કોરોના વાઇરસ : ઓક્સિજન સંકટ ભારતના વહીવટીતંત્રની નિષ્ફળતા કે રાજકારણનો ખેલ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રાઘવેન્દ્ર રાવ
- પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી
કોરોના વાઇરસની બીજી લહેરને કારણે દેશના અનેક વિસ્તારોમાંની હૉસ્પિટલોમાં ઓક્સિજનના પુરવઠા બાબતે વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. દેશમાં આવી પરિસ્થિતિ અગાઉ ક્યારેય સર્જાઈ નથી.
પાછલા કેટલાક સપ્તાહમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની અનેક હૉસ્પિટલો ઓક્સિજનની અછત નિવારવા રોજ વિનંતી કરતી જોવા મળી હતી અને પોતાની પાસે થોડા કલાક જ ચાલે એટલો ઓક્સિજનનો પુરવઠો છે અને પોતાને ત્યાં સારવાર લઈ રહેલા દર્દીઓ પર જીવનું જોખમ હોવાનું જણાવતા ઢગલાબંધ મેસેજિસ સોશિયલ મીડિયા પર જોવા મળ્યા હતા.
બીજી તરફ દર્દીઓનાં સગાંઓ અને તેમની સારસંભાળ લેતા લોકો ખાલી થયેલા ઓક્સિજનના સિલિન્ડર ભરાવવા માટે ઠેકઠેકાણે ભટકતા જોવા મળ્યા હતા.
મહરૌલી ખાતેની બત્રા હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોવિડ-19ના 12 દર્દીઓ પહેલી મેના રોજ મૃત્યુ પામ્યાં હતાં અને એ માટે હૉસ્પિટલે ઓક્સિજનની અછતને જવાબદાર ઠરાવી હતી.
તેના થોડા દિવસ પહેલાં જ દિલ્હીના રોહિણી વિસ્તારમાંની જયપુર ગોલ્ડન હૉસ્પિટલના આઈસીયુમાં સારવાર લઈ રહેલા 20 દર્દીઓ ઓક્સિજનનું લેવલ કથિત રીતે ઓછું થવાને કારણે મૃત્યુ પામ્યાં હતાં.

ઇમેજ સ્રોત, Getty Images
હૉસ્પિટલોએ ઓક્સિજન પહોંચાડવામાં વિલંબ માટે હાઈકોર્ટમાં દિલ્હી સરકારને જવાબદાર ઠરાવી હતી, જ્યારે દિલ્હી સરકારે કોર્ટમાં દાવો કર્યો હતો કે એ દર્દીઓ ઓક્સિજનના અભાવે નહીં, પણ હૉસ્પિટલમાં સારવાર લેતા પહેલાં લાંબા સમયથી બીમાર હોવાને કારણે દર્દીઓ મૃત્યુ પામ્યાં હતાં.
દિલ્હીની મોખરાની હૉસ્પિટલો પૈકીની એક સર ગંગારામ હૉસ્પિટલમાં પણ ગંભીર રીતે બીમાર 25 દર્દીઓ ઓક્સિજનની અછતને કારણે 22-23 એપ્રિલ વચ્ચેની રાતમાં મૃત્યુ પામ્યાં હતાં.
એ બધા દર્દી હાઈ-ફ્લો ઓક્સિજન સપોર્ટ પર હતા એવું હૉસ્પિટલે સ્વીકાર્યું હતું, પણ તેમના મોતનું કારણ ઓક્સિજનની અછત હોવાનું સત્તાવાર રીતે સ્વીકારવામાં આવ્યું નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અલાહાબાદ હાઈકોર્ટે ચોથી મેના રોજ આકરી ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે હૉસ્પિટલોને ઓક્સિજનનો પુરવઠો ન ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હોવાને કારણે થયેલાં કોવિડ-19ના દર્દીઓનાં મોત એક અપરાધ છે.
અદાલતે એવું પણ કહ્યું હતું કે આ કૃત્ય ‘નરસંહારથી ઓછું નથી’ અને એ માટે લિક્વિડ મેડિકલ ઓક્સિજનની સતત ખરીદી અને પુરવઠો જાળવી રાખવાનું કામ જેમને સોંપવામાં આવ્યું છે એ લોકો જવાબદાર છે.
દિલ્હીમાંના કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે મેડિકલ ઓક્સિજન પૂરો પાડવાના પોતાના આદેશની અવગણના કરવા બદલ દિલ્હી હાઈકોર્ટે એ જ દિવસે કેન્દ્ર સરકારને શો-કોઝ નોટિસ આપતાં કહ્યું હતું કે “તમે શાહમૃગની માફક રેતીમાં તમારું મોં છુપાવી શકો, અમે નહીં.”

ઓક્સિજન મુદ્દે રાજકારણ?

ઇમેજ સ્રોત, Getty Images
મેડિકલ ઓક્સિજનની અછતને કારણે સર્જાયેલી પરિસ્થિતિનું સૌથી વિકરાળ સ્વરૂપ દિલ્હીમાં જોવા મળ્યું હતું, પણ એ સમસ્યાનું નિરાકરણ શોધતી વખતે પણ દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે ખેંચતાણનો ખેલ ચાલુ રહ્યો હતો.
એક તરફ દિલ્હી સરકાર કેન્દ્ર પર એવો આક્ષેપ કરતી રહી હતી કે દિલ્હીને તેના હિસ્સાના ઓક્સિજનનો સંપૂર્ણ પુરવઠો મળતો નથી.
બીજી તરફ કેન્દ્ર સરકારે સ્પષ્ટ જણાવ્યું હતું કે દિલ્હી સરકાર સપ્લાય ચેનની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ રહી છે અને દિલ્હી સરકારે ઓક્સિજન ટેન્કરોની વ્યવસ્થા સુધ્ધાં કરી ન હતી.
દિલ્હીની હૉસ્પિટલોમાં ઓક્સિજનની અછત બાબતે કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે કેજરીવાલ સરકારે ઓક્સિજન પ્લાન્ટ્સના નિર્માણમાં વિલંબ કર્યો હતો.
કેન્દ્ર સરકારનાં સૂત્રોએ દાવો કર્યો હતો કે દિલ્હી સરકારે સાઈટ રેડીનેસ સર્ટિફિકેટેસ રજૂ ન કર્યાં હોવાથી દિલ્હીની ચાર હૉસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ્સના નિર્માણમાં વિલંબ થયો હતો. એવી જ રીતે રેલવે મંત્રાલયનાં સૂત્રોએ પણ આરોપ મૂક્યો હતો કે દિલ્હી સરકારે ‘ઓક્સિજન એક્સપ્રેસ’ માટે ક્રાયોજેનિક ટેન્કર્સ ઉપલબ્ધ કરાવ્યાં ન હતાં.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
દિલ્હી સરકારે આ આરોપોને ‘જુઠ્ઠા’ ગણાવ્યા હતા અને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ઓક્સિજન પ્લાન્ટ્સના નિર્માણમાં તેની અપમાનજનક નિષ્ફળતાને છુપાવવા માટે આવી વાતો કરી રહી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથેની ત્રીજી એપ્રિલની બેઠકમાં દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે રાષ્ટ્રીય રાજધાનીની હૉસ્પિટલોમાં ઓક્સિજનનો પુરવઠો સુનિશ્ચિત કરવા વડા પ્રધાનને હાથ જોડીને વિનંતી કરી હતી અને પાડોશી રાજ્યો ઓક્સિજનની ટ્રકો રોકતાં હોવાનો આક્ષેપ કર્યો હતો.
એ ઉપરાંત કેજરીવાલે તે કૉન્ફરન્સનું લાઈવ સ્ટ્રીમિંગ પણ કર્યું હતું. વડા પ્રધાને કેજરીવાલને કહેવું પડ્યું હતું કે આ મીટિંગનું જીવંત પ્રસારણ કરવું પરંપરા અને પ્રોટોકૉલ વિરુદ્ધનું તેમજ અનૂચિત છે. વડા પ્રધાનની ટકોરના જવાબમાં કેજરીવાલે જણાવ્યું હતું કે તેઓ ભવિષ્યમાં આ બાબતે સાવધ રહેશે.
એ દરમિયાન કેન્દ્રના આરોગ્યમંત્રી ડૉ. હર્ષવર્ધનને લખેલા એક પત્રમાં દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે કેટલાંક રાજ્યોમાંના ‘જંગલરાજ’ને કારણે દિલ્હીમાં ઓક્સિજનનો પુરવઠો પહોંચતો નથી.
સિસોદિયાએ હરિયાણા તથા ઉત્તર પ્રદેશનાં નામ લઈને જણાવ્યું હતું કે આ બન્ને રાજ્યોમાંના ઓક્સિજન પ્લાન્ટ્સમાં પોલીસ અધિકારીઓ તથા વરિષ્ઠ સરકારી અધિકારીઓને તહેનાત કરવામાં આવ્યા છે, જેમણે અન્ય રાજ્યો માટેના ઓક્સિજનના પુરવઠાને પોતાના રાજ્ય ભણી વાળી લીધો છે.

ઓક્સિજનની અછતનું કારણ શું?

ઇમેજ સ્રોત, Getty Images
કોવિડ-19ના દર્દીઓની સંખ્યામાં અચાનક અનેક ગણો વધારો થવાને કારણે હૉસ્પિટલોમાં મેડિકલ ઓક્સિજનની માગમાં જોરદાર વધારો થયો છે તેમાં કોઈ શંકા નથી.
જોકે, દિલ્હીમાં, ઉત્તર કે પશ્ચિમ ભારતનાં અનેક રાજ્યોમાં ઓક્સિજનની અછતનું મુખ્ય કારણ એ છે કે ઓક્સિજનનું સૌથી વધુ ઉત્પાદન ઓડિશા અથવા ઝારખંડ જેવાં પૂર્વનાં રાજ્યોમાં થાય છે અને એ ઓક્સિજનને દિલ્હી સુધી લાવવા માટે લગભગ 1,500 કિલોમીટરની સફર કરવી પડે છે.
સાકેત ટિક્કુ અખિલ ભારતીય ઔદ્યોગિક ગેસ ઉત્પાદક સંઘ (એઆઈઆઈજીએમએફ)ના અધ્યક્ષ છે. તેમની નિમણૂક ભારત સરકારના વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રાલયની કોવિડ-19 મહામારી સંબંધે મેડિકલ ઓક્સિજનનો પુરવઠો સુનિશ્ચિત કરવાની જવાબદારી ધરાવતી એક સમિતિના સભ્ય તરીકે ગયા વર્ષે કરવામાં આવી હતી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
સાકેત ટિક્કુએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે કોવિડ-19 મહામારીની શરૂઆત પહેલાં ગયા વર્ષે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચના મહિનાઓમાં ભારતમાં રોજ સરેરાશ 850 ટન ઓક્સિજનનો વપરાશ ક્ષેત્રે કરવામાં આવતો હતો.
સાકેત ટિક્કુએ કહ્યું હતું કે “ઓક્સિજનની માગમાં એપ્રિલ-2020થી વધારો થવા લાગ્યો હતો અને 18 સપ્ટેમ્બર સુધીમાં આપણે રોજ 3,000 ટન ઓક્સિજનનો વપરાશ કરવા લાગ્યા હતા.”
તેમણે ઉમેર્યું હતું કે “ઑક્ટોબર-2020માં કોવિડ-19ના કેસ ઘટવાની સાથે ઓક્સિજનની માગમાં પણ ઘટાડો થવા લાગ્યો હતો. આ વર્ષની 11 ફેબ્રુઆરી સુધીમાં મેડિકલ ઓક્સિજનના દૈનિક વપરાશનું પ્રમાણ 1,200 ટન થઈ ગયું હતું. એ પછી અચાનક માગમાં જોરદાર વધારો થયો હતો અને આજે દેશમાં 8,000 ટનથી વધુ ઓક્સિજનનો વપરાશ થઈ રહ્યો છે. આ કથા ઓક્સિજનના દૈનિક 850 ટનથી 8,000 ટન સુધીના વપરાશના સફરની છે.”

લૉજિસ્ટિક સંબંધી પડકાર

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્વના અન્ય દેશોની માફક ભારતમાં પણ ઓક્સિજનનો ઉપયોગ ખાસ કરીને સ્ટીલ ઉદ્યોગમાં કરવામાં આવે છે. વિશ્વમાં 85 ટકા ઓક્સિજનનો ઉપયોગ ઉદ્યોગોમાં અને 15 ટકા મેડિકલ ક્ષેત્રે કરવામાં આવે છે. લિક્વિડ એટલે કે તરલ ઓક્સિજનને ક્રાયોજેનિક ટેન્કર્સમાં જ એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકાય છે.
ભારતમાં ઓક્સિજનના સંકટનું એક મોટું કારણ ક્રાયોજેનિક ટેન્કર્સની મર્યાદિત ઉપલબ્ધતા છે. ટિક્કુના જણાવ્યા મુજબ, આજની તારીખે નવું ક્રાયોજેનિક ટેન્કર બનાવવાનો ઑર્ડર આપવામાં આવે તો તેની ડિલિવરી મળતાં પાંચથી છ મહિનાનો સમય લાગે.
સાકેત ટિક્કુએ કહ્યું હતું કે “અહીં લૉજિસ્ટિક સંબંધી પડકાર એ છે કે આપણા ઓક્સિજન ભંડાર યોગ્ય સ્થળોએ નથી. સ્ટોરેજની બધી વ્યવસ્થા દુર્ગાપુર, ભિલાઈ કે રૂરકેલામાં છે. ત્યાં રાખવામાં આવેલા ઓક્સિજનને ઉત્તર કે પશ્ચિમનાં રાજ્યોમાં પહોંચાડવા માટે લગભગ 1,500 કિલોમીટર અંતર કાપવું પડે. ઓક્સિજન ટેન્કર્સની કમીને કારણે તરલ ઓક્સિજન અને તરલ ઑર્ગન ટેન્કર્સમાં ઓક્સિજન લઈ જવાની છૂટ સરકારે આપેલી છે.”

ઐતિહાસિક નિર્ણય

ઇમેજ સ્રોત, Getty Images
ટિક્કુના જણાવ્યા મુજબ, ભારત સરકારે સાતમી એપ્રિલે એક ઐતિહાસિક નિર્ણય લઈને ઔદ્યોગિક ઓક્સિજનનો ઉપયોગ તબીબી હેતુ માટે કરવાની પરવાનગી આપી હતી.
સાકેત ટિક્કુએ કહ્યું હતું કે “ઔદ્યોગિક અને મેડિકલ ઓક્સિજન લગભગ સમાન હોય છે. મેડિકલ ઓક્સિજનમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે. દેશના ડ્રગ કન્ટ્રોલર જનરલની સહમતી વડે ઉપરોક્ત નિર્ણય લેવામાં આવ્યો હતો. તેથી મોટીમોટી સ્ટીલ કંપનીઓ આજે ઓક્સિજનનો પૂરો પાડી શકે છે અને હજ્જારો લોકોના જીવ બચી રહ્યા છે.”
ઓક્સિજનની વધતી માગને કારણે થોડા સમય પહેલાં ભારતની ઉત્પાદનક્ષમતા વધીને દૈનિક 7,200 ટન થઈ ગઈ હતી.
ટિક્કુના જણાવ્યા મુજબ, એ ક્ષમતાને વધારીને દૈનિક 8,500થી 9,000 ટન કરવામાં આવી છે, પણ ચિંતાની વાત એ છે કે ઓક્સિજનની માગ અત્યારે પણ ઉત્પાદનક્ષમતા કરતાં વધારે છે.
સાકેત ટિક્કુએ કહ્યું હતું કે “કેન્દ્ર અને રાજ્યની સરકારો ગયા વર્ષે સપ્ટેમ્બરથી આ વર્ષના માર્ચ મહિના સુધી ઊંઘતી રહી હતી એવું કહી શકાય.”
ભારતમાં ઔદ્યોગિક તથા મેડિકલ ગેસના સૌથી મોટા ઉત્પાદકોમાં આઈનોક્સ એર પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે. ઓક્સિજનના વર્તમાન સંકટ બાબતે બીબીસીએ આઈનોક્સના ડિરેક્ટર સિદ્ધાર્થ જૈન સાથે વાત કરી હતી.
સિદ્ધાર્થ જૈને કહ્યું હતું કે “અમારી સામે સૌથી મોટો પડકાર મેડિકલ ઓક્સિજનને ઉત્પાદન સ્થળેથી હૉસ્પિટલો સુધી લઈ જવાનો છે. ઓક્સિજનને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવા માટે લાંબો પંથ કાપવો પડે છે. તેથી ઓક્સિજનને એક સ્થળેથી બીજા સ્થળે ઝડપથી પહોંચાડવા માટે સંખ્યાબંધ મોટા ક્રાયોજેનિક ટેન્કર્સની જરૂર છે.”
ઓક્સિજનના પરિવહન માટે રેલવે મંત્રાલયે ઓક્સિજન એક્સપ્રેસની શરૂઆત કરી છે. વાયુસેના પણ ખાલી કન્ટેનર્સ વિમાન માર્ગે લાવી રહી છે, પણ બધી સમસ્યા માત્ર પરિવહનની જ નથી.
સિદ્ધાર્થ જૈને કહ્યું હતું કે “કન્ટેનર શહેરમાં પહોંચી જાય પછી તેમાંનો ઓક્સિજન નાના ટેન્કર્સમાં ટ્રાન્સફર કરવો પડે અને એ ટેન્કર્સ હૉસ્પિટલો સુધી ઓક્સિજન પહોંચાડે છે. હૉસ્પિટલો પણ ગીચ વિસ્તારોમાં આવેલી હોય છે અને એ હૉસ્પિટલોમાં મોટા ટ્રકોનો પ્રવેશ મુશ્કેલ હોય છે.”
સિદ્ધાર્થ જૈને ઉમેર્યું હતું કે “આ પ્રકારનો વધારાનો લોડ લેવા માટે હૉસ્પિટલોમાં માળખાકીય વ્યવસ્થા ક્યારેય બનાવવામાં કે ડિઝાઇન કરવામાં આવી નથી.”
“માગમાં દસ ગણો વધારો થયો છે, પણ ઓક્સિજનની માળખાકીય વ્યવસ્થા અગાઉના જેવી જ છે. હૉસ્પિટલોની વ્યવસ્થા પર ઓક્સિજન માટે કેટલું દબાણ વધ્યું હશે તેની કલ્પના તમે કરી શકો. આ મામલો માત્ર ઓક્સિજન મોકલવા પૂરતો મર્યાદિત નથી. તેને રિસીવ કરવાનો પણ છે.”
સિદ્ધાર્થ જૈનના જણાવ્યા મુજબ, તેમની કંપની આઈનોક્સ કોવિડ-19 મહામારીની શરૂઆત પહેલાંથી લગભગ 400 ટન ઓક્સિજન પૂરો પાડતી હતી અને હવે દૈનિક 2,700 ટન ઓક્સિજન પૂરો પાડી રહી છે.
તેમણે કહ્યું હતું કે “અમે ઉત્પાદનમાં 30થી 35 ટકા વધારો કર્યો છે. આ એન્જિનિયરિંગ સંબંધે પણ મોટો પડકાર છે અને આ કામ કરવા માટે અમારે મોટા પ્રમાણમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું પડ્યું છે.”
સિદ્ધાર્થ જૈનના જણાવ્યા મુજબ, કોવિડ-19 મહામારી શરૂ થયા પહેલાં દેશમાં મેડિકલ ઓક્સિજનની કુલ દૈનિક માગ 700 ટનની હતી, “જે આજે વધીને દૈનિક 7,000થી 7,500 ટનની થઈ ગઈ છે. એટલે કે માગમાં દસ ગણો વધારો થયો છે. વિશ્વના બીજા કોઈ દેશે વપરાશ કે માગમાં આવી વૃદ્ધિનો સામનો કર્યો હોય એવું મારી જાણમાં નથી.”

ઓક્સિજન માટે દિલ્હી પાડોશી પર નિર્ભર
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
સાકેત ટિક્કુએ જણાવ્યું હતું કે દિલ્હીમાં ઓક્સિજનના સંકટનું એક કારણ એ પણ છે કે દિલ્હીમાં ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટનું નિર્માણ ક્યારેય કરવામાં આવ્યું જ નથી અને દિલ્હી ઓક્સિજન માટે હંમેશાં તેના પાડોશી રાજ્ય પર નિર્ભર રહ્યું છે.
સાકેત ટિક્કુએ કહ્યું હતું કે “મહામારી પહેલાં દિલ્હી રોજ લગભગ 100-120 ટન ઓક્સિજનનો વપરાશ કરતું હતું. દિલ્હીમાં ઓક્સિજનનો પુરવઠો રાજસ્થાનના ભિવાડી, ઉત્તર પ્રદેશના નોઈડા, ઉત્તરાખંડના દેહરાદૂન અને હરિયાણામાંથી આવતો હતો, પણ કેટલાક જિલ્લા અધિકારીઓ આ વ્યવસ્થા અનુસાર કામ કરવાની પરવાનગી આપતા નથી. પોતાના જિલ્લામાંથી પાડોશી રાજ્યોમાં જતાં હોય એવા વાહનોને અધિકારીઓ રોકી રહ્યા છે. જિલ્લા અધિકારીઓ કેન્દ્રીય ગૃહસચિવના આદેશનું પાલન ન કરે તો સિસ્ટમ ધ્વસ્ત થઈ જાય.”
તેમના જણાવ્યા મુજબ, દિલ્હીનાં પાડોશી રાજ્યોની પણ ઓક્સિજનની જરૂરિયાત વધી ગઈ હોવાથી દિલ્હીએ ઓક્સિજન લેવા માટે દૂર જવું પડે છે.
સાકેત ટિક્કુએ કહ્યું હતું કે “મહારાષ્ટ્ર અને પંજાબે છેક ઓડિશાના રૂરકેલા સુધી ટ્રક મોકલાવીને ઓક્સિજન મંગાવવો પડે છે. ઉત્તર પ્રદેશ બોકારોમાંથી ઓક્સિજન મેળવી રહ્યું છે. બાકીનાં રાજ્યોએ દૂર જવું પડતું હોય તો દિલ્હીએ પણ જવું જ પડે.”

ઓક્સિજનનો વેડફાટ

ઇમેજ સ્રોત, Getty Images
સાકેત ટિક્કુ અને સિદ્ધાર્થ જૈન એક વાતે સહમત છે કે દેશે ઓક્સિજનનો વિવેકપૂર્વક ઉપયોગ કરતાં શીખવું પડશે.
સિદ્ધાર્થ જૈને કહ્યું હતું કે “ઓક્સિજનને વેડફાટ ન થાય તેની તકેદારી રાખે એવા ઓક્સિજન ડૉક્ટર્સની આપણે જરૂર છે. ઓક્સિજન રંગહીન, ગંધહીન ગેસ છે, જે માણસને નુકસાન કરતો નથી. તમે તમારા ચહેરા પરથી ઓક્સિજન માસ્ક હટાવીને બાથરૂમ જાઓ તો માસ્કમાંથી ઓક્સિજન હવામાં ફેલાતો રહે છે. તેના નિયમન માટે ઓક્સિજન મીટર્સની જરૂર પડે, જેથી કોઈ દર્દી માસ્ક ઉતારી નાખે ત્યારે ઓક્સિજનનો પુરવઠો બંધ થઈ જાય.”
તેમણે એમ પણ જણાવ્યું હતું કે જ્યાંની હૉસ્પિટલોમાં અગાઉ ઓક્સિજનનો વધુ ઉપયોગ કરવામાં આવ્યો નથી એવા ક્ષેત્રોમાં ઓક્સિજનનો વેડફાટ વધુ થઈ રહ્યો છે.
તેમણે કહ્યું હતું કે “ઓક્સિજન સિલિન્ડરના વપરાશનો અનુભવ બધાને નથી અને તેનો વાલ્વ ક્યારે ખોલવાનો છે અને ક્યારે બંધ કરવાનો છે એ જાણવું મુશ્કેલ હોય છે.”
સાકેત ટિક્કુએ કહ્યું હતું કે “ઓક્સિજનનો વપરાશ સમજદારીપૂર્વક કરવાની જરૂર છે. દર્દીઓને કેટલા પ્રમાણમાં ઓક્સિજન આપવાનો હોય એ પણ એક મુદ્દો હોય છે. કેટલાંક રાજ્યોમાં પ્રતિ મિનિટ 60 લિટરના હિસાબે ઓક્સિજન આપવામાં આવે છે. તેથી મોટા પ્રમાણમાં ઓક્સિજનનો વપરાશ થાય છે. દર્દીઓને ક્યા હિસાબે ઓક્સિજન આપવાનો છે એ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યોને જણાવવું જોઈએ.”
અનેક રાજ્યોમાં કોવિડ-19ના ઍક્ટિવ કેસ અને ઓક્સિજનના વપરાશ વચ્ચે મોટું અસંતુલન છે, એમ જણાવતાં સાકેત ટિક્કુએ કહ્યું હતું કે “મહારાષ્ટ્રમાં સાત લાખ કેસ છે અને ત્યાં રોજ 1,500 ટન ઓક્સિજનનો વપરાશ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં એક લાખ કેસ છે અને ત્યાં પણ રોજ 1,500 ટન ઓક્સિજનનો વપરાશ થઈ રહ્યો છે. બીજી તરફ કેરળ છે, જ્યાં સાડા ત્રણ લાખ કેસ છે, પણ ત્યાં રોજ 300 ટન ઓક્સિજનનો વપરાશ પણ થતો નથી. કેરળમાં ઓક્સિજનનું વ્યવસ્થાપન આટલી સારી રીતે થતું હોય તો અન્ય રાજ્યોએ તેની પાસેથી શીખવું જોઈએ.”

ફરી વાર કટોકટી ન સર્જાય એ માટે શું કરવું જોઈએ?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
સાકેત ટિક્કુના જણાવ્યા મુજબ, મેડિકલ ઓક્સિજનના વપરાશને તર્કસંગત બનાવવાની સાથે સરકારે દરેક જિલ્લામાંનાં એવાં નાનાં ઍર સેપરેશન યુનિટ્સને પુનર્જીવિત કરવાં જોઈએ, જે વીજળીના વધેલા દરને કારણે મોટી કંપનીઓ સામે હરીફાઈમાં ટકી ન શકતાં બંધ થઈ ગયાં છે.
તેમણે કહ્યું હતું કે “ઓક્સિજનના આ સંકટ દરમિયાન એવાં ઍર સેપરેશન યુનિટ્સની જરૂરિયાત બહુ અનુભવાઈ હતી, કારણ કે દેશમાં અત્યારે પણ કુલ પૈકીનો 35થી 40 ટકા ઓક્સિજન સિલિન્ડરોમાં જ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. એવા પ્લાન્ટ્સને પુનર્જીવિત કરવાની જરૂર છે. નવી સ્કીમો મારફત કે વીજળીના દરમાં રાહત આપીને એવા પ્લાન્ટ્સને સહાય કરવી જોઈએ. અનેક રાજ્યોમાં ઓક્સિજન ઉત્પાદનના પ્લાન્ટ્સ નથી. એવાં રાજ્યોમાં ઍર સેપરેશન યુનિટ્સ બહુ ઉપયોગી સાબિત થઈ શકે.”

ભારતીય વાયુદળ અને રેલવેની અદભુત કામગીરી

ઇમેજ સ્રોત, Getty Images
ઓક્સિજન સંકટના સામના માટે ભારતીય વાયુસેના ખાલી ક્રાયોજેનિક કન્ટેનર્સ એરલિફ્ટ કરીને સ્ટીલ પ્લાન્ટ્સ સુધી પહોંચાડી રહી છે. એ કન્ટેનરોમાં ઓક્સિજન ભરીને ભારતીય રેલવેની ઓક્સિજન એક્સપ્રેસ મારફત વિવિધ સ્થળે મોકલવામાં આવી રહ્યા છે.
તાજી માહિતી અનુસાર, છઠ્ઠી મે સુધીમાં 40 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો મારફત લગભગ ઓક્સિજનનો 2,511 ટન જથ્થો 161 ટેન્કર્સ મારફત અલગ-અલગ રાજ્યોમાં પહોંચાડવામાં આવ્યો હતો.
આ સ્પેશિયલ ટ્રેનો દિલ્હીને 1,053 ટન ઓક્સિજન, ઉત્તર પ્રદેશને 689 ટન ઓક્સિજન, હરિયાણાને 259 ટન ઓક્સિજન, મધ્ય પ્રદેશને 190 ટન ઓક્સિજન અને તેલંગાણાને 123 ટન ઓક્સિજન પહોંચાડી ચૂકી છે.
તાજી માહિતી અનુસાર, 400 ટન ઓક્સિજન ભરેલાં 22 ટેન્કર્સ ટૂંક સમયમાં જ મધ્ય પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી પહોંચશે.
દેશની વિવિધ હૉસ્પિટલોમાં ઓક્સિજનની અછત સર્જાવા લાગી ત્યારથી જ વિદેશમાંથી ઓક્સિજન સંબંધી માલસામાન મેળવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું.

વિદેશથી મળી રહેલી મદદ

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય વાયુસેના અત્યાર સુધીમાં 54 ખાલી ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનર્સ અને 900 ખાલી ઓક્સિજન સિલિન્ડર વિદેશથી લાવી ચૂકી છે.
ભારતીય વાયુસેના અત્યાર સુધીમાં સિંગાપુરથી 21, બૅંગકૉકથી 11 અને જર્મનીના ફ્રેન્કફર્ટથી 4 ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનર્સ દેશમાં લાવી ચૂકી છે. ભારતીય વાયુસેના આવી જ રીતે અત્યાર સુધીમાં 900 ખાલી ઓક્સિજન સિલિન્ડર્સ બ્રિટનથી દેશમાં લાવી છે.
ભારતીય વાયુસેના 180 ખાલી ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનર્સ, ઓક્સિજન સિલિન્ડર્સ, ઓક્સિજન પ્લાન્ટ ઉપકરણ, જરૂરી દવાઓ અને હૉસ્પિટલમાં વપરાશનાં ઉપકરણ દેશમાં એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડી ચૂકી છે.
ભારતીય વાયુસેનાના પરિવહન વિમાનો પાંચમી મે સુધીમાં વિદેશમાં અલગઅલગ જગ્યાએથી ઓક્સિજન લાવતાં હતાં. એક વિમાન સિંગાપુરથી હિંડન ઍરબેઝ માટે 350 ઓક્સિજન સિલિન્ડર ઍરલિફ્ટ કરી રહ્યું હતું, જ્યારે બીજી તરફ એક અન્ય વિમાનમાં બૅંગકૉકથી પાનાગઢ ઍરબેઝમાં ત્રણ ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનર્સ લાવવામાં આવી રહ્યાં હતાં.
એ ઉપરાંત એક વિમાન બૅંગકૉકથી પાનાગઢ માટે 4 ખાલી ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનર્સ ઍરલિફટ કરવા માટે તહેનાત કરવામાં આવ્યું હતું અને બીજા વિમાનને ઓસ્ટેન્ડ, બેલ્જિયમથી પાનાગઢ ઍરબેઝમાં 4 વધુ ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનર્સ લાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
ઉદ્યોગજગત પણ ઓક્સિજનનું પુરવઠો વધારવાના પ્રયાસ કરી રહ્યું છે. ભારતીય ઉદ્યોગ મહાસંઘ (સીઆઈઆઈ)એ કેન્દ્ર તથા રાજ્ય સરકાર સાથે મળીને કામ કરવા ઓક્સિજન સપ્લાય ચેઈન માટે એક ટાસ્ક ફોર્સની રચના કરી છે. આ ટાસ્ક ફોર્સ ઓક્સિજનના પરિવહન, ગેસ સિલિન્ડરોની ઉપલબ્ધતા વધારવા અને નીતિગત સ્તરે મધ્યસ્થતાનું કામ કરી રહી છે.
ટાટા જૂથ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, જેએસડબલ્યુ ગ્રૂપ, અદાણી ગ્રૂપ, આઈટીસી અને જિંદલ સ્ટીલ ઍન્ડ પાવર જેવી ઔદ્યોગિક કંપનીઓ ઉપરાંત અનેક નાની કંપનીઓ મેડિકલ ઓક્સિજન, ક્રાયોજેનિક કન્ટેનર્સ, પોર્ટેબલ કૉન્સન્ટ્રેટર અને જનરેટર્સ ઉપલબ્ધ કરાવવામાં હૉસ્પિટલોને મદદરૂપ થવા આગળ આવી છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













