ઝેરી દારૂથી થયેલાં 104 મૃત્યુ પાછળ એક મહિલા માસ્ટરમાઇન્ડ છે?

પંજાબમાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધી 104 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. નકલી દારૂ પીવાથી થતાં મૃત્યુમાં આ રાજ્યની સૌથી મોટી ઘટના છે.

પંજાબમાં ત્રણ સીમાવર્તી જિલ્લાઓ અમૃતસર, ગુરુદાસપુર અને તરન તારનમાં આ દુર્ઘટના થઈ છે.

સમગ્ર મામલામાં પંજાબની સરકારે ઍકસાઇઝ અને ટૅક્સેશન વિભાગના ઓછામાં ઓછા સાત કર્મીઓને નિલંબિત કર્યા છે. તે ઉપરાંત પંજાબ પોલીસના સાત કર્મીઓને ફરજમાં બેદરકારી બદલ સસ્પૅન્ડ કરવામાં આવ્યા છે.

26 લોકોની ધરપકડ થઈ છે અને મોટી માત્રામાં ગેરકાયદે દારૂ જપ્ત કરાયો છે. રાજ્યમાં અનેક ઠેકાણે છાપામારી થઈ છે.

પંજાબમાં આ બનાવ એવા સમયે બન્યો છે જ્યારે રાજ્ય કોરોન વાઇરસની મહામારીથી પણ લડી રહ્યું છે.

પીડિત પરિવારને બે લાખનું વળતર

પંજાબમાં મુખ્યમંત્રી કૅપ્ટન અમરિંદર સિંઘે પીડિત પરિવારોને બે-બે લાખની આર્થિક સહાયની ઘોષણા કરી છે. એ સાથે જ મુખ્યમંત્રીએ અપરાધીઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહીનું પણ આશ્વાસન આપ્યું છે.

પ્રદેશની વિપક્ષી પાર્ટીઓ આ ઘટના માટે સરકારને જવાબદાર ઠેરવી રહી છે. શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીરસિંહ બાદલે અમૃતસરના મુછલ ગામમાં પીડિતોને મળ્યા પછી એક પ્રેસ કૉન્ફરૅન્સ કરી. આ ગામમાં 10 લોકોનાં મૃત્યુ થયાં છે.

પ્રેસ કૉન્ફરૅન્સમાં બાદલે કહ્યું કે આ દુઃખની ઘડીમાં મુખ્યમંત્રીએ પીડિત પરિવારો સાથે હોવું જોઇતું હતું. બાદલે કહ્યું કે અમૃતસરમાં સમગ્ર મામલાની તપાસ થવી જોઇએ.

સુખબીરસિંહ બાદલે કહ્યું કે ગેરકાયદે દારૂને કારણે રાજસ્વમાં 5600 કરોડ રૂપિયાનું નુકસાન થાય છે.

મુછલ ગામના ભૂતપૂર્વ સરપંચ સુખબીર સિંહના પિતરાઈ ભાઈ જસવિન્દર સિંહનું પણ મૃત્યુ થયું છે. એમણે બીબીસી પંજાબીના રવીન્દર સિંહ રોબનને કહ્યું કે ગેરકાયદે દારૂ અને કારોબાર વચ્ચે ઘણી ઊંડી સાઠગાંઠ છે.

પોલીસ, નેતાઓ અને ગુનેગારોની સાઠગાંઠ

સુખબીરનું કહેવું છે કે આના માસ્ટર માઇન્ડની પહોંચ ઉપર સુધી છે અને તેઓ હજુ પણ ખુલ્લેઆમ બધું જ કરી રહ્યા છે. તેમણે કહ્યું, "પોલીસ આખા મૉડલને સમજે છે."

સુખબીર અનુસાર પોલીસને ગેરકાયદે દારૂની સપ્લાય ચેઇન વિશે પણ ખબર છે. પરેશાની એ છે કે સમગ્ર મામલામાં પોલીસ પણ એક પાર્ટી છે અને તે પણ અપરાધીઓ સાથે મળેલી છે.

તેમણે કહ્યું, "આ કારોબારમાં સામેલ લોકોને રાજકીય પીઠબળ મળેલું છે. કારણકે એમાં અઢળક કમાણી છે. જો તેઓ એક મામૂલી ગુનેગારને પણ પકડી લેશે તો મોટી માછલીઓ સુધી પણ સરળતાથી પહોંચી શકે છે. પરંતુ હા ધરપકડથી જનાક્રોશ વધવાનો ડર રહેલો છે."

પોલીસે આ કેસમાં 25 લોકોની ધરપકડ કરી છે અને લગભગ સો જેટલી રૅઇડ પાડી છે. આ ધરપકડ અને રૅઇડ પંજાબ-હરિયાણાના સરહદી વિસ્તારોમાં થઈ છે.

ખાદૂર સાહિબ લોકસભા ક્ષેત્રના સાંસદ જસબીર સિંહ ડીંપા મુછલમાં પીડિતોના પરિવારજનોને મળવા ગયા હતા. અમૃતસર અને તરન તારનમાં 75 લોકોનાં મૃત્યુ થયાં છે. ડીંપા કૉંગ્રેસ પાર્ટીના સાંસદ છે અને એમણે પંજાબ સરકાર તરફથી ઉઠાવાયેલા પગલાં વિશે લોકોને માહિતી આપી.

ડીંપાએ ખાતરી આપી કે સમગ્ર કેસમાં જો સરકારી કર્મીઓની બેદરકારી સામે આવશે તો એમના વિરુદ્ધ પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. જે પરિવારોએ સ્વજન ગુમાવ્યા છે એ બધાની પોતપોતાની કહાણીઓ છે.

મોંમાંથી ફીણ અને બેહોશી

જસવિન્દર સિંહના પત્ની વીરપાલ કૌર કહે છે કે તેમના પતિ જ્યારે ઘરે આવ્યા તો એમની આંખો બળી રહી હતી અને છાતીમાં દુખાવો હતો. એ પછી તેમના મોંમાંથી ફીણ નીકળવા લાગ્યું અને હૉસ્પિટલ લઈ ગયા પછી મૃત્યુ થઈ ગયું.

તિલક રાજ આ ઘટનામાં બચી જનારાઓમાનાં એક છે. તેમને સ્વસ્થ થયા પછી હૉસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે.

તિલકે પોતાનો અનુભવ બીબીસી પંજાબી સાથે વહેંચ્યો. તેમણે કહ્યું કે એમને પૉલિથીનમાં બંધ ગેરકાયદે દારૂ મળ્યો હતો. આ દારૂને લોકો કોડ વર્ડમાં 'ફ્રૂટી'કહે છે.

તિલકે આ 'ફ્રૂટી' બતાલાથી ખરીદી હતી. તેમણે જણાવ્યું, "મેં 50 રૂપિયામાં ખરીદી હતી. પહેલી જ વારમાં જ હું અનિયંત્રિત થઇ ગયો હતો. હું જોઈ નહોતો શકતો. મેં તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કર્યો."

ડૉક્ટરે તિલકને સરકારી હૉસ્પિટલમાં રિફર કરી દીધો. તિલક કહે છે, "સરકારી હૉસ્પિટલમાં કોઈએ ગંભીરતાથી ન લીધું. પરંતુ બાદમાં વહીવટી તંત્ર હરકતમાં આવ્યું તો મને બરાબર રીતે ભરતી કરવામાં આવ્યો."

મરનારાઓમાં મોટા ભાગના ગરીબ કામદાર

બતાલાની પુત્રી નીંદર કૌરે જણાવ્યું કે એમના પિતા બેહોશીની અવસ્થામાં હતા અને જોઈ શકતા ન હતા. એમના મોંમાંથી ફીણ નીકળી રહ્યું હતું અને તેઓ તરત જ પડી ગયા હતા..

મોટાભાગના પીડિત રોજિંદું મજૂરી કામ કરનારા હતા અથવા નાના ખેડૂત અને પશુપાલક. મામલાની આરોપી પણ આ જ સમાજમાંથી છે.

50 વર્ષનાં બલવિંદર કૌરની મુખ્ય આરોપી તરીકે ધરપકડ કરવામાં આવી છે. બલવિંદરના પતિનું પણ મૃત્યુ થયું છે. તેઓ પણ આવી જ ઘટનાનો શિકાર બન્યા હતા.

શુક્રવારે બીબીસી પંજાબીના રવિન્દરસિંહ રોબન જ્યારે બલવિંદર કૌરનાં ઘરે પહોંચ્યા તો દરવાજા પર તાળું લટકી રહ્યું હતું. બલવિંદર કૌરનાં પડોશી પણ આ જ ઘટનાના શિકાર બન્યા છે.

પડોશી હરજીત સિંહે જણાવ્યું કે બલવિંદર કૌરનો પરિવાર ગેરકાયદે દારૂના ધંધામાં લગભગ બે દાયકાથી પણ વધુ સમયથી સામેલ છે.

જંદિયાલા ગુરુમાં તહેનાત ડીએસપી મનજીતસિંહે બીબીસી પંજાબીને જણાવ્યું કે બલવિંદર કૌર વિરુદ્ધ અગાઉ પણ એફઆઈઆર નોંધાઈ હતી.

એમણે કહ્યું, "અમે આઈપીસીની કલમ 304 હેઠળ ધરપકડ કરી છે. બલવિંદર કૌરના બે અન્ય સાથીઓને પણ પકડી લેવામાં આવ્યા છે. આઠ વર્ષ પહેલાં આવી જ અન્ય એક ઘટના ઘટી હતી.

ગુરદાસપુર જિલ્લાના નાંગલ જોહલમાં ઑગસ્ટ 2012માં આવી જ દુર્ઘટના થઈ હતી. ત્યારે 17 લોકોનાં મૃત્યુ થયાં હતા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો