World Environment Day 2021 : વિશ્વ પર્યાવરણ દિવસની થીમ શું છે, શા માટે અને ક્યારે ઉજવાય છે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

પર્યાવરણ. આ એક એવો શબ્દ છે, જેની ચિંતા દુનિયાભરના લોકો કરી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે જીવન માટે પર્યાવરણની જાળવણી પણ એટલી જ અગત્યની છે.

દર વર્ષે 5 જૂનનો દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે આ દિવસ એક નવી થીમ સાથે આવે છે અને તેનું મહત્ત્વ સમજાવવામાં આવે છે.

છેલ્લા એક વર્ષથી વધુ સમયથી દુનિયામાં કોરોના મહામારીનો પ્રકોપ ચાલુ છે અને આ દરમિયાન પ્લાસ્ટિક કચરાની સમસ્યા પણ પર્યાવરણ માટે એક મોટું કારણ બની છે.

આ વૈશ્વિક સમસ્યાને પણ લોકો એક જાગૃતિના રૂપમાં જુએ છે અને વર્તમાન સમયમાં સોશિયલ મીડિયામાં પણ તેની ચર્ચા થાય છે.

5 જૂન - વિશ્વ પર્યાવરણ દિવસ

યુનાઇટેડ નેશન્સના જણાવ્યા અનુસાર, "આ દિવસની ઉજવણી પર્યાવરણને બચાવવા અને વધારવામાં વ્યક્તિઓ, સાહસો અને સમુદાયો દ્વારા ચોક્કસ અભિપ્રાય અને જવાબદાર વર્તન માટેનો આધાર પ્રદાન કરવાની તક પૂરી પાડે છે."

વર્ષ 2021ની થીમ શું છે?

દર વર્ષે આજના દિવસની એક ચોક્કસ થીમ નક્કી કરવામાં આવે છે અને તેને સંબંધિત પ્રોગ્રામ તૈયાર કરીને કામગીરી આરંભાય છે.

વિશ્વ પર્યાવરણ દિવસની આ વખતની થીમ છે "ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન". આ વર્ષે પાકિસ્તાન વિશ્વ પર્યાવરણ દિવસનું વૈશ્વિક યજમાન બનશે.

આપણે ઘણી વાર ઇકોસિસ્ટમ્સ અને રિસ્ટોરેશન અંગે વાત કરતા હોઈએ છીએ, પણ શું ખરેખર આપણને તેના વિશે માહિતી છે કે તેનું શું મહત્ત્વ છે અને તે શું સૂચવે છે.

ઇકોસિસ્ટમના પુનઃસ્થાપન માટે (2021-2030) સંયુક્ત રાષ્ટ્ર દશકાની શરૂઆત કરશે, જે જંગલોથી લઈને ખેતર, પહાડોની ટોચથી લઈને સાગરની ઊંડાઈ સુધી અબજો હેક્ટરને પુનર્જીવિત કરવાનું એક વૈશ્વિક મિશન છે.

ગત વર્ષે એટલે કે વર્ષ 2020માં વિશ્વ પર્યાવરણ દિવસની થીમ 'જૈવવિવિધતા' પર કેન્દ્રીત હતી, જે એક ચિંતા તાત્કાલિક અને અસ્તિત્વ બંને પર આધારિત હતી. આ દિવસની મેજબાની કોલંબિયાએ લીધી હતી.

ઇકોસિસ્ટમ્સ અને રિસ્ટોરેશન એટલે શું?

ઇકોસિસ્ટમ્સ અને રિસ્ટોરેશનનો અર્થ છે કે ક્ષતિગ્રસ્ત કે નષ્ટ થઈ ગયેલી ઇકોસિસ્ટમને સુધારવામાં મદદ કરવી.

તેમાં એ ઇકોસિસ્ટમનો પણ સમાવેશ થાય છે કે નાજુક છે કે હજુ સુધી પણ સચવાયેલી છે.

ઇકોસિસ્ટમને ઘણી બધી રીતે પાછી મેળવી શકાય છે અને વૃક્ષો વાવવાં, પર્યાવરણની જાળવણી કરવી એ સૌથી સરળ અને સર્વોત્તમ રીતમાંની એક છે.

તેમજ છોડને પાણી પાવું, નવાં છોડ ઉગાડવાં, પાણી બચાવવું, હરિયાળી વધારવી, નદીઓની સફાઈ વગેરે પણ સામેલ છે.

લોકોએ પર્યાવરણ પર દબાણ ઓછું કરવાની પણ જરૂર છે.

ઇકોસિસ્ટમને અનુકૂલિત અને પુનઃસ્થાપિત કરવા માટે ગ્રામીણ અને શહેરી પરિદૃશ્યમાં અલગઅલગ રીત હોય છે.

પર્યાવરણવિદો માને છે કે માત્ર સ્વસ્થ ઇકોસિસ્ટમ તંત્રની સાથે જ આપણે લોકોની આજીવિકાને વધારી શકીએ છીએ, જળવાયુ પરિવર્તનનો પ્રતિકાર કરી શકીએ છીએ અને જૈવવિવિધતાના પતનને રોકી શકીએ છીએ.

પર્યાવરણની જાળવણી માટે રોકાણ

પર્યાવરણને સુધારવા માટે 5 જૂનનો દિવસ મહત્ત્વનો માનવામાં આવે છે, કેમ કે તેમાં આખા વિશ્વ સામે રહેલા પડકારોના ઉકેલ માટેનો રસ્તો શોધવાનો પ્રયાસ કરવામાં આવે છે.

લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ વધારવા માટે આ દિવસનું આયોજન કરવામાં આવે છે.

યુએનના રિપોર્ટ અનુસાર, ટ્રિપલ ગ્રહોના સંકટને પહોંચી વળવા 2050 સુધીમાં પ્રકૃતિમાં 8.1 ટ્રિલિયન અમેરિકન ડૉલરના રોકાણની વિશ્વને જરૂર છે.

એક રિપોર્ટ અનુસાર, એકબીજા સાથે જોડાયેલી આબોહવા, જૈવવિવિધતા અને જમીનની અધોગતિના સંકટને પહોંચી વળવા અને તેને સફળતાપૂર્વક નિવારવા માટે આ વાત કરાઈ છે.

વિશ્વ પર્યાવરણ દિવસની શરૂઆત ક્યારે થઈ?

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલું છે. એ દિવસે મહાસભા દ્વારા અપનાવાયેલો એક પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ પ્રોગ્રામના નિર્માણની દિશામાં કામ કરે છે.

વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાની શરૂઆત 1974થી થઈ હતી.

એ સમયથી દરિયાઈ પ્રદૂષણ અને ગ્લોબલ વૉર્મિંગના મુદ્દાઓ પર જાગૃતિ લાવવાનું કામ શરૂ થયું અને એ વૈશ્વિક મંચ તેના માટે તૈયાર થયો.

વર્ષોથી આપણી પર્યાવરણીય નીતિમાં પરિવર્તન લાવવા માટે લાખો લોકો તેમાં ભાગ લઈ રહ્યા છે.

50 વર્ષ જૂના અભિયાનની સોશિયલ મીડિયામાં ચર્ચા

અંદાજે 50 વર્ષથી શરૂ થયેલું આ અભિયાન હવે સોશિયલ મીડિયામાં પણ ચર્ચાય છે અને લોકો પણ તેને સંબંધિત માહિતી શૅર કરે છે.

1974માં પહેલી વાર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી શરૂ કરાઈ હતી અને "એકમાત્ર પૃથ્વી"ના સ્લોગન પર તેને ઉજવવામાં આવ્યો હતો.

ગત વર્ષે એટલે કે વર્ષ 2020માં વિશ્વ પર્યાવરણ દિવસની થીમ જૈવવિવિધતા પર કેન્દ્રીત હતી, જે એક ચિંતા તાત્કાલિક અને અસ્તિત્વ બંને પર આધારિત હતી. આ દિવસની મેજબાની કૉલંબિયાએ લીધી હતી.

જોકે 1987માં જુદાજુદા યજમાન દેશોની પસંદગી દ્વારા આ પ્રવૃત્તિઓના કેન્દ્રને ફેરવવાનો વિચાર શરૂ થયો હતો.

વિશ્વ પર્યાવરણ દિવસ અને આંતરરાષ્ટ્રીય પૃથ્વી દિવસમાં ફેર શું છે?

'આંતરરાષ્ટ્રીય પૃથ્વી દિવસ' એક એવો ઉત્સવ છે કે દુનિયાભરના લોકોને યાદ અપાવે છે કે પૃથ્વી ગ્રહ આપણું ઘર છે અને આપણે પ્રકૃતિ સાથે સદભાવથી રહેવા માગીએ છીએ.

પૃથ્વી દિવસ 22 એપ્રિલના દિવસે ઉજવવામાં આવે છે, જે બાદમાં આંતરરાષ્ટ્રીય માતૃ પૃથ્વી દિવસના રૂપમાં ઉજવાય છે.

યુએન (યુનાઇટેડ નેશન્સ) દ્વારા 2009થી 22 એપ્રિલના રોજ આંતરરાષ્ટ્રીય માતૃ પૃથ્વી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

ઇકોસિસ્ટમ જળવાયુ પરિવર્તન અને વધતા તાપમાનથી પ્રભાવિત થાય છે, તેના કારણે જંગલમાં આગ, પૂર, તોફાન વગેરે આફતો આવવાની શક્યતા રહે છે.

આંતરરાષ્ટ્રીય પૃથ્વી દિવસ પર પર્યાવરણવિદો પૃથ્વીને થતા નુકસાનને બચાવવા માટે કાર્યવાહીનો પ્રારંભ કરે છે.

અર્થ દિવસ - શરૂઆત ક્યારે થઈ?

પહેલી વાર 1970માં અમેરિકામાં 'અર્થ દિવસ' ઉજવવાની શરૂઆત થઈ હતી. કૅલિફોર્નિયાના સાન્તા બારબરામાં ભયાનક ઓઇલ ઢોળાતા અને તેનાથી થયેલા નુકસાનથી લોકોમાં ગુસ્સો હતો.

યુએસ સૅનેટર ગેલૉર્ડ નેલ્સને પ્રદૂષણ અને સંરક્ષણના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને એકસાથે લાવવા માટે એક રાષ્ટ્રીય 'ટીચ-ઇન'નું આહ્વાન કર્યું હતું. જેમાં 2 કરોડ લોકો એકઠા થયા હતા, જે એ સમયની કુલ જનસંખ્યાના અંદાજે 10 ટકા હતા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો