કરોડોની આવક રળતાં સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું સંચાલન કરનારી કંપની જ નુકસાનમાં કેમ?
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
હાલમાં જ પ્રસિદ્ધ થયેલા CAGના અહેવાલમાં દર્શાવ્યું છે કે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડે (જે સરકારની માલિકીના જાહેર ક્ષેત્રની કંપની છે) માર્ચ 2019માં એકંદરે 5128 કરોડ રૂપિયાનું નુકસાન કર્યું છે.
જોકે આ જ સંસ્થા સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું સંચાલન, તેની આસપાસ થતી વિકાસની કામગીરી, તેમજ પ્રવાસનસ્થળ તરીકે કરવામાં આવતાં તમામ કામોનું સંચાલન કરે છે.
નિષ્ણાતો માને છે કે એક તરફ સ્ટેચ્યૂ ઑફ યુનિટીનો કરોડોનો વ્યાપાર છે અને બીજી બાજુ તેની જ એક મુખ્ય સંસ્થામાં થતું કરોડોનું નુકસાન છે.

ઇમેજ સ્રોત, Getty Images
કૅગના રિપોર્ટ પ્રમાણે, સરકારની જાહેર ક્ષેત્રની કંપની ગુજરાત સ્ટેટ ટ્રાન્સપૉર્ટ કંપનીએ (GSRTC) પણ 3410 કરોડનું (2016-17) નુકસાન કર્યું છે.
જોકે બીબીસીએ જ્યારે નિષ્ણાતો સાથે વાત કરી તો જાણવા મળ્યું કે SSNNLનું નુકસાન કોઈ સામાન્ય ઘટના ન કહેવાય.
તેની પાછળનાં કારણો માટે ઘણા નિષ્ણાતોએ અલગઅલગ વાતો કરી. આ માટે બીબીસીએ SSNNLના ચૅરમૅન રાજીવકુમાર ગુપ્તાનો સંપર્ક કર્યો હતો, પણ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.

શું સંબંધ છે સ્ટેચ્યૂ ઑફ યુનિટી અને SSNNLનો?

ઇમેજ સ્રોત, SAM PANTHAKY
સરકારી આંકડા પ્રમાણે, સ્ટેચ્યૂ ઑફ યુનિટી રૂપિયા 3000 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. 182 મીટર ઊંચા આ સ્ટેચ્યૂનું બાંધકામ 2014માં શરૂ થયું હતું અને તેનું નિર્માણ 2018માં પૂર્ણ થયું હતું.
સ્ટેચ્યૂ જ્યાં ઊભું છે તે અને તેની આસપાસનાં ગામડાં જેમ કે નવાગામ, કેવડિયા, ગોરા વગેરેની જમીનો SSNNL પાસે હતી. સ્ટેચ્યૂ બનાવાનો વિચાર આવ્યો તે બાદ સૌપ્રથમ તેના માટે ગ્રાઉન્ડ વર્ક કરવાની જવાબદારી SSNNLના માથે હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આમ તો સ્ટેચ્યૂ ઑફ યુનિટી ઊભું કરવા માટેનાં નાણાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ નામની સરકાર સંચાલિત સંસ્થાએ એકઠા કર્યા છે, પરંતુ આ પૈસાનું સંચાલન SSNNLએ કર્યુ છે.
આ વિશે SSNNLના એક રિટાયર્ડ અધિકારીએ પોતાનું નામ ન આપવાની શરતે બીબીસી ગુજરાતી સાથે વાત કરી.
તેમણે કહ્યું કે "આ તમામ SSNNLનું કામ તો ડૅમ, કૅનાલ કે પાણીને લગતું હતું, પરંતુ તેની ઉપર સ્ટેચ્યૂની વધારાની જવાબદારી આવી."
તેમણે કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ (SVPRET)ને પોતાના માણસો લાવવા ન પડે અને તેમને પગાર ન ચૂકવવો પડે માટે તે ટ્રસ્ટ SSNNLના ખાતામાં પૈસા જમા કરાવે અને તે પૈસા થકી જ વિકાસ કે નવાં બાંધકામ કે બીજાં કોઈ પણ કામો SSNNL કરે છે.

દીવા તળે અંધારું?
સ્ટેચ્યૂ ઑફ યુનિટીના એક ટ્વીટ પ્રમાણે, માર્ચ મહિનામાં જ 50 લાખ જેટલા લોકોએ સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લીધી હતી.
દેશવિદેશથી લોકો અહીં મુલાકાત કરવા આવે છે અને તેની આસપાસનાં અનેક આકર્ષણોને પણ જુએ છે.
સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે, સ્ટેચ્યૂ ઑફ યુનિટીની શરૂઆત થયાના પ્રથમ એક વર્ષમાં જ તેની આવક 82 કરોડ રુપિયા જેટલી હતી. તેની આસપાસ 35 જેટલાં પર્યટનસ્થળોનો વિકાસ કરવામાં આવ્યો છે.
SSNNLના 2019-20ના વાર્ષિક અહેવાલ પ્રમાણે આ સ્થળે દરરોજના 14,500 જેટલા પર્યટકો આવે છે અને રજાના દિવસોમાં આ સંખ્યા 20,000થી 25,000 સુધી થઈ જાય છે.
નિષ્ણાતો પ્રમાણે લોકો તેને જોવા આવી રહ્યા છે અને તેના સંચાલનનો ખર્ચ નીકળી રહ્યો છે. જોકે તેની સામે તેનું સંચાલન કરતી SSNNL નુકસાનમાં ચાલી રહી છે.
આ વિશે એક SSNNLના એક રિયાટર્ડ અધિકારીએ પોતાનું નામ ન આપવાની શરતે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, "નુકસાનનાં બીજાં અનેક કારણો છે. કોઈ કાર્યમાં નુકસાન જતું હોય, દેખાતું હોય તો પણ તેને બંધ ન કરી શકાય. કૅનાલનું કામ ખૂબ મોટું છે અને તેની સામે આવક ઓછી છે અને SSNNLમાં નુકસાન થાય તે સ્વાભાવિક વાત છે."
તેમણે કહ્યું કે આ પ્રકારનાં અમુક સામાજિક સાહસોમાં નુકસાન થવું તે સામાન્ય બાબત છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
જોકે, ઘણા નિષ્ણાતો આ વાતથી સહમત નથી. આ વિશે વાત કરતાં અર્થશાસ્ત્રના પ્રોફેસર હિમાની જોષી કહે છે કે, "આ પ્રકારના પીએસયુમાં નુકસાનનું એક મુખ્ય કારણ તેનું મિસમૅનેજમૅન્ટ હોય છે."
"16મા ફાઇનાન્સિયલ કમિશન પ્રમાણે આ પ્રકારની પીએસયુમાં રિટર્ન 0.01 ટકા જેટલું જ હોય છે. જોકે તેની આવક નૉનટૅક્સ રેવન્યુ હોય છે. માટે જો સારું સંચાલન હોય તો આ પ્રકારના પીએસયુમાંથી પણ નફો કરી શકાય."
તેમણે કહ્યું કે આ માટે કોઈ એક કારણ જવાબદાર ન હોઈ શકે, પરંતુ ઘણાં પરિબળો મળીને કામ કરતાં હોય છે."
તેમણે ઉમેર્યું કે જે તે અધિકારી યોગ્ય નિર્ણય ન લે, ત્યાં સુધી પીએસયુમાં ફાયદો મળવો મુશ્કેલ છે.
અર્થશાસ્ત્રી હેમંતકુમાર શાહનું કહેવું છે કે "કૅગના રિપોર્ટમાં આ નુકસાન પાછળનાં કારણોનો ઉલ્લેખ નથી. ખરેખર તો કૅગે તપાસ કરવી જોઈએ કે આ નુકસાન પાછળનાં કારણો શું છે, અને તેને કેવી રીતે ફાયદામાં બદલી શકાય."
તેમનું માનવું છે કે પીએસયુ જો નુકસાન કરે તો પણ લોકોનાં હિત માટે તેને ચલાવવું પડે, પરંતુ SSNNL જેવી સંસ્થા જે સીધી રીતે સ્ટેચ્યૂ ઑફ યુનિટી સાથે સંકળાયેલી છે, તે જો નુકસાન કરે તો તેની ઝીણવટભરી તપાસ થવી જરૂરી છે.
જોકે અર્થશાસ્ત્રી નેહા શાહ માને છે કે "SSNNL એ ગુજરાત રાજ્યની મહત્ત્વની સંસ્થા છે અને તેના શિરે ખેડૂતો સુધી પાણી પહોંચાડવાની મોટી જવાબદારી છે. કૅનાલનું કામ હોય, પાવર જનરેશનનું કામ હોય કે પછી પાણી સિંચાઈનું. પરંતુ આટલું મોટું ક્યુમુલેટિવ લૉસ બતાવતી હોય તો તેની પાછળ મિસમૅનેજમૅન્ટ જવાબદાર હોઈ શકે."
તેઓ કહે છે કે, "કૅગના રિપોર્ટમાં જ કહ્યું છે કે રાજ્યમાં 5810 કરોડ રૂપિયાના 123 પ્રોજેક્ટ અધૂરા છે, જેમાંથી 19 નર્મદા, વૉટર રિસોર્સિસ અને કલ્પસરને લગતા છે. કૅગે પણ આ અધૂરા પ્રોજેક્ટ માટે સરકારની આલોચના કરી છે અને આ પ્રકારના અધૂરા કે સમયસર પૂરા ન થતા પ્રોજેક્ટને કારણે પણ પીએસયુ નુકસાન કરતી હોય છે."

કૅગેSSNNL અને બીજી સંસ્થાઓ માટે શું કહ્યું?
કૅગના રિપોર્ટ પ્રમાણે SSNNL, GSRTC, GUVNL જેવી સંસ્થાઓ ખૂબ નુકસાન કરી રહી છે. હાલમાં આ સંસ્થાઓને શૅર કેપિટલ તરીકે પૈસા મળી રહ્યા છે.
કૅગે સૂચન કર્યું છે કે આ પ્રકારની સંસ્થાઓને પૈસા ગ્રાન્ટ તરીકે આપવા જોઈએ. કૅગે નોંધ્યું છે કે રાજ્ય સરકારની 66માંથી 13 કંપનીઓ હાલમાં નુકસાન કરી રહી છે અને SSNNLનો પણ તેમાં સમાવેશ થાય છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













