#AkshayKumar અક્ષય કુમારે વિમલની જાહેરાત મામલે સોશિયલ મીડિયા પર માફી માગી, સામે લોકોએ શું કહ્યું? - સોશિયલ

અક્ષય કુમારે તાજેતરમાં એક પાન-મસાલા બનાવતી કંપની માટે જાહેરાત કર્યા બાદ ગત રાત્રે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ્સ પર એક માફીપત્ર જાહેર કર્યું છે અને સોશિયલ મીડિયા પર તેની ચર્ચા થઈ રહી છે.

પાન-મસાલાની કંપની વિમલ દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરાતમાં બોલીવુડના ત્રણ દિગ્ગજ કલાકારો અજય દેવગન, શાહરૂખ ખાન અને અક્ષય કુમાર છે.

અજય દેવગન પહેલેથી આ કંપની સાથે જોડાયેલા છે. જ્યાર બાદ થોડા મહિના પહેલાં શાહરૂખ ખાન જોડાયા હતા અને અક્ષય કુમારની આ બન્ને સાથે આ પહેલી જાહેરાત હતી.

અક્ષય કુમારની જાહેરાત રિલીઝ થયા બાદ વર્ષ 2018માં તેમણે આપેલા એક ઇન્ટરવ્યૂની ક્લિપ વાઇરલ થઈ હતી. જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ ક્યારેય તમાકુ ઉત્પાદનોની જાહેરાત નહીં કરે.

સોશિયલ મીડિયા પર પાન મસાલા બનાવતી કંપનીની જાહેરાત અને અક્ષય કુમારના ઇન્ટરવ્યૂની ક્લિપ વાઇરલ થયા બાદ અક્ષય કુમારે માફી માગી છે.

માફીપત્રમાં તેમણે કહ્યું છે કે, તેઓ આ જાહેરાત માટે મળેલી ફી સમાજસેવા માટે ખર્ચશે. જોકે, માફી માગ્યા બાદ પણ લોકોમાં આ મુદ્દો ચર્ચામાં રહ્યો હતો અને લોકોએ જાતભાતની પ્રતિક્રિયા આપી હતી.

અનેક લોકોએ અક્ષય કુમારની માફીના વખાણ કર્યાં છે.

સૌરવ ગુર્જરે અક્ષય કુમારના નિર્ણયને મહાન ગણાવ્યો તો રિચા લેખરા કહ્યું વેલ ડન.

જુહી ચાવલાએ લખ્યું રિસ્પેક્ટ.

દિલીપ મંડલે લખ્યું, ઇલાયચીની જાહેરાત કરબા બદલ અક્ષય કુમારે જનતાની માફી માગી. હવે તેઓ કદી ઇલાયચીની જાહેરાત નહીં કરે. શુક્રિયા જનાબ

તો શિવમ બાજપાયીએ લખ્યું, ભૂલ પછી તેનો સ્વીકાર કરવો એ માણસને ખૂબ મોટો બનાવે છે. તમે ક્યાં કોઈ ભૂલ કરી છે ખેર, તમારું માફીનામું બહેતરીન લાગ્યું. અહીં લોકો ગુટખા નથી છોડી શકી રહ્યાં. ખેલાટી ભાઈને પ્રણામ. જય હોય. ટ્રોલર્સ પર આગળ ધ્યાન ન આપશો.

લોકોએ સોશિયલ મીડિયા પર શું કહ્યું?

જ્યારથી પાન-મસાલા કંપનીની જાહેરાત રિલીઝ થઈ છે, ત્યારથી જ સોશિયલ મીડિયા પર તે ચર્ચામાં છે. લોકો જાતભાતનાં મીમ સાથે અક્ષય કુમારનો જૂનો વીડિયો વાઇરલ કરી રહ્યાં હતા.

અવિનાશ આરવ્ નામના એક યુઝરે ટ્વીટ કરીને કહ્યું, "આ ત્રણેયને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો છે. આજે આ ત્રણેય ટીવી પર વિમલ વેચે છે. તેમના માટે પૈસા જ સર્વસ્વ છે. જ્યારે દક્ષિણ ભારતીય કલાકાર અલ્લુ અર્જુને જાહેરાત કરવાની ના પાડી દીધી. સરકાર પાસે પુરસ્કાર પાછો લેવાની પણ પ્રોસિજર હોવી જોઈએ."

જ્યારે દીક્ષા નામનાં યુઝરે અક્ષય કુમારના જૂના નિવેદન બાદ પાન મસાલા કંપનીની જાહેરાત અને ત્યાર બાદ માફી અંગે એક મીમ શૅર કર્યું છે.

હર્ષિત શર્માએ પાન-મસાલાની જાહેરાતમાં એક પછી એક ખ્યાતનામ બોલીવુડ ઍક્ટર્સને સામેલ કર્યાં બાદ ટ્વીટ કર્યું કે જેમ અમેરિકામાં માર્વેલ સિનેમેટિક યુનિવર્સ છે, તેમ ભારતમાં વિમલ સિનેમેટિક યુનિવર્સ છે.

જ્યારે અજય દેવગન ગૃપ નામનાં એક ટ્વિટર હૅન્ડલ પરથી કરાયેલા ટ્વીટમાં અક્ષય કુમારની ફિલ્મ 'કેસરી'નો સંદર્ભ ટાંકીને મીમ શૅર કરવામાં આવ્યું છે.

અલ્લુ અર્જુન અને તમાકુની જાહેરાતને 'ના'

તાજેતરમાં જ દક્ષિણ ભારતના કલાકાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા બૉક્સ ઑફિસ પર સુપરહિટ થઈ હતી. જ્યાર બાદ તેમને પણ પાન-મસાલા બનાવતી કંપની દ્વારા જાહેરાત કરવાની ઑફર આપવામાં આવી હતી.

જોકે, તેમણે જાહેરાતની ઑફરને ફગાવી દીધી હતી. જેને અક્ષય કુમારના આ કિસ્સા સાથે સાંકળીને લોકો અલ્લુ અર્જુનના વખાણ કરી રહ્યાં છે.

રોહિત શર્મા ઍમ્પાયર નામનાં ટ્વિટર હૅન્ડલ પરથી કરાયેલા એક ટ્વીટમાં ફિલ્મ 'પુષ્પા'નો સંદર્ભ ટાંકીને એક મીમ શૅર કરવામાં આવ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો