You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રેમડેસિવિર : લોકો પાસે નથી ત્યારે સી. આર. પાટીલ પાસે પાંચ હજાર ઇન્જેક્શન ક્યાંથી આવ્યાં?
- લેેખક, જીગર ભટ્ટ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતમાં શુક્રવારે કોરોના વાઇરસના 4,541 કેસ નોંધાયા હતા. કોરોના સંક્રમણના કેસમાં સતત વધારાની સાથે-સાથે સારવારમાં વપરાતા રેમડેસિવિર ઇન્જેક્શનની અછત હોવાની રાવ છે, રેમડેસિવિર માટે લાગેલી દરદીઓના પરિવારજનોની લાંબી લાઇનોનાં દૃશ્યો પણ આવી રહ્યાં છે.
આ ઘટનાક્રમની વચ્ચે ભારતીય જનતા પક્ષના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલે શુક્રવારે સુરત સિવિલ હૉસ્પિટલની મુલાકાત લીધી હતી.
મુલાકાત બાદ તેમણે જાહેરાત કરી હતી કે ભાજપ સુરતમાં પાંચ હજાર રેમડેસિવિર ઇન્જેક્શનની વ્યવસ્થા કરી રહ્યો છે. તેમણે એવું પણ કહ્યું કે જે લોકોને રેમડેસિવિરની જરૂરિયાત હશે તેમને વિનામૂલ્યે પણ ભાજપ આપશે.
સી. આર. પાટીલે આ અંગે ટ્વીટ પણ કર્યું હતું.
ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું હતું કે ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનો સુરતમાં 5000 રેમડેસિવિર ઇન્જેક્શનની વ્યવસ્થા કરવા માટે આભાર. આવતીકાલથી સુરતમાં એક હજાર ઇન્જેક્શન ભાજપ દ્વારા મફત આપવામાં આવશે.
ગણતરીના કલાકમાં આ વ્યવસ્થા થઈ ગઈ હતી અને ભાજપના સુરત કાર્યાલય દ્વારા શનિવારે ઇન્જેક્શનની વહેંચણી શરૂ પણ કરી દેવામાં આવી હતી.
રાજ્યમાં એક તરફ રેમડેસિવિર ઇન્જેક્શનની માગ સામે ઘટ સર્જાઈ છે, ત્યારે ભાજપના આ પગલા અનેક સવાલો ઊઠી રહ્યા છે.
બીજી બાજુ નવસારી ભાજપે પણ એક હજાર રેમડેસિવિરના ઇન્જેક્શન આપવાની જાહેરાત કરી છે. તેમણે પણ શનિવારથી ઇન્જેક્શન આપવાની શરૂઆત કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સરકાર પાસે નથી તો ભાજપને કેવી રીતે મળ્યા? - વિપક્ષનો સવાલ
કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે રાજ્યની સરકારી હૉસ્પિટલો પાસે રેમડેસિવિરની ખોટ છે, ઇન્જેક્શન માટે લાઇનમાં અનેક કલાકો સુધી ઊભા રહેવું પડે છે, ઝાયડ્સે રેમડેસિવિરનો સ્ટૉક ન હોવાની જાહેરાત કરી છે. તો પછી ભાજપના પાટીલ ભાઉની પાસે પાંચ હજાર ઇન્જેક્શન ક્યાંથી આવ્યા.
શુક્રવારે મોડી રાત્રે ગુજરાતના માહિતી ખાતાએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે ગુજરાતમાં રેમડેસિવિર ઇન્જેક્શનની ઉપલબ્ધિ સરળતા થઈ રહી છે. આજે વધુ 24,687 ઇન્જેક્શન ગુજરાતના ટ્રૅડ સપ્લાયમાં અને રાજ્ય સરકારના ઉપયોગ માટે ઉપલબ્ધ થયાં છે. જોકે વહેંચણી અંગે કોઈ પણ માહિતી એમાં અપાઈ ન હતી.
સોશિયલ મીડિયામાં પણ લોકોએ પ્રશ્ન પૂછ્યા હતા કે સી. આર. પાટીલ પાસે આટલાં ઇન્જેક્શન આવ્યાં ક્યાંથી?
કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ શનિવારે રેમડેસિવિર મુદ્દે પ્રેસ કૉન્ફરન્સ કરીને સરકારને પ્રશ્ન પૂછ્યો હતો કે સુરત ભાજપને ફાર્માસિસ્ટ તરીકે ઇન્જેક્શન વેચાણની પરવાનગી કોણે આપી?'
તેમણે વધુમાં કહ્યું, "હૉસ્પિટલની જગ્યાએ પાર્ટી કાર્યાલયથી વ્યવસ્થા ન થવી જોઈએ. ઇન્જેક્શન સરકારી હૉસ્પિટલમાં ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સરકારની છે. સરકાર ન કરી શકતી હોય તો રાજીનામું આપવું જોઈએ. ઇન્જેક્શનના નામે ભાજપ ખોટા નાટક બંધ કરે."
કૉંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે પણ પ્રશ્ન ઉઠાવ્યોકે કોરોનાનો રિપોર્ટ, ડૉક્ટરની ભલામણ અને દરદીના ઓળખપત્ર વિના રેમડેસિવિર ઇન્જેક્શન મળતાં નથી તો પાંચ હજાર ઇન્જેક્શન ક્યાંથી લાવ્યાં છે. તેમણે વધુમાં પૂછ્યું કે સી. આર. પાટીલ શું માત્ર સુરતના જ પ્રમુખ છે? તેમણે કેમ માત્ર સુરતની જ સેવા કરી?
જયરાજસિંહે આક્ષેપ કર્યો કે સરકારે સિવિલ હૉસ્પિટલથી ખાનગી દવાખાનાઓને અપાતો રેમડેસિવિરનો સપ્લાય બંધ કર્યો છે, ત્યારે આ સપ્લાય સીધો ભાજપ કાર્યાલય ખાતે તો નથી મોકલી દેવાયો ને?
સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનના વિરોધ પક્ષના નેતા આમ આદમી પાર્ટીના ધર્મેશભાઈ ભંડારીએ પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યું કે સ્મિમેર અને સિવિલ હૉસ્પિટલમાં અનામત સિવાયનો જથ્થો ન હોવાથી ખાનગી હૉસ્પિટલને ઇન્જેક્શન નહીં મળે.
"તેના ત્રણ-ચાર કલાક પહેલાં ભાજપના પ્રદેશીધ્યક્ષ અને ગુજરાતના આરોગ્ય રાજ્યમંત્રી કુમાર કાનાણી દ્વારા ભાજપના કાર્યાલય પરથી રેમડેસિવિર ઇન્જેક્શન આપવાની જાહેરાત કરાઈ હતી."
'ખોટો રાજકીય રંગ ન આપવો જોઈએ'
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ 5000 રેમડેસિવિર ભાજપ પાસે ક્યાંથી આવ્યાં, એનો જવાબ આપતા મીડિયાને કહ્યું, "એ તમે સી. આર. પાટીલને પૂછો કે પાંચ હજાર ઇન્જેક્શનની તેમણે ક્યાંથી વ્યવસ્થા કરી છે."
"સરકારે અલગ વ્યવસ્થા કરી છે, સરકારે એમના જથ્થામાંથી ભાજપને ઇન્જેક્શન આપ્યાં નથી. આ સિવાય અમે સુરતની કિરણ હૉસ્પિટલને રેમડેસિવિર આપવામાં મદદ કરી છે."
પંચમહાલના મોરવા હડફમાં પહોંચેલા સી. આર. પાટીલે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું, "સુરત શહેરના કેટલાક મિત્રોએ આ ઇન્જેક્શન ખરીદ્યાં છે અને ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી વિતરણ કરી રહ્યા છે."
"ભાજપ દ્વારા આ પૂરક વ્યવસ્થા કરવામાં આવી છે, સરકાર દ્વારા વ્યવસ્થા કરાઈ રહી છે અને સરકારી દવાખાનાઓમાં વિનામૂલ્યે ઇન્જેક્શન આપવામાં આવી રહ્યાં છે."
"જોકે ખાનગી હૉસ્પિટલોમાં કે ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓને ઇન્જેક્શન મળે એ માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે."
ભાજપને ઇન્જેક્શન કેવી રીતે મળ્યાં, તેના જવાબમાં ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે કહ્યું, “સી. આર. પાટીલ ગઈકાલે સિવિલ હૉસ્પિટલની મુલાકાતે ગયા હતા."
"તેમણે ત્યાં જઈ કોઈને ફોન કર્યો હશે કે કોઈ કંપનીએ તેમને વ્યવસ્થા કરી આપવા કહ્યું હશે. તેઓ સંસદસભ્ય છે અને ભાજપના પ્રદેશ પ્રમુખ છે. છ કંપની રેમડેસિવિર બનાવે છે તો કોઈ કંપની પાસે જથ્થો હશે તેમાંથી વ્યવસ્થા કરી આપવા કહ્યું હશે અને તેમણે જાહેરાત કરી હશે. હું ત્યાં હતો નહીં માટે ખાસ કહી શકું નહીં.”
તેમણે વધુમાં કહ્યું કે "જો સરકારી સિસ્ટમથી જાય તો ઘણી વાર લાગે ટેન્ડરિંગ થાય, માલ આપે અને એ પ્રક્રિયામાં વાર લાગે, જ્યારે લોકોને આમાં જલદી મળી રહે તે માટે આ આખી વ્યવસ્થા થઈ છે.”
ભાજપ કેવી રીતે વહેંચી શકે છે? ના જવાબમાં પાર્ટીના પ્રવક્તાએ કહ્યું, “આ માત્ર સેવાનું કાર્ય છે, તેને ખોટો રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે.”
સુરત અને નવસારી માટે જ કેમ જથ્થો આપવામાં આવ્યો? તેના જવાબમાં યમલ વ્યાસે કહ્યું, “પાટીલ સાહેબ નવસારીના સંસદસભ્ય છે, માટે આસપાસના વિસ્તાર માટે તેમણે વ્યવસ્થા કરી હોય તેમ બની શકે છે.”
ભાજપના સુરત શહેરના પ્રમુખ નિરંજન ઝાઝમેરાએ શનિવારે કહ્યું, “ભાજપના પ્રમુખ પાટીલે સૂચન કર્યું કે આ રીતે ઉપયોગી થવું જોઈએ, એટલે અમે ભાજપે પાંચ હજાર ઇન્જેક્શનનો ઑર્ડર આપ્યો હતો. તેમાંથી અમને તબક્કાવાર ઇન્જેક્શન મળશે, જે ભાજપ કાર્યાલયથી આપવામાં આવશે.”
સુરતના જિલ્લા ક્લેક્ટરે રેમડેસિવિર ઇન્જેક્શનની અછત હોવાથી સરકારી જથ્થામાંથી ખાનગી હૉસ્પિટલોને ન આપવાની જાહેરાત કરી હતી.
ઇન્જેક્શન લેવા કચ્છથી અમદાવાદ આવ્યા
અમદાવાદમાં રેમડેસિવિરના ઇન્જેક્શનનું વેચાણ થઈ રહ્યું હતું, ત્યાંથી બીબીસી સંવાદદાતા સાગર પટેલે ફેસબુક લાઇવ કર્યું હતું. આ લાઇવમાં તેમણે રેમડેસિવિર ઇન્જેક્શન લેવા આવેલા દરદીઓના સગા-સંબંધીઓ સાથે વાત કરી હતી.
લાઇનમાં ઊભેલાં શ્વેતાબહેન સુખડિયા અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાંથી આવ્યાં હતાં તેમના પિતા ગાંધીનગરની હૉસ્પિટલમાં કોરોના વાઇરસની સારવાર લઈ રહ્યા હતા.
શ્વેતાબહેને કહ્યું, "સવારે પાંચ વાગ્યાથી અમે લાઇનમાં ઊભા છીએ. બપોરે બે વાગ્યા છે, પણ અમારો નંબર આવ્યો નથી. મારે એક નાની દીકરી છે એ ઘરે છે. કોઈ મૅનેજમૅન્ટ નથી. સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું નથી."
"આવી સ્થિતિ રહી તો કોરોના વકરશે કારણકે બધા દરદી સાથે રહેલા લોકો અહીં આવશે."
તેઓ કહે છે, "હું ગુરુવારે પણ લાઇનમાં ઊભી હતી પરંતુ સ્ટૉક પૂરો થઈ જતાં પરત જવું પડ્યું હતું. આજે પણ મળશે તો મળશે. ત્રણ દિવસથી હું ધક્કા ખઉં છું."
કચ્છથી આવેલી એક વ્યક્તિએ કહ્યું, "અમે કચ્છથી આવ્યા છીએ. સવારના ચાર વાગ્યાથી લાઇનમાં ઊભા છીએ. કચ્છમાં રેમડેસિવિરની કોઈ વ્યવસ્થા નથી. ખાનગીમાં બ્લૅક માર્કેટમાં વેચાય છે."
લોકો કચ્છ, મોરબી, બનાસકાંઠા, અમરેલી, એમ અનેક જિલ્લાઓમાંથી આવ્યા હતા.
સરકાર અને મુખ્ય વિક્રેતા પાસે ખૂટી ગયો જથ્થો
બીબીસી ગુજરાતીના ફેસબુક લાઇવના થોડા જ કલાક પછી ઝાયડસે જાહેરાત કરી હતી કે તેમની પાસે રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો નથી. 10 એપ્રિલ અને શનિવારથી લોકોને રેમડેસિવિરના રેમડેક ઇન્જેક્શન મળશે નહીં.
સુરતના ક્લેક્ટરે સોમવારે એક અખબારી યાદી જાહેર કરીને કહ્યું હતું કે સુરતની સિવિલ હૉસ્પિટલ અને સ્મીમેર હૉસ્પિટલમાં અનામત રાખ્યાં સિવાયનો રેમડેસિવિરનો જથ્થો ખાનગી હૉસ્પિટલને મોકલવાનો આદેશ કર્યો હતો પણ જથ્થો ન હોવાથી ખાનગી હૉસ્પિટલને રેમડેસિવિર ઇન્જેક્શન આપવાની વ્યવસ્થાને બંધ કરાઈ છે.
આ સ્થિતિની વચ્ચે સી. આર. પાટીલે પાંચ હજાર ઇન્જેક્શન આપવાની વાતો લોકોમાં અનેક પ્રશ્નો ઉભા કર્યો હતા.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો