You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘જેનાં લગ્નનાં સપનાં હતાં તેનાં અસ્થિ લઈ જવાં પડે છે’ રાજકોટમાં હિંદુ-મુસ્લિમ પ્રેમકહાણીનો અંત કેવી રીતે આવ્યો?
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"હું 25 વર્ષથી અહીં રાજકોટમાં રહું છું, મારા કોઈની સાથે અણબનાવ બન્યો નથી. થોડા મહિના પહેલાં મારા મોટા દીકરાનાં લગ્ન હતાં એટલે પરિવાર સાથે બિહાર અમારા પૈતૃક ગામ ગયા હતા."
"લગ્ન પૂર્ણ થયા બાદ પત્ની, દીકરી અને મોટા દીકરા સહિતના પરિવારને બિહાર મૂકી આવ્યા હતા. આ નાના દીકરાનું પણ લગ્ન નક્કી કરી દીધું હતું."
"અમને નહોતી ખબર કે જેને આવતા વર્ષે પરણાવવાનાં સપનાં હતાં, હવે તેની અસ્થિ લઈ બિહાર અમારા પૈતૃક ગામ જવાનું થશે."
આ શબ્દો રડમસ અવાજ સાથે 55 વર્ષીય એક પિતા બોલી રહ્યા છે. રાજકોટમાં સગીરવયની મુસ્લિમ છોકરી અને 22 વર્ષીય હિંદુ યુવકની કથિત પ્રેમકહાણીનો કરુણ અંત આવ્યો હતો.
આ પિતાએ તાજેતરમાં 22 વર્ષીય જુવાનજોધ દીકરો ગુમાવ્યો છે. પોલીસે આ મામલે બે આરોપીની ધરપકડ કરી છે.
કથિત પ્રેમકહાણીનો કરુણ અંજામ
55 વર્ષીય બિપિન ઠાકુર મૂળ બિહારના ભાગલપુર જિલ્લાના નાનકડા ગામ મસ્તવાપુરના વતની છે અને છેલ્લાં 25 વર્ષથી રાજકોટમાં રહી મજૂરીકામ કરે છે.
પોલીસ ફરિયાદ અનુસાર, "તેમના 22 વર્ષીય દીકરાની તેની પ્રેમિકાના ભાઈ દ્વારા બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો. પછી આ ઈજાગ્રસ્ત યુવાનને પહેલાં રાજકોટ અને પછી અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું."
પોલીસ અનુસાર, "બીજી તરફ આ વાતની જાણ યુવતીને થતા તેણે પણ હાથની નસ કાપી લેતા તેની સ્થિતિ હાલત નાજુક હતી. રાજકોટ સિટી ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણમાં કેસ નોંધીને સમગ્ર તપાસ હાથ ધરાઈ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સમગ્ર ઘટના અંગે મૃતક 22 વર્ષીય મિથુનના પિતા બિપિન ઠાકુર બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, "ગત તારીખ 9મી મેના રાત્રે 11 વાગ્યે આ ઘટના ઘટી હતી. હું રાતે નોકરી ઉપર હતો. મને તા.10મીએ સવારે 10.30 વાગ્યે ખબર પડી. હું સવારે ઘરે પહોંચ્યો."
"ઈજાગ્રસ્ત અને કણસી રહેલા પુત્રને રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં લઈ ગયો હતો. સિવિલ હૉસ્પિટલમાં ફરજ ઉપર હાજર ડૉક્ટરોએ કહ્યું કે આ દર્દીને મગજમાં ફ્રૅક્ચર થઈ ગયું છે, નાના મગજમાં ઈજાના કારણે લોહી બંધ થઈ રહ્યું નથી."
"વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવા પડશે. પછી અમે દીકરાને સારવાર માટે અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં ઇમરજન્સીમાં લઈ પહોંચ્યા હતા."
"થોડી વારમાં ડૉક્ટરોએ મારા દીકરાને મૃત જાહેર કર્યો હતો. દીકરાને મૃત જાહેર કરાયો હતો પછી પોસ્ટમૉર્ટમ કરાયું હતું અને અમે 11મી મેના સવારે અમે મૃતદેહ લઈ રાજકોટ પહોંચ્યા હતા."
"રાજકોટમાં અંતિમસંસ્કાર કર્યા હતા. હવે બાકીની વિધિ અમારા પૈતૃક ગામમાં જઈ કરીશું."
પોલીસ ફરિયાદમાં શું છે?
પોલીસ ફરિયાદ અનુસાર, "રાજકોટની જંગલેશ્વર મેઈન રોડ પર રાધાકૃષ્ણ શેરી નંબર-3માં ભાડાના મકાનમાં 55 વર્ષીય બિપિન ઠાકુર તેમના 22 વર્ષના દીકરા મિથુન સાથે રહેતા હતા. બાપ-દીકરો બંને મજૂરી કરતા હતા."
"મિથુન પણ સ્થાનિક ફેકટરીમાં કામ કરતો હતો અને તેને પડોશમાં રહેતી સગીર યુવતી સાથે પ્રેમસબંધ હતા. મિથુન ઠાકુરે ગત સોમવારે સવારે 10 વાગ્યાની આસપાસ યુવતીને તેના મોબાઇલ ફોન પર ફોન કર્યો હતો ત્યારે તેના ભાઈએ ફોન ઉપાડ્યો હતો."
"પછી તેણે મિથુન ઠાકુરને પોતાની બહેન સાથેના સંબંધો પૂર્ણ કરવા તાકીદ કરી હતી. સાથે ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી હતી. આ મુદ્દે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
"આ પછી યુવતીના ભાઈ અને ત્રણ અજાણી વ્યક્તિઓ મિથુન ઠાકુરના ઘરે ગયા હતા અને તેની પર હુમલો કરી માર માર્યો હતો. ગંભીર ઈજાથી તે બેભાન થઈ જતાં તેને ફેંકીને ચાલ્યા ગયા હતા."
"એક પાડોશીએ મિથુનને ઘરમાં બેભાન અવસ્થામાં પડેલો જોયો હતો અને પિતાને જાણ કરી હતી અને મિથુનને રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં લઈ ગયા હતા."
"મિથુનને માથાના ભાગે ગંભીર ઈજાઓને કારણે અમદાવાદ સિવિલ હૉસ્પિટલ રીફર કરવામાં આવ્યો હતો. જ્યાં અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં મિથુનનું મૃત્યુ થયું હતું."
આ પ્રકરણમાં પોલીસે આઈપીસીની કલમ 302, 364, 34 હેઠળ ગુનો નોંધી સઘન તપાસ કરી રહી છે.
'સમયસર સારવાર મળી હોય તો દીકરો બચી ગયો હોત'
બિપિન ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે, "મારો ઈજાગ્રત દીકરો રાતે 11.30 વાગ્યાથી કણસતો હતો, પણ મને તેની ઉપર હુમલો થયો હોવાની માહિતી મળી ન હતી. પડોશીઓએ મને જાણ કરી હતી કે હુમલો કરનાર કોણ હતા."
"જો પડોશીઓએ મને રાતે જાણ કરી હોત તો હું રાતે આવીને મારા દીકરાને હૉસ્પિટલ લઈ ગયો હોત અને સમયસર સારવાર મળી હોત તો આજે મારો દીકરો બચી ગયો હોત."
તેઓ કહે છે, "મારા દીકરાને પ્રેમસંબંધ હશે તેવી મને ખબર ન હતી. આ નાની ઉંમરે મરી ગયો અને આખા પરિવારને રડતા મૂકીને જતો રહ્યો. એ હુમલો કરનારા ચાર-પાંચ માણસો હતા અને મારો દીકરો એકલો હતો. આ તમામે હુમલો કરી મારા દીકરાનો જીવ લીધો."
રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એલ.એલ. ચાવડાએ જણાવ્યું હતું કે, "મૃતકના પિતાની ફરિયાદ નોંધી અમે તપાસ શરૂ કરી દીધી છે. આ ગુનાના આરોપી શાકીર રફીકભાઈ કડીવાર (ઉંમર 21) અને અબ્દુલ અસલમભાઈ અજમેરી (ઉંમર 19)ની ધરપકડ કરી છે. આરોપી શાકીર યુવતીનો ભાઈ છે જ્યારે અબ્દુલ તેનો મિત્ર છે. યુવકના મૃત્યુની માહિતી મળતા સગીર યુવતીએ પોતાના હાથની નસ કાપી દીધી છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો