You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તૌકતે, યાસ બાદ ભારતના માથે વધુ એક વાવાઝોડાની આફત, કયાં રાજ્યોને જોખમ?
તાજેતરમાં જ તૌકતે અને યાસ વાવાઝોડાંએ ગુજરાત સહિતનાં ભારતનાં કેટલાંક રાજ્યોમાં તારાજી સર્જી હતી. જોકે હવે વધુ એક વાવાઝોડાનું દેશના માથે જોખમ છે.
ભારતીય હવામાનવિભાગ મુજબ 11 જૂને બંગાળની ખાડીમાં લૉ-પ્રૅશર સર્જાશે, જેના કારણે વાવાઝોડું સર્જાઈ શકે છે.
હવામાનવિભાગે ટ્વીટ કરીને જણાવ્યું છે કે પૂર્વ-મધ્ય અને ઉત્તર-પૂર્વ બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે.
જેના કારણે બંગાળની ખાડીની ઉત્તર દિશામાં લૉ-પ્રેશર સર્જાશે. 11 જૂનથી લૉ-પ્રેશર બનવાની શરૂઆત થશે અને સંભવતઃ વાવાઝોડામાં ફેરવાઈ જશે.
લૉ-પ્રેશરના કારણે પૂર્વ ભારત અને મધ્ય ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. ઓડિશા અને છત્તીસગઢમાં ગુરુવારે અને શુક્રવારે વરસાદ થઈ શકે અને વિદર્ભમાં 12 અને 13 જૂને વરસાદની સંભાવના છે.
સ્કાયમેટ વેધરે પણ ટ્વીટ કરીને જણાવ્યું છે કે બંગાળની ખાડીની ઉત્તર દિશામાં લૉ-પ્રેશર સર્જાશે જે બાદમાં ડિપરેશનમાં ફેરવાઈ શકે છે.
જો આ વાવાઝોડું સર્જાય અને ભારતના દરિયાકાંઠા તરફ આગળ વધે તો બંગાળ, ઓડિશા અને સાથે-સાથે પાડોશી દેશ બાંગ્લાદેશમાં પણ નુકસાન કરી શકે છે.
વાવાઝોડું સર્જાશે તો ગુલાબ નામ અપાશે
જો આ વાવાઝોડું સર્જાયું તો તેને ‘ગુલાબ’ નામ આપવામાં આવશે અને ગુલાબ નામ પાકિસ્તાન દ્વારા સૂચવવામાં આવ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ અગાઉ અરબ સાગરમાં આવેલા વાવાઝોડાને તૌકતે નામ આપવામાં આવ્યું હતું, જે મ્યાંમાર દ્વારા આપવામાં આવ્યું હતું.
એ બાદ બંગાળની ખાડીમાં યાસ વાવાઝોડું આવ્યું હતું, જે ઓમાન દ્વારા સૂચવવામાં આવ્યું હતું.
વાવાઝોડાંનાં નામ કઈ રીતે પાડવામાં આવે છે?
એશિયા અને પ્રશાંત વિસ્તાર માટે સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક કમિશન (ઈએસસીએપી) અને વિશ્વ ઋતુ સંગઠન (ડબ્લ્યુએમઓ) દ્વારા 2000ની સાલમાં બંગાળની ખાડી અને અરબ સાગરમાં સર્જાતાં વાવાઝોડાં માટે નામ આપવાની પદ્ધતિ શરૂ કરવામાં આવી હતી.
આ અંતર્ગત બાંગ્લાદેશ, ભારત, માલદીવ, મ્યાંમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઈલૅન્ડ જેવા દેશોના એક જૂથ દ્વારા બંગાળની ખાડી અને આરબ સાગરમાં સર્જાતાં વાવાઝોડાં માટે 13 નામોની યાદી સોંપવામાં આવી હતી.
2018માં આ જૂથમાં ઈરાન, કતાર, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને યમન પણ જોડાઈ ગયાં. આ પેનલ ચક્રવાતને નામ આપવાનું કામ કરે છે.આ દેશો દ્વારા સૂચવવામાં આવતાં નામોની યાદી દેશોનાં નામોની વર્ણમાળા પ્રમાણે બનાવાવમાં આવે છે. આ યાદીની શરૂઆત બાંગ્લાદેશથી થાય છે.
જે બાદ ભારત, ઈરાન, માલદીવ, ઓમાન અને પાકિસ્તાનનું નામ આવે છે. આ ક્રમ પ્રમાણે ચક્રવાતનું નામ રાખવામાં આવે છે.
મે મહિનામાં આવ્યાં તૌકતે અને યાસ વાવાઝોડાં
17 મેના રોજ ગુજરાતમાં તૌકતે વાવાઝોડું આવ્યું હતું. તૌકતે દીવ-વણાંકબારાના કાંઠે ત્રાટક્યું હતું. દીવ, ઉના, જાફરાબાદ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ઝડપી પવન ફુંકાવાની સાથે-સાથે ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો.
18 મેના દિવસે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાત પ્રમાણે વાવાઝોડાના કારણે 5,951 ગામમાં વીજપુરવઠાને અસર થઈ હતી.
તેમણે જણાવ્યું કે વાવાઝોડાના કારણે ઉનાળુ પાક અને બાગાયતી પાક, ખાસ કરીને કેરી અને નારિયેળીને નુકસાન થયું છે.
તૌકતે બાદ 26 મેના રોજ યાસ વાવાઝોડું આવ્યું, જેના કારણે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ભારે તારાજી સર્જાઈ હતી.
યાસ વાવાઝોડું ઓડિશાના બાલોસોર પાસે ત્રાટક્યું અને તેની અસર પશ્ચિમ બંગાળના કાંઠાના વિસ્તારોમાં થઈ હતી, વાવાઝોડાના કારણે અનેક નદીઓ પર બંધ તૂટી ગયા હતા, જેના કારણે સેંકડો ગામો પાણીમાં ડૂબી ગયાં હતાં.
વાવાઝોડું કઈ રીતે સર્જાય છે?
સમુદ્રનાં ગરમ પાણીથી ગરમ થયેલી હવા ઉપર ઊઠે છે. હવે આ જ હવા ફરીથી ઠંડી પડીને નીચે તરફ આવતી હોય, ત્યારે નીચેથી પહેલાંથી જ ગરમ થયેલી હવા બાજુમાં ધકેલી દે છે.
આ પ્રક્રિયા હવાની ગતિ વધારી દે છે. આવી સ્થિતિમાં દરિયામાં મોજાં પણ ઊંચે સુધી ઊછળે છે. આ જ મોજાં કાંઠાનાં શહેરો અને ગામડાંમાં તબાહી સર્જતા હોય છે.
જમીન પર ભારે ઝડપથી ફૂંકાતા પવનો પણ નુકસાન સર્જતા હોય છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સમુદ્રના પાણીનું તાપમાન વધી રહ્યું છે અને તેને કારણે ભવિષ્યમાં 'હરિકૅન'નું જોખમ વધી ગયું છે.
વાવાઝોડાના સર્જન વિશે વધુ જાણવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
વાવાઝોડા વખતે વીજળી પડે તો શું કરશો?
વાવાઝોડા વખતે ઘણી વખત વીજળી પડવાનું જોખમ પણ તોળાતું હોય છે.
જો કોઈના પર વીજળી પડે તો શું કરવું? અથવા તો આ પ્રકારની સ્થિતિમાં કઈ રીતે બચી શકાય?
આ પ્રશ્નોના વિગતવાર જવાબ મેળવવા નીચેની લિંક પર ક્લિક કરો.
વાવાઝોડા વખતે બંદર પર અપાતાં સિગ્નલનો શું અર્થ છે?
ગુજરાતના અલગ-અલગ દરિયાકાંઠા પર વાવાઝોડાને પગલે સિગ્નલ આપી દેવામાં આવ્યાં છે.
દરિયામાં જ્યારે વાવાઝોડું આવે ત્યારે ચેતવણી આપવા માટે પૉર્ટ સ્ટ્રોમ વૉર્નિંગ સિગ્નલોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.
કેટલાક દેશો સિગ્નલ દર્શાવવા માટે ફ્લેગનો ઉપયોગ કરતા હોય છે. ભારતમાં દિવસ અને રાત માટે અલગ-અલગ સંકેતોનો ઉપયોગ કરવામાં આવે છે.
દિવસના સંકેતો માટે સિલિન્ડર જેવા આકારની વસ્તુ અને શંકુનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે રાત્રિના સંકેતો માટે લાલ અને સફેદ લાઇટનો ઉપયોગ કરાય છે.
ભારતમાં 1 નંબરથી લઈને 11 નંબર સુધીનાં સિગ્નલનો ઉપયોગ કરવામાં આવે છે.
સાયક્લોન, હરિકૅન કે ટાયકૂન વચ્ચે શું ફેર?
સાયક્લોન, હરિકૅન, ટાયકૂન, સુપર ટાયકૂન આ શબ્દોને એકસરખા સમજવાની ભૂલ ન કરવી જોઈએ, આ અલગ-અલગ શબ્દોના જુદા-જુદા અર્થ છે.
આ બધાં વાવાઝોડાં ઉષ્ણકટિબંધીય તોફાન છે, પરંતુ વિસ્તારની દૃષ્ટિએ તેમને અલગઅલગ નામ આપવામાં આવ્યાં છે.
2019માં 'ફ્લૉરેન્સ' નામના હરિકૅને અમેરિકામાં તબાહી મચાવી હતી. એ જ રીતે સુપર ટાયકૂન 'મંગખૂટ'એ ફિલિપાઇન્સમાં વિનાશ સર્જ્યો હતો.
સાયક્લોન, હરિકૅન, ટાયકૂન, સુપર ટાયકૂન વચ્ચે શું ફરક છે અને એ કઈ રીતે નક્કી થાય છે, એ વિશે વધુ જાણવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો