You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બજરંગ પુનિયા : ટોક્યો ઑલિમ્પિકમાં ભારતને બ્રૉન્ઝ મેડલ અપાવનાર પહેલવાન કોણ છે?
- લેેખક, પ્રદીપ કુમાર
- પદ, બીબીસી સંવાદદાતા
બજરંગ પુનિયા ટોક્યો ઑલિમ્પિકમાં 65 કિલોવર્ગ ફ્રીસ્ટાઇલ કુસ્તીમાં બ્રૉન્ઝ મેડલ જીતી ગયા છે. કઝાકસ્તાનના પહેલવાન દાઉલેટ નિયાઝમેકૉવ સામે તેઓ 8-0થી જીતી ગયા.
મેડલના પ્રબળ દાવેદાર મનાતા પુનિયાની અગાઉ સેમિફાઇનલમાં અઝરબૈજાનના હાજી અલીયેવ સામે હાર થઈ હતી. જોકે, બ્રૉન્ઝ મેડલની મૅચમાં બજરંગ પુનિયા 8-0થી શાનદાર જીત મેળવી લીધી અને કુસ્તીમાં દબદબો જાળવી રાખ્યો છે.
પદકના પ્રબળ દાવેદાર માનવામાં આવતા પુનિયાએ ક્વાર્ટર ફાઇનલમાં ઈરાની પહેલવાન ગિયાની મુર્તઝાને હરાવ્યા હતા.
ક્વાર્ટર ફાઇનલ મૅચ પહેલાં એક રોમાંચક મૅચમાં છેલ્લી સેકંડે પૉઇન્ટ મેળવીને પુનિયાએ કિર્ગિસ્તાનના અરનાજર અકમાતાવિલને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કરી લીધું હતું.
સફળતાની સીડી
બજરંગ પુનિયા સાતથી આઠ વર્ષોથી ભારતના એ પહેલવાન છે જેમણે આંતરરાષ્ટ્રીય સ્તર પર સતત સફળતા મેળવી છે.
એ જ કારણ છે કે ટોક્યોમાં તેઓ ભારત માટે મેડલના દાવેદાર માનવામાં આવી રહ્યા હતા. રવિ દહિયાએ મેડલ જીત્યો તે બાદ તેમની ઉપર સફળતા માટે દબાણ વધારે હશે પરંતુ તેઓ દબાણમાં વધારે સારું પ્રદર્શન કરનાર પહેલવાન છે.
તેમની સામે હજી બ્રૉન્ઝ મેડલ જીતવાનો મોકો છે અને તેમનો પ્રયત્ન હશે કે તેઓ આ મોકો હાથમાં જવા ન દે.
જો તેઓ સફળ થયા તો બાળપણમાં તેમને જોયેલું સપનું સાચું થવા જેવું હશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અખાડામાં કેવી રીતે પહોંચ્યા?
ઍપિક ચેનલના એક કાર્યક્રમ ઉમ્મીદ ઇન્ડિયામાં વીરેન્દ્ર સહવાગ બજરંગ પુનિયાને પૂછે છે કે "કુસ્તી પ્રત્યે તેમને કેવી રીતે આકર્ષણ થયું" ત્યારે બજરંગ પુનિયાએ જવાબ આપ્યો, "હરિયાણાનાં ગામોનાં દરેક ઘરમાં લંગોટ મળી જશે. તો માત્ર લંગોટ પહેરીને જવાનું અને અખાડામાં જીતવા પર કંઈકને કંઈક મળી જ જાય છે. તો આવી રીતે શરૂઆત થઈ પરંતુ સાચું કહું તો સ્કૂલથી બચવા માટે હું અખાડામાં જવા લાગ્યો હતો."
હરિયાણાના ઝજ્જર જિલ્લાના કુડન ગામમાં માટીના અખાડામાં પુનિયાએ સાત વર્ષની ઉંમરથી જવાનું શરૂ કર્યું હતું. તેમના પિતા પણ પહેલવાન હતા એટલે ઘરમાં અખાડામાં જવા પર કોઈ રોકટોક ન હતી.
પરંતુ ગામડાંઓમાં માટીના અખાડામાં રમાતી કુસ્તી મૅટ પર રમાતી કુસ્તી એકદમ અલગ હોય છે માટીના અખાડામાં સારું પ્રદર્શન કરનારા પહેલવાને પણ મૅટવાળી કુસ્તી માટે દાવ શીખવા પડે છે.
એટલે 12 વર્ષની ઉંમરમાં તેઓ સતપાલ પહેલવાન પાસે કુસ્તી શીખવા દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમ પહોંચ્યા.
યોગેશ્વર દત્તનો પ્રભાવ
કુસ્તીની રમત પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા ત્યારે એકદમ મજબૂત થઈ જ્યારે તેમની મુલાકાત યોગેશ્વર દત્ત સાથે થઈ.
આ મુલાકાત વિશે યોગેશ્વર દત્તે ઍપિક ચૅનલના કાર્યક્રમ ઉમ્મીદ ઇન્ડિયામાં જણાવ્યું હતું, "2008માં કુડન ગામનો મારો એક મિત્ર તેમને લઈને મને મળવા આવ્યો હતો. ત્યારથી જ તેમનામાં ઝઝૂમતા રહેવાનો ભાવ દેખાયો હતો. એ અમારા કરતા 12-13 વર્ષ નાના હતા પરંતુ મહેનત કરી રહ્યા હતા."
બજરંગ પુનિયાએ યોગેશ્વર દત્તને પોતાના મૉડલ, ગાઇડ અને મિત્ર બધું જ બનાવી લીધા હતા.
2012ના લંડન ઑલિમ્પિકમાં યોગેશ્વ દત્તની સફળતાએ તેમનામાં ઑલિમ્પિક મેડલ મેળવવાનો વિશ્વાસ જગાવ્યો.
વરિષ્ઠ ખેલ પત્રકાર રાજેશ રાય જણાવે છે, "મને પહેલી વખત બજરંગ સોનીપતમાં મળ્યા હતા, તેઓ યોગેશ્વર દત્ત સાથે હતા. તેમના પર યોગેશ્વર દત્તનો ઘણો પ્રભાવ છે."
એશિયન ગેઇમ્સ, કૉમનવેલ્થ ગેઇમ્સના ગોલ્ડ મેડલિસ્ટ પુનિયા
યોગેશ્વર દત્તથી પ્રભાવિત એવા બજરંગ પુનિયાએ 2014માં તેમની એકૅડેમીમાં પ્રવેશ લીધો અને ત્યાર બાદ ક્યારે પાછું ફરીને નથી જોયું. છેલ્લાં સાત વર્ષોમાં તેમણે જે સફળતા મેળવી છે, એવું કોઈ બીજું ઉદાહરણ જોવા મળતું નથી.
2017 અને 2019ની એશિયન ચૅમ્પિયનશિપ, 2018ની એશિયન ગેઇમ્સ અને 2018ની કૉમનવેલ્થ રમતોમાં પુનિયાએ ગોલ્ડ મેડલ જીત્યા હતા.
આ વર્ષે જ રમાયેલી એશિયન ચૅમ્પિયનશિપમાં તેઓ ગોલ્ડ મેડલ નથી જીતી શક્યા અને સિલ્વર મેડલથી તેમને સંતોષ માનવો પડ્યો. ઑલિમ્પિક પહેલા આંતરરાષ્ટ્રીય સ્તરની અલગઅલગ ટુર્નામેન્ટમાં છ ગોલ્ડ, સાત સિલ્વર અને ચાર બ્રૉન્ઝ મેડલ પુનિયા જીતી ચૂક્યા હતા.
આ બધી સફળતામાં યોગેશ્વર દત્તનું માર્ગદર્શન કામ આવતું હતું.
વરિષ્ઠ ખેલ પત્રકાર રાજેશ રાય કહે છે, "એક શ્રેષ્ઠ ખેલાડીનું માર્ગદર્શન શું કરી શકે છે તેનો આ ઉત્તમ દાખલો છે. બજરંગ 2018માં જ રાજીવ ગાંધી ખેલરત્નના દાવેદાર હતા પરંતુ તેમને એ પુરસ્કાર ન મળ્યો."
તેઓ કહે છે, "ત્યારે તેઓ બેંગલુરુમાં ટ્રેનિંગ લઈ રહ્યા હતા અને દુખી હતા. ફોન કરીને તેમણે કહ્યું કે કનૉટ પ્લેસમાં એક પ્રેસવાર્તા કરીશ. તે પ્રેસવાર્તામાં તેમણે આ પુરસ્કાર ન મળવાને અદાલતમાં પડકારવાની વાત કહી."
2019માં રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર
રાજેશ રાય મુજબ કદાચ આ બધું એટલી ઉતાવળમાં થયું કે યોગેશ્વર દત્તને પછી જાણ થઈ. તેમણે બજરંગને સમજાવ્યા કે 'તેમણે ખાલી રમત પર ધ્યાન આપવાનું છે, બસ રમતા રહે તો આજે નહીં તો કાલે ખેલરત્ન મળશે જ, અદાલતના ચક્કર છોડી દેવા જોઈએ કારણ કે તેનો કોઈ ફાયદો નથી.'
આ સલાહની અસર એવી થઈ કે બજરંગને 2019માં રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર પણ મળી ગયો અને કુસ્તીની દુનિયામાં તેમનું નામ પણ ચમકતું રહ્યું.
આ દરમિયાન પોતાના પ્રદર્શનને લઈને તેમનું એક નિવેદન ચર્ચામાં રહ્યું છે, તેઓ મજાકમાં કહે છે, "આ અઢી કિલોનો હાથ જ્યારે કોઈના પર પડે છે તો ગોલ્ડ મેડલ આવી જ જાય છે."
સિનેમાની અસર નથી
આ સાંભળીને એવું લાગે છે કે બજરંગ પુનિયા પર સિનેમાની અસર હશે.
પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે બજરંગ પુનિયા વીતેલા એક દાયકામાં ક્યારેય સિનેમા હૉલ નથી ગયા અને આ દરમિયાન સાત વર્ષના લાંબા ગાળા સુધી તેઓ મોબાઇલ ફોન પણ નથી રાખતા.
સમાચાર એજન્સી પીટીઆઈને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું, " 2010થી જ્યારે મેં આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ રમવાનું શરૂ કર્યું તો યોગી (યોગેશ્વર દત્ત) ભાઈએ મને કહ્યું કે આ બધી વસ્તુઓથી ધ્યાન ભટકે છે. આજે મારી પાસે મોબાઇલ ફોન છે પરંતુ યોગી ભાઈની સામે હું તેને નથી વાપરતો. જો દસ કલાક સુધી તેઓ મારી સાથે હોય તો દસ કલાક માટે મારો ફોન બંધ રહે છે."
યોગેશ્વર દત્તની સલાહનો જ પ્રભાવ છે કે વિભિન્ન ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે દુનિયાના 30 દેશોનો પ્રવાસ કરનાર બજરંગ પુનિયાએ કોઈ પણ દેશનો કોઈ ટૂરિસ્ટ સ્પૉટ નથી જોયો. તેમની ટીમના બીજા સભ્યો ફરવા બહાર જતા હોય છે પરંતુ તેમની સાથે બજરંગ જોવા ન મળે કારણ કે તેમનું આખું ધ્યાન માત્ર અને માત્ર કુસ્તી અને અભ્યાસ પર ટકેલું છે.
જોકે બજરંગ પુનિયા સમયે-સમયે ટ્વીટ કરતા રહે છે પરંતુ ટોક્યો ઑલિમ્પિકની તૈયારીમાં લાગ્યા એટલે 2018 પછી તેમણે એક પણ ટ્વીટ નથી કર્યું. તેમના ટ્વીટથી પણ તેમના વ્યક્તિત્વ વિશે ખબર પડે છે.
પોતાના એક ટ્વીટમાં તેમણે લખ્યું, "ખરાબ સમય સૌથી મોટો જાદુગર હોય છે. એકજ પળમાં બધા ચાહકોના ચહેરા પરથી પરદો હઠી જાય છે."
પોતાના બીજા ટ્વીટમાં તેમણે દાર્શનિક અંદાજમાં આત્મવિશ્વાસ અને અહંકારમાં અંતરની વાત કરી છે. તેમણે ટ્વીટ કર્યું, " 'હું શ્રેષ્ઠ છું' આ આત્મવિશ્વાસ છે પરંતુ 'માત્ર હું જ શ્રેષ્ઠ છું' એ અહંકાર છે. "
બજરંગ પુનિયાને મળ્યો શાકોનો સાથ
બજરંગ પુનિયા ટોક્યો ઑલિમ્પિકમાં પદકના દાવેદાર માનવામાં છે કારણ કે તેમના પર્સનલ કોચ શાકો બેંટિનીડીસ કેટલાક વર્ષોથી સતત બજરંગ પુનિયાની તકનીક સુધારવાનું કામ કરે છે.
જ્યૉર્જિયાના કોચ બેંટિનીડીસ પોતે ત્રણ વખતના ઑલિમ્પિયન છે અને ઑલિમ્પિક રમતની અધિકારિક વેબસાઇટ પર પુનિયા અને બેંટિનીડીસનો પરિચય આપતો એક આલેખ મુજબ કોચનો પુનિયા સાથે પિતા-પુત્ર જેવો સંબંધ છે.
બેટિનીડીસે પુનિયાને શારીરિક ફિટનેસની સાથે તેમની મનોવૈજ્ઞાનિક ફિટનેસ પર ઘણું કામ કર્યું છે.
ગત વર્ષે પુનિયાને ગોઠણની ઈજા થઈ હતી. પરંતુ ટોક્યોમાં તેમણે શાનદાર પ્રદર્શન કર્યું છે.
તેમની ટ્રેનિંગમાં એક રસપ્રદ વાત છે કે જે ફોનથી બજરંગ પુનિયા દૂર રહેવામાં જ ભલાઈ સમજે છે તે જ ફોનથી ગત એક વર્ષમાં તેમને મદદ મળી છે.
કોરોનાને કારણે ગત વર્ષે જ્યારે બેંડિટીનીસ જ્યૉર્જિયામાં ફસાઈ ગયા હતા ત્યારે તેમણે વીડિયો કૉલ્સ ઉપર પુનિયાને કોચિંગ આપ્યું.
આમ તો બજરંગ પોતાના સ્ટેમિના માટે જાણીતા છે અને તેઓ છ મિનિટમાં આક્રમક તકનીકથી હરીફને પછાડી શકે છે.
પરંતુ તેમની ગેઇમનો એક પક્ષ ઘણો નબળો રહ્યો છે તે છે લેગ-ડિફેન્સ. આને કારણે પ્રતિસ્પર્ધી પહેલવાન તેમના પગ પર હુમલો કરીને અંક મેળવી લે છે. આની જ ઝલક તેમની સેમિફાઇનલ મૅચમાં જોવા મળી.
પૂર્વ યૂરોપિયન ચૅમ્પિયન રહેલા શાકો મુજબ જ્યારે તેમણે પુનિયાની શક્તિઓ અને નબળાઈનું અધ્યયન કર્યું તો તેમના લેગ ડિફેન્સમાં કમી જોવા મળી.
આને ધ્યાનમાં રાખીને તેમણે ટોક્યો ઑલિમ્પિક પહેલા રશિયામાં પુનિયા માટે ટ્રેનિંગની વ્યવસ્થા કરી.
પીટીઆઈના ખેલ પત્રકાર અમનપ્રીત સિંહ મુજબ, " કૅરિયરની શરૂઆતમાં માટીના દંગલમાં રમવા, વધારે વાંકા વડીને રમવાની આદતને કારણે તેમનામાં આ નબળાઈ છે. પરંતુ જ્યૉર્જિયાના શાકોએ બજરંગની લેગ ડિફેન્સની કમીને દૂર કરવામાં ઘણી મદદ કરી."
"શાકોએ બજરંગ માટે વિશ્વના સૌથી સારા ટ્રેનિંગ પાર્ટનર શોધ્યા અને તેમને યુરોપ અને અમેરિકામાં અલગઅલગ જગ્યાએ ટ્રેનિંગ માટે લઈને ગયા. ભારતમાં બજરંગ માટે વિશ્વસ્તરીય પાર્ટનર મળવો મુશ્કેલ હતો એટલે બજરંગની તૈયારીમાં શાકોનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો