ આપ્યો છે.
કૉંગ્રેસના ચીફ વ્હિપ ભારતભૂષણ બત્રાએ મંગળવારે પાર્ટીના ધારાસભ્યોને 10 માર્ચે વિધાનસભામાં મનોહરલાલ ખટ્ટર સરકાર સામે લાવેલા અવિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કરવા માટે કહ્યું છે.
તો પૂર્વ મુખ્ય મંત્રી અને વિપક્ષના નેતા ભૂપિન્દરસિંહ હુડાએ કહ્યું કે તેમની પાર્ટી સરકારની અસફળતાઓ અને લોકોની સમસ્યાઓ તરફ ધ્યાન ખેંચવા માટે ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ લાવશે.
દિલ્હીની સીમા પર વિવિધ કારણસર 68 લોકોનાં મૃત્યુ
ધ વાયરના અહેવાલ અનુસાર, હરિયાણાના ગૃહમંત્રી અનિલ વીજે સોમવારે વિધાનસભામાં કહ્યું કે કેન્દ્ર સરકારના કૃષિકાયદા સામે દિલ્હીની સીમાઓ પર ચાલતાં પ્રદર્શન દરમિયાન વિવિધ કારણોથી 68 લોકોનાં મૃત્યુ થયાં છે.
કૉંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા સવાલ પર લેખિત જવાબમાં વીજે કહ્યું કે તેમાં 21 હરિયાણાના અને 47 પંજાબના નિવાસી હતા.
તેઓએ કહ્યું કે 18 ફેબ્રુઆરી સુધી તેમાંથી 51 લોકોનાં મૃત્યુ સ્વાસ્થ્યને કારણે, 15નાં મૃત્યુ રોડ-દુર્ઘટનાને લીધે થયાં અને બે લોકોએ આત્મહત્યા કરી છે.
વીજે સદનને જણાવ્યું કે હજુ સુધી હરિયાણાના મૃત પ્રદર્શનકારીઓના પરિવારજનોને નોકરી અને આર્થિક સહાય આપવાનો રાજ્ય સરકારના વિચારાર્થે કોઈ પ્રસ્તાવ નથી.
103 વર્ષનાં મહિલાએ કોરોનાની રસી લીધી
ભારતમાં કોરોના વાઇરસના રસીકરણની પ્રક્રિયા ઝડપી થવાની સાથે નવા કીર્તિમાન પણ બની રહ્યા છે.
એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર, મંગળવારે બેંગલુરુમાં 103 વર્ષીય મહિલા જે કમલેશ્વરીને કોરોના વાઇરસની રસી આપવામાં આવી છે.
અમેરિકા બાદ સૌથી વધુ ભારતમાં કોરોના વાઇરસના કેસ નોંધાયા છે અને ભારતમાં અત્યાર સુધીમાં 2.40 કરોડ લોકોને કોવિડ-19ની રસી આપવામાં આવી છે.
રસીકરણ અનુસાર, તેઓ દેશમાં કોવિડ-19ની રસી લેનારાં સૌથી વધુ ઉંમરના મહિલા બન્યાં છે.
બેંગલુરુની અપોલો હૉસ્પિટલના હવાલાથી એએનઆઈએ આ રિપોર્ટ આપ્યો છે.
તો ઉત્તર પ્રદેશના નોઇડામાં પણ 103 વર્ષીય એક વ્યક્તિને કોરોનાની રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો