કપિલ ગુર્જર : શાહીનબાગમાં ગોળી ચલાવનાર ભાજપમાં સામેલ, વિવાદ બાદ સભ્યપદ રદ

શાહીનબાગમાં સીએએ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકો પર ગોળી ચલાવનાર કપિલ ગુર્જર ભાજપમાં જોડાયા, જોકે, આ મામલે વિરોધ થતાં ભાજપે તેમનું સભ્યપદ રદ કરી નાખ્યું.

આ પહેલાં બુધવારે કપિલ ગુર્જર વિધિવત્ રીતે ભાજપમાં જોડાઈ ગયા. આમ આદમી પાર્ટીએ આ અંગેની એક તસવીર ટ્વિટર પર પોસ્ટ કરી.

આમ આદમી પાર્ટીએ પોતાના ટ્વિટર હૅન્ડલ પરથી એક તસવીર શૅર કરતાં લખ્યું છે કે 'ખુલ્લેઆમ ગોળી ચલાવનારો યાદ છે?'

આ વર્ષની શરૂઆતમાં જ્યારે ગુર્જરે પ્રદર્શનકારીઓ પર ગોળી ચલાવી હતી ત્યારે ભાજપે દાવો કર્યો હતો કે કપિલ ગુર્જરનો સંબંધ આમ આદમી પાર્ટી સાથે છે.

એ વખતે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથેની એમની કેટલીક તસવીરો સામે આવી હતી.

જોકે, એ વખતે આમ આદમી પાર્ટી અને ખુદ કપિલ ગુર્જરના પરિવારજનોએ પણ આ આરોપો ફગાવી દીધા હતા.

જોકે, આ મામલે વિવાદ થતાં ભાજપે ગુર્જરનું સભ્યપદ રદ કરી નાખ્યું.

ગાઝિયાબાદ ભાજપના પ્રમુખ સંજીવ શર્માએ સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું, "કપિલ ગુર્જર એ બીએસપી કાર્યકરોમાં સામેલ છે જેઓ આજે ભાજપમાં જોડાયા હતા. જોકે, શાહિનબાગ સાથેના એમના વિવાદ અંગે અમને કોઈ જાણ નહોતી."

સમાચાર સંસ્થા એએનઆઈ જણાવે છે કે ભાજપમાં જોડાતી વખતે કપિલે કહ્યું હતું, "અમે ભાજપ સાથે છીએ. ભાજપ હિંદુત્વને મજબૂત કરી રહ્યો છે, હિંદુત્વને આગળ લઈ જવા માગે છે. હું હિંદુત્વ માટે કામ કરવા માગું છું એટલે હું ભાજપમાં શામેલ થયો છું. આ પહેલાં મારું કોઈ પણ પક્ષ સાથે લેવાદેવા નહોતી. હું આરએસએસ સાથે પણ જોડાયો છું."

એ વખતે શું થયું હતું?

નવી દિલ્હીના શાહીનબાગ ખાતે આ વર્ષની શરૂઆતમાં ગોળી ચલાવાઈ હતી. એ વખતે નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ અહીં પ્રદર્શનો ચાલી રહ્યાં હતાં.

એ વખથે પ્રદર્શનના સ્થળે એક યુવકે ગોળીબાર કર્યો હતો. આ યુવકનું નામ કપિલ ગુર્જર હતું

શાહીનબાગ સ્થિત પ્રદર્શનસ્થળે ગોળીબાર થયા બાદ ગોળી ચલાવનારા શખ્સને પોલીસ ઘટનાસ્થળેથી પકડીને લઈ ગઈ હતી.

શાહીનબાગમાં પ્રદર્શનસ્થળે હાજર ઇમાદ અહમદે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં આ ઘટનાની ખરાઈ કરી હતી.

ઇમાદ અહમદનું કહેવું હતું કે હુમલાખોરે પ્રદર્શનકારીઓ તરફ ગોળીબાર કર્યો હતો, જોકે કોઈને હાનિ થઈ નહોતી.

એ વખતે દિલ્હી પોલીસે કહ્યું હતું કે કપિલ ગુર્જર આમ આદમી પાર્ટીના સભ્ય છે.

ડીસીપી (ક્રાઇમ બ્રાંચ) રાજેશ દેવે જણાવ્યું હતું કે કપિલ ગુર્જર અને તેમના પિતા વર્ષ 2019ના આરંભમાં આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા.

એ વખતે પોલીસે કેટલીક તસવીરો પણ જાહેર કરી હતી, જેમાં દિલ્હીના દલ્લુપુરા ગામમાં રહેતા કપિલ ગુજર્ર આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ અને આતિશી માર્લેના સાથે નજરે પડ્યા હતા.

જોકે, કપિલ ગુર્જરના પરિવારજનોએ દિલ્હી પોલીસના દાવાને ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે આમ આદમી પાર્ટી સાથે તેમનો કોઈ સંબંધ નથી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો