You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ વકરી રહ્યો છે ત્યારે ભારત કૉમ્યુનિટી ટ્રાન્સમિશનનો સ્વીકાર કેમ નથી કરતું?
- લેેખક, વિકાસ પાંડે
- પદ, બીબીસી ન્યૂઝ, નવી દિલ્હી
45 વર્ષની વયના રાજેશકુમારને જૂનની શરૂઆતમાં ખાંસી આવવી શરૂ થઈ અને થોડા દિવસોમાં તેમને ભારે તાવ આવવા લાગ્યો.
તેમણે કોરોના વાઇરસનું પરીક્ષણ કરાવ્યું નહીં એને બદલે તેમણે પાંચ દિવસ સુધી તાવની દવાઓ લીધી. જોકે તાવ યથાવત રહ્યો અને જલ્દી જ તેમને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થવા લાગી.
તેમના પરિવારે તેમને પરીક્ષણ કરાવવા કહ્યું પરંતુ તેમણે ઇન્કાર કર્યો.
રાજેશકુમારનો તર્ક એ હતો કે તેમને કોરોના વાઇરસનું સંક્રમણ થવાની કોઈ જ શક્યતા ન હતી કારણકે તેમણે દિલ્હીમાં તેમના ઘરની બહાર જવલ્લે જ પગ મૂક્યો હતો અને તેઓ કોઈને મળ્યા પણ ન હતા જેઓ વાઇરસથી સંક્રમિત હોય અથવા સંક્રમિત હોવાની આશંકા હોય.
જોકે, લક્ષણો દેખાયાના આઠ દિવસ પછી તેમની સ્થિતિ વધુ બગડી. તેમને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવાયા જ્યાં તેમનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો.
રાજેશકુમારે કહ્યું "હું બચી ગયો પરંતુ ડૉકટરોએ કહ્યું કે હૉસ્પિટલમાં દાખલ થવામાં થોડું પણ મોડું થાત તો હું મારી જિંદગી ગુમાવી દેત."
રાજેશકુમાર તેમને ચેપ કેવી રીતે લાગ્યો તેનું પગેરું શોધી શક્યા નથી અને તેઓ કેવી રીતે સંક્રમિત થયા તે વિશે તેઓ હજુ અનિશ્ચિત છે.
નિષ્ણાતો કહે છે કે આવા ઘણાં મામલા છે જે પુરાવો છે કે ભારતમાં પૂર્ણ કક્ષાનું કૉમ્યુનિટી ટ્રાન્સમિશન થઈ રહ્યું છે. જોકે, ભારત સરકાર આ વાત નકારે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સરકારનો કૉમ્યુનિટી ટ્રાન્સમિશનનો ઇનકાર
ભારત સરકાર કૉમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થયું હોવાની વાત સ્વીકારવા તૈયાર નથી અને કહે છે કે આ શબ્દની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી અને દરેક દેશ તેમની સ્થાનિક પરિસ્થિતિના આધારે તેની વ્યાખ્યા કરી શકે છે.
અત્યાર સુધી કેરળ અને પશ્ચિમ બંગાળ એ બે જ રાજ્યો એવા છે જેમણે સ્વીકાર્યું છે કે તેઓ આ તબક્કામાં પ્રવેશી ગયા છે.
પરંતુ આ વિષયની વૈશ્વિક સમજણ સ્પષ્ટ છે - જ્યારે મોટી સંખ્યાના મામલાઓમાં સંક્રમણનો સ્ત્રોત જાણી ન શકાય તો એને કૉમ્યુનિટી ટ્રાન્સમિશન કહેવું હિતાવહ છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની ગાઇડલાઇન્સ પણ આ જ કહે છે. મોટી સંખ્યાના મામલાઓ માટે સંક્રમણની સાંકળ દ્વારા સુનિશ્ચિત થયેલા મામલાઓને જોડી શકવાની અક્ષમતા એ કૉમ્યુનિટી ટ્રાન્સમિશનનો પુરાવો છે.
દિલ્હીની સર ગંગારામ હૉસ્પિટલના છાતીના રોગોની સર્જન ક્રિયા કેન્દ્રના ચૅરમેન ડૉકટર અરવિંદ કુમારના મતે આ ભારતમાં ચોક્કસપણે થઈ રહ્યું છે.
તેઓ કહે છે કે હૉસ્પિટલમાં એવા વધુને વધુ દર્દીઓ આવી રહ્યા છે જેમના સંક્રમણનો સ્ત્રોત જાણી શકાય તેમ નથી અને તેઓ ઉમેરે છે કે આવા પ્રકારના બધા કેસો આ વાતને સમર્થન આપે છે.
ભારતમાં અત્યાર સુધી સંક્રમણના 13 લાખથી વધુ કેસ નોંધાયા છે અને આ મહામારીનો કુલ મૃત્યુઆંક 32,000થી પણ વધી ગયો છે.
ડૉકટર કુમાર કહે છે "આંકડાઓ ખોટું નથી કહી રહ્યા, તમારી સમક્ષ એક પછી એક રાજ્યમાં સંક્રમણનો દર ઝડપથી વધી રહ્યો છે. તમારી નજર સામે જે છે તેનો અસ્વીકાર કરવાનો કોઈ અર્થ નથી."
'સરકારે પૂરાવા સ્વીકાર કરવાની જરૂર છે'
પરંતુ સરકાર આ વાત સાથે અસંમત છે. ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેસન (IMA)ના એક વરિષ્ઠ તબીબે હાલમાં જ એ વાતને સમર્થન આપ્યું કે ભારત કૉમ્યુનિટી ટ્રાન્સમિશનના તબક્કામાં છે.
પરંતુ બે દિવસ પછી IMAએ આ નિવેદન પાછું ખેંચી લીધું, એમ કહીને કે તે ડૉકટરનો 'વ્યક્તિગત મત' હતો. આ વાતથી ઘણાં લોકોને મૂંઝવણ થઈ.
વાયરલૉજિસ્ટ ડૉકટર શાહિદ જમીલ કહે છે કે સરકારે નિષ્ણાતો અને તબીબોને સાંભળવાની જરૂર છે અને પુરાવાનો સ્વીકાર કરવાની જરૂર છે.
એમાં કોઈ શંકા નથી કે હાલ વાઇરસ એક મહિના પહેલા હતો તેના કરતાં વધુ ફેલાયો છે. વધુ રાજ્યો જેવા કે બિહાર અને આંધ્રપ્રદેશ અને ગીચ શહેરી વિસ્તારોથી પણ આગળ વધી વધુ જિલ્લાઓમાં હવે કેસમા ઉછાળો નોંધાઇ રહ્યો છે.
ઘણા રાજ્યો આને માટે તૈયાર ન હતા. આ રાજ્યોએ મોટેભાગે સંક્રમણને અટકાવવા માટે અન્ય રાજ્યોમાંથી આવતા લોકોના ક્વોરૅન્ટીન કરવા પર અને પરીક્ષણ ઉપર જ આધાર રાખ્યો, તેમણે સંક્રમણને સ્થાનિક સ્તર પર અટકાવવા માટે પર્યાપ્ત પગલા ન લીધા.
ત્યાં સુધી કે તેમની અગાઉની રણનીતિમાં પણ ખામી હતી. રાજ્યો વચ્ચેની સરહદને સંપૂર્ણપણે સીલ કરવી શક્ય નથી અને ઘણા રાજ્યોમાં તેમના વિસ્તારમાં પ્રવેશતા દરેક વ્યક્તિને શોધીને તેમનું પરીક્ષણ કરવાનાં સાધનોનો પણ અભાવ છે.
ડૉકટર જમીલ ઉમેરે છે કે "એવી ધારણા બંધાઈ હતી કે વાઇરસને મોટા શહેરો અને કેટલાક ચોક્કસ હૉટસ્પૉટ રાજ્યોમાં સીમિત કરી શકાશે અને એ રીતે તેને દેશના અન્ય ભાગોમાં પહોંચતો રોકી શકાશે. તેવું થયું નથી અને હવે કોવિડ-19 કોઈ પણ તપાસ વગર ફેલાઈ રહ્યો છે."
વાઇરસ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને ઘણીવાર તેના સંક્રમણની સાંકળ પણ સ્થાપિત કરી શકાતી નથી.
ડૉકટર જમીલ એ વાત તરફ ધ્યાન દોરે છે કે સરકારનો પોતાનો સર્વે જ બતાવી રહ્યો છે કે 40% દર્દીઓ જેમને શ્વસનતંત્રને લગતી બિમારી હતી તેમને ખબર ન હતી કે તેઓ બીમાર કેવી રીતે પડ્યા.
"કૉમ્યુનિટી ટ્રાન્સમિશન છે તે સ્વીકારવા માટે આપણી પાસે પર્યાપ્ત પુરાવાઓ છે" એમ તેઓ કહે છે.
પરંતુ નિષ્ણાતો કહે છે કે આવું રાતોરાત નથી થયું. પરંતુ સરકાર જ્યાં સતત તેનો અસ્વીકાર કરી રહી હતી તે દરમિયાન તે અનેક અઠવાડિયાઓના સમયગાળામાં થયું છે.
"આપણે ત્યાં મહામારીનાં શરૂઆતનાં તબક્કાઓમાં સ્થાનિક સ્તરે કૉમ્યુનિટી ટ્રાન્સમિશન હતું. પરંતુ હવે તે દેશભરમાં ફેલાઈ ગયું છે. બધા તેને જોઈ શકે છે" એમ ડૉકટર કુમાર કહે છે.
સરકારની નિષ્ફળતા?
તો શા માટે સરકાર જે એકદમ સ્પષ્ટ છે એનો સ્વીકાર કરતા આટલી ખચકાય છે?
નિષ્ણાતો કહે છે કે તેઓ ફક્ત અનુમાન લગાવી શકે છે કારણકે સરકારે આ વિશે વધુ કહ્યું નથી અને તેમના વલણને સમર્થન આપવા માટે આ શબ્દની સત્તાવાર વ્યાખ્યા જાહેર નથી કરી.
એક કારણ એ હોઈ શકે કે સરકાર કૉમ્યુનિટી ટ્રાન્સમિશનની સ્થિતિના સ્વીકારને તેમની નીતિઓની નિષ્ફળતા તરીકે જુએ છે.
જોકે, ડૉકટર જમીલ કહે છે કે "કૉમ્યુનિટી ટ્રાન્સમિશન માટે સરકારને દોષિત ઠેરવી શકાય નહીં" એમનું કહેવું છે કે, વધુ ડેટા સાથે સજ્જ થવાની અને વિજ્ઞાન જેને સાબિત કરે છે તેને સ્વીકારવાની જરૂર છે.
તેઓ ઉમેરે છે કે ભારત જેવા ગીચ વસ્તી ધરાવતા દેશોમાં આવા એક ખૂબ જ ચેપી વાઇરસ સાથે કૉમ્યુનિટી ટ્રાન્સમિશનની ઘણીવાર શક્યતા રહેલી હોય છે.
નિષ્ણાતો કહે છે કે, પરિસ્થિતિને નકારવાથી દબાણમાં ફક્ત વધારો થશે અને તે આ મુદ્દા ઉપર બિનજરૂરી ચર્ચાને ઉત્તેજન આપશે.
સરકાર સાથે કામ કરનારા અગ્રણી ઍપિડેમિઓલૉજિસ્ટ ડૉકટર લલિત કાંત પ્રમાણે હવે દલીલનો કોઈ મતલબ નથી.
તેઓ કહે છે, "આપણે આને કૉમ્યુનિટી ટ્રાન્સમિશન કહીએ કે ના કહીએ પરંતુ આપણે આપણી નીતિમાં સતત સુધારાઓ કરતા રહેવું પડશે."
"ભારત એક મોટો દેશ છે. તમે એક રાજ્યમાં વાઇરસ પર અંકુશ મેળવો અને બીજા રાજ્યમાં તે સપાટી પર આવી શકે. આથી હકીકતમાં તો જમીની પરિસ્થિતિને સમજવા માટે આપણને કોઈ વ્યાખ્યાની જરૂર નથી. કોરોના વકરી રહ્યો છે અને તે એક કડવું સત્ય છે."
પરંતુ કૉમ્યુનિટી ટ્રાન્સમિશનનો સ્વીકાર કરવાથી ઘણા નીતિગત બદલાવો કરવાની જરૂર પડી શકે છે.
WHO કહે છે, મોટા પાયાના કૉમ્યુનિટી ટ્રાન્સમિશનની સ્થિતિમાં વ્યક્તિગત કેસની ઓળખ, સંક્રમણનું પગેરું શોધવું અને ક્વોરૅન્ટીન કરવું" જરૂરી ન રહે, એને બદલે દેશો ડેટાને આધારે વાઇરસના ભૌગોલિક ફેલાવાને શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરે અને એ જ પ્રમાણે સ્વાસ્થ્ય સુવિધાઓનું આયોજન કરે.
ડૉકટર કાંત કહે છે કે શક્ય છે કે સરકાર આ તબક્કે નીતિમાં બદલાવની જાહેરાત કરવા ન ઇચ્છતી હોય.
કારણ કે કેન્દ્ર અને રાજ્ય સરકારોને પરીક્ષણની ગતિ વધારવા અને ટચિંગ ટેસ્ટિંગ-ટ્રેસિગનાં ધારાધોરણો અમલમાં મૂકતાં મહિનાઓ લાગ્યા છે. બીજો પડકાર એ છે કે મહામારી ભારતના જુદા-જુદા ભાગોમાં જુદા-જુદા સ્તર પર છે. જેથી પૉલીસીને એકસાથે બદલવી મુશ્કેલ કામ છે.
"તેમ છતાં તેનો સતત અસ્વીકાર કરવો યોગ્ય ઠેરવી ન શકાય. તેમની લાંબાગાળાની નીતિ શું છે અથવા તો કૉમ્યુનિટી ટ્રાન્સમિશન વિશે તેમની વ્યાખ્યા શું છે તે સરકારે કહેવાની જરૂર છે" એમ તેઓ ઉમેરે છે.
ડૉ. કાંત કહે છે કે, લોકોને જાણવાનો અધિકાર છે અને સરકારે પારદર્શક રહેવું જોઈએ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો