You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બેરોજગારી : વર્ષ 2018થી 2020 દરમિયાન 25,000 થી વધુ ભારતીયોએ બેરોજગારી, દેવાના કારણે આત્મહત્યા કરી - BBC Top News
એનસીઆરબીના ડેટા અનુસાર, બેરોજગારીને કારણે આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. 2020 કોરોના મહામારીના વર્ષમાં બેરોજગારીને કારણે સૌથી વધુ 3,548 લોકોએ આત્મહત્યા કરી છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર કેન્દ્રીય બજેટ પર ચર્ચા દરમિયાન સંસદમાં બેરોજગારીના મુદ્દા પર ચર્ચા થઈ રહી છે, ત્યારે કેન્દ્ર સરકારે બુધવારે રાજ્યસભામાં માહિતી આપી હતી કે 2018 અને 2020 વચ્ચે બેરોજગારી કે દેવાના કારણે 25,000 થી વધુ લોકોએ આત્મહત્યા કરી છે.
તેમાં 9,140 જેટલા લોકોએ બેરોજગારીને કારણે અને 16,091 લોકોએ નાદારી અથવા દેવાના કારણે આત્મહત્યા કરી હતી.
રાજ્યસભામાં આ મુદ્દા પર એક પ્રશ્નના લેખિત જવાબમાં ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે એનસીઆરબીના ડેટાના આધારે આ માહિતી આપી હતી.
IPL 2022 : ગુજરાત ટાઇટન્સ નામથી મેદાનમાં ઊતરશે રાજ્યની ટીમ
આઈપીએલની અમદાવાદની ફ્રેન્ચાઇઝીને 'ગુજરાત ટાઇટન્સ' એવું નામ આપવામાં આવ્યું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ આ અહેવાલની પુષ્ટિ કરી છે.
અમદાવાદની ટીમને ખરીદનાર સીવીસી કૅપિટલના બુકિંગ કંપનીઓ સાથે સંબંધ હોવાના મુદ્દે બીસીસીઆઈ દ્વારા તપાસ હાથ ધરવા આવી હતી, બાદમાં તેને ક્લીનચિટ મળી હતી.
આર. પી. સંજીવ ગોયન્કા ગ્રૂપે લખનૌ આઈપીએલ ટીમ 7,090 કરોડમાં લીધી છે અને અમદાવાદ આઈપીએલ ટીમ આઇરેલિયા પ્રાઇવેટ લિમિટેડે 5166 કરોડ રૂપિયામાં ખરીદી છે.
ઑક્ટોબર-2021માં દુબઈ ખાતે આઈપીએલની ટીમ માટેની હરાજી યોજાઈ હતી, જેમાં અમદાવાદની સાથે લખનૌ, કટક, ધર્મશાલા, ગુવાહાટી અને ઇંદૌરની ટીમો પણ વેચાણ માટે મુકાઈ હતી. આમ ચાલુ આવૃત્તિ દરમિયાન આઠના બદલે 10 ટીમ ભાગ લેશે
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હરાજીમાં નવી ટીમ માટેની બૅઝ પ્રાઇઝ બે હજાર કરોડ રૂપિયા રાખવામાં આવી હતી.
ગુજરાતની નવી IT પૉલિસી જાહેર, સરકારે એક લાખ નોકરીઓ સર્જાવાનો દાવો કર્યો
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે મંગળવારે ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે “IT/ITES પૉલિસી 2022-27” લૉન્ચ કરી હતી.
નવી IT પૉલિસી પેઢીઓને રોકાણ માટે મૂડી અને ઑપરેશનલ સહાય આપવાના હેતુ સાથે લૉન્ચ કરાઈ છે.
તેમજ દાવો કરાયો છે કે આ પૉલિસીની મદદથી એક લાખ નવી નોકરીઓનું સર્જન થશે.
અહેવાલ અનુસાર 1980 અને 2000માં IT અંગેની તકો ચૂકી ગયા બાદ ગુજરાતે ફરી એક વાર IT અને ITES પેઢીઓએ સ્થાનિકો માટે નોકરીઓ સર્જવા માટે ઇન્સેન્ટિવ આપવાની જાહેરાત કરી છે.
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે આ પૉલિસી રાજ્યને “IT સેક્ટરની નવી ઊંચાઈએ” લઈ જશે. તેમજ આવનારા સમયમાં ભારતમાં IT સેક્ટરમાં સારું પ્રદર્શન કરનારાં પાંચ રાજ્યોમાંથી એક બનાવશે.
'રાઇટિંગ વિથ ફાયર' ઑસ્કર માટે નૉમિનેટ થયેલી ભારતની ડૉક્યુમેન્ટરીમાં શું છે?
બિઝનેસટુડે ડોટ ઇનના એક અહેવાલ અનુસાર ભારતીય ડૉક્યુમેન્ટરી ફીચર રાઇટિંગ વિથ ફાયરને 94મા ઍકેડમી ઍવૉર્ડ્સ સમારોહમાં ફાઇનલ નૉમિનેશનમાં જગ્યા મળી છે.
આ અંગેની જાહેરાત ઍકેડમી ઑફ મોશન પિક્ચર આર્ટ્સ ઍન્ડ સાયન્સિઝના ટ્વિટર પેજ મારફતે ટ્રેસી એલિસ રોસ અને લેસ્લી જૉર્ડને કરી હતી.
રાઇટિંગ વિથ ફાયર રિંતુ થોમસ અને સુષ્મિત ઘોષ દ્વારા દિગ્દર્શિત ડૉક્યુમેન્ટરી છે. તેઓ બંને પ્રથમ વખત દિગ્દર્શનક્ષેત્રે ઝંપલાવ્યું છે. રાઇટિંગ વિથ ફાયર ખબર લહરિયા અંગે વાત કરે છે, જે ભારતમાં દલિત મહિલા દ્વારા ચલાવાતું એકમાત્ર ન્યૂઝપેપર છે.
આ ફિલ્મમાં દલિત મહિલાઓનાં જૂથ અંગે વાત કરાઈ છે, જેમાં આ જૂથનું નેતૃત્વ તેમનાં ચીફ રિપોર્ટર મીરા કરે છે. અને તેમની સમગ્ર ટીમ પ્રિન્ટમાંથી ડિજિટલ તરફ વળે છે.
કોરોનાના વયસ્ક દર્દીઓની સારવાર માટે નેઝલ સ્પ્રે લૉન્ચ
સમાચાર સંસ્થા એશિયા ન્યૂઝ ઇન્ટરનેશનલ (ANI)એ એક ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે ભારતમાં કોરોનાની સારવાર માટે વયસ્ક દર્દીઓને ધ્યાનમાં રાખીને નેઝલ સ્પ્રે લૉન્ચ કરાયો છે.
નોંધનીય છે કે આ નેઝલ સ્પ્રે ગ્લેનમાર્ક દ્વારા લૉન્ચ કરવામાં આવ્યો છે.
નાઇટ્રિક ઑક્સાઇડ નેઝલ સ્પ્રે (FabiSpray®) વયસ્ક કોરોનાના દર્દીઓની સારવાર માટે ઉપયોગી થશે. આ સ્પ્રે SaNOtize સાથે ભાગીદારીમાં બનાવાયો છે.
આ નાઇટ્રિક ઑક્સાઇડ નેઝલ સ્પ્રેના ઉત્પાદન અને માર્કેટિંગ માટે ભારતના ડ્રગ રેગ્યુલેટરે એક્સેલરેટેડ અપ્રૂવલ પ્રક્રિયા અંતર્ગત મંજૂરી આપી છે.
નોંધનીય છે કે પાછલા અમુક દિવસોમાં કોરોનાની સારવાર માટેની ટેબ્લેટ અને માત્ર એક ડોઝવાળી વૅક્સિનને પણ ભારતમાં મંજૂરી મળી છે.
આ સાથે જ હવે ભારતમાં કોરોનાના ઇલાજ માટે વિવિધ પ્રક્રિયા અને વસ્તુઓ ઉપલબ્ધ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો