ઇન્ડોનેશિયા : સુલાવેશી ટાપુ પર સુનામીમાં 832 લોકોનાં મૃત્યુ

7.5ની તીવ્રતાના ભૂકંપ બાદ ઇન્ડોનેશિયાના સુલાવેશી ટાપુના પાલુ શહેર પર સુનામી ત્રાટકી, જેમાં 832 લોકોનાં મૃત્યુ થયાં છે.

ભૂકંપ બાદ અધિકારીઓ દ્વારા સુનામીની ચેતવણી આપવામાં આવી હતી, તે પછી લગભગ ત્રણ (10 ફૂટ) મીટર ઊંચી લહેરો સુલાવેશીના પાલુ શહેરમાં ફરી વળી હતી.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા અપુષ્ટ વીડિયોમાં લોકોની નાસભાગને જોઈ શકાય છે.

આ વિસ્તારની મસ્જિદ, હૉસ્પિટલ અને શોપિંગ સેન્ટર્સ ઉપરાંત અન્ય કેટલીક ઇમારતોને પણ નુકસાન પહોંચ્યું છે.

શનિવારે ફરી એક વખત પાલુમાં આફટરશોક્સ આવ્યા હતા, જેનાં કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ઑગસ્ટ મહિનામાં ઇન્ડોનેશિયાના લૉમબૂક ટાપુ પર ભૂકંપ આવ્યો હતો, જેમાં 460થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં.

ઇન્ડોનેશિયાની ડિઝાસ્ટર એજન્સીના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, ઓછામાં ઓછા 48 લોકોનાં મૃત્યુ થયાં છે અને મૃતકઆંક વધી શકે છે.

એજન્સીના જણાવ્યા પ્રમાણે, ભૂકંપ તથા સુનામીના કારણે સંચાર વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે, જેના કારણે જાનમાલની ખુંવારી અંગે નક્કર આંકડા મળી શક્યા નથી.

યુએસ જિઓલોજિકલ સર્વેના જણાવ્યા પ્રમાણે, આંતરરાષ્ટ્રીય સમય પ્રમાણે સવારે 11 વાગ્યે ભૂકંપ આવ્યો હતો.

ઇન્ડોનેશિયાની સરકારી સંસ્થા બીએમકેજીના વડા દ્વિકૉરિટા કર્ણાવતીના જણાવ્યા પ્રમાણે, ભૂકંપ બાદ આવેલી સુનામીના પૂર ઓસરી ગયા હતા, પરંતુ ત્યાં અનેક બિલ્ડિંગ્સને નુકસાન પહોંચ્યું છે અને લોકોમાં ભયનો માહોલ છે.

એક જહાજ તણાઈને દરિયા કિનારા સુધી પહોંચ્યું હતું. ઇન્ડોનેશિયાના પાલુમાં લગભગ ત્રણ લાખ લોકો રહે છે.

ઉલ્લેખનીય છે કે 2004માં ઇન્ડોનેશિયામાં ભૂકંપ બાદ સુનામી ત્રાટકી હતી, જેમાં એક લાખ 20 હજાર લોકોનાં મૃત્યુ થયાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો