રેમડેસિવિર બાદ ટોસિલિઝુમેબ કૌભાંડ : કોરોના દર્દી પાસે 45 હજાર ખંખેરતો રાજકોટનો 'સમાજસેવક' કઈ રીતે ઝડપાયો?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

દવા અને ઓક્સિજનની અછતને કારણે ભયભીત પરિવારજનો દરદીને માટે કંઈ પણ કરી છૂટવા તત્પર હોય છે, જેનો લાભ લેવાની વૃત્તિ જોવા મળી રહી છે.

રાજકોટની કોવિડ હૉસ્પિટલમાં સમાજસેવક તરીકે પ્રવેશ મેળવીને ડૉક્ટરના નામે ખોટા ફોન કરીને રૂપિયા પડાવવાનો પ્રયાસ કરી રહેલા એક શખ્સની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક આરોપી પોલીસને થાપ આપીને નાસી છૂટ્યો છે.

આ પહેલાં વડોદરામાંથી એક આયુર્વેદ પ્રેક્ટિશનર તથા તેના સાથીની ધરપકડ થઈ હતી.

બુધવારે સાંજે રાજકોટ જિલ્લામાં 653 નવા કેસ દાખલ થયા હતા, જ્યારે 312ને રજા આપવામાં આવી હતી.

રાજ્યમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા વધી રહી છે અને સૌરાષ્ટ્રમાં પણ કેસમાં નોંધપાત્ર વધારો થયો છે.

દર્દીઓને વિશ્વાસમાં લઈને છેતરપિંડી આચરી

રાજકોટની કોવિડ-19 ડેઝિગ્નેટ હૉસ્પિટલો દરદીઓથી ભરાઈ રહી છે. શહેરની સિવિલ હૉસ્પિટલ ઉપરાંત ખાનગી હૉસ્પિટલો અને નર્સિંગ હોમ પણ ભરાઈ રહ્યા છે.

આવા સમયે પેશન્ટના પરિવારજનોને ટિફિટન પહોંચાડવાની કે વીડિયો કૉલ ઉપર વાત કરાવી આપવા જેવાં નાનાં-મોટાં કામ કરી આપીને કથિત સામાજિક કાર્યકરો પરિવારજનનો વિશ્વાસ જીતે છે.

એ પછી રેમડેસિવિર કે ટોસિલિઝુમેબના ઇન્જેકશન લાવી આપવાના નામે પૈસા પડાવતા હોવાનો તથા દરદીઓના પરિવારજનોને ગભરાવીને તેનો લાભ લેતા હોવાની 'મોડસ ઑપરેન્ડી' બહાર આવી છે.

રાજકોટના લક્ષ્મીવાડી વિસ્તારમાં રહેતા જયંતીભાઈ સિંગાગિયાનાં ભાણી ઊર્મિલાબહેનને કોરોના થયો હતો.

એમને તા. આઠમી એપ્રિલે રાજકોટની કોવિડ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

જયંતીભાઈના મિત્ર કે. સી. પટેલે બીબીસી સાથે વાત કરતા કહ્યું હતું, "જ્યારથી ઊર્મિલાબહેનને હૉસ્પિટલમાં દાખલ કર્યાં હતાં, ત્યારથી જયંતીભાઈ ખૂબ જ ચિંતામાં રહેતા હતા. આઠમીથી જ જયંતીભાઈ કોવિડ હૉસ્પિટલની બહાર રહેતા હતા."

"આ અરસામાં તેમનો પરિચય મયૂર ગોસાઈ નામના શખ્સ સાથે થયો હતો. જેણે પોતાની ઓળખાણ સમાજસેવક તરીકે આપી હતી. મયૂર પોતાની ઓળખાણ મોટા નેતાઓ સાથે હોવાનો દાવો કરતો અને રાજનેતાઓ સાથેની પોતાની તસવીરો દેખાડતો."

"મયૂર સારવાર લઈ રહેલાં ઊર્મિલાબહેન સાથે જંયતીભાઈનો વીડિયો કૉલ કરાવી આપતો. ડૉક્ટરની વિઝિટના સમય વિશે મયૂર વાકેફ હતો એટલે તે પછી જ વીડિયો કૉલ કરાવતો."

પટેલ ઉમેરે છે, "જયંતીભાઈને વિશ્વાસ બેસી ગયો હતો કે મયૂર ફરજ પરના તબીબો સાથે સારા સંબંધ ધરાવે છે. જયંતીભાઈના મોબાઇલ પર ડૉક્ટરના નામથી કઈ દવા આપવામાં આવી છે, તેના મૅસેજ આવતા હતા."

કે.સી. પટેલના કહેવા પ્રમાણે, સગાંવહાલાં તથા મિત્રોએ ઇન્ડેકશન મેળવવા માટે પુષ્કળ મહેનત કરી, પરંતુ ન મળ્યું. છેવટે જયંતીભાઈએ મયૂર ગોસાઈનો સંપર્ક કર્યો.

મયૂરે જયંતીભાઈને ખાતરી આપી હતી કે તે ટોસિલિઝુમેબની વ્યવસ્થા કરી આપશે અને ડૉક્ટરને આપી દેશે અને આ માટે રૂ. 45 હજારનો ખર્ચ થશે.

જયંતીભાઈ સહમત થઈ ગયા એટલે મયૂરે 'વધારાના પૈસા વિશે સમજી લઈશું' એમ પણ કહ્યું હતું.

આખરે મયૂર ઝડપાઈ ગયો

દરમિયાન ઊર્મિલાબહેનના પરિવારજનોની મુલાકાત સારવાર આપી રહેલા તબીબોની સાથે થઈ હતી. જેમાં ઊર્મિલાબહેનને આવું કોઈ ઇન્જેકશન આપવામાં આવ્યું હોવાની વાતનો ઇન્કાર કર્યો.

આ તબક્કે પરિવારજનોને મયૂર ગોસાઈ ઉપર શંકા ગઈ હતી અને તેમણે ડૉક્ટરને વાત કરી હતી, જેના આધારે તેમણે પોલીસ ફરિયાદ કરી હતી.

પોલીસની મદદથી આરોપીઓનને ઝડપી લેવા છટકું ગોઠવવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓની હાજરીમાં મયૂરને ફોન કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે ઇન્જેક્શનના તથા 'વધારાના રૂપિયા'ની માગણી કરી હતી.

પોલીસ ઇન્સ્પેક્ટર એલ. એલ. ચાવડાએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું, "જીવનરક્ષક ઇન્જેક્શનના કાળાબજારની બાતમી અમને મળી હતી. અમે સાદાવેશમાં હૉસ્પિટલ પહોંચ્યા હતા."

"જ્યારે જયંતીભાઈ પૈસા આપવા ગયા, ત્યારે અમે મયૂરની ધરપકડ કરી લીધી. સંજય ગોસ્વામી નામનો તેનો સાથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો."

તપાસમાં બહાર આવ્યું છે કે સંજય જ ડૉક્ટરના નામથી ફોન કરતા હતા અને પૈસા માગતા હતા.

પોલીસને આશંકા છે કે સંજય તથા મયૂરે મળીને અન્ય દરદીઓના પરિવારજનો સાથે પણ છેતરપિંડી કરી છે. એટલે એ દિશામાં તપાસ હાથ ધરી છે.

મયૂરના ફોનમાંથી કેટલાક રાજકારણીઓના ફોનનંબર મળ્યા છે, તેમને પણ તપાસ કરવામાં આવશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો