ચીનની પ્રજાને નરેન્દ્ર મોદી સરકાર વધારે ગમે છે? સર્વેમાં ખુલાસો

ઇમેજ સ્રોત, Getty Images
ચીનના સરકારી અખબાર 'ધ ગ્લોબલ ટાઇમ્સ' દ્વારા કરાયેલા સર્વેનાં તારણો અનુસાર 50 ટકા કરતાં વધારે લોકો નરેન્દ્ર મોદી સરકારને ગમાડે છે.
ભારત-ચીન વચ્ચે સરહદવિવાદ બાદ સંબંધો વણસ્યા છે, કડવા સંબંધોની છાંટ અનેક વખત નેતાઓનાં નિવેદનોમાં મળી છે.

ઇમેજ સ્રોત, Global Times
આ સ્થિતિ વચ્ચે ચીનમાં થયેલા સર્વેનાં તારણો બહાર આવતાં ફરી એક વખત ચર્ચા ચગતી જોવા મળી છે.

શું છે આ સર્વે?

ઇમેજ સ્રોત, Reuters
ચીનના અખબાર 'ધ ગ્લોબલ ટાઇમ્સ' અને 'ચાઇના ઇન્સ્ટિટ્યૂટ ઑફ કન્ટેમ્પરરી ઇન્ટરનેશનલ રિલેશન્સ' (CICIR) દ્વારા ભારત-ચીન સંબંધો પર એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.
'ધ ગ્લોબલ ટાઇમ્સ'ના અહેવાલ પ્રમાણે આ સર્વેમાં 1,960 લોકોએ ભાગ લીધો હતો. આ પૈકી 50.7 ટકા લોકોની નજરમાં નરેન્દ્ર મોદી સરકારની છબિ સારી છે.
17થી 20 ઑગસ્ટ દરમિયાન કરાયેલા આ સર્વેમાં દસ મોટાં શહેરોના લોકોએ ભાગ લીધો હોવાનું જાણવા મળે છે. જેમાં બેઇજિંગ, વુહાન અને શાંઘાઈ જેવાં શહેરો સામેલ છે.
આ સર્વેમાં ભાગ લેનારા પૈકી 53.5 ટકા લોકોની નજરમાં ભારતની છબિ સારી છે.
જોકે તાજેતરના ભારત-ચીન સીમાવિવાદના સંદર્ભે 70 ટકા કરતાં વધારે લોકો માને છે કે ભારત ચીનનું દુષ્મન બની રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે ભવિષ્યમાં ભારત ચીન સાથે સીમાવિવાદ છેડે તો બચાવમાં ચીન ભારતીય સેના પર વળતો હુમલો કરે, આ અંગે સર્વેમાં ભાગ લેનારા 90 ટકા લોકોએ ચીનની તરફેણ કરી છે.

ભારત ચોથા ક્રમનું પ્રિય પાડોશી રાષ્ટ્ર

ઇમેજ સ્રોત, Getty Images
ચીનની પ્રજા કયા પાડોશી રાષ્ટ્રોને પ્રિય માને છે એ અંગેના સવાલો પણ આ સર્વેમાં પૂછવામાં આવ્યા હતા.
જેનાં તારણોમાંથી સપાટી પર આવ્યું છે કે ભારત ચોથા ક્રમનું પ્રિય પાડોશી રાજ્ય છે.
આ સર્વેમાં ભાગ લેનારા લોકો પૈકી 48.8 ટકા લોકોના મતે રશિયા સૌથી પ્રિય પાડોશી રાષ્ટ્ર છે, જ્યારે 35.1 ટકા લોકોના મતે પાકિસ્તાન અને 26.6 લોકોના મતે જાપાન પ્રિય પાડોશી રાષ્ટ્ર છે.
જ્યારે 26.4 ટકા લોકો ભારતને ચીનનું પ્રિય પાડોશી રાષ્ટ્ર માને છે.

'સર્વેનાં તારણોએ અમને પણ ચોંકાવી દીધા'

ઇમેજ સ્રોત, Global Times
આ સર્વેમાં કહેવામાં આવ્યું છે કે 56 ટકા લોકો ચીનમાં ભારત વિશે સારી માહિતી ધરાવે છે.
સર્વેનાં આ પરિણામે સીઆઈસીઆઈઆરના સાઉથ એશિયા સ્ટડીના ડિરેક્ટરને પણ ચોંકાવી દીધા છે.
પરિણામ વિશે વાત કરતાં તેમણે 'ધ ગ્લોબલ ટાઇમ્સ'ને કહ્યું કે આ એટલા માટે શક્ય છે કારણ કે બંને દેશોમાં 'પીપલ ટૂ પીપલ કૉન્ટેક્ટ' સારા છે.
સર્વે કરનારને લાગે છે કે આનો અર્થ એ છે કે બંને દેશોની સરકાર વચ્ચે જે કાંઈ ચાલી રહ્યું છે, જનતા પર તેની વધારે અસર થતી નથી અને પોતાના સ્તરે પણ સંબંધોનું આકલન કરે છે.
સાથે જ એ પણ ખ્યાલ આવ્યો કે ચીનના લોકો અમેરિકા અને યુરોપના દેશોની જગ્યાએ ભારતની વધારે જાણકારી ધરાવે છે. ભારત વિશે એ વાત એટલી જ સાચી છે
આ સર્વેમાં લોકોને સવાલ પૂછવામાં આવ્યો કે ભારત વિશે એક છબિ જે તેમના મનમાં સૌથી પહેલાં તૈયાર થાય છે:
31 ટકા લોકોનો જવાબ હતો, 'ભારતીય સમાજમાં મહિલાઓનું નિમ્ન સામાજિક સ્તર.'
28 ટકા લોકોનો જવાબ હતો, 'વસતિની બાબતમાં ભારત દુનિયામાં બીજા ક્રમે છે.'
અંદાજે 22 ટકા લોકોને ભારત વિશે સાંભળતાં જ સૌથી પહેલાં 'ભારતીય યોગ'નો ખ્યાલ આવે છે.

ભારત અને ચીન અગાઉ ક્યારે-ક્યારે સામે આવ્યા?
1962- ભારત-ચીન યુદ્ધ અંદાજે એક મહિનો ચાલ્યું હતું અને તેનો વિસ્તાર લદ્દાખથી લઈને અરુણાચલ પ્રદેશ સુધી ફેલાયેલો હતો. તેમાં ચીનની જીત થઈ હતી અને ભારતની હાર. જવાહરલાલ નહેરુએ પણ ખેદપૂર્વક સંસદમાં કહ્યું હતું, "આપણે આધુનિક દુનિયાની સચ્ચાઈથી દૂર થઈ ગયા હતા અને આપણે એક બનાવટી માહોલમાં રહેતા હતા, જેને આપણે જ તૈયાર કર્યો હતો."
આ રીતે તેઓએ આ વાતને લગભગ સ્વીકારી લીધી હતી કે તેઓએ વિશ્વાસ કરવામાં મોટી ભૂલ કરી હતી કે ચીન સીમા પર ઘર્ષણો, પેટ્રોલિંગ ટીમ સાથે અથડામણ અને તૂ-તૂ મૈં મૈંથી વધુ કંઈ નહીં કરે.
1962ની લડાઈ બાદ ભારત અને ચીને બંનેએ એકબીજાને ત્યાંથી પોતાના રાજદૂત પાછા બોલાવી લીધા હતા. બંને રાજધાનીઓમાં એક નાનું મિશન ચોક્કસ કામ કરતું હતું.
1967- નાથુ લામાં ચીન અને ભારત વચ્ચે ઘર્ષણ થયું હતું. બંને દેશના ઘણા સૈનિકો માર્યા ગયા હતા. સંખ્યાને લઈને બંને દેશ અલગઅલગ દાવો કરે છે. આ ઘર્ષણ ત્રણ દિવસ સુધી ચાલ્યું હતું.

ઇમેજ સ્રોત, Reuters
નાથુ લામાં તહેનાત મેજર જનરલ શેરૂ થપલિયાલે 'ઇન્ડિયન ડિફેન્સ રિવ્યૂ'ના 22 સપ્ટેમ્બર, 2014ના અંકમાં આ ઘર્ષણ અંગે વિસ્તારથી લખ્યું છે.
તેમના અનુસાર, નાથુ લામાં બંને સેનાઓનો દિવસ કથિત સીમા પર પેટ્રોલિંગ સાથે શરૂ થાય છે અને આ દરમિયાન બંને દેશના ફોજીઓ વચ્ચે કંઈકને કંઈક બોલાચાલી શરૂ થઈ જાય છે.
6 સપ્ટેમ્બર, 1967માં ભારતીય સૈનિકોએ ચીનના રાજનીતિક કમિસાર (ચીનના લશ્કરમાં એક હોદ્દેદાર) ને ધક્કો મારીને પાડી દીધા, તેમનાં ચશ્માં તૂટી ગયાં. વિસ્તારમાં તણાવ ઓછો કરવા ભારતીય સૈનિક અધિકારીઓએ નક્કી કર્યું કે તેઓ નાથુ લાથી સેબુ લા સુધી ભારત-ચીન સીમાને નક્કી કરવા તારની એક વાડ બનાવશે.
જેવું થોડા દિવસો પછી વાડ બનાવવાનું કામ શરૂ થયું કે ચીનના રાજનીતિક કમિસાર(ચીનના લશ્કરમાં એક હોદ્દેદાર) પોતાના કેટલાક સૈનિકો સાથે એ સ્થળે પહોંચી ગયા અને તાર પાથરવાનું બંધ કરવા કહ્યું.
ભારતીય સૈનિકોએ તેમની વિનંતી સ્વીકાર ન કરી ત્યારે અચાકન ચીનીઓએ મશીનગન ફાયરિંગ શરૂ કરી દીધું.
1975- ભારતીય સેનાની પેટ્રોલિંગ ટીમ પર અરુણાચલ પ્રદેશમાં એલએસી પર ચીની સેનાએ હુમલો કર્યો હતો.

ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














