You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસનો ગુજરાતમાં કેર, અત્યાર સુધીના સૌથી વધારે 7410 કોરોના કેસ, 73 દરદીઓનાં મૃત્યુ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના કુલ 7410 નવા કેસ નોંધાયા છે જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.
ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2642 દર્દીઓ કોરોના વાઇરસથી સાજા થયા છે.
છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસને કારણે 73 દર્દીઓનાં મૃત્યુ થયાં છે.
સૌથી વધુ મૃત્યુ અમદાવાદ અને સુરત (કૉર્પોરેશન)માં 24-24 થયાં છે.
તેમજ રાજકોટ (કૉર્પોરેશન)માં 7 અને વડોદરા (કૉર્પોરેશન)માં 6નાં મૃત્યુ થયાં છે.
આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4,995 પર પહોંચ્યો છે.
રાજ્યમાં કોરોના વાઇરસથી સાજા થવાનો દર 87.96 ટકા થઈ ગયો છે.
કોરોના : CBSE બોર્ડની ધો.10ની પરીક્ષા રદ, ધો.12ની પરીક્ષા મોકૂફ
કોરોનાના વધતા જતા કેસોની સ્થિતિને ધ્યાને લેતા કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે ધોરણ 10ની CBSE (સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી ઍજ્યુકેશન)ની પરીક્ષા રદ કરી છે, આ સિવાય ધો.12ની પરીક્ષાને મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી, જેમાં સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.
ડૉ. રમેશ પોખરિયાલના કહેવા પ્રમાણે, "આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની ક્ષેમકુશળતાએ સરકારની પ્રાથમિકતા છે."
"વિદ્યાર્થીઓનું આરોગ્ય પણ જળવાય અને તેમની શૈક્ષણિક દૃષ્ટિએ નુકસાન ન થાય, તે બાબતને સરકાર ધ્યાને લઈ રહી છે."
ગુજરાતમાં કોરોના : સ્મશાનગૃહો બાદ હૉસ્પિટલોમાં પણ વેઇટિંગ, ઍમ્બ્યુલન્સની લાગતી લાઇનો
ગુજરાતમાં રાજ્યમાં કોરોના સંક્રમણના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને એ સાથે હૉસ્પિટલોમાં સારવાર મેળવવા માટે લાંબી લાઇનો લાગી રહી છે.
ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે રાજકોટની સિવિલ હૉસ્પિટલ ખાતે ઍમ્બ્યુલન્સની લાંબી લાઇનો લાગી હતી.
અહેવાલમાં નોંધ્યું છે કે હૉસ્પિટલનું OPD સતત ધમધમતું રહે છે પણ કોવિડ વોર્ડની સ્થિતિ ચિંતાજનક છે, ત્યાં છેલ્લા પાંચ-છ દિવસથી તમામ બેડ ભરાઈ ગયા છે.
એક દિવસ અગાઉ આનાથી લાંબી લાઇન અમદાવાદની સિવિલ હૉસ્પિટલ બહાર જોવા મળી હતી.
ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર અમદાવાદમાં કોરોના વાઇરસની સારવાર કરતી ડેઝિગ્નેટેડ હૉસ્પિટલમાંથી દરદીઓને સોમવારે સિવિલ હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
અખબારને સૂત્રોએ જણાવ્યું હતું કે 40 દરદીઓને લાવવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે નાની હૉસ્પિટલોમાં ઑક્સિજનનો જથ્થો ઓછો હોવાથી દરદીઓને સિવિલ હૉસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
કોરોના સંક્રમણના કેસોમાં વધારાની સાથે સંક્રમિતોના મૃત્યુના કેસ પણ વધી રહ્યા છે, જેના પગલે સુરત અને અમદાવાદ સહિતનાં નગરોમાં સ્મશાનગૃહોમાં પણ વેઇટિંગ હોય છે.
ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે અમદાવાદના ચાંદખેડા સ્મશાનગૃહમાં સોમવારે એક વ્યક્તિને તેમના ભાઈની અંતિમવિધિ માટે 12 કલાક રાહ જોવા માટે કહ્યું હતું, કારણકે 10 મૃતદેહો અંતિમવિધિ માટે લાઇનમાં હતા.
અહેવાલમાં વધુ એક કિસ્સો ટાંકવામાં આવ્યો છે, જેમાં રવિવારે સુરતના ઓલપાડના પરીન શાહ તેમના માતાનો મૃતદેહ હાથલારી પર લઈ ગયા હતા, કેમકે ગ્રામપંચાયતે શ્મશાન કે ઍમ્બ્યુલન્સ ઉપલબ્ધ કરાવી આપવાની ના પાડી દીધી હતી.
અહેવાલ પ્રમાણે સુરતના અશ્વિની કુમાર સ્મશાનગૃહમાં દસ દિવસમાં 1,090 મૃતદેહોના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે.
રવિવારે આ સ્મશાનગૃહ ખાતે 15 મૃતદેહો અંતિમવિધિ માટે લાઇનમાં હતા.
અહેવાલો પ્રમાણે સુરતના અશ્વિની કુમાર અને કુરુક્ષેત્ર સ્મશાનગૃહની ચીમની પણ પીગળવા લાગી હતી.
અહેવાલમાં રાજકોટ, વડોદરા અને ભરૂચની પણ આવી ઘટનાઓ ટાંકવામાં આવી છે.
રેમડેસિવિર મામલો : સી. આર. પાટીલે કહ્યું, 'કૉંગ્રેસની ધમકીઓથી ડરીશ નહીં'
સુરત અને નવસારીમાં મફત રેમડેસિવિર ઇન્જેક્શનો પૂરાં પાડવા બાબતે સર્જાયેલો વિવાદ હવે ભાજપ અને કૉંગ્રેસ વચ્ચેની જુબાની જંગમાં ફેરવાતો દેખાઈ રહ્યો છે.
ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ભાજપના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલે કહ્યું હતું, "ફ્રી રેમડેસિવિર ઇન્જેક્શન મામલે વિપક્ષના નેતાઓએ તેમને ડરાવવાની કામગીરી બંધ કરવી જોઈએ."
નોંધનીય છે કે ગત અઠવાડિયે સી. આર. પાટીલે સુરતમાં કોરોના વાઇરસના દર્દીઓની સારવારમાં વપરાતાં રેમડેસિવિર ઇન્જેક્શન નિશુલ્ક આપવાની જાહેરાત કરી હતી. તેમણે જરૂરિયાતમંદ લોકો પૈકી પાંચ હજાર લોકોને આ ઇન્જેક્શન પૂરાં પાડ્યાં હતાં.
આ જાહેરાત બાદ વિપક્ષ કૉંગ્રેસ સહિત ઘણા લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જ્યારે રાજ્યમાં રેમડેસિવિર દવા મેળવવા માટે લાંબી-લાંબી લાઇનો લાગી રહી છે, ભારે અછતનો સામનો કરવો પડી રહ્યો છે. તેવામાં પાટીલે આટલા મોટા જથ્થામાં આ દુર્લભ ઇન્જેક્શનનો ઇંતેજામ કેવી રીતે કર્યો?
વિરોધ પક્ષનો આરોપ હતો કે સરકારે પોતાના જથ્થામાંથી પાટીલને મફત વહેંચણી માટે ઇન્જેકશન આપ્યાં છે.
જોકે સી. આર. પાટીલે પોતાના બચાવમાં કહ્યું હતું કે તેમને આ ઇન્જેક્શનો તેમના સુરત ખાતેના કેટલાક મિત્રોએ ખરીદીને આપ્યાં છે.
તેમ છતાં ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન અને દર્દીના ઓળખપત્ર વગર ન મળતી આ દવા આટલા મોટા જથ્થામાં પાટીલ અને તેમના મિત્રો કેવી રીતે લઈ આવ્યા, એ સવાલ તો બરકરાર જ રહ્યો હતો.
નોંધનીય છે કે ગુજરાત કૉંગ્રેસ સોમવારે રેમડેસિવિરના જથ્થાના સંગ્રહ અને વહેંચણી બાબતે પાટીલની ધરપકડ કરવાની માગ કરી હતી.
જોકે, આ અંગે સ્પષ્ટતા કરતાં રિપોર્ટરો સાથેની વાતચીતમાં પાટીલે કહ્યું હતું કે આ તમામ જથ્થો કાયદેસર રીતે મેળવાયો હતો.
તેમણે કહ્યું, "અમે ઇન્જેક્શન મેળવીને વહેચ્યાં કારણ કે તેની જરૂર હતી. જો તેઓ અમારા પ્રયાસને બિરદાવી ન શકે તો તેમણે અમને ધમકાવવા પણ ન જોઈએ."
"ભાજપના કાર્યકરો જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા માટે ગ્રાઉન્ડ પર છે. અમે કૉંગ્રેસની ધમકીઓથી ગભરાઈએ નહીં."
ગુજરાતમાં કોરોનાના 60 ટકા કેસ મ્યુનિસિપલ કૉર્પોરેશનોમાંથી : વિજય રૂપાણી
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ રાજ્યની તમામ મ્યુનિસિપલ કૉર્પોરેશનોના સત્તાધીશો સાથે મંગળવારે યોજાયેલી વીડિયો કૉન્ફરન્સમાં કહ્યું હતું:
"રાજ્યમાં કોરોનાના 60 ટકા કેસ મ્યુનિસિપલ કૉર્પોરેશનોમાંથી મળ્યા છે. જો કૉર્પોરેશનના અધિકારીઓ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે તો રાજ્યમાં કોરોનાના પ્રસારને નિયંત્રણમાં લઈ શકાશે."
ઇન્ડિયન એક્સપ્રેસ ડોટ કૉમ પ્રમાણે આ વીડિયો કૉન્ફરન્સ અંગે માહિતી આપતી રિલીઝમાં જણાવાયું હતું, "મુખ્ય મંત્રીએ આ કૉન્ફરન્સમાં કહ્યું કે ચૂંટાયેલા સભ્યો લોકોના પ્રતિનિધિ છે. તેમણે ફરિયાદ કર્યા કરતાં સમસ્યાના નિરાકરણ માટે પ્રયત્નો કરવા જોઈએ."
આ સિવાય તેમણે આ મિટિંગમાં તમામ કૉર્પોરેશનના કમિશનરોને ચૂંટાયેલા સભ્યો સાથે નિયમિતપણે મિટિંગ ગોઠવવાનું સૂચન આપ્યું હતું.
રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આગળ કહ્યું કે તેમની સરકારે કોરોના પ્રસારને અટકાવવા માટે ઘણા નિર્ણયો લીધા છે, હવે ચૂંટાયેલા સભ્યોની એ જવાબદારી બને છે કે તેઓ તેનો અમલ કરે.
ગુજરાત 2002 રમખાણો : મોદીને ક્લીનચિટના નિર્ણયને પડકારતી ઝકીયા જાફરીને અરજી પર SCએ સુનાવણી મુલતવી રાખી
ગુજરાતમાં ફાટી નીકળેલાં કોમી તોફાનોમાં ભૂમિકાના કેસમાં રાજ્યના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને SIT દ્વારા ક્લીનચિટ અપાયાના પગલા વિરુદ્ધ, કોમી હુલ્લડોમાં મૃત્યુ પામેલ પૂર્વ સાંસદ અહેસાન જાફરીનાં પત્ની ઝકીયા જાફરીની અરજી પર મંગળવારે સુપ્રીમ કોર્ટે સુનાવણી મુલતવી રાખી હતી.
ધ વાયરના એક અહેવાલ અનુસાર જસ્ટિસ એ. એમ. ખાનવીલકરના વડપણવાળી ખંડપીઠે જણાવ્યું હતું કે અરજદારે કેસની સુનાવણી મુલતવી રાખવા માટે પત્ર સર્ક્યુલેટ કર્યો છે, જેના કારણે આ મામલાની સુનાવણી બે અઠવાડિયાં માટે ટાળવામાં આવે છે.
નોંધનીય છે કે અગાઉ 16 માર્ચે સુપ્રીમ કોર્ટે મંગળવારની સુનાવણીની તારીખ આપતાં કહ્યું હતું કે તેઓ હવે સુનાવણી મુલતવી રાખવાની કોઈ અરજી પર ધ્યાન દેશે નહીં.
નોંધનીય છે કે આ મામલાની સુનાવણી ઘણી વખત મુલતવી રાખવામાં આવી છે.
વર્ષ 2012માં ગુજરાતમાં વર્ષ 2002માં થયેલાં રમખાણો મામલે નરેન્દ્ર મોદીની ભૂમિકા તપાસવા માટે નિમાયેલ SIT દ્વારા તેમને અને અન્ય 63 લોકોને ક્લીનચિટ આપી હતી.
આ મામલે મૃતક અહેસાન જાફરીનાં પત્ની ઝકીયા જાફરીએ ગુજરાત હાઇકોર્ટમાં SITની આ ક્લીનચિટ વિરુદ્ધ અપીલ કરી હતી પરંતુ તેમની અરજી વર્ષ 2017માં ફગાવી દેવાતાં તેમણે વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટમાં આ અંગે અરજી કરી હતી.
નોંધનીય છે કે અહેસાન જાફરી 28 ફેબ્રુઆરી, 2002ના રોજ અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં તોફાનો દરમિયાન મૃત્યુ પામેલા 68 લોકો પૈકી એક હતા.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો