You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોરબી ડ્રગ્ઝ કેસ : પાકિસ્તાનથી 600 કરોડનું ડ્રગ્ઝ ગુજરાતમાં કઈ રીતે ઘુસાડ્યું?
ગુજરાતમાં મુંદ્રા અને દ્વારકા બાદ હવે મોરબીમાંથી ડ્રગ્ઝનો મોટો જથ્થો પકડાયો છે, આ અંગે ગુજરાતના ગૃહરાજ્ય મંત્રીએ ટ્વીટ કરીને માહિતી પણ આપી છે.
અહેવાલો પ્રમાણે મોરબીના ઝીંઝુડા પાસેથી ડ્રગ્ઝનો આ જથ્થો એટીએસની ટીમ ઝડપી પાડ્યો છે.
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે એટીએસ દ્વારા 120 કિલો ડ્રગ્ઝનો જથ્થો પકડવામાં આવ્યો છે.
અહેવાલો પ્રમાણે આ ડ્રગ્ઝની કિંમત અંદાજે 600 કરોડ રૂપિયા જેટલી છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ દ્વારકા અને મુંદ્રાથી પણ ડ્રગ્ઝનો મોટો જથ્થો પકડાયો હતો.
એક પછી એક પકડાઈ રહેલા ડ્રગ્ઝના જથ્થા અંગે કેટલાક સવાલો પણ ઊઠી રહ્યા છે.
તાજેતરમાં એનસીપીના નેતા અને મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે આ મામલે ભાજપના ગુજરાતના મંત્રી કિરીટસિંહ રાણા પર આક્ષેપો કર્યા હતા.
પાકિસ્તાનથી ગુજરાત રૂટ
ગુજરાત પોલીસ દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે પાકિસ્તાનથી નજીક હોવાથી છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતના દરિયાકાંઠાનો લૅન્ડિંગ પૉઇન્ટ તરીકે ઉપયોગ કરાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમના કેહવા પ્રમાણે હેરોઇનની દાણચોરીની પાકિસ્તાન અને ઈરાનની મોડસ ઑપરેન્ડી ધ્યાને આવી છે, જેમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ IMBL પર હેરોઇન ભારતીય મળતિયાઓને પહોંચાડાય છે.
આ ભારતીય મળતિયા અંતે નક્કી કરેલા સ્થાન સુધી ડ્રગ્ઝને પહોંચાડે છે.
ગુજરાત પોલીસનો દાવો છે કે આવા પ્રયત્નોને નિષ્ફળ કરવામાં તેઓ સફળ રહયા છે.
આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, પૂછપરછમાં જાણવા મળ્યું કે ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સ પહોંચાડવાની વધેલી ઘટનાઓ પાછળ ભૌગોલિક અને રાજકીય કારણો જવાબદાર છે.
એટીએસને મળેલી બાતમી
14 નવેમ્બરના દિવસે એટીએસ ગુજરાતના નાયબ પોલીસ અધિક્ષક કે. કે. પટેલને બાતમી મળી હતી કે ડ્રગ્સના જથ્થાની રાત્રે હેર-ફેર થવાની છે.
પોલીસે બાતમીના આધારે મોરબીના ઝીંઝુડા ગામ ખાતેના મકાન પર દરોડો પાડીને 120 કિલો હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો હતો.
પોલીસ મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં આ હેરોઇનની કિંમત 600 કરોડ રૂપિયા છે.
ગુજરાત પોલીસે આ કાર્યવાહીમાં જામનગરના જોડિયાના રહેવાસી 39 વર્ષીય મુખ્તાર હુસૈન ઉર્ફ જબ્બાર, મોરબીના 37 વર્ષીય સમસુદ્દીન અને જામનગરના સલાયાના રહેવાસી ગુલાબ હુસૈન ઉમર બગાડની ધરપકડ કરી છે.
પાકિસ્તાનથી આવેલું હેરોઇન
આરોપીઓએ પોલીસને જણાવ્યું છે કે ઑક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે હેરોઇનનો જથ્થો મળ્યો હતો, જેને જામનગરના સલાયાના દરિયાકાંઠે સંતાડવામાં આવ્યો હતો, તેને પછી મોરબી લઈ જવામાં આવ્યો હતો.
પોલીસ મુજબ સંભાવના છે કે આરોપી ગુલાબ અને જબ્બાર અવારનવાર દુબઈ જતા હતા, જ્યાં તેમનો સંપર્ક પાકિસ્તાનની ડ્રગ ગૅંગ સાથે થયો હતો.
આ કેસમાં સંડોવાયેલ પાકિસ્તાની ઝહીર બલોચ 2019ના 227 કિલો ડ્રગના કેસમાં વૉન્ટેડ છે.
દ્વારકામાંથી ઝડપાયેલા ડ્રગ્ઝનો મામલો શું હતો?
આ અગાઉ ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડિનાર પાસેથી ડ્રગ્સ પકડાયું હતું.
પોલીસ દ્વારા અપાયેલી માહિતી મુજબ 17 કિલોગ્રામ ડ્રગ્સ પકડાયું હોવાનું જણાવાયું હતું, જ્યારે સ્થાનિક મીડિયાના સંખ્યાબંધ અહેવાલોમાં 60 કિલોગ્રામ કરતાં વધુ ડ્રગ્સ ઝડપાયું હોવાના અહેવાલો હતા.
મુંદ્રાથી, દ્વારકા - ગુજરાતમાં ડ્રગ્ઝ લાવવાનો દરિયાઈ માર્ગ?
કચ્છના મુંદ્રા પૉર્ટ પરથી ડિપાર્ટમેન્ટ ઑફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ)એ બે અલગ-અલગ કન્ટેઇનરમાંથી ત્રણ હજાર કિલોગ્રામ હેરોઇન જપ્ત કર્યું હતું, જેની બજારકિંમત 15 હજાર કરોડ રૂપિયા હોવાના અહેવાલ હતા.
નોંધનીય છે કે મુંદ્રા ખાતેથી પકડાયેલ હજારો કિલો હેરોઇનના જથ્થાને પણ દરિયાઈ માર્ગે જ રાજ્યમાં લાવવામાં આવ્યો હતો.
મુંદ્રા ખાતેથી પકડાયેલ હેરોઇનવાળાં કન્ટેઇનરમાં અફઘાનિસ્તાનના ટૅલ્ક પથ્થર હોવાની જાહેરાત કરવામાં આવી હતી, જે ઈરાનના બંદર અબ્બાસ પૉર્ટથી ગુજરાતના મુંદ્રા પૉર્ટ ખાતે મોકલાયું હતું.
આ પહેલાં પણ એક અન્ય કાર્યવાહીમાં ભારતીય કૉસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસ દ્વારા દરિયાઈસીમાં સંયુક્ત ઑપરેશન હાથ ધરી 250 કરોડ રૂપિયાની બજારકિંમતનું હેરોઇન ઝડપી પાડવામાં આવ્યું હતું.
છેલ્લાં કેટલાંક વર્ષોથી અલગ-અલગ મૉડસ ઑપરેન્ડી મારફત દરિયાઈ માર્ગે ગુજરાતમાં ડ્રગ્સને ઘુસાડવામાં આવે છે, જે જમીનમાર્ગે ઉત્તર ભારત સહિત સમગ્ર દેશમાં પહોંચાડવામાં આવે છે; એટલું જ નહીં, તે પશ્ચિમી દેશો સુધી પણ પહોંચાડવામાં આવે છે.
નોંધનીય છે કે 21 સપ્ટેમ્બર, 2021ના રોજ મુંદ્રા ખાતેથી પકડાયેલ હેરોઇનના મામલા બાદ પૉર્ટના સંચાલક અદાણી પૉર્ટ ઍન્ડ સેઝ દ્વારા ઈરાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આવતા કન્ટેઇનર અને કાર્ગો હૅન્ડલિંગ પર પ્રતિબંધ લાદી દીધો હતો.
નોંધનીય છે કે અગાઉ સોના-ચાંદી, ઘડિયાળો કે ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓની દાણચોરી માટે પંકાયેલો ગુજરાતનો દરિયાકિનારો વર્ષ 1993ના બૉમ્બે-બ્લાસ્ટ સમયે ચર્ચામાં આવ્યો હતો. એ વખતે પોરબંદર ખાતે આરડીએક્સ અને હથિયાર ઉતારવામાં આવ્યાં હતાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો