શું દરરોજ ઉપયોગમાં લેવાતું ઇમોજી કોઈની જિંદગી બચાવી શકે ખરું?

    • લેેખક, મેરી હાલ્ટન
    • પદ, સાયન્સ રિપોર્ટર, બીબીસી ન્યૂઝ

આપત્તિના સમયે કરવામાં આવતા કમ્યૂનિકેશનમાં આપણે ઇમોજીનો ઉપયોગ કરતાં હોઈએ છીએ.

જાણે-અજાણે થતા ઇમોજીના ઉપયોગથી આપત્તિના સમયે ખરેખર કોઈ ફરક પડે છે ખરો?

તેનો જવાબ સંશોધકો 'હા'માં આપે છે. સંશોધકોનું કહેવું છે કે આપત્તિના સમયે ઇમોજી ઘણું ઉપયોગી થઈ શકે છે.

ખાસ કરીને ભૂકંપ જેવા સંજોગોમાં ઇમોજી લોકોને મદદરૂપ થઈ શકે છે.

આ માટે ભૂકંપનું ઇમોજી તૈયાર કરવાની અને તેને યૂનિકોડમાં સમાવવાની કવાયત પણ હાથ ધરવામાં આવી છે.

તો આવો જાણીએ કે ખરેખર ઇમોજી વ્યક્તિની જિંદગી બચાવી શકે કે નહીં.

'ઇમોજી-ક્વેક' અભિયાન

હાલ ભૂકંપ માટે ઇમોજી બનાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને તેને ઇમોજી ક્વેક અભિયાન તરીકે ઓળખવામાં આવે છે.

ઇમોજી-ક્વેક અભિયાનની શરૂઆત ઇંગ્લૅન્ડની યુનિવર્સિટી ઓફ સાઉથહૅમ્પટનમાં કરવામાં આવી છે.

આ યુનિવર્સિટીના સિસ્મૉલૉજીસ્ટ ડૉ.સ્ટિફન હિક્સ કહે છે કે, "વિશ્વની એક તૃતીયાંશ જેટલી વસ્તી ઘણા અંશે ભૂકંપ સંબંધી સંકટનો સામનો કરી રહી છે."

"તો આ સ્થિતિમાં જુદા-જુદા પ્રદેશ અને અલગ-અલગ ભાષાના લોકો સાથે વાતચીત કરવા માટે ઇમોજી સૌથી સારું માધ્યમ હોઈ શકે છે."

હાલ આ ટીમ ભૂકંપ સમયે ઉપયોગમાં લઈ શકાય તેવાં ઇમોજીની ડિઝાઇન પર કામ કરી રહી છે.

આ પ્રયત્નોના ભાગરૂપે કમ્યૂનિકેશન ઍક્સ્પર્ટ ડૉ. સારા મેકબ્રાઇડ યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલૉજીકલ સર્વે સાથે કામ કરી રહ્યાં છે.

બીબીસી સાથેની વાતચીતમાં ડૉ.સારાએ કહ્યું હતું કે, "લેખિત ભાષાઓની સીમા ઇમોજી થકી પાર કરી શકાય છે."

"આપણી ભાષા ન જાણતી વ્યક્તિ સાથે સંવાદ કરવા માટે અથવા માહિતી મોકલવા માટે ઇમોજી મદદરૂપ થઈ શકે છે. તેના થકી લોકોને ઝડપથી ચેતવી શકાય છે."

ભૂકંપ શા માટે?

ડૉ.હિક્સ કહે છે કે, "ભૂકંપની સૌથી મોટી સમસ્યા તેની જટીલ પ્રક્રિયા છે."

"તેની પ્રક્રિયા ગર્ભિત છે, તેની પ્રક્રિયા વૉલ્કેનો કે ટૉર્નેડોની માફક જોઈ કે અનુભવી શકાતી નથી."

"મોસમને લગતી કેટલીક ઘટનાઓમાં અગાઉથી પૂરતા સમય પહેલાં ચેતવણી આપી શકાતી હોય છે."

"તેનું સાયન્સ પણ છે. પણ ભૂકંપ ખૂબ ઝડપથી પ્રસરે છે અને તેની જાણકારી મેળવવી પણ મુશ્કેલ હોય છે."

"જાપાન અને મેક્સિકો જેવા દેશોમાં લોકો ડિજિટલ ડિવાઇસ અથવા બ્રૉડકાસ્ટના માધ્યમથી અપાતી ભૂકંપની ચેતવણી પર નિર્ભર હોય છે."

ડૉ.હિક્સ કહે છે, "તમારે પોતાની જાતને સુરક્ષિત કરવા ટેબલ નીચે જવા માટે પણ કેટલીક સેકન્ડ્સની જરૂર પડે છે."

"જેનાથી મોટાભાગના કિસ્સાઓમાં પોતાનો જીવ બચાવી શકાય છે."

"જો તમે તે ચેતવણીના ભાગ રૂપે એક ટૅક્સ્ટ મૅસેજ મોકલો તો પણ વધારે શબ્દોની જરૂર પડતી નથી."

"ભાષાની દ્રષ્ટીએ ઇમોજી હજુ છેલ્લાં થોડાં વર્ષોથી જ ચલણમાં હોવાથી આ અંગે વધારે અભ્યાસ થઈ શક્યો નથી અને એ પણ જાણી શકાયું નથી કે આપત્તી સમયે તેનો ઉપયોગ કરવામાં કેટલો સમય લાગી શકે."

"લેખિત માહિતી કરતાં ફોટો અથવા ચિત્રોની મદદથી કોઈ પણ બાબત ઝડપથી સમજી શકાય છે."

"એટલે જ પ્લેનમાં અપાતા સેફ્ટી કાર્ડમાં ચિત્રો અને ગ્રાફિક્સ વધારે હોય છે."

ડૉ. મેકબ્રાઇડ કહે છે કે, "કેટલાક અભ્યાસો સૂચવે છે કે ઇમોજીના ઉપયોગથી ઓછા સમયમાં કોઈ પણ બાબત સમજી શકાય છે. આમ છતાં આપણે હંમેશાં વધુ માહિતીની જરૂર પડતી હોય છે."

તેમનું કહેવું છે કે ઇમોજીની મદદથી ચેતવણી આપી શકાશે એટલું જ નહીં પણ, ક્યાં અને ક્યારે ભૂકંપ થયો એ ઝડપથી જાણકારી પણ સિસ્મૉલૉજીસ્ટ મેળવી શકશે.

તમે આ વાંચ્યું કે નહીં?

હાલમાં ભૂકંપ બાદ લોકો પોતાની ભાષામાં એવું ટ્વીટ કરતાં હોય છે કે, "શું હમણાં ભૂકંપના ઝટકાનો અનુભવ થયો?"

"પણ જો ભૂકંપ માટે કોઈ ઇમોજી હોય તો તેનો ઉપયોગ આખું વિશ્વ કરી શકે, તે વિશાળ વસ્તી ધરાવતા પ્રદેશમાં સીસ્મૉમીટરની ગરજ સારી શકે છે."

ડૉ.હિક્સ કહે છે કે, "ટ્વીટ્સ જિયોટૅગ્સ હોઈ શકે છે, ઘણી વખત એવું થાય છે કે તરંગો પહોંચે એ પહેલાં ભૂકંપના સમાચાર સોશિયલ મીડિયાની મદદથી મળી જાય છે."

"જો આપણને એવું ખબર પડી જાય કે ભૂકંપ થવાનો છે તો તકેદારીનાં પગલાં ભરી શકાય અને મદદ માટે ટીમો મોકલી શકાય."

અન્ય આપત્તીઓમાં પણ મદદરૂપ

ભૂકંપ સિવાય અન્ય આપત્તીઓ સમયે પણ ઇમોજી ઉપયોગી પૂરવાર થઈ શકે છે.

સાન ફ્રાન્સિસ્કોના ડિઝાઇનર અને આર્કિટેક્ટ સારા ડીન કહે છે કે, "આપત્તી સમયે ભાષાનો ઉપયોગ કરવો એ માહિતીના આદાન-પ્રદાનમાં સૌથી મોટો અવરોધ બને છે."

"આપત્તી થયા બાદના થોડા દિવસો સુધી આ અવરોધ સૌથી વધારે જોવા મળે છે."

ડીન સહિતના ડિઝાઇનરો મોસમ અને પર્યાવરણ સંલગ્ન ઘટનાઓ માટેના ઇમોજી અંગે કાર્યરત છે.

ડીને કહ્યું કે, "આપત્તી વખતે સંવાદ માટે લોકો અત્યારે પણ ઇમોજીનો ઉપયોગ કરે જ છે."

"પણ આપણી પાસે એ માટે કોઈ ચોક્ક્સ ઇમોજી ન હોવાના કારણે લોકો વિભિન્ન ઇમોજીને સાથે મૂકીને એક ઇમોજી તરીકે માહિતી આપવા પ્રયત્ન કરે છે."

ટ્વીટર યૂઝર્સે આગ અને ઝાડનું ઇમોજી એક સાથે મૂકીને દાવાનળ વિશે માહિતી આપી હોય એવાં ટ્વીટ પણ કેલિફોર્નિયામાં જોવાં મળ્યાં છે.

તેમના માટે મહત્ત્વની બાબત એ છે કે આપત્તી સમયે લોકો સોશિયલ મીડિયા પર શેર કરી શકે એવી સામગ્રી હોવી જોઈએ.

તેમણે કહ્યું હતું કે, આ વૈશ્વિક આપત્તીઓ છે અને એ માટે આપણે વૈશ્વિક સ્તર પર સંવાદ કરી શકવા સક્ષમ હોવા જોઈએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો