You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભૂત જોલોકિયા : દેશનાં સૌથી વધુ તીખાં મરચાં 'રાજા મરચાં'ની સંપૂર્ણ કહાણી
- લેેખક, સરોજ સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
આ ઘટના ઑક્ટોબર-2016ની એટલે કે લગભગ પાંચ વર્ષ પુરાણી છે.
અમેરિકામાં 47 વર્ષના એક પુરુષે બર્ગર ખાધું હતું. તે બર્ગરની વિશિષ્ટતા એ હતી કે તેના પર 'ભૂત જોલોકિયા' નામના મરચાંની પેસ્ટ લગાવવામાં આવી હતી.
બર્ગર ખાતાની સાથે જ એ પુરુષની છાતી તથા પેટમાં અસહ્ય પીડા થવા લાગી તેથી એ જમીન પર આળોટવા લાગ્યો હતો. તેને ઉલટીઓ થવા લાગી હતી. તેને તત્કાળ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ડૉક્ટરોએ તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે તે પુરુષની અન્નનળીમાં એક ઇંચનું કાણું હતું.
આ ઘટનાનો અહેવાલ અનેક મીડિયા સંસ્થાઓ ઉપરાંત જર્નલ ઑફ ઈમરજન્સી મેડિસિનમાં પણ પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
'ભૂત જોલોકિયા' એક પ્રકારનું મરચું છે અને એ મરચાંનું ઉત્પાદન પૂર્વોત્તર ભારતમાં કરવામાં આવે છે. આ મરચાંને કિંગ મરચાં, રાજા મરચાં, નાગા મરચાં અને ગોસ્ટ પેપર જેવા અનેક નામે ઓળખવામાં આવે છે.
તેને કિંગ મરચાં કહેવામાં આવે છે, કારણ કે તીખાશમાં તેની તોલે કોઈ આવતું નથી અને તે ભારતમાં મરચાંનો રાજા તો છે જ.
તેને નાગા મરચાં કહેવામાં આવે છે, કારણ કે નાગાલૅન્ડમાં તેની મોટા પ્રમાણમાં ખેતી કરવામાં આવે છે.
તેને ઘોસ્ટ પેપર કે ભૂત જોલોકિયા કહેવામાં આવે છે, કારણ કે તેને ખાધા બાદ તમારું શરીર, તમારામાં ભૂત પ્રવેશ્યું હોય એવી હરકતો કરવા લાગે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ બધી સ્થાનિક લોકોની ટિપ્પણી છે, જે આ મરચાંના નામ સાથે જોડાયેલી છે.
47 વર્ષના અમેરિકન પુરુષ સાથે જે થયું તેનાથી તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે તીખાશની બાબતમાં ભૂત જોલોકિયાનો કોઈ જવાબ નથી.
તેની ગણતરી વિશ્વનાં પાંચ સૌથી તીખાં મરચાંમાં કરવામાં આવે છે.
તમે વિચારતા હશો કે પાંચ વર્ષ પહેલાં અમેરિકામાં બનેલી ઘટનાનો ઉલ્લેખ અત્યારે શા માટે?
વાસ્તવમાં એકદમ તાજાં ભૂત જોલોકિયા મરચાંની નિકાસ હવે લંડન માટે કરવામાં આવી રહી છે. તેની પહેલી ખેપ કેન્દ્ર સરકારે બુધવારે મોકલી હતી. અગાઉ આ મરચાંની પાવડરના સ્વરૂપમાં પરદેશમાં નિકાસ કરવામાં આવતી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે, ભૂત જોલોકિયાની નિકાસની માહિતી ટ્વિટર પર આપી છે.
આ સમાચાર શેર કરતાં તેમણે લખ્યું છે, "જેમણે ભૂત જોલોકિયા ચાખ્યું છે તેમને જ તેની તીખાશની ખબર છે."
ભૂત જોલોકિયા એટલે રાજા મરચાંનો ઇતિહાસ
ભારતમાં મરચું પોર્ટુગીઝ લોકો દક્ષિણ અમેરિકાથી લાવ્યા હોવાનું સામાન્ય રીતે માનવામાં આવે છે, પરંતુ નાગાલૅન્ડનું રાજા મરચું એ કથાને ખોટી ઠરાવે છે.
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીની નિવૃત્ત પ્રોફેસર પુષ્પેશ પંત ભોજન વિશે અનેક પુસ્તકો લખી ચૂક્યા છે.
બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું, "પોર્ટુગીઝ લોકો 500 વર્ષ પહેલાં, 1498માં ભારતના કેરળના દરિયા કિનારે પહોંચ્યા હતા અને પછી ગોવામાં સ્થાયી થયા હતા. એ પછી પોર્ટુગીઝ લોકો ભારતના જે-જે હિસ્સામાં ગયા ત્યાં મરચાંનો ધીમે-ધીમે પ્રસાર થયો હતો. એ સમયે દેશના પૂર્વોત્તર પ્રદેશમાં પહોંચવાનું બહુ જ વિકટ હતું. તેથી પોર્ટુગીઝ લોકો ત્યાં રાજા મરચાંને લઈને પહોંચ્યા હોય એ શક્ય નથી. ભારતમાં કોઈ જંગલી મરચું, પોર્ટુગીઝો ભારત આવ્યા એ પહેલાં ઊગતું હતું અને એ રાજા મરચું છે એ વિશે બધા વનસ્પતિશાસ્ત્રીઓ આજે પણ એકમત છે."
આ રીતે વિચારીએ તો ભૂત જોલોકિયા એટલે કે રાજા મરચાં ભારતની મરચાંની સૌથી જૂની જાત છે. જોકે, તેનો ઉલ્લેખ ઇતિહાસમાં મળતો નથી.
તેનું કારણ જણાવતાં પુષ્પેશ પંતે જણાવ્યું હતું કે પૂર્વોત્તર પ્રદેશ સાથે ભારતનો સંપર્ક પહેલેથી જ ઓછો હતો. નાગાલૅન્ડ કે પૂર્વોત્તરનાં બીજાં રાજ્યોનાં લોકગીતોમાં તેનો ઉલ્લેખ નથી. તેનું કારણ એ છે કે ત્યાંના લોકો માટે આ મરચાં બહુ સામાન્ય બાબત હતાં.
મરચાંનો ભૂગોળ
મરચાંને અંગ્રેજીમાં ચિલી કહેવામાં આવે છે, જે મેક્સિકન શબ્દ છે અને તેનો અર્થ મોટું કેપ્સિકમ એવો થાય છે.
મરચાંનું વાનસ્પતિક નામ 'કેપ્સિકમ એનમ' છે. લીલા મરચાંમાં વિટામિન એ, બી, અને સી પૂરતાં પ્રમાણમાં મળી રહે છે. એ ઉપરાંત તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ પણ મોટા પ્રમાણમાં હોય છે. મરચાંમાંની તીખાશ તેમાંના કેપ્સેસિન (ઓલિયોરેજિન) નામના એલ્કલાઇડ રસાયણને આભારી હોય છે. મરચું પાકી જાય પછી લાલ થઈ જાય છે તેનું કારણ કેપ્સેન્થિન હોય છે.
ભારત વિશ્વમાં મરચાંનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે એટલું જ નહીં, પણ મરચાંનો સૌથી વધુ વપરાશ કરતા દેશોમાં પણ ભારતનો સમાવેશ થાય છે.
દેશમાં અનેક પ્રદેશોમાં આખું વરસ મરચાં ઉગાડવામાં આવે છે. તેના માટે 20થી 30 ડિગ્રી સેલ્શિયસ ઉષ્ણમાનની જરૂર પડે છે. આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુની મરચાંની વરાયટી વધારે પ્રસિધ્ધ છે.
હવે તેમાં નાગાલૅન્ડ અને આસામનું નામ પણ ઉમેરાયું છે.
રાજા મરચાંની વાત કરીએ તો તે ચાર-પાંચ ઇંચ લાંબુ હોય છે. તે લીલા ઉપરાંત લાલ અને ચોકલેટી કલરનું પણ હોય છે. તેનો ઉપયોગ ખાવાના મસાલામાં અને અથાણામાં કરવામાં આવે છે. તેના વડે બનાવવામાં આવેલી માંસાહારી વાનગી બહુ સ્વાદિષ્ટ હોવાનું માનવામાં આવે છે. પૂર્વોત્તર ભારતના વિવિધ હિસ્સાઓમાં આ મરચાંનો ઉપયોગ સૉસ બનાવવા માટે પણ કરવામાં આવે છે.
ભારતમાં મરચાંની આ જાતની કિંમત 300 રૂપિયા પ્રતિ કિલો છે, પરંતુ લંડનના માર્કેટમાં તે 600 રૂપિયે કિલોના ભાવે વેચાશે.
મરચાંની આ જાતનું હાલ નાગાલૅન્ડ અને આસામમાં નાના પાયે ઉત્પાદન કરવામાં આવે છે, પણ નિકાસ વ્યવસ્થિત શરૂ થયા પછી સ્થાનિક લોકો તેનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરશે, એવું કૃષિ મંત્રાલયના અધિકારીઓ માને છે. એ કારણસર કેન્દ્ર સરકાર તેની નિકાસમાં રસ દેખાડી રહી છે.
કેટલું તીખું હોય છે મરચું?
મરચાંની તીખાશ માપવાનો એક માપદંડ હોય છે. એ માપદંડને સ્કોવિલ હીટ યુનિટ (એસએચયુ) કહેવામાં આવે છે. આ માપદંડને અમેરિકન ફાર્માસિસ્ટ વિલ્બર સ્કોવિલનું નામ આપવામાં આવ્યું છે.
મરચાંમાંના કેપ્સેસિનના આધારે નક્કી કરવામાં આવે છે કે મરચું કેટલું તીખું છે.
જાણકારો કહે છે કે આ માપદંડ મુજબ, રાજા મરચાંનો સ્કોર દસ લાખ એસએચયુ છે. વિશ્વનાં સૌથી તીખાં મરચાંનો એસએચયુ સ્કોર 20 લાખની ઉપર છે.
વિશ્વનાં પાંચ સૌથી તીખાં મરચાંમાં રાજા મરચાં પાંચમા સ્થાને છે.
કેન્દ્રના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે બીબીસીને આપેલી માહિતી મુજબ, વિશ્વમાં સૌથી વધુ તીખાશની બાબતમાં પહેલું સ્થાન પ્યોર કેપ્સાઈસિન નામનાં મરચાંનું છે. બીજું સ્થાન સ્ટાન્ડર્ડ પેપર સ્પે, ત્રીજું સ્થાન કેરોલિના રીપર અને ચોથું સ્થાન ટ્રિનિડાડ મોરુગા સ્કૉર્પિયનનું છે.
પુષ્પેશ પંતના જણાવ્યા અનુસાર, ભારતીય ઘરોમાં સામાન્ય રીતે લાલ મરચાંનો જેટલા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે એટલા પ્રમાણમાં રાજા મરચાં કે ઉપર મુજબના એકેય મરચાંનો ઉપયોગ થઈ શકે નહીં. માત્ર એક ચપટી રાજા મરચાંને લીધે વાનગીના સ્વાદ અને મહેક બન્નેમાં વધારો થાય છે.
વિશ્વના લોકોનો મરચાં-પ્રેમ
તમે અત્યાર સુધી રાજા મરચાંની કહાણી વાંચી છે. એ પણ જાણી લો કે વિશ્વમાં લોકો મરચાંને બહુ પ્રેમ કરે છે. ભારતમાં હળદર અને મરચાંનો ઉપયોગ મોટાભાગનાં શાક બનાવવામાં કરવામાં આવે છે.
તમે એ જાણો છો કે પ્રત્યેક વ્યક્તિ વર્ષ દરમિયાન સરેરાશ કેટલું મરચું ખાય છે?
એક અનુમાન અનુસાર, 2018માં દરેક વ્યક્તિએ સરેરાશ પાંચ કિલો મરચું ખાધું હતું. આ આંકડા માર્કેટ એનાલિસિસ ફર્મ ઈન્ડેક્સ બૉક્સના છે.
કેટલાક દેશોમાં મરચું વધારે પ્રમાણમાં ખાવામાં આવે છે.
તુર્કીમાં એક વ્યક્તિ એક દિવસમાં સરેરાશ 86.5 ગ્રામ મરચું ખાય છે. તેનો અર્થ એ થયો કે સમગ્ર વિશ્વમાં સૌથી વધારે મરચું તુર્કીના લોકો ખાય છે.
મેક્સિકોમાં લોકો એક દિવસમાં સરેરાશ 50.95 ગ્રામ મરચું ખાય છે.
એ સિવાય મરચાંના ઉપયોગની વાત કરીએ તો ભારત, થાઈલૅન્ડ, ફિલીપીન્સ અને મલેશિયા મરચાંના વપરાશમાં સૌથી આગળ છે.
બીજી તરફ સ્વીડન, ફિનલૅન્ડ અને નોર્વે જેવા દેશોમાં મરચાંનો સૌથી ઓછો ઉપયોગ કરવામાં આવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો