યમનના પૂર્વ રાષ્ટ્રપતિ અલી અબ્દુલ્લા સાલેહની 'હત્યા'

યમનના પૂર્વ રાષ્ટ્રપતિ અલી અબ્દુલ્લા સાલેહનું મૃત્યુ થયું છે.

શરૂઆતના અહેવાલો મુજબ હૂથી વિદ્રોહીઓ સાથેની અથડામણમાં તેમનું મોત નિપજ્યું છે. યમનના ગૃહ યુદ્ધમાં એક જમાનામાં સાલેહ અને હૂથી વિદ્રોહી એક તરફ હતા.

હૂથી વિદ્રોહીઓના નિયંત્રણવાળા મીડિયા પક્ષે કહ્યું છે કે વિશ્વાસઘાતી નેતાનાં મોતથી આખરે સંકટનો અંત આવ્યો છે.

તમને આ પણ વાંચવું ગમશે

ઑનલાઇન મીડિયામાં જે ફોટા આવી રહ્યા છે તેમાં પૂર્વ રાષ્ટ્રપતિ જેવા દેખાઈ રહેલા વ્યક્તિના માથામાં ગંભીર ઇજાઓ થયેલી દેખાઈ રહી છે.

ગયા અઠવાડિયા સુધી તો પૂર્વ રાષ્ટ્રપતિ અને હૂથી વિદ્રોહીઓ એક જ તરફથી લડી રહ્યા હતા.

ત્યારે એમના નિશાના પર યમનના અત્યારના રાષ્ટ્રપતિ અબ્દારાબૂહ મંસૂર હાદી હતા.

સાલેહની રજૂઆત

રાજધાની સનાની મુખ્ય મસ્જિદ પર નિયંત્રણ માટેના વિવાદ પછી બંને પક્ષોમાં ફાટ પડી ગઈ હતી.

આ વિવાદમાં 125 લોકોનાં જીવ ગયા હતા. જ્યારે કે 238 લોકો ઘાયલ થયા હતા.

શનિવારે સાલેહે સાઉદી અરબના નેતૃત્વવાળા ગઠબંધન પરથી નાકાબંધી હટાવવાના બદલામાં નવી શરૂઆત કરવાની રજૂઆત કરી હતી.

ગઠબંધન અને તત્કાલિન રાષ્ટ્રપતિએ તેમની આ રજૂઆતનું સ્વાગત કર્યું હતું. પરંતુ હૂથી વિદ્રોહીઓએ એનાથી ઉલટ તખ્તાપલટની માંગ કરી હતી.

સંયુક્ત રાષ્ટ્ર મુજબ માર્ચ 2015માં શરૂ થયેલા યમન ગૃહ યુદ્ધમાં અત્યાર સુધી 8670 લોકોનાં મોત થયા છે. જ્યારે કે 49,670 લોકો ઘાયલ થયા છે.

વિદ્રોહની માઠી અસર 27 લાખ લોકો પર થઈ છે. ઉપરાંત કૉલેરાની બીમારીના કારણે એપ્રિલ મહિનાથી અત્યાર સુધી 2,211 લોકોનાં મૃત્યુ નિપજ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો