ભારતમાં કોરોનાના રસીકરણના કાર્યક્રમમાં ગડબડ ક્યાં થઈ ગઈ?

    • લેેખક, અપર્ણા અલ્લૂરી અને નિખિલ ઇનામદાર
    • પદ, બીબીસી ન્યૂઝ

31 વર્ષનાં સ્નેહા મરાઠેને કોવિડની રસી માટે ઑનલાઇન ઍપોઇન્ટમૅન્ટ બુક કરાવવા માટે લગભગ અડધો દિવસ લાગી ગયો હતો.

સ્નેહા મરાઠે કહે છે, " આ એવું હતું તમે ફાસ્ટેસ્ટ ફિંગર્સ ફર્સ્ટ રમી રહ્યા હોય."

"ત્રણ જ સેકન્ડમા સ્લૉટ ભરાઈ જતા હતા."

પરંતુ હૉસ્પિટલે છેલ્લી મિનિટે તેમનો સ્લૉટ કૅન્સલ કરી દીધો હતો કારણ કે રસીના ડોઝ ખતમ થઈ ગયા હતા.

અને પછી સ્નેહા મરાઠે ફરીથી સ્લૉટ બુક કરાવવાના પ્રયત્નમાં લાગી ગયાં.

ભારતભરમાં હાલ 18થી 44 વર્ષની ઉંમરના લોકોને કોરોનાની રસી મેળવવા માટે કૉવિન પ્લૅટફોર્મ પર ઍપોઇન્ટમમૅન્ટ બુક કરાવવાની હોય છે.

કોરોનાની રસીની તોતિંગ માગની સામે તેના જૂજ પુરવઠાને જોતાં ટેક-સેવી ભારતીયો ટેકનૉલૉજીની મદદથી ઍપોઇન્ટમેન્ટ મેળવવા માટે કૉડિંગનો સહારો પણ લઈ રહ્યા છે.

સ્નેહા મરાઠે કૉમ્પ્યુટર કૉડિંગ નથી જાણતાં અને તેમનો સમાવેશ ભારતના કરોડો લોકોમાં થાય છે જેઓ સ્માર્ટફોન અને ડિજિટલ દુનિયાનો ભાગ છે.

પરંતુ ભારતમાં ડિજિટલ ડિવાઇડને કારણે કરોડો લોકો એવા પણ છે જેમની પાસે કદાચ સ્માર્ટફોન પણ નથી.

અને સત્ય એ છે કે હાલ ભારતમાં 18થી 44 વર્ષના લોકોને રસી મેળવવા માટે સ્માર્ટફોન જ રસ્તો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે દેશમાં 96 કરોડ વયસ્ક લોકો માટે રસીકરણ કાર્યક્રમ ખુલ્લો મુક્યો, આના માટે રસીના 1.8 અબજ ડોઝની જરૂર છે, પરંતુ પુરવઠો તેના કરતાં ઘણો ઓછો છે.

કોરોના સંક્રમણની બીજી લહેર જેટલી ઘાતક નીવડી, પરિસ્થિતિ એટલી જ મુશ્કેલ બની. એમાં હવે પાછી કોરોનાની ત્રીજી લહેરની ચેતવણી પણ વ્યક્ત કરાઈ છે.

કોરોનાના કેસમાં ઝડપી ઉછાળો અને રસીકરણ ધીમું

પબ્લિક હેલ્થ વિષયના નિષ્ણાતોએ બીબીસીને કહ્યું કે રસીકરણમાં થયેલી આ ગડબડની પાછળ અનેક ભૂલો છે જેમકે ખરાબ પ્લાનિંગ, ટુકડેટુકડે ખરીદી અને અનિયંત્રિત કિંમતો- આ કારણોસર મોદી સરકારે ભારતના રસીકરણ કાર્યક્રમને એક ખૂબ અનુચિત પ્રતિસ્પર્ધામાં ફેરવી દીધો છે.

તો કેવી રીતે એવું બન્યું કે વિશ્વનું સૌથી મોટું રસીનો ઉત્પાદક ભારત, જે 'દુનિયાની ફાર્મસી' તરીકે ઓળખાય છે, પાસે રસીના ડોઝની આટલી તંગી થઈ ગઈ?

ટુકડેટુકડે ખરીદી

ઍક્સેસ આઈબીએસએ સંસ્થા ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકામાં દવાઓની ઉપલબ્ધતા માટે ઝુંબેશ ચલાવે છે. ઍક્સેસ આઈબીએસએના સંયોજક અચલ પ્રભલા કહે છે, ભારત જાન્યુઆરી સુધી રસીના ડોઝનો ઑર્ડર આપવા માટે રાહ જોતું રહ્યું, પણ ભારતે રસીનો ઑર્ડર બહુ પહેલાં આપી દેવાની જરૂર હતી. અને ભારતે રસીના બહુ ઓછા ડોઝના ઑર્ડર આપ્યા હતા."

જાન્યુઆરી અને મે 2021 વચ્ચે ભારતે મંજૂરી પ્રાપ્ત બે રસીના આશરે 35 કરોડ ડોઝ ખરીદ્યા છે.

જેમાં ઑક્સફોર્ડ- એસ્ટ્રાઝેનેકાની રસી કોવિશિલ્ડનું ઉત્પાદન સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા અને કોવૅક્સિનનું નિર્માણ ભારત બાયૉટેક કરી રહ્યું છે.

બે ડૉલર પ્રતિ ડોઝની કિંમતે મળતી આ રસી દુનિયામાં સૌથી સસ્તી હતી પણ ભારતની 20 ટકા જનતા માટે પણ પૂરતી નહોતી.

આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી કે કોરોના સામે ભારતે વિજય મેળવી લીધો છે. નરેન્દ્ર મોદીએ ભારતમાં જેટલા લોકોને રસી મુકાઈ હતી તેના કરતાં વધારે રસીના ડોઝ વિદેશમાં મોકલીને "વૅક્સિન ડિપ્લોમેસી" પણ શરૂ કરી દીધી હતી.

જ્યારે તેનાથી ઊલટું અમેરિકા અને યુરોપિયન યુનિયને રસીકરણ કાર્યક્રમ શરૂ થયું તેના એક વર્ષ પહેલાં રસીના જેટલા ડોઝની જરૂર હતી તેના કરતાં ઘણા વધારે ડોઝનો ઑર્ડર આપી દીધો હતો.

તેઓ કહે છે, આનાથી નિર્માતાઓને ગૅરંટી મળી ગઈ અને તેમને પુરવઠા અને વેચાણની ખાતરી થઈ હઈ. એટલું જ નહીં આ દેશની સરકારોને પણ ખાતરી થઈ ગઈ કે રસી તૈયાર થાય એટલે તેમને જેમ બને તેટલી જલદી વધારેમાં વધારે રસી મળી રહેશે."

અમેરિકા અને યુકે કરતાં ભારતનો રસ્તો જુદો રહ્યો, ભારતે 20 એપ્રિલે- જ્યારે દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર કેર વર્તાવી રહી હતી- ત્યારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા અને ભારત બાયોટેકને રસીનું ઉત્પાદન વધારવા માટે 61 કરોડ ડૉલરનું ભંડોળ ફાળવ્યું હતું.

ઑલ ઇન્ડિયા ડ્રગ ઍક્શન નેટવર્કનાં કો-કન્વીનર માલિની આઇસોલાએ મુજબ બીજી ભૂલ એ હતી કે ભારતની વિશાળ નિર્માણક્ષમતાનો ઉપયોગ ન કરવાનો નિર્ણય.

તેઓ કહે છે કે ભારતમાં બાયોલૉજિક ફેકટરીઓને રસીના ઉત્પાદન માટે રૂપાંતરિત કરી શકાઈ હોત.

હાલમાં જ ભારતમાં ત્રણ સરકારી ફેકટરીઓને કોવૅક્સિનના નિર્માણના અધિકાર આપવામાં આવ્યા છે.

કોવૅક્સિનને આંશિક રૂપે સરકારી ભંડોળની મદદ મળી હતી.

બીજી તરફ, એપ્રિલની શરૂઆતમાં રશિયાની સ્પુતનિક વી રસીના નિર્માતાઓએ ભારતમાં અનેક ફાર્મા કંપનીઓ સાથે કરાર કર્યા છે જેથી ભારતમાં સ્પુતનિક વી રસીનું ઉત્પાદન થઈ શકે.

વેરવિખેર બજાર

માલિની આઇસોલા કહે છે કે રસીની એકલી ખરીદદાર તરીકે ભારત સરકાર પાસે રસીની કિંમત ઉપર નિયંત્રણ આવી શક્યું હોત.

તેઓ કહે છે, "રસીની ખરીદીનું કેન્દ્રીકરણ કરીને રસીની કિંમતને બે ડૉલર (એટલે રૂપિયા 150ની આસપાસ)થી ઓછી રાખી શકાઈ હોત. પણ આને બદલે રસીની કિંમત વધી ગઈ છે."

તારીખ 1 મેના રોજ ભારત સરકારે રસીકરણ કાર્યક્રમને 18થી 44 વર્ષના લોકો માટે ખોલીને રસી ખરીદવાની જવાબદારી સીધી રાજ્યો અને ખાનગી હૉસ્પિટલો પર નાખી દીધી.

વિપક્ષ આને એક "કૌભાંડ" ગણાવે છે. વિપક્ષનો આરોપ છે કે કેન્દ્ર સરકારે પોતાની જવાબદારી ખંખેરી નાખી છે અને "રાજ્યો વચ્ચે એવી પ્રતિસ્પર્ધા ઊભી કરશે જે રસીકરણને નબળું અને ધીમું" બનાવશે.

રાજ્યોને કેન્દ્ર સરકાર કરતાં કોવિશિલ્ડ માટે બમણા એટલે કે ચાર ડૉલર અને કોવૅક્સિન માટે ચાર ગણી કિંમત એટલે કે ચાર ડૉલર ચૂકવવા પડશે.

રાજ્ય સરકાર પર આ અતિરિક્ત ભારણ ત્યારે આવ્યું છે જ્યારે કંપનીઓએ "પરોપકારની ભાવના" દર્શાવતાં રસીની કિંમતો ઘટાડી છે.

પહેલેથી ઓછા પ્રમાણમાં ઉપલબ્ધ રસી માટે રાજ્ય સરકારો અને ખાનગી હૉસ્પિટલો વચ્ચે પડાપડી ચાલી રહી છે અને અંતે તો રસીની કિંમત તો લોકોએ જ ચૂકવવાની આવશે.

પરિણામ : સરકારી અને ખાનગી ખર્ચે બનેલી રસી માટે આ ફ્રી માર્કેટ. ખાનગી હૉસ્પિટલમાં રસીનો એક ડોઝ 1500 રૂપિયા સુધીમાં પણ મળી શકે છે.

કેટલાંક રાજ્યોએ હવે ફાઇઝર, મૉડર્ના અને જૉનસન ઍન્ડ જૉનસનની રસીને આયાત કરવાની જાહેરાત કરી છે. પરંતુ કોઈ પણ રસીનિર્માતા આવનારા થોડા મહિનાઓની અંદર રસી સપ્લાય કરી શકવાની ગૅરંટી નથી આપી શકતા કારણ કે અમીર દેશોએ પેહેલેથી રસીના ઑર્ડર આપેલા છે.

જોકે ભારતમાં સુપ્તનિક વી રસી આવનારાં અઠવાડિયાંમાં ભારતની બજારોમાં ઉપલબ્ધ થઈ જશે.

શું ભારતની કિંમતો યોગ્ય છે?

રસી બનાવનારી કંપનીઓ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા અને ભારત બાયોટૅક ઉપર મહામારીમાં નફો કમાવવાના આરોપ લાગી રહ્યા છે. તેમના પર આ આરોપ એટલે પણ લાગી રહ્યા છે કારણ કે બંને કંપનીઓને સરકાર તરફથી આર્થિક મદદ મળી છે.

પરંતુ કેટલાક લોકો માને છે કે વાંક સરકારનો છે અને જોખમ પણ સરકારે જ ઉઠાવવું જોઈએ.

ભારત એકમાત્ર દેશ છે જ્યાં માત્ર કેન્દ્ર સરકાર સિવાય પણ રસીના ખરીદનારા છે. ભારત એવા થોડા દેશોમાં આવે છે જ્યાં લોકોને કોરોનાની રસી મફત નથી અપાઈ રહી.

પબ્લિક હેલ્થના નિષ્ણાતો માને છે કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા અને ભારત બાયોટેકે રસીના નિર્માણના ખર્ચ અને પોતાના વેપારી કરાર વિશે વધારે પારદર્શક બનવું જોઈએ.

માનસી આઇસોલાએ કહ્યું કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા જણાવવું જોઈએ કે તેણે આંતરરાષ્ટ્રીય કોવૅક્સ સ્કીમ અને ગેટ્સ ફાઉન્ડેશન તરફથી ફાળવવામાં આવેલા 300 મિલિયન ડૉલરને કેવી રીતે ખર્ચ કર્યા. આ આર્થિક મદદ ગરીબ દેશોને રસી ઉપલબ્ધ કરાવવા માટે આપવામાં આવી હતી.

તેઓ કહે છે કે "સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા આમાં નિષ્ફળ રહ્યું છે કારણ કે ભારતે હાલમાં રસીના નિકાસ પર રોક લગાવી છે."

"એસ્ટ્રાઝેનેકા તરફથી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાને કાયદાકીય નોટિસ આપવામાં આવી છે કારણકે કંપની પોતાના રસીના કુલ ઉત્પાદનમાંથી 50 ટકા જથ્થો ગરીબ દેશોને મોકલવાનો વાયદો પૂરો નથી કરી શકતી."

પબ્લિક હેલ્થ નિષ્ણાતો ભારત સરકાર અને ભારત બાયૉટેકના કૉન્ટ્રેક્ટની તપાસની માગ પણ કરી રહ્યા છે, ખાસ કરીને ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે દાવો કર્યો હતો કે કોવૅક્સિનના ઇન્ટેલેક્યુઅલ પ્રૉપર્ટી રાઇટ્સમાં તેની ભાગીદારી છે અને તેણે રસીના વિકાસમાં કંપનીની મદદ કરી હતી. ત્યાર પછી આ તપાસની માગ વધી ગઈ છે. આ રસીનો ભાવ કોવિશિલ્ડ કરતાં લગભગ બમણો છે.

પબ્લિક હેલ્થના નિષ્ણાત ડૉ. અનંત ભાને કહ્યું, "તેઓ કહે છે કે તેઓ ઇન્ટેલેક્ચુઅલ પ્રૉપર્ટીમાં તેની ભાગીદારી ધરાવે છે, તો એ લોકોનો કરાર કઈ પ્રકારનો હતો? શું તેમની પાસે ભારત સરકારને કોઈ પણ ઇમર્જેન્સીની પરિસ્થિતિમાં કરારની કોઈ જોગવાઈને ઓળંગવા દેવાનો અધિકાર હતો? "

ભારતે વિદેશમાં બનેલી રસીના પેટેન્ટ જતા કરવાના પગલાનું સમર્થન કર્યું હતું, જોકે ભારતે કોવૅક્સિનના પેટેન્ટને જતું કરવાની કોઈ તૈયારી બતાવી નથી.

આંતતરાષ્ટ્રીય સ્તરે ભારતનું આ જે વલણ છે તેની વિપરીત ભારતની સરકાર વિપક્ષની ફરજિયાત લાઇસન્સને હઠાવીને અન્ય ફાર્મા કંપનીઓને મંજૂરીપ્રાપ્ત રસી બનાવવાની મંજૂરી આપવાની માગને એમ કહીને ફગાવતી આવી છે કે આ પગલું "ઊલટુ પડશે".

ડૉ. ભાન માને છે કે આ તબક્કે અન્ય ફાર્મા કંપનીઓને ટેકનૉલૉજી ટ્રાન્સફર કરવા અને નિર્માણની ક્ષમતા ઊભી કરવામાં સમય લાગશે - પરંતુ તેમનો પ્રશ્ન એ છે કે સરકારે આ અંગે પહેલાં કેમ કોઈ પગલું ન લીધું.

ડૉ. ભાન કહે છે ,"ભારતના 1.4 અબજ લોકોમાંથી 70 ટકા વસ્તીને રસી ઉપલબ્ધ કરાવવી એક લાંબી અને ધીરજ માગી લે તેવી પ્રક્રિયા છે. પરંતુ ભારતમાં રસીકરણના મજબૂત રેકર્ડને જોતાં આ કોઈ અસંભવ વાત નહોતી."

પરંતુ ભારત સરકારે માત્ર બે કંપનીઓને જ પસંદ કરી જે કોરોનાની રસીનો પુરવઠા પૂરો પાડે અને તેની કિંમત નક્કી કરે, કેમ? આ પ્રશ્નનો જવાબ કદાચ મળવાનો બાકી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો