વડોદરામાં બૉઇલર ફાટવાથી મા-દીકરી સહિત ચારનાં મૃત્યુ, દસથી વધુને ઈજા

વડોદરામાં વડસર બ્રિજ પાસે આવેલી કંપનીમાં બૉઇલર ફાટતાં ચાર લોકોનાં મૃત્યુ થયાં છે અને 10થી વધારે લોકોને ઈજા થઈ છે.

ડીસીપી કરણરાજ વાઘેલાએ જણાવ્યું છે કે બૉઇલરની બાજુમાં જ વસાહત હતી, જ્યાં અહીં કામ કરતા લોકો રહેતા હતા.

ડીસીપીના કહેવા પ્રમાણે આ ઘટનામાં ચાર લોકોનાં મૃત્યુ થયાં છે, જેમાં ચાર વર્ષની બાળકી અને એમનાં માતાનો પણ સમાવેશ થાય છે. તેમના સિવાય 19 વર્ષના યુવક અને 65 વર્ષના વૃદ્ધનું પણ મૃત્યું થયું છે.

ગુજરાત સરકારમાં મહેસૂલમંત્રી અને વડોદરાની રાવપુરા બેઠકથી ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "રાજ્ય સરકારે આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને આ ઘટનાની તપાસ કરવામાં આવશે."

"જો કંપની દ્વારા કોઈ બેદરકારી દાખવવામાં આવી હશે, તો સીલ કરવા સુધીની કાર્યવાહી પણ કરવામાં આવશે."

કંપનીએ શું કહ્યું?

કંપનીના સંચાલક તેજસ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે નિયમ પ્રમાણે અહીં તમામ તકેદારી રાખવામાં આવતી હતી. ઈજાગ્રસ્તોની સારવાર કરાઈ રહી છે અને કંપની દ્વારા પીડિતોને રાહત માટે વળતર પણ ચૂકવવામાં આવશે.

કંપનીના સંચાલકના જણાવ્યા પ્રમાણે સવારે 8.30 વાગ્યે આ બ્લાસ્ટ થયો હતો અને આ કંપની 30 વર્ષથી કાર્યરત્ છે અને અહીં ફાઇન કૅમિકલ બનાવવામાં આવે છે.

સ્થળ પર પહોંચેલા મામલતદારે મીડિયા સાથેની વાતચીતમમાં કહ્યું છે કે "બૉઇલર કે હીટરની બાજુમાં ઓરડી કરાઈ હતી, જે ગેરકાયદેસર કહેવાય. પહેલાં આ અંગે તપાસ કરવામાં આવશે અને કંપની ઍક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે."

(આ અહેવાલ અપડેટ કરાઈ રહ્યો છે.)

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો