કોરોના રસી : મંજૂરી જ નથી મળી એવી વૅક્સિનના 30 કરોડ ડોઝનો મોદી સરકારે ઑર્ડર આપ્યો

કોરોના વાઇરસની બીજી વિનાશક લહેર વચ્ચે ભારતે જેને મંજૂરી પણ નથી મળી એવી કોરોના વાઇરસની રસીના 300 મિલિયન એટલે કે 30 કરોડ ડોઝનો ઑર્ડર આપ્યો છે.

સરકારે એક નિવેદનમાં કહ્યું કે ભારતીય કંપની બાયૉલૉજિકલ Eની અનામી વૅક્સિન ત્રીજા તબક્કાના પરીક્ષણમાં છે અને પહેલા બે તબક્કામાં 'આશાજનક પરિણામ' મળ્યાં છે.

206 મિલિયન ડૉલરના ઑર્ડર પર ભારતે હસ્તાક્ષર કર્યા છે, જેને આપાતકાલીન સ્વીકૃતિ મળી નથી.

આ એવા સમયે થઈ રહ્યું છે, જ્યારે ભારત પોતાના મંદ પડેલા રસીકરણ અભિયાનને વેગ આપવા સંઘર્ષ કરી રહ્યું છે.

ભારતે અત્યાર સુધીમાં માત્ર 220 મિલિયન ડોઝની વ્યવસ્થા કરી છે. જોકે તેની 1.4 બિલિયન વસતીમાંથી મોટા ભાગનાને રસી આપવાની બાકી છે.

દેશના 10 ટકાથી ઓછા લોકોને રસીનો કમસે કમ એક ડોઝ મળ્યો છે, જેનું મુખ્ય કારણ રસીની અછત છે.

ભારતમાં હાલમાં કોરોના વાઇરસના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. જોકે હજુ પણ એક દિવસમાં એક લાખથી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે.

કોરોના વાઇરસથી ભારતમાં અત્યાર સુધીમાં 3,40,000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.

જોકે જાણકારોનું કહેવું છે કે મોતની સંખ્યા બહુ ઓછી આંકવામાં આવી રહી છે.

કોરોના રસી મામલે કેન્દ્ર સરકારની ટીકા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર ભારતીય કે વિદેશી રસી ઉત્પાદકો સાથે સમય પહેલાં ઑર્ડર નહીં આપવા મામલે ટીકાનો સામનો કરી રહી છે.

ભારત હાલમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા ઉત્પાદિત કોવિશિલ્ડ, અને ભારતીય કંપની ભારત બાયોટેક અને ઇન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચની કોવૅક્સિન અને સ્પુતનિક વી, (જે મૉસ્કોની ગેમેલિયા સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે) એમ ત્રણ રસી અપાઈ રહી છે.

બાયૉલૉજી ઈને એક 300 મિલિયન ડોઝના સિંગલ ઑર્ડરની સરખામણીમાં ભારતે જાન્યુઆરીથી મે માસમાં કોવિશિલ્ડ અને કોવૅક્સિનના 350 મિલિયન ડોઝ મેળવ્યા હતા.

ભારતના દવા નિયામક દ્વારા પરીક્ષણ ટ્રાયલ પૂરી થતા પહેલાં જાન્યુઆરીમાં કોવૅક્સિનને આપાતકાલીન માટે મંજૂરી આપી હતી, જેની અસરકારતા પર ડેટા રિલીઝ કરવાના બાકી છે.

ભારત સરકાર અનુસાર, બાયૉલૉજિકલ Eની નવી રસી "આગામી કેટલાક મહિનામાં ઉપલબ્ધ થવાની શક્યતા" છે.

કોરોના રસી માટે સરકારની ઉતાવળ

મોદી સરકાર કોરોનાના કેસ ઘટતા હવે રસી માટે ઉતાવળી બની છે. નિષ્ણાતો અનુસાર આ સંભવિત ત્રીજી લહેર માટેની તૈયારી છે.

ભારતમાં જાન્યુઆરીમાં રસીકરણ અભિયાનની આશાજનક શરૂઆત થઈ હતી, પણ પછી કેસ ઘટતા એ ધીમું થઈ ગયું હતું. પણ પછી બીજી ઘાતક લહેરમાં કેસની સંખ્યા ઝડપથી વધી ગઈ, જેના કારણે હૉસ્પિટલોમાં બેડની અછત થઈ સર્જાઈ અને સ્મશાનોમાં પણ જગ્યા ઓછી પડી હતી.

લહેરનો રોકવાની આશાએ સરકારે મે મહિનામાં 18 વર્ષથી ઉપરની વ્યક્તિ માટે રસીકરણ અભિયાન ખોલ્યું હતું, પણ ભારતના બે રસી ઉત્પાદકો- સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેક એ ધોરણે સપ્લાયની બાંયધરી આપી ન શક્યા.

પણ રસીની અછત છે અને ગ્રામીણ વિસ્તારોમાં સુધી પહોંચવામાં ભારે અસમાનતા જોવા મળી રહી છે. ગરીબ અને મહિલાઓ ડોઝ માટે પાછળ રહી ગયાં છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો