You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વૈભવ વાઘમારે : એ આઈએએસ અધિકારી જેમણે 'ગૌતમ બુદ્ધનું કામ' કરવા માટે સરકારી નોકરીમાંથી રાજીનામું આપ્યું
- લેેખક, નીતેશ રાઉત
- પદ, બીબીસી ગુજરાતી માટે
ભારતીય વહીવટી સેવા (આઈએએસ)માં પસંદગી પામેલા ધારણીના આદિવાસી વિભાગના પ્રોજેક્ટ ઑફિસર તેમજ ડેપ્યુટી કલેક્ટર વૈભવ વાઘમારેએ હાલમાં જ તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે.
તેમણે ફેસબુક પર પોતાના રાજીનામાની માહિતી આપી હતી. આ નિર્ણય પાછળનું" કારણ તથા પ્રેરણા તથાગત" હોવાનું તેમણે જણાવ્યું હતું. ગૌતમ બુદ્ધને "તથાગત" પણ કહેવામાં આવે છે. તેથી વાઘમારે હવે ગૌતમ બુદ્ધનું કામ કરવાના છે કે કેમ એ બાબતે ચર્ચા શરૂ થઈ છે.
વાઘમારે આદિવાસીઓના બાહુલ્યવાળા વિસ્તાર કામ કરતા કાર્યદક્ષ અધિકારી તરીકે ઓળખાય છે. અનેક લોકોએ તેમના રાજીનામું પાછું ખેંચી લેવાની વિનંતી કરી છે.
તેમની ફેસબુક પોસ્ટ પર કૉમેન્ટ્સનો વરસાદ થયો છે, જેમાં લોકોએ તેમને રાજીનામું પાછું ખેંચવાની વિનંતી કરી છે.
પોતાના રાજીનામાની પોસ્ટ તેમણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. મેલઘાટ જેવા અત્યંત દુર્ગમ આદિવાસી વિસ્તારમાં તેમણે મોહફૂલ (મહુડાનાં ફૂલ)ની બૅન્કનું નિર્માણ કર્યું હતું.
મોહફૂલના માધ્યમથી સ્થાનિકોને રોજગાર મળતો થયો હોવાથી આદિવાસી સમાજમાં આ બૅન્ક લોકપ્રિય બની છે.
સોશિયલ મીડિયા પર શું જણાવ્યું?
વૈભવ વાઘમારેએ તેમના રાજીનામા બાબતે સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં નીચે મુજબ જણાવ્યું છેઃ
"દેશની સર્વોચ્ચ નોકરી (આઈએએસ)માંથી રાજીનામું આપ્યું છે. જીવનમાં વધારે બહેતર અને ઉદ્દાંત કામની શોધમાં આવું કર્યું છે. નિર્ણય લેવાનું થોડું મુશ્કેલ હતું. આ સાહસ પાછળનું કારણ તથા પ્રેરણા બનવા બદલ તથાગતનો આભાર. "
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"આઈએએસ, આઈઆરએસ અને આઈઆરએએસનો આભાર, જેમણે જે અનુભવ મેળવતા સામાન્ય રીતે 20-30 વર્ષ થાય એટલો સમૃદ્ધ અનુભવ માત્ર ત્રણ જ વર્ષમાં આપ્યો."
"આઈએએસ દેશમાંની સર્વોત્તમ સરકારી નોકરી હોવાનું કહેવામાં આવે છે, પણ મને ખાતરી છે કે આ વિશ્વની સર્વોત્તમ સરકારી નોકરી છે, પણ જેને સર્વોત્કૃષ્ટ ગણવામાં આવતી હોય તે દરેક વ્યક્તિને ગમવી જોઈએ અને તેણે એ જ જીવનભર કરવું જોઈએ એ જરૂરી છે?"
"ભારતીય વહીવટી સેવા અને આ સેવામાં કાર્યરત જે ઉત્તમ અધિકારીઓને મળવાનો તથા તેમની સાથે કામ કરવાની તક મળી એ બધાનો આભાર."
"મને આશા છે કે મારું રાજીનામું ઝડપથી સ્વીકારવામાં આવશે અને મને જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવશે. જન્મદિવસે આપેલી શુભેચ્છા બદલ સૌનો આભાર."
કોણ છે વૈભવ વાઘમારે?
વૈભવ વાઘમારે મૂળ પંઢરપુરના વતની છે. આઈએએસની 2019ની બેચના વૈભવની નિમણૂક વહીવટી અધિકારી તરીકે કરવામાં આવી હતી.
એ પછી પ્રોબેશન પીરિયડ દરમિયાન તેમની નિમણૂક વાશિમ જિલ્લાના મંગરૂળ પીર ખાતે તહસીલદાર અને મુખ્ય અધિકારી તરીકે કરવામાં આવી હતી.
2021માં તેમની બદલા મેલઘાટના આદિવાસી વિકાસ વિભાગમાં પ્રોજેક્ટ ઑફિસર અને ડેપ્યુટી કલેક્ટર તરીકે કરવામાં આવી હતી. તેમણે ટૂંકા કાર્યકાળમાં મેલઘાટના આદિવાસીઓ માટે કલ્યાણકારી યોજના અમલમાં મૂકી હતી.
તેમણે મેલઘાટનાં ગામોમાં શરૂ કરેલી મોહફૂલની બૅન્ક વ્યાપક પ્રશંસા પામી છે.
કેવી છે મોહફૂલની બૅન્ક?
વૈભવ વાઘમારેએ 30 ગામોમાં મોહફૂલની બૅન્કો બનાવી છે. એ પછી વધુ 300 ગામોમાં મોહફૂલની બૅન્કો બનાવવાની યોજના હતી. આ બૅન્કની રચના માટે વાઘમારેએ પોતે સ્વસહાય જૂથો તથા ગ્રામજનો સાથે બેઠકો યોજી હતી અને મોહફૂલનો યોગ્ય ઉપયોગ કઈ રીતે કરવો તે સમજાવ્યું હતું.
આ સંદર્ભે તેમણે કેટલાંક જૂથોને તાલીમ આપી હતી. તેમાં દિલીપ જાંભૂ પણ તાલીમ પામ્યા હતા. દિલીપ જાંભૂ કહે છે કે "વાઘમારે અસાધારણ અધિકારી છે. આજ સુધીમાં અનેક અધિકારીઓ આવ્યા અને ગયા, પરંતુ વાઘમારે આદિવાસી સમુદાય માટે વધુ કરુણા ધરાવે છે."
મોહે બૅન્કની વાત કરતાં દિલીપ જાંભૂ કહે છે કે "બૅન્કની શરૂઆત થોડા મહિના પહેલાં જ કરવામાં આવી છે. મોહે બૅન્ક એક સમિતિ છે. જંગલમાં ઊગતી વિવિધ વનસ્પતિનો વપરાશ કઈ રીતે કરવો તેનું પ્રશિક્ષણ આ સમિતિ મારફત આપવામાં આવે છે. મહિલા સ્વસહાય જૂથોને તાલીમ આપીને રોજગારક્ષમ બનાવવામાં આવે છે."
"મોહફૂલ પર વિવિધ પ્રક્રિયા કરીને તેમાંથી લાડુ, શિરો, બિસ્કીટ, ચટણી, અથાણાં, ચ્યવનપ્રાશ અને ચિક્કી વગેરે વસ્તુઓ બનાવવાની તાલીમ મહિલાઓને આપવામાં આવે છે. વાઘમારેના પરિકલ્પના અનુસાર આ બૅન્કની રચના કરવામાં આવી છે."
"વનવિભાગ સાથે બેઠકો થઈ ગઈ છે. હવે આ બૅન્કોને દિશા મળશે. આ યોજના બહુ જ સરસ છે. વાઘમારેનું સપનું આદિવાસીઓને લાખોપતિ બનાવવાનું છે," એમ દિલીપ જાંભૂ કહે છે.
વિપશ્યના ધ્યાન પછી નિર્ણય
વાઘમારે વિપશ્યના ધ્યાન માટે નાસિક જિલ્લાના ઈગતપુરી અને રાજસ્થાન જઈને આવ્યા હતા. એ પછી તેમણે છ મહિનાની રજા માગી હતી, પરંતુ તેનો ઉપરી અધિકારીઓએ ઈનકાર કર્યો હોવાનું એક અધિકારીએ પોતાનું નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું.
રાજીનામું પાછું ખેંચવા માટે અનેક ફોનકોલ્સ તથા મેસેજ મોકલવામાં આવી રહ્યા છે. વરીષ્ઠ સમાજસેવક શંકરબાબા પાપળકરે જણાવ્યું હતું કે તેમણે પણ વાઘમારેને રાજીનામું પાછું ખેંચી લેવા સમજાવ્યા હતા.
બીબીસી સાથે વાત કરતાં શંકરબાબાએ કહ્યું હતું કે "અમે લગભગ બે કલાક સુધી ચર્ચા કરી હતી. તેમને જણાવ્યું હતું કે તમારા જેવા અધિકારીની મેલઘાટને જરૂર છે."
"મેલઘાટમાં વાઘમારેએ અતુલનીય કામ કર્યું છે. તેઓ અમારા આશ્રમની મુલાકાતે પણ આવ્યા હતા. તેમણે રાજીનામું શા માટે આપ્યું તે સમજાતું નથી," એવું શંકરબાબાએ કહ્યું હતું.
ભૂતપૂર્વ વહીવટી અધિકારી ઈ ઝેડ ખોબ્રાગડેએ પણ રાજીનામું પાછું ખેંચવાનું સમજાવવા વાઘમારે સાથે વાતચીત કરી હતી.
વાઘમારે સાથેની ચર્ચાની માહિતી આપતાં ખોબ્રાગડેએ કહ્યું હતું કે "મેં તેમને સમજાવ્યું હતું કે રાજીનામું આપવાથી ખાસ કશું સિદ્ધ થવાનું નથી. વહીવટી સેવામાં તમારી પસંદગી વ્યક્તિ તરીકે નહીં, પણ સામાજિક પ્રતિનિધિ તરીકે થઈ છે. વહીવટીતંત્રમાં રહીને પણ તમે બુદ્ધનું કાર્ય કરી શકો છો."
"નીતિમત્તા, ઈમાનદારી જાળવીને લોકોની સમસ્યાઓનું નિરાકરણ કરવું તે પણ બુદ્ધનું જ કામ છે. વધુ અનુભવ મેળવીને આગળનું પગલું ભરવું જોઈએ."
"મેં તેમને રાજીનામું પાછું ખેંચવા સમજાવ્યા છે અને મારી વાત સાથે તેઓ સહમત થયા છે."
રાજીનામું આપવાનું ખરું કારણ જાણવા બીબીસીએ વાઘમારેના સંપર્કના અનેક પ્રયાસ કર્યા હતા. તેમ છતાં તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો