You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મ્યાનમાર-ભારતની સરહદે પણ વિરોધપ્રદર્શનો, મ્યાનમારના સેનાશાસને કહ્યું, શરણ લેનારા આઠ પોલીસોને ભારત પાછા સોંપી દે
મ્યાનમારમાં સેનાના તખ્તાપલટ સામે રવિવારે પણ વિરોધપ્રદર્શનો ચાલી રહ્યા છે. ગોળીબાર અને હિંસામાં અત્યાર સુધી 50 લોકોનાં મોત થયાં છે જેમાં સૌથી વધારે મોત બુધવારે ગોળીબારમાં થયાં.
મ્યાનમારમાં રવિવારના વિરોધપ્રદર્શનો અગાઉ પોલીસે અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે.
સોશિયલ મીડિયામાં શૅર થઈ રહેલા એક વીડિયોમાં દેખાય છે કે લોકોની ધરપકડ કરવા માટે એક ગલીમાં ઘૂસેલાં સુરક્ષાદળોએ ઇમારતની તરફ ગોળીઓ ચલાવી.
સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે દેશમાં વિરોધપ્રદર્શનોને કચડવાની સેનાની કોશિશમાં અત્યાર સુધી 50થી વધારે લોકોનાં મોત થયાં છે.
રવિવારે યંગૂન શહેરમાં હજારોની સંખ્યામાં લોકોએ સડકો પર આવી સેનાનો વિરોધ કર્યો.
આ ઉપરાંત માંડલે શહેરમાં પણ મોટું વિરોધપ્રદર્શન ચાલી રહ્યું છે.
સમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર મ્યાનમાર-ભારત સરહદે કાલે નજીક પણ લોકોનું વિરોધપ્રદર્શન ચાલી રહ્યું છે.
આ દરમિયાન મ્યાનમારે ભારતમાં શરણ લેનારા 8 પોલીસકર્મીઓને પાછા મોકલી દેવાનું જણાવ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારત આઠ પોલીસકર્મીઓને પાછા મોકલી દે - મ્યાનમાર
મ્યાનમારે ભારતને કહ્યું કે 'તે એ પોલીસકર્મીઓને પરત સોંપે, જેઓએ સેનાના આદેશનો ઇનકાર કરીને સીમા પાર કરીને ભારતમાં શરણ માગી છે.'
ભારત સરકારના લખેલા એક પત્રમાં મ્યાનમારના અધિકારીઓએ કહ્યું કે "બંને દેશ વચ્ચે 'મૈત્રીપૂર્ણ સંબંધો' જાળવી રાખવા માટે આ પોલીસકર્મીઓને પરત સોંપવામાં આવે."
આ પત્ર અનુસાર, અત્યાર સુધીમાં મ્યાનમારના આઠ પોલીસ અધિકારી સીમા પાર કરીને ભારત આવી ચૂક્યા છે.
પત્રમાં લખવામાં આવ્યું કે "બંને પડોશી દેશો વચ્ચે મિત્રતા રહે, માટે તમને વિનંતી છે કે જે આઠ પોલીસકર્મીઓ સીમા પર કરીને તમારા દેશમાં આવ્યા છે, તેમની અટકાયત કરવામાં આવે અને મ્યાનમારને સોંપવામાં આવે."
તો આ તરફ ભારતીય અધિકારીઓનું કહેવું છે કે મ્યાનમારના કેટલાક અધિકારીઓ અને તેમના પરિવારે હાલના દિવસોમાં સીમા પાર કરી હતી.
ભારતીય રાજ્ય મિઝોરમના ચમ્પઈ જિલ્લાના એક વરિષ્ઠ અધિકારી ડેપ્યુટી કમિશનર મારિયા સીટી જુઆલીએ સમાચાર એજન્સી રૉયટર્સને કહ્યું કે તેમને મ્યાનમારના ફાલામ જિલ્લાના તેમના સમકક્ષનો એક પત્ર મળ્યો હતો, જેમાં પોલીસકર્મીઓની વાપસી માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
મ્યાનમારમાં ગત મહિને સૈન્યનો તખ્તપલટો થયો હતો, બાદમાં સેનાએ દેશના ચૂંટાયેલા નેતા આંગ સાન સૂ ચી સમેત સેંકડો નેતાઓની ધરપકડ કરી હતી. બાદમાં અહીં સતત વિરોધપ્રદર્શન થઈ રહ્યાં છે.
આ પ્રદર્શન દરમિયાન હિંસા થઈ છે. ઘણી જગ્યાએ સુરક્ષાબળોએ પ્રદર્શનકારીઓ પર રબરની ગોળીઓ ચલાવી હતી. સુરક્ષાબળો પર અસલી ગોળીઓ ચલાવવાનો આરોપ છે.
સમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર, એડવોકેસી ગ્રૂપ એસિસ્ટેન્સ ઍસોસિયેશન ફૉર પૉલિટિકલ પ્રિઝનરે કહ્યું કે સૈન્યશાસને અત્યાર સુધીમાં 1,500 લોકોની ધરપકડ કરી છે.
શનિવારે પણ દેશમાં મોટા પાયે વિરોધપ્રદર્શનો થયાં હતાં.
યંગુન સમેત ઘણાં મોટાં શહેરોમાં હજારોની સંખ્યામાં લોકોએ જમા થઈને સૈન્યશાસનનો વિરોધ કર્યો હતો. યંગૂનમાં ભીડને વિખેરવા માટે સુરક્ષાબળોએ આંસુગેસના ગોળા છોડ્યા હતા.
'લોહિયાળ બુધવાર' પછી પણ વિરોધ યથાવત્
મ્યાનમારમાં સૈન્યના તખ્તાપલટના એક મહિના પછી હિંસા ચાલુ છે. બુધવારે ઓછામાં ઓછા 38 લોકોનાં મોત થયાં છે.
સંયુક્ત રાષ્ટ્રએ આને 'ખૂની બુધવાર' કહ્યો છે. મ્યાનમારમાં સંયુક્ત રાષ્ટ્રના રાજદૂત ક્રિસ્ટિન શ્રેનરે કહ્યું છે કે દેશભરમાં હૃદયને હચમચાવી નાખનારા દૃશ્ય સામે આવી રહ્યા છે.
ક્રિસ્ટિને એમ પણ કહ્યું કે એવું લાગે છે કે સુરક્ષાદળો ગોળીબારમાં લાઇવ બુલેટનો ઉપયોગ કરી રહ્યા છે.
આખા મ્યાનમારમાં એક ફેબ્રુઆરીએ થયેલાં સૈન્યના તખતાપલટની સામે વિરોધપ્રદર્શન થઈ રહ્યા છે. પ્રદર્શનકારીઓ માગ કરી રહ્યા છે કે આંગ સાન સૂ ચી સહિત ચૂંટાયેલા સરકારી નેતાઓને છોડી મૂકવામાં આવે.
આ નેતાઓને સત્તામાંથી હઠાવીને સૈન્યએ જેલમાં બંધ કરી દીધા છે. પ્રદર્શનકારી સૈન્ય સામે પણ તખ્તાપલટને ખતમ કરવાની માગ થઈ રહી છે. જોકે હિંસા ત્યારે સામે આવી છે જ્યારે પડોશી દેશ સૈન્યથી સંયમ રાખવાનો આગ્રહ કરી રહ્યા છે.
ક્રિસ્ટિન શ્રેનરનું કહેવું છે કે તખતાપલટ પછી હાલ સુધીમાં 50 લોકોનાં મોત થયાં છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયાં છે.
મ્યાનમારના માંડલે શહેરમાં સૈન્ય શાસન સામે વિરોધ પ્રદર્શનદરમિયાન 19 વર્ષની છોકરી ક્યાલ સિનનું મૃત્યુ થયું હતું. ગુરુવારે તેમનાં અંતિમ સંસ્કારમાં હજારો લોકો હાજર રહ્યાં હતા અને ક્યાલને શ્રદ્ધાંજલી અર્પી હતી. ગોળી વાગવાથી બુધવારે તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
લોકો ક્યાલ સિનને ઍન્જલ એટલે પરી બોલાવી રહ્યાં છે. વિરોધપ્રદર્શન દરમિયાન તેમણે એક ટી-શર્ટ પહેર્યું હતું જેમાં લખ્યું હતું કે "બધું બરાબર થઈ જશે."
સોશિયલ મીડિયા પર પણ લોકો ક્યાલ સિનને યાદ કરી રહ્યાં છે અને તેમને હીરો તરીકે ગણાવી રહ્યાં છે.
સમાચાર એજન્સી રૉઈટર્સના અહેવાલ અનુસાર ગુરુવારે ક્યાલ સિનના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. હાજર લોકોએ ક્રાંતિનાં ગીતો ગાયાં હતા અને સૈન્ય તખતાપલટા સામે સૂત્રોચ્ચાર કર્યાં.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો