શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં ક્લીન ચીટ

ક્રુઝ પર ડ્રગ્સ કેસ મામલે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનને ક્લીન ચીટ આપી છે.

એનસીબીએ શુક્રવારે ચાર્જશીટ દાખલ કરી છે. ગત વર્ષે આ મામલે શાહરુખ ખાનના પુત્રની ધરપકડ કરી હતી.

એનસીબીએ છ હજાર પાનાંની ચાર્જશીટ દાખલ કરી છે. આ મામલે 14 લોકો આરોપી હતા. અદાલતે પુરાવાને અભાવે આર્યન ખાનને જેલમુક્ત કર્યાં હતા.

આ કેસ મુંબઈમાં એક ક્રુઝ પર કથિત રેવ પાર્ટી સાથે સંકળાયેલો હતો.

ગત વર્ષે ઑક્ટોબરમાં મહિનામાં આર્યન ખાન સમેત 17 લોકોની મુંબઈમાં એક ક્રુઝ પર થઈ રહેલી કથિત રેવ પાર્ટી મામલે ધરપકડ કરવામાં આવી હતી.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ અદાલતમાં કહ્યું હતું કે આરોપીઓનાં મોબાઇલમાં ડ્રગ્સ પેડલરની ચેટ મળી છે એટલે એમની ધરપકડ કરી પૂછપરછ કરવી જરૂરી છે. એનસીબીએ કહ્યું હતું કે તમામ આરોપીઓ એકબીજાના સંપર્કમાં હતા.

એનસીબીએ અદાલતમાં 11 ઑક્ટોબર સુધીની આર્યન ખાનની કસ્ટડીની માગણી કરી હતી. એ પછી તરત આર્યન ખાને જામીન અરજી કરી હતી. જોકે, એમને આશરે એક મહિનો જેલમાં રહેવું પડ્યું હતું.

એ બાદ મુંબઈ હાઈકોર્ટે આર્યન ખાનને જામીન આપ્યા હતા. અદાલતમાં બચાવપક્ષના વકીલ રોહતગીએ કહ્યું હતું કે 'નશાકારક પદાર્શનું સેવન નથી કર્યું, કોઈ મેડિકલ ટેસ્ટ કરવામાં નથી આવ્યો, તેના કબજામાં નશાકારક પદાર્થ ન હતો, તો પછી આ છોકરાને શા માટે 20 દિવસથી જેલમાં રાખવામાં આવ્યો છે?

આ કેસમાં મુંબઈ પોલીસને માહિતી મળી હતી કે મુંબઈથી ગોવા જઈ રહેલી એક ક્રુઝ શીપમાં રેવ પાર્ટી ચાલી રહી છે, એટલે એનસીબી અધિકારીઓ મુસાફર બનીને ક્રુઝ પર ગયા હતા. એનસીબીએ કહ્યું કે ક્રુઝ શીપ મધદરિયે પહોંચી પછી પાર્ટી શરૂ થઈ હતી. એનસીબીનું કહેવું હતું કે ડ્રગ્સ લેવાની શરૂઆત થઈ એ પછી તેમણે તમામને પકડ્યા હતા અને ક્રુઝને કબજે લીધું હતું.

ભારતમાં બે રાજ્યો પંજાબ અને રાજસ્થાનને બાકાત કરતાં તમામ રાજ્યોની શાળાઓનું શૈક્ષણિકસ્તર 2017ની સરખામણીમાં ઘટ્યું છે. આ તારણ 2021ના નેશનલ એચિવમૅન્ટ સરવેમાં (એનએએસ) બહાર આવ્યું છે.

અંગ્રેજી અખબાર 'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ પ્રમાણે, આ અરસામાં કોરોનાની મહામારી પણ ફેલાઈ હતી, જેનું ચિત્ર પણ આ સરવેમાં ઝિલાયું છે.

દેશભરના 720 જિલ્લાની એક લાખ 18 હજાર શાળાઓમાં ગણિત, પર્યાવરણવિજ્ઞાન તથા ભાષાની સમજની પરીક્ષા કરવામાં આવી હતી.

નવેમ્બર મહિનામાં ધોરણ ત્રણ, પાંચ, આઠ તથા 10ના લગભગ 34 લાખ વિદ્યાર્થીઓનો સરવે કેન્દ્રીય શિક્ષણમંત્રાલયના નિર્દેશ પર કરવામાં આવ્યો હતો.

શ્વાનને કારણે અધિકારીની બદલી

દિલ્હીના મહેસુલ વિભાગના મુખ્ય સચિવ સંજીવ ખિરવાર તેમના શ્વાન સાથે વૉક કરી શકે તે માટે દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમમાંથી ખેલાડીઓને સાત વાગ્યા પહેલાં નીકળી જવા માટે કહેવામાં આવતું હતું.

આ અંગે ઇન્ડિયન એક્સપ્રેસે અહેવાલ પ્રકાશિત કરતાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દિલ્હીના મુખ્યસચિવ પાસેથી જવાબ માગવામાં આવ્યો હતો.

જેના અહેવાલ પછી ખિરવારની લદ્દાખમાં બદલી કરી દેવામાં આવી છે, જ્યારે તેમનાં પત્ની રિંકુ દુગ્ગાની તાત્કાલિક અસરથી અરુણાચલ પ્રદેશ બદલી કરી દેવામાં આવી છે.

તેમની ઉપર સરકારી સંપત્તિનો દુરુપયોગ કરવાનો આરોપ સાબિત થયો હતો. બંને 1994ની બેચનાં સનદી અધિકારી છે.

અખબાર સાથે વાત કરતી વેળાએ ખિરવારે સ્ટેડિયમમાં વૉકની વાત સ્વીકારી હતી, પરંતુ તેના માટે ખેલાડીઓ તથા કૉચને વહેલાં નીકળી જવાનું કહેવામાં આવતું હોવાની વાતને નકારી હતી.

દિલ્હી સરકારે સ્પૉર્ટ્સપર્સન ઉનાળામાં મોડે સુધી પ્રૅક્ટિસ કરી શકે તે માટે રાત્રે 10 વાગ્યા સુધી તમામ ખેલસુવિધાઓને ખુલ્લી રાખવાના નિર્દેશ પણ આપ્યા છે.

આઠ વર્ષની સાંકળકેદ

બોટાદ જિલ્લાના સરવા ગામે 22 વર્ષીય યુવકને સાંકળની કેદમાંથી મુક્ત કરાવવામાં આવ્યો છે.

હિંસક આચરણને કારણે તેમને છેલ્લા આઠ વર્ષથી ઝાડ સાથે સાંકળથી નગ્નાવસ્થાં બાંધી રાખવામાં આવ્યા હતા.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા' કચરો વિણતા પરિવારના મોભી પ્રાગજીભાઈ ઓલકિયાને ટાંકતાં લખે છે, તેમના દીકરા મહેશ હિંસક બની જતા હતા અને પથ્થરમારો કરતા હતા. તેમની સારવારના પૈસા ન હોવાથી તેમને બાંધી રાખતા હતા.

બંદીવાનને છોડાવવા માટે પ્રયાસ કરનારસામાજિક કાર્યકર મહેશ ઓલકિયાના (Mahesh Olakiya) કહેવા પ્રમાણે, પીડિતની સારવાર કરાવવામાં આવશે અને તે પણ સન્માનજનક જીવન જીવી શકશે.

રિપોર્ટ પ્રમાણે, યુટ્યુબ પર ખજૂરભાઈ તરીકે વિખ્યાત કૉમેડિયન નીતિન જાનીએ પરિવારની મુલાકત કરી હતી અને પરિવારને ઘર બંધાવી આપ્યું છે.

વીજળી, પાણી અને ખોરાકની વ્યવસ્થા કરી આપવામાં આવી છે તથા આગામી દિવસોમાં મનોચિકિત્સક પાસે તેની સારવાર કરાવવામાં આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો