હળદર : શું હળદરથી કૅન્સર મટી શકે છે? શું છે હળદરના ફાયદા?
ભારત સહિત બધા જ એશિયાઈ દેશોના રસોડામાં હળદરનો ઉપયોગ થાય છે. પરંતુ હળદર શું માત્ર સ્વાદને માટે ઉપયોગમાં લેવાય છે કે પછી આપણા સ્વાસ્થ્યને સુધારવાથી માંડીને કૅન્સરથી પણ બચાવી શકે છે?

ઇમેજ સ્રોત, iStock
તમને હજારો એવા લેખ મળી આવશે જેમાં એવું કહેવાયું છે કે હળદર છાતીમાં કોઈ પણ પ્રકારની બળતરા, અપચોથી માંડીને ગંભીર બીમારીઓ - ડાયબિટીસ, ડિપ્રેશન, અલ્ઝાઇમરની સારવાર પણ કરી શકે છે. એટલે સુધી કે એનાથી કૅન્સરનો ઇલાજ પણ થઈ શકે છે.
હળદર પર હજારો અધ્યયન થયાં છે. એવું માનવામાં આવે છે કે એમાં રહેલું એક સંયોજન એના ઔષધીય ગુણો માટે જવાબદાર છે. એ છે કરક્યૂમિન.
ઉંદર પર થયેલા પ્રયોગોથી જાણવા મળ્યું છે કે કરક્યૂમિનની અતિ માત્રા એ પ્રાણીમાં ઘણા પ્રકારનાં કૅન્સરને વધતું અટકાવવામાં સફળ થઈ છે. પરંતુ હળદરમાં 2-3 ટકા કરક્યૂમિન હોય છે અને જ્યારે આપણે તેનું સેવન કરીએ છીએ ત્યારે એટલી જ માત્રામાં એ આપણા શરીરમાં શોષાતું નથી.
જોકે લિખિત અધ્યયનોમાં બહુ ઓછી જગ્યાએ એવું જણાવાયું છે કે ભોજનમાં હળદરની સામાન્ય માત્રા કેટલી હોવી જોઈએ.
તેથી શું હળદરનો ઓછી માત્રાનો નિરંતર ઉપયોગ આપણા સ્વાસ્થ્યને સારું રાખી શકે છે કે પછી આપણે હળદરમાંથી મળતા સપ્લિમેન્ટ કે કરક્યૂમિનનો ઉપયોગ કરવો જોઈએ, જેથી બીમારીઓ ન થાય?

રિસર્ચ કઈ રીતે કરવામાં આવ્યું?

આ બાબત જાણવા માટે અમે બ્રિટનમાં હળદરની સ્વાસ્થ્ય પર થનારી અસરો વિશે થઈ રહેલા રિસર્ચની સમીક્ષા કરી.
અમે ન્યૂકૅસલ યુનિવર્સિટીની સાથે મળીને એક રિસર્ચ શરૂ કર્યું. એમાં 100 વૉલન્ટિયર્સને સામેલ કરવામાં આવ્યા. એમને ત્રણ જૂથમાં વહેંચવામાં આવ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પહેલા જૂથને પ્રત્યેક દિવસ એક ચમચી હળદર ખવડાવવામાં આવી. બીજા જૂથને એટલી જ હળદર સપ્લિમેન્ટ રૂપે આપવામાં આવી. ત્રીજા જૂથને હળદર બતાવીને બીજી કોઈ વસ્તુ આપવામાં આવી.
અમે એમનાં બ્લડ સૅમ્પલના ત્રણ ટેસ્ટ કર્યા. પહેલા ટેસ્ટમાં એવું જોવા મળ્યું કે હળદર ખાનારી વ્યક્તિના રક્તકણોએ બળતરા (Inflammation)નો કઈ રીતે સામનો કર્યો અને એ દર્શાવ્યું કે એમની ઇમ્યુન સિસ્ટમ કેટલી સ્વસ્થ છે.
એનાથી એ જાણવામાં મદદ મળી શકતી હતી કે શું હળદર બળતરાને એટલી બધી ઓછી કરી શકે છે કે ડાયબિટીસ જેવી લાંબી બીમારીઓ પર અસર થઈ શકે? આ ટેસ્ટ ન્યૂકૅસલ યુનિવર્સિટીમાં પીબી બાયોસાયન્સે વિકસાવ્યો હતો. એને ઑક્સિડેટિવ સ્ટ્રેસ ટેસ્ટ કહેવામાં આવે છે.

બીજા ચરણના ટેસ્ટમાં શ્વેતકણની ગણતરી કરવામાં આવી. DNA ટેસ્ટ માટે એનાં પરિણામની જરૂર હતી. પરંતુ એના વિશ્લેષણે અમને રિસર્ચમાં સંકળાયેલા વૉલન્ટિયર્સની ઇમ્યૂન સિસ્ટમની સ્થિતિ વિશે પણ સંકેત આપ્યો.
ત્રીજો ટેસ્ટ યુનિવર્સિટી કૉલેજ લંડન દ્વારા વિકસિત કરવામાં આવ્યો હતો. એમાં DNAના મેથિલેશનની શોધ કરવામાં આવી હતી. હળદરના કૅન્સર અવરોધક ગુણની તપાસ માટે આ રિસર્ચ કરવામાં આવ્યું હતું.
ન્યૂકૅસલ યુનિવર્સિટીમાં જે ઑક્સિડેટિવ સ્ટ્રેસ ટેસ્ટ વિકસિત કરવામાં આવ્યો હતો એના અનુસાર રિસર્ચમાં સામેલ ત્રણે જૂથના લોકોમાં ઑક્સિડેટિવ સ્ટ્રેસનું લેવલ એકસમાન હતું.
આપણી ઇમ્યુન સિસ્ટમ પર ઋતુઓ બદલાવાની અસર થાય છે. સનબર્ન ઑક્સિડેટિવ સ્ટ્રેસને વધારી દે છે. છ અઠવાડિયાંમાં આ રીતનું પરિવર્તન બધાં ત્રણે ગ્રૂપના લોકોમાં દેખાવા લાગ્યું હતું.
શ્વેતકણની ગણતરીથી એવી ખબર પડી છે ત્રણે જૂથમાં ઇમ્યુન સેલ્સમાં ઘટાડો થયો અને એ ઘટાડો બધાં જૂથમાં એકસમાન હતો.
હળદરના નામે બીજું કશુંક લેનારા અને હળદરની સપ્લિમેન્ટ લેનારા લોકોના DNA મેથિલેશનમાં કોઈ તફાવત નહોતો. પરંતુ જે લોકો આહારમાં હળદરનો ઉપયોગ કરતા હતા એમની મેથિલેશન પૅટર્નમાં તફાવત હતો.
UCLના રિસર્ચરે એક જિનમાં નાટકીય બદલાવા જોયો અને એ જિન ચિંતા, અસ્થમા ઍક્ઝિમા અને કૅન્સરનાં જોખમો સાથે સંકળાયેલો હતો. આ જિનની પ્રવૃત્તિમાં બદલાવ જોવા મળતો હતો.

પરિણામ શું મળ્યું?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
એમ કહેવું ઉતાવળિયું ગણાશે કે એની સકારાત્મક અસર થાય છે કે નકારાત્મક. પરંતુ હળદરના કારણે જિનની પ્રવૃત્તિઓમાંનો આ બદલાવ લાભકારક સાબિત થઈ શકે છે.
પરંતુ અહીં એક વાત જણાવી દેવી આવશ્યક છે કે રિસર્ચરોએ રિસર્ચમાં સામેલ લોકોનાં બ્લડ સૅમ્પલમાં કરક્યૂમિન (અને હળદર સાથે સંકળાયેલા બીજા સંયોજન)ના સ્તરનું વિશ્લેષણ નહોતું કર્યું.
એક કારણ એ પણ હોઈ શકે કે જે લોકો ભોજન બનાવવામાં હળદરનો ઉપયોગ કરતા હતા એમણે પોતાનો આહાર બદલ્યો હોય. એનાથી મેથિલેશન બદલાઈ ગયું. જોકે એ હળદરની અસર નહોતી.

ભોજનમાં હળદર અને હળદરની સપ્લિમેન્ટનો ઉપયોગ વચ્ચે ફરક શો છે?

ઇમેજ સ્રોત, Science Photo Library
એવું સમજવામાં આવે છે કે આહારમાં હળદરનો ઉપયોગ આપણા શરીરમાં કરક્યૂમિન શોષાવાના સ્તરને નક્કી કરે છે. કરક્યૂમિન લિપોફિલિક હોય છે.
એનો અર્થ એ કે તે ચરબી સાથે જોડાયેલું હોય છે. તેથી જ્યારે આપણે ભોજન બનાવવામાં તેલનો ઉપયોગ કરીએ છીએ ત્યારે કરક્યૂમિન તેલ સાથે જોડાઈ જાય છે અને તે આસાનીથી આપણા પેટમાં શોષાઈ જાય છે.
કાળાં મરી પણ આ કામ કરી શકે છે. એમાં રહેલું પિપરિન નામનું એક સંયોજન આ કામ કરી શકે છે. તે આપણા શરીરમાં વધારે માત્રામાં કરક્યૂમિન શોષવામાં મદદ કરે છે. તેથી હળદર, કાળાં મરી અને તેલ ત્રણેનો ઉપયોગ કરીને ભોજન બનાવવું એક સારું કૉમ્બિનેશન સાબિત થઈ શકે છે.
રિસર્ચ બાબતે ઘણો ઉત્સાહ હતો, કેમ કે એનાથી એ શોધી શકાયું હતું કે હળદર આપણા જિનના વ્યવહાર પર કઈ રીતે અસર કરે છે અને આપણા સ્વાસ્થ્યને લાભકારક એનું કયું મિકેનિઝમ છે.
આ અધ્યયનોથી ખબર પડી કે કૅન્સર વધતું અટકાવનારી વસ્તુ તરીકે હળદર પર ભવિષ્યમાં રિસર્ચ કરી શકાય છે. એટલે કે એમાં કૅન્સરના વિકાસને રોકવાની ક્ષમતા હોઈ શકે છે.

હળદર સ્વાસ્થ્ય માટે લાભકારક થઈ શકે છે

ઇમેજ સ્રોત, ANI
જોકે કૅન્સર (કે હૃદયરોગ) જેવી લાંબા સમયે વધતી જતી બીમારીઓનું જોખમ ઘટાડવાનો રસ્તો શોધવો ઘણો મુશ્કેલ હોય છે. તેથી કોઈ પણ એવી તપાસ જે આવી બીમારીઓ વિશે શરૂઆતની સચોટ ચેતવણી આપતી હોય કે પછી જે એટલી સંવેદનશીલ હોય કે એની (બીમારી) સાથે સંકળાયલાં જોખમોમાં આવતાં નાનાં પરિવર્તનો વિશે જણાવતી હોય તો તે ઘણી મહત્ત્વની હોય છે.
રિસર્ચનાં પરિણામ પણ એ દર્શાવે છે કે ઓછી માત્રામાં સતત હળદર ખાવાથી આપણા શરીર પર સકારાત્મક અસર થઈ શકે છે. હજુ આ રિસર્ચ આરંભિક તબક્કામાં છે.
પરંતુ એવું કહી શકાય કે હળદર તમને ઘણી જૂની બીમારીઓથી બચવામાં મદદ કરી શકે છે. તેથી ભોજનમાં હળદરનો ઉપયોગ તમારા સ્વાસ્થ્યને સારું કરી શકે છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












