ફેસબુકે બજરંગદળને 'ખતરનાક સંગઠન' માનવાથી કેમ કર્યો ઇનકાર?

સોશિયલ મીડિયા ફેસબુકે ભારતના બજરંગદળને 'ખતરનાક સંગઠન' માનવાથી ઇનકાર કરી દીધો છે.

અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત એક અહેવાલ મુજબ પોતાના કર્મચારીઓ પર હુમલો થવાના અને પોતાના કારોબારને અસર પહોંચવાના ભયથી ફેસબુક ઇન્ડિયાએ બજરંગદળને એક 'ખતરનાક સંગઠન' ગણવાથી ઇનકાર કર્યો છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ આ સમાચાર અમેરિકાના અખબાર વૉલ સ્ટ્રીટ જર્નલના એક અહેવાલને આધારે આપ્યા છે.

આ અહેવાલ મુજબ જૂન મહિનામાં દિલ્હીના એક ચર્ચ પર હુમલાની ઘટના પછી બજરંગ દળને 'ખતરનાક સંગઠન'ની સૂચિમાં સામેલ કરવાની માગ ઉઠી હતી.

ચર્ચ પર હુમલાની જવાબદારી બજરંગ દળના સભ્યોએ લીધી હતી અને દાવો કર્યો હતો કે એ ચર્ચ હિંદુ મંદિરને સ્થાને બનાવવામાં આવ્યું છે.

અખબાર મુજબ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ફેસબુકે સનાતન સંસ્થા અને શ્રી રામ સેના પર પ્રતિબંધના ખતરાનો પણ ઉલ્લેખ કર્યો છે.

ફેસબુકની સેફ્ટી ટીમ આ વર્ષની શરૂઆતમાં એ નિષ્કર્ષ પર પહોંચી હતી કે બજરંગ દળ આખા ભારતમાં લઘુમતીઓ વિરુદ્ધ હિંસાનું સમર્થન કરે છે અને તેને એક ખતરનાક સંગઠન છે એમ માની શકાય છે. જોકે, ફેસબુક ઇન્ડિયાએ ફેસબુકની સેફ્ટી ટીમની આ સલાહને રદ કરી દીધી.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયા પ્રમાણે વૉલ સ્ટ્રીટ જર્નલે ફેસબુક પ્રવક્તા ઍન્ડી સ્ટોનના હવાલાથી લખ્યું હતું કે બજરંગ દળને કારણે એમના કર્મચારીઓ અને કારોબારને અસર પહોંચી શકે છે અને તેને લઈને ચર્ચા થઈ હતી. જે એક સ્ટાન્ડર્ડ પ્રક્રિયાનો ભાગ હતો.

કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક ન્યૂઝ ચેનલની વીડિયો ક્લિપ શૅર કરી છે. જેમાં વૉલ સ્ટ્રીટ જર્નલનો રિપોર્ટ બતાવવામાં આવી રહ્યો છે.

રાહુલ ગાંધીએ લખ્યું કે, ''ભાજપ-આરએસએસ ભારતમાં ફેસબુકને નિયંત્રિત કરવાની કોશિશ કરે છે એનું વધુ એક પ્રમાણ.''

જોકે, ફેસબુક કોઈ રાજકીય પાર્ટી પરત્વે પક્ષપાતનો ઇનકાર કરે છે. ફેસબુક પ્રવક્તાએ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાને કહ્યું કે, ''અમે અમારી ખતરનાક વ્યક્તિઓ અને સંગઠનોની નીતિ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાણ વિના લાગુ કરીએ છીએ.''

વિશ્વ હિંદુ પરિષદે ટાઇમ્સ ઑફ ઇન્ડિયાને કહ્યું છે તે સંગઠનને બદનામ કરવા બદલ વૉલ સ્ટ્રીટ જર્નલ સામે કાયદાકીય કાર્યવાહી કરશે, બજરંગ દળ અને વીએચપી સંઘ પરિવારનો એક ભાગ છે.

ફેસબુક-ભાજપ અને અંખી દાસનો જૂનો વિવાદ

તાજેતરમાં ફેસબુક ઇન્ડિયાની પબ્લિક પૉલિસીનાં પ્રમુખ અંખી દાસે રાજીનામું આપી દીધું હતું.

અંખી દાસ પર આરોપ હતો કે પોતાના પદ પર રહીને તેમણે ત્રણ હિંદુ રાષ્ટ્રવાદી સંગઠન અને લોકોની સામે હેટ-સ્પીચના નિયમ હેઠળ કાર્યવાહી નહોતી કરી.

તેમના પર એવો પણ આરોપ લગાવાયો હતો કે તેમણે ભાજપના અનેક નેતાઓ વિરુદ્ધ હેટ સ્પીચના મામલામાં ફેસબુક કંપની દ્વારા કાર્યવાહી થવા નહોતી દીધી.

નરેન્દ્ર મોદી ડૉટ ઇન નામથી વડા પ્રધાન મોદીની એક વ્યક્તિગત વેબસાઇટ છે. તેમની એક વ્યક્તિગત ઍપ પણ છે - નમો ઍપ.

વેબસાઇટ પર ન્યૂઝ સેક્શનના રિફ્લેક્શન્સ સેક્શનમાં કૉન્ટ્રિબ્યૂટર્સ કૉલમમાં, અને નમો ઍપ પર નમો એક્સક્લુસિવ સેક્શનમાં એક ટૅબ અથવા સ્થાન પર અનેક લોકોના લેખ પ્રકાશિત કરવામાં આવ્યા છે. જેમાં એક લેખક તરીકે 32મા નંબર પર અંખી દાસનું નામ છે. એટલે અંખી દાસનો એક પરિચય એ પણ છે કે તે નરેન્દ્ર મોદીની વેબસાઈટ અને ઍપના કૉન્ટ્રિબ્યૂટર છે એટલે તે ત્યાં લેખ લખે છે. જોકે, તેઓ અન્ય માધ્યમોમાં પણ લેખો લખે છે.

વૉલ સ્ટ્રીટ જર્નલનો અગાઉનો અહેવાલ

અગાઉ અમેરિકાના અખબાર વૉલ સ્ટ્રીટ જર્નલમાં 14 ઑગસ્ટે એક અહેવાલ છપાયો હતો, જેમાં આરોપ મૂકવામાં આવ્યો કે દુનિયાની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપની જે વૉટ્સઍપની પણ માલિક છે, તેણે ભારતમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીની સામે હથિયાર નાખી દીધાં છે.

અખબારે પોતાના અહેવાલમાં દાવો કર્યો છે કે 2019ની લોકસભા ચૂંટણી પહેલાં અંખી દાસે એ જાણકારી દબાવી દીધી કે ફેસબુકે ભાજપ સાથે જોડાયેલા ખોટા પેજ ડિલીટ કરી નાખ્યા હતા.

અખબારે એ પણ દાવો કર્યો કે ફેસબુકે પોતાના પ્લૅટફોર્મ પરથી ભાજપ નેતાઓને નફરત ફેલાવનારાં ભાષણોને રોકવા માટે એ કહીને કાંઈ કર્યું નહીં કે સત્તાધારી દળના સભ્યોને રોકવાથી ભારતમાં તેના વ્યાવસાયિક હિતોનું નુકસાન થઈ શકે છે.

ત્યારે આ મુદ્દાએ ભારતમાં રાજકીય રંગ લઈ લીધો હતો. રાહુલ ગાંધીએ આરોપ મૂક્યો હતો કે

"ભાજપ અને આરએસએસ ભારતમાં ફેસબુક અને વૉટ્સઍપનું નિયત્રણ કરે છે. આ માધ્યમથી ખોટા સમાચાર અને નફરત ફેલાવીને વૉટરોને લુભાવે છે. છેવટે અમેરિકન મીડિયા ફેસબુકનું સત્ય સામે લાવ્યું છે."

એ વખતે કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, "જે લૂઝર પોતાના પક્ષમાં પણ લોકોને પ્રભાવિત નથી કરી શકતા. તેઓ આ વાતને ટાંકતા રહે છે કે આખી દુનિયાને ભાજપ અને આરએસએસ નિયંત્રિત કરી રહ્યા છે."

આ આખા કેસમાં ફેસબુકે કહ્યું હતું કે તે નફરત ફેલાવનારાં ભાષણો પર પોતાની નીતિઓને કોઈપણ રાજકીય હોદ્દા વગર અથવા કોઈ પાર્ટી સાથેના તેના સંપર્કોને જોઈને લાગુ કરે છે.

ફેસબુકના એક પ્રવક્તાએ બીબીસી સવાદદાતા સૌતિક વિશ્વાસને કહ્યું હતું - "અમે નફરત ફેલાવતાં ભાષણો અને સામગ્રીઓને રોકીએ છીએ. આ અંગે અમારી એક વૈશ્વિક નીતિ છે અને એને કોઈ રાજકીય પક્ષ કે વિચારધારા સાથે સંબંધ નથી. અમને ખબર છે કે આ અંગે વધારે કામ કરવાની જરૂર છે. પરંતુ અમે નિષ્પક્ષતા અને સત્યતાને સુનિશ્ચિત કરવા માટે અમારી પ્રક્રિયાને લાગુ કરવાની તપાસ કરવાની દિશામાં પ્રગતિ કરી રહ્યા છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો