You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકાને તાબે થવાનો ઈરાનનો ઇન્કાર યુદ્ધ તરફ જઈ રહ્યો છે?
અમેરિકાએ ઈરાનને એક 'સ્પષ્ટ અને સીધો' જવાબ આપવા માટે મધ્યપૂર્વમાં પોતાનું એક યુદ્ધ વિમાનવાહક જહાજને તહેનાત કર્યું છે. બીજી તરફ અમેરિકાના સેક્રેટરી ઑફ સ્ટેટ પૉમ્પિઓ ઈરાકની બિનઆયોજિત મુલાકાત પર જઈ રહ્યા છે.
અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને કહ્યું કે ઈરાનના હેરાન કરનારા ઉશ્કેરણીજનક સંકેતો અને ચેતવણીઓને ધ્યાનમાં લઈને આ નિર્ણય ટ્રમ્પ વહીવટીતંત્રએ કર્યો છે.
અમેરિકાના એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે મધ્યપૂર્વમાં રહેલાં અમેરિકાનાં સૈન્યનાં ઠેકાણાં પર હુમલો થવાની આશંકાઓને ધ્યાનમાં લઈને અમેરિકાએ આ નિર્ણય લીધો છે.
જોન બોલ્ટને કહ્યું, "કોઈ પણ પ્રકારના હુમલાનો જવાબ અમેરિકા તાકાતથી આપશે."
બોલ્ટને પોતાના એક નિવેદનમાં કહ્યું, "અમેરિકા યૂએસએસ અબ્રાહમ લિંકન કરિયર સ્ટ્રાઇક ગ્રૂપ અને એક બૉમ્બર ટાસ્ક ફોર્સને અમેરિકાના 'સેન્ટ્રલ કમાન્ડ' ક્ષેત્રમાં મોકલી રહ્યું છે."
"અમે આ ઈરાની વહીવટીતંત્રને એક સીધો અને સ્પષ્ટ જવાબ આપવા માટે કરી રહ્યા છીએ."
"સંદેશ એ છે કે જો અમેરિકા અથવા તેના સહયોગી પર કોઈ પ્રકારનો હુમલો થશે તો તેનો જબરદસ્ત જવાબ આપીશું."
બોલ્ટને પોતાની આખી વાત મૂકતાં કહ્યું, 'અમેરિકા ઈરાનની સાથે યુદ્ધ નથી ઇચ્છતું. જોકે, અમે કોઈ પણ પ્રકારનો જવાબ આપવા માટે પૂરી રીતે તૈયાર છીએ. ઇસ્લામિક રૅવલ્યૂશનરી ગાર્ડ્સ હોય કે ઈરાનની સેના દ્વારા શરૂ કરાયેલું નકલી યુદ્ધ પણ કેમ ના હોય, અમે જવાબ આપીશું"
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પહેલાં અમેરિકા ઇરાનના એલીટ રૅવલ્યૂશનરી ગાર્ડને 'વિદેશી આતંકવાદી સંગઠન' કહી ચૂક્યું છે.
બીબીસીના સુરક્ષા સંવાદાતા જોનાથન માર્કસનું વિશ્લેષણ
હાલમાં અમેરિકા દ્વારા ઈરાનની કાર્યવાહી વિશે લગાવાયેલાં આરોપોની કોઈ વિસ્તૃત જાણકારી નથી.
અમને યોગ્ય રીતે ખબર નથી કે અમેરિકા તરફથી જાહેર કરવામાં આવેલી ચેતવણી અને યુદ્ધવિમાન વાહક જહાજને તહેનાત કરવા પાછળનું સાચું કારણ શું છે?
જોકે, આ રીતે મધ્યપૂર્વના દેશમાં કોઈ ઍરક્રાફટ કરિયર અને તેની યુદ્ધ ટુકડીઓને મોકલે તે અસામાન્ય બાબત નથી.
પરંતુ, આ ક્ષેત્રમાં જમીન અને હવામાં હુમલો કરી શકાય તેવાં હથિયારોને ફરીથી મોકલવા થોડી અસામાન્ય વાત છે.
હાલના દિવસોમાં અમેરિકા ઈરાન પર દબાણ બનાવી રહ્યું છે. તે ઈરાન એલીટ રૅવલ્યૂશનરી ગાર્ડને 'વિદેશી આતંકવાદી સંગઠન' કહેવાનું હોય કે પછી આ રીતે પ્રતિબંધ લગાવવાનો હોય.
આ બધાં કારણો છત્તાં પણ ટ્રમ્પ ઍડમિનિસ્ટ્રેશન શું કરવા માંગે છે તે નક્કી નથી. ટ્રમ્પના પ્રવક્તા ભાર દઈને કહે છે કે અમેરિકા ઈરાનની સાથે યુદ્ધ કરવા માંગતું નથી પરંતુ સાથે જ તે ઈરાનમાં સત્તા પરિવર્તન કરાવવાની પોતાની પ્રબળ ઇચ્છાને મુશ્કેલીથી છુપાવી શકે છે.
અમેરિકાએ મધ્યપૂર્વમાં પોતાના યુદ્ધવિમાન વાહક જહાજ એવા સમયે મોકલ્યું છે જ્યારે તેના અને ઈરાનના સંબંધો પહેલાં કરતાં તણાવપૂર્ણ છે.
હાલ કેવા છે અમેરિકા અને ઈરાનના સંબંધો?
આ પહેલાં અમેરિકાના વિદેશમંત્રી માઇક પોમ્પિયોએ પોતાના યુરોપના પ્રવાસ સમયે પત્રકારોને કહ્યું હતું, "અમે ઈરાન તરફ ઉશ્કેરણીજનક પગલાં જોયાં છે અને અમારી પર કોઈ પણ પ્રકારનો હુમલો થશે તો તેનાં માટે તેમને જવાબદાર ગણીશું."
પોમ્પિયોએ એ સ્પષ્ટ નહોતું કર્યું કે તેઓ ઈરાનના ક્યા પ્રકારનાં ઉશકેરણીજનક પગલાંની વાત કરે છે.
એક તરફ જ્યાં અમેરિકા પોતાના સહયોગી દેશોને ઈરાન પાસેથી તેલ ન ખરીદવા માટે મજબૂર કરીને તેની અર્થવ્યવસ્થાને ધરાશાયી કરવા માંગે છે.
સામે ઈરાનનું કહેવું છે કે તે કોઈ પણ હાલતમાં અમેરિકા સામે ઝૂકવાનું નથી.
અમેરિકા ગત વર્ષે ઈરાન સહિત છ દેશોની વચ્ચે થયેલી પરમાણુ સંધિમાંથી બહાર થઈ ગયું છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પની આ સમજૂતી રદ કરવા પાછળનું કારણ એ દર્શાવવામાં આવે છે કે તે 2015માં તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામાના સમય દરમિયાન થયેલી સંધિથી ખુશ ન હતા.
આ સાથે જ અમેરિકાએ યમન અને સીરિયા યુદ્ધમાં ઈરાનની ભૂમિકાની આલોચના પણ કરી હતી.
ટ્રમ્પ વહીવટીતંત્રને આશા છે કે તે ઈરાન સરકારને આ નવી સંધિ કરવા માટે મજબૂર કરી દેશે અને આની અંદર ઈરાનને માત્ર પરમાણુ કાર્યક્રમ નહીં પરંતુ બૅલેસ્ટિક મિસાઇલ કાર્યક્રમ પણ હશે.
અમેરિકાનું એ પણ કહેવું છે કે આનાથી મધ્યપૂર્વમાં ઈરાનનું 'અશિષ્ટ વર્તન' પણ નિયંત્રિત થશે.
જ્યારે, ઈરાને અમેરિકાનો પ્રતિબંધોને ગેરકાનૂની ગણાવ્યા છે.
ઈરાની મીડિયા પ્રમાણે, અમેરિકાની ઘોષણાના જવાબમાં ઈરાનના વિદેશ મંત્રી મોહમ્મદ જવાદ ઝરીફે કહ્યું કે, તેમની પાસે અમેરિકી પ્રતિબંધોનો જવાબ આપવા માટે અનેક વિકલ્પ છે.
જવાદ ઝરીફે કહ્યું કે ઈરાન કેટલાય વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે અને તેમાં 'પરમાણુ અપ્રસાર સંધિ'માંથી બહાર થવાનો પણ સમાવેશ થાય છે.
તેમણે કહ્યું કે જો ઈરાનને તેનું તેલ વેચવાથી રોકવામાં આવ્યું તો તેનાં ગંભીર પરિણામ આવશે.
આ વચ્ચે ઈરાનના ઉચ્ચ જનરલે ચેતવણી આપી કે તે જો ઈરાનને વધારે અવરોધોનો સામનો કરવો પડશે તો તે સામૂહિક રીતે મહત્વપૂર્ણ હોરમુજ જળસંધિ માર્ગને બંધ કરી શકે છે.
તેમણે કહ્યું, 'જો અમારાં તેલનાં વહાણો જળસંધિમાંથી ના જાય તો બાકીના દેશનાં તેલનાં વહાણો પણ જળસંધિ પાર કરી શકશે નહીં.'
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો